વિશ્વભરમાં સ્ત્રીનું લગ્ન એટલે જાણે તેનો પુનઃ જન્મ. લગ્ન સાથે તેનું નામ, અટક, ઘર, પરિવેશ અને ધર્મ બધું જ બદલાઈ જાય ! સ્ત્રી જે પુરુષને પરણે તે પુરુષનો ધર્મ તે જ તેનો ધર્મ બની જાય ! આ પિતૃસત્તાક પ્રથા સદીઓથી વિશ્વભરમાં પ્રવર્તે છે. ખાસ કરીને ભારતમાં તો ખરી જ.
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે પારસી, જેવા ભારતના બધા જ ધાર્મિક સમાજોમાં લગ્ન પછી સ્ત્રીના નિર્વિવાદપણે ધર્મપરિવર્તનને સ્વીકારી લેવાયું છે. ટૂંકમાં સમાજ આખો સ્ત્રીને પુરુષના નામે, પુરુષના ધર્મે, અને પુરુષના સંદર્ભે જ ઓળખતો રહ્યો છે. અને તેનાં માઠાં પરિણામો સ્ત્રીએ સહન કર્યાં છે. જ્યાં લગભગ કોઈ જ સ્ત્રી આવા અન્યાયનો વિરોધ સુદ્ધાં કરતી નથી, જ્યાં લગ્ન બાદ નવું નામ, નવી અટક અને નવો ધર્મ આંતરજાતીય લગ્નની પરિણીતા પોતાના ભાગ્યરૂપે સ્વીકારે છે, ત્યાં આવા પિતૃસત્તાક ધાર્મિક વલણની વિરુદ્ધમાં થોડા જ સમય પહેલાં એક પારસી સ્ત્રી મેદાને પડી. શ્રીમતી ગુલરુખ એમ. ગુપ્તા નામની જન્મે પારસી, પરંતુ લગ્ન બાદ હિન્દુ બનેલી તથા ગુપ્તા અટક ધરાવતી સ્ત્રીએ વલસાડના પારસી ટ્રસ્ટ સામે કાનૂની ફરિયાદ નોંધાવી.
ફરિયાદ એવી હતી કે પારસી સમાજ દ્વારા ચલાવાતા વલસાડ પારસી ટ્રસ્ટના હોદ્દેદારોએ પોતાના સમાજના નિયમોને ધ્યાનમાં રાખતા નોન પારસી પુરુષને પરણેલ આ યુવતીને પારસી અગિયારી કે પારસી સ્મશાનગૃહમાં જવા પર નિષેધ ફરમાવ્યો હતો. પારસી સમાજના નિયમ પ્રમાણે તેમના ધાર્મિક સ્થળોમાં પ્રવેશવાનો હક ફક્ત પારસીઓને જ હોય છે. નોન પારસીમાં પરણેલ દીકરીઓને લગ્ન બાદ ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક રહેતો નથી. દેખીતું જ છે કે ગુલરુખનો લગ્ન બાદ ધર્મ બદલાઈ ગયો હતો. તેણે પતિનો ધર્મ અંગિકાર કર્યો હતો. અને તેથી હવે તે પારસી રહેતી નથી. પારસી ન હોવાને કારણે હવે તેને પારસી ધર્મસ્થાન કે પારસી સ્મશાનગૃહમાં પ્રવેશવાનો હક રહેતો નથી. અને તેથી ગુલરુખ પોતાના વૃદ્ધ માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે નહીં ! પારસી ટ્રસ્ટના આ નિર્ણય વિરુદ્ધ ગુલરુખે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. સુનાવણીને અંતે ગુલરુખના પ્રતિપક્ષીઓ જીતી ગયા. હાઈકોર્ટે ગુલરુખને સ્મશાનગૃહમાં પ્રવેશીને માતા-પિતાની અંતિમક્રિયાના હક ન આપ્યા !
