એક વાત તો નક્કી કે અબજો રૂપિયા ખર્ચીને અસત્યનો ગમે એટલો ઘટાટોપ ઊભો કરવામાં આવે, નેતાજીનું ગમે એટલું આભામંડળ પેદા કરવામાં આવે, કઢીચટ્ટાઓ ગમે એટલી ભાટાઈ કરે અને સત્ય છૂપાવે, વિરોધીઓને ડરાવવામાં આવે દબાવવામાં આવે કે ખરીદવામાં આવે, ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી પ્રોપેગેન્ડા ફિલ્મો બનાવવા માટે અબજો રૂપિયા ભાડૂતી ફિલ્મનિર્માતાઓને આપવામાં આવે, સરકારી યંત્રણાને કબજે કરવામાં આવે; પણ સત્યમાં એટલી તાકાત હોય છે કે એ જ્યારે ઊઘડું ઊઘડું થવા લાગે ત્યારે પસીનો છૂટી જાય. કેમ બચવું અને ક્યાં મોઢું છૂપાવવું એ વાત સતાવવા લાગે છે. એમ કહેવાય છે કે સત્ય હજુ તો લોકો સુધી પહોંચવા માટે જોડાની દોરી બાંધતું હોય ત્યાં સુધીમાં અસત્ય અનેક ગાઉમાં ફરી વળ્યું હોય. અસત્યનો આ સ્વભાવ છે. એમાં જો કાનાફૂસીનો માર્ગ અપનાવવામાં આવે તો તો પછી પૂછવું જ શું! પણ એ પછી પણ સસલા-કાચબાની વાર્તામાં બન્યું હતું એમ છેવટે કાચબાનો વિજય થતો જ હોય છે. પ્રશ્ન માત્ર સમયનો હોય છે.
૨૦૧૭માં બજેટના ભાગરૂપે ચૂંટણીફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ્સની યોજના રજૂ કરવામાં આવી હતી. ગણતરી એવી હતી કે નાણાંકીય ખરડા(મની બીલ)ની સાથે સાથે વગર ચર્ચાએ આ યોજના સ્વીકૃત થઈ જશે, અને બન્યું પણ એવું જ. પણ અમદાવાદની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એ.ડી.આર.) નામની સંસ્થાએ ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં આ લોકતંત્ર પરનો કુઠારાઘાત છે, એમ કહીને તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ના એપ્રિલ-મેં મહિનામાં યોજાવાની હતી એટલે સર્વોચ્ચ અદાલત પાસે નિર્ણય લેવા માટે દોઢ વરસનો સમય હતો અને તે ઓછો તો ન જ કહેવાય. અમેરિકામાં અને બીજા પ્રગતિશીલ લોકશાહી દેશોમાં આટલા સમયમાં તો અપીલ સહિત અંતિમ ચુકાદાઓ આવી જતા હોય છે. એ સમયે ન્યાયમૂર્તિ દીપક મિશ્ર અને ન્યાયમૂર્તિ રાજન ગોગોઈ અનુક્રમે મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને તેઓ આ કેસ હાથ જ નહોતા ધરતા. રાજન ગોગોઈ ઇલેક્ટોરલ બોન્ડ્સ, બાબરી મસ્જીદ અને બીજા ખટલાઓમાં સરકારને મદદ કરવાના શિરપાવરૂપે અત્યારે રાજ્યસભામાં બિરાજમાન છે. મદદ બે રીતની. કાં તો કેસ હાથ નહીં ધરવાનો અથવા સરકારને અનુકૂળ ચુકાદા આપવાના. દરમ્યાન ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ અને બી.જે.પી.ને ૨૦૧૪માં મળી હતી તેનાં કરતાં પણ વધુ બેઠકો મળી.
લોકતંત્રનું ગળું ઘૂંટનારી આ જોગવાઈને સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક હાથ ધરવી જોઈતી હતી, પણ હાથ ન ધરી. હમણાં કહ્યું એમ ૨૦૧૭થી અત્યાર સુધીમાં લોકસભાની, વિધાનસભાઓની અને બીજી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સેંકડો ચૂંટણીઓ યોજાઈ ગઈ, પણ સર્વોચ્ચ અદાલતને ક્યારે ય એવું ન લાગ્યું કે ભારતનાં લોકતંત્રને પક્ષઘાતી બનાવનારી આ જોગવાઈની યોગ્યતા ચકાસવી જોઈએ અને તે બંધારણીય છે કે નહીં એ વિષે ચુકાદો આપવો જોઈએ. જો એ પક્ષઘાતી ન હોય તો એવો ચુકાદો આપવામાં આવે, પણ કેસ જ હાથ ધરવામાં ન આવે એ ક્યાંનો ન્યાય! બીજું આ જોગવાઈ લોકતંત્ર માટે પક્ષઘાતી છે એવો અભિપ્રાય નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને ફલી નરિમાન જેવા આદરણીય કાયદાવિદોએ પણ આપ્યો હતો.