હાઈકોર્ટનો આ ચુકાદો ગુલરુખને સ્વીકાર્ય ન હતો. તેનો તર્ક હતો કે જે ધર્મમાં તે જન્મી હતી તે ધર્મમાં આજીવન રહેવાનો અધિકાર તેને મળવો જોઈએ. પોતાની આ માન્યતાને સાચી ઠેરવવા ગુલરુખે એક ઓર ન્યાયિક જંગ લડવાનો નિર્ણય કર્યો. અને તેણે હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. નામદાર સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયમૂર્તિઓની બેન્ચે આ કેસને સાંભળ્યો અને તેમણે ગુલરુખની તરફેણામાં ચુકાદો આપતાં જણાવ્યું કે, લગ્ન બાદ પત્નીએ પતિનો ધર્મ ફરજિયાતપણે સ્વીકારવો પડે તે આગ્રહ ન્યાયિક નથી. સ્ત્રીની પોતાની ઇચ્છા પ્રમાણે તે જે ધર્મ સ્વીકારે તે સ્વીકારવાનો તેને હક છે … તેથી આ કેસ કરનાર ગુલરુખ ગુપ્તા નામની હિન્દુ પુરુષને પરણેલી પારસી સ્ત્રીને પારસી પંચાયત કે ટ્રસ્ટ 'ટાવર ઓફ સાયલન્સ'(પારસી સ્મશાનગૃહ)માં પ્રવેશતી અટકાવી શકે નહીં. નામદાર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ફક્ત ગુલરુખ નામની એક સ્ત્રીને જ ન્યાય આપતો નથી, પરંતુ આખી પારસી સ્ત્રી જાતને એક વિશેષ ધાર્મિક હક આપે છે. આ ચુકાદાથી ગુલરુખ ખુશ છે, તે જીતી ગઈ છે. હવે તે તથા નાતબહાર પરણેલી બે બહેનો પોતાના 84 વર્ષનાં માતા-પિતાની અંતિમક્રિયા કરી શકશે.
સ્ત્રીઓને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ અદાલતના નિર્ણયનું સ્વાગત છે. આ નિર્ણય સ્ત્રીને પોતાની માલિકી ગણનાર પિતૃસત્તાક સમાજના માઈન્ડ સેટથી હઠકે વિચારવાની સ્વસ્થ શરૂઆત કરે છે. પરંતુ સહેજ ગંભીરતાથી વિચારીએ તો સમજાય કે આવો ચુકાદો સ્ત્રીને બે ધર્મો વચ્ચે વહેંચાયેલું જીવન જીવવાની છૂટ આપી રહ્યો છે. ગુલરુખે પોતાના પતિનો ધર્મ તથા અટક અપનાવ્યા છે. લગ્ન બાદ તે ગુલરુખ ગુપ્તા બની છે. એટલે કે હવે તે હિન્દુ છે, અને હિન્દુ રહીને, હિન્દુ ધર્મ ઉપરાંત હવે નામદાર કોર્ટ તેને પારસી ધર્મનો પણ હક આપી રહી છે. અને અન્ય ધર્મ અંગિકાર કરી ચૂકેલ મૂળ પારસી સ્ત્રીને ન્યાયાલય પારસી ધર્મમાં પોતાની આસ્થા ધરાવવાનો હક આપી રહી છે.
આ પ્રમાણે આંતરજાતીય લગ્ન કરનાર પારસી સ્ત્રીને હિન્દુ બની હોવા છતાં પારસી ધાર્મિક હકો મળી રહ્યા છે. તો પછી પારસી પુરુષને પરણેલ હિન્દુ સ્ત્રીનું શું ? તેનો વિચાર પણ કરવો જોઈશે. આવી, હિન્દુમાંથી પારસી બનેલ, સ્ત્રીની પરિસ્થિતિ શું છે તે પણ જોવું પડશે. આવી સ્ત્રીઓને પારસી ધર્મ અપનાવતો નથી. તેમને અગિયારી કે ધાર્મિક સ્થળોમાં પ્રવેશનો હક હોતો નથી. અલબત્ત, પારસી પતિથી જન્મેલ એ હિન્દુ સ્ત્રીના બાળકોને પારસી પંચાયત પારસી તરીકે ચોક્કસ સ્વીકારે છે અને હકો પણ આપે છે.
લગ્ન બાદ પારસી બનેલી આવી હિન્દુ સ્ત્રીઓના ધાર્મિક હક વિશે વિચારતા મને વર્ષો પહેલાંની મારી એક બહેનપણીનું સ્મરણ થયું. મારી એ બહેનપણીએ આઈ.આઈ.એમ.માંથી એમ.બી.એ. કર્યું હતું. અને અભ્યાસ દરમિયાન જ પોતાના એક સહાધ્યાયી પારસી પુરુષ સાથે તેને પ્રેમ થયો હતો. બંને પક્ષોની અસંમતિને ઉપરવટ થઈ, તે બંનેએ આંતરજાતીય લગ્ન કરી લીધેલાં. અને ભારત છોડી યુ.એસ.માં સ્થાયી થવા નિર્ણય કરેલો. મને જાણવા મળેલું કે યુ.એસ.માં મારી બહેનપણીએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી પીએચ.ડી. કરેલ. અને હવે તે કોઈ સારી કંપનીમાં સી.ઈ.ઓ. છે. તેના પારસી પતિએ પણ આગળ અભ્યાસ કર્યો ને ત્યારબાદ કોઈ યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે જોડાયો હતો. વર્ષો બાદ તેની ભારતયાત્રા દરમિયાન જ્યારે અમે મળ્યાં ત્યારે મને બે સોહામણા પુત્રોની માતા એવી મારી અત્યંત સફળ બહેનપણીને જોઈને ખૂબ આનંદ થયો. દોમદોમ સાહ્યબીમાં મ્હાલતી મારી એ બહેનપણી લોકોની ઇર્ષાનું કારણ હતી. પરંતુ અમે બંને એકલા મળ્યાં, ત્યારે તેણે પોતાના મનની વાત મને કરી. તેણે કહ્યું કે અલબત્ત તે એક સફળ સી.ઈ.ઓ. હતી. એક સારી પત્ની હતી. બે પુત્રોની માતા હતી અને તેના પતિ અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં પ્રેસિડેન્ટ (કુલપતિ) પદે બિરાજતા હતા. આ બધું જોતા લોકો માનતા હતા કે તે સુખી હતી. પણ વાસ્તવમાં તે તદ્દન એકલવાયી હતી.
મને આશ્ચર્ય થયું. આવી ભરી ભરી જિંદગીમાં તે એકલવાયી કઈ રીતે ? તેણે મને કહ્યું, 'મારી એકલતા સામાન્ય નથી. એ એક આધ્યાત્મિક એકલતા છે.' આસપાસના લોકોને અત્યંત સુખી દેખાતી મારી બહેનપણીના મનમાં ઊંડે ઊંડે દુઃખ હતું. અમેરિકામાં વસતા તેના નાનકડા પરિવારમાં ત્રણ વિરુદ્ધ એકની આ એકલતા હતી. કુલ ચાર જણના પરિવારમાં ત્રણ જણ પાક્કા પારસી હતા. જેણે પોતાનો હિન્દુ ધર્મ ત્યજીને પતિનો પારસી ધર્મ અપનાવ્યો હતો, તેવી મારી બહેનપણી પોતાના પરિવારના ત્રણ સભ્યની જેમ પારસી નહોતી ! પારસી હોવા છતાં તેને હિન્દુ માનવામાં આવતી ! મહિને એકાદ વાર પોતાના નિવાસસ્થાનથી સાંઈઠએક માઈલની દૂરી પર આવેલ પારસી અગિયારી જવાનો ક્રમ જીવનભર ચાલ્યો. પણ જ્યારે પણ અમેરિકામાં સ્થિત આ પારસી કુટુંબ અગિયારીએ જતું ત્યારે કુટુંબના ત્રણ સભ્યો એટલે કે મારી બહેનપણીનો પતિ અને તેના બે પુત્રો તેને મૂકીને અગિયારીમાં પ્રાર્થના કરવા જતા. પારસી પંચાયતના નિષેધને કારણે પારસી ધર્મમાં ન જન્મેલ તેવી તેને ધર્મસ્થાનમાં પ્રવેશવાનો હક નહોતો ! 'દર મહિને અગિયારીની બહાર જીવનની એકલતાનો આ અનુભવ જીરવવો મારે માટે કપરો છે. એ મને સતત યાદ અપાવે છે કે હિન્દુ ધર્મ ત્યજીને હું પારસી પતિ ખાતર પારસી બની, પરંતુ ત્યાં મારો સ્વીકાર પૂર્ણપણે ન થતાં મારી સ્થિતિ ધોબીના કૂતરા જેવી છે, ન ઘરનો કે ન ઘાટનો' તે બોલી.
મારી બહેનપણીની આવી સૂક્ષ્મ આધ્યાત્મિક એકલતાની વાતે મને અંગ્રેજી કવિ ટેનિસનના લોકપ્રિય કાવ્ય 'ફોરસેકન મરમેન'(ત્યજાયેલ મત્સ્યપુરુષ)ની યાદ અપાવી. આ કાવ્યમાં એક સ્ત્રી પોતાનું સર્વસ્વ ત્યાગીને સમુદ્રના જીવ એવા એક મરમેનના પ્રેમમાં પડે છે. સ્ત્રી પતિના વિશ્વમાં જઈને વસે છે. અને તેના બાળકોની માતા પણ બને છે. પરંતુ તેને સતત અજંપો રહે છે. આ સ્ત્રીને લાગ્યાં કરે છે કે તેનું અંતરમન કંઈક ઓર જ ઝંખી રહ્યું છે. છેવટે એકવાર સમુદ્રના પેટાળમાંથી પત્નીના વિશ્વને જોવા દરિયાકાંઠે આવેલ મરમેન તથા તેના બાળકોને ત્યજીને તે સ્ત્રી સુદૂર દેખાતા દેવળોમાં પ્રાર્થના કરવા પહોંચી જાય છે. પતિ તેને રોકે છે, પરંતુ પેલી તેને કહે છે, 'મારા વિશ્વમાં ઈસ્ટરનો સમય એટલે દેવળમાં જવાનો સમય. પ્રભુને પ્રાર્થના કરવાનો સમય. મને જવા દે.' અને બસ એ પોતાના પતિ તથા બાળકોને ત્યજીને પોતાની આધ્ચાત્મિક એકલતાનો તોડ શોધવા પોતાના લોકો તથા પોતાના ઈશ્વરને મળવા ચાલી જાય છે.
'ફોરસેકન મરમેન'ની નાયિકા સ્ત્રી અને મારી બહેનપણીના જીવનમાં સામ્ય પણ છે અને ભિન્નતા પણ. મરમેનને પરણેલ સ્ત્રી પોતાની ઇચ્છા મુજબ પોતાના ધર્મસ્થાનમાં જઈને પ્રાર્થના કરવા બેસી જઈ શકી, પરંતુ પારસીને પરણેલ મારી હિન્દુ બહેનપણી આજે પણ ધર્મસ્થાનની બહાર જ રાહ જોતી એકલી બેઠી છે !
તા.ક. સ્મૃિતનું કામ પણ અવળચંડુ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે વાંચતાંની સાથે મને મારી વર્ષો જૂની બહેનપણી સ્મરી. જાણે એ મને કહી રહી હતી 'મને પણ ન્યાય જોઈએ. મને પણ અગિયારીમાં પ્રવેશ જોઈએ.'
E-mail : ranjanaharish@gmail.com