ખેર, ઇલેક્ટોરલ બોન્ડ્સ સામેના ખટલાને નહીં હાધ ધરીને સર્વોચ્ચ અદાલતે બને ત્યાં સુધી સરકારને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે વધારે મદદ કરવી શક્ય નહોતી, કારણ કે લોકસભાની સામાન્ય ચૂંટણી નજીક છે અને તેના પર આખા જગતની નજર હોય છે. ૨૦૧૯માં તો ઠીક હતું કે ઇલેક્ટોરલ બોન્ડ્સ સામેની અરજીને દાખલ થયે હજુ દોઢ વરસ જ થયું હતું પણ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી સુધીના સાડા છ વરસ સુધી સર્વોચ્ચ અદાલત કેસ હાથ ન ધરે તો જગતમાં ભારતની સર્વોચ્ચ અદાલતની મૃત્યુનોંધ લખાઈ જાય. ભારતની લોકતાંત્રિક સંસ્થાઓનો નાભીશ્વાસ ચાલતો રહેવો જોઈએ કે જેથી તેને મૃત જાહેર કરવામાં ન આવે. સાડા છ વરસ પછી સર્વોચ્ચ અદાલત પાસે કેસ હાથ ધરવા સિવાય કોઈ છૂટકો નહોતો અને જો કેસ હાધ ધરે તો ઇલેક્ટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરવા સિવાય પણ કોઈ છૂટકો નહોતો.
સત્યનો તાપ હવે સતાવે છે. જૂઠનું પ્રચંડ મોટું સામ્રાજ્ય હોવા છતાં. એક. કોણે કેટલા રૂપિયાના બોન્ડ્સ ખરીદ્યા અને કોને એટલે કે કયા પક્ષને આપ્યા? બે. વિવિધ રાજકીય પક્ષોને બોન્ડ્સ દ્વારા કેટલા રૂપિયા મળ્યા? ત્રણ. બોન્ડ્સ જે તે રાજકીય પક્ષે ક્યારે રૂપિયામાં ફેરવ્યા (એનકેશ કર્યા)? ચાર. જો દાતા તેમની પસંદગીના રાજકીય પક્ષને બોન્ડ્સ આપી દે અને એ રાજકીય પક્ષ જો પંદર દિવસમાં રોકડા ન કરે તો બોન્ડ્સની રકમ વડા પ્રધાનના રાહત કોશમાં જમા કરવામાં આવે એવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. (સજ્જનતા બતાવવા માટે આવું થોડું કરવું પડે!) શું એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી? જો હા તો ક્યારે અને કયા પક્ષની બાબતમાં? પાચ. એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની કેટલી રકમ વડા પ્રધાનના રાહતકોશમાં જમા કરવામાં આવી છે? ઇલેક્ટોરલ બોન્ડ્સને વેચતી દેશની એક માત્ર બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આનાં જવાબ આપવા પડે એમ હતા. સર્વોચ્ચ અદાલતે બોન્ડ્સ રદ્દ કરનારા ચુકાદા સાથે બેંકને આવો આદેશ પણ આપ્યો હતો.
આવો આદેશ પણ સર્વોચ્ચ અદાલતે આપવો પડે એમ હતો. તેની પાસે બીજો કોઈ છૂટકો નહોતો. બે કારણ હતાં. એક તો એ કે આ તર્કસંગત અને ન્યાયસંગત હતો. ચોરી સિદ્ધ થાય તો ચોરી કોણે કરી, કેટલા રૂપિયાની કે ચીજવસ્તુઓની કરી, ક્યાં છૂપાવી, ચીજવસ્તુ ક્યાં અને કોને વેચી, એ રૂપિયા કોણે, ક્યાં અને કેવી રીતે ખર્ચ્યા, કેવી રીતે ભાગ પાડ્યા એવા સવાલ જેમ સ્વાભાવિક ગણાય એમ. એનાથી બચી ન શકાય. બીજું કારણ એ હતું કે ‘ધ રિપોર્ટર્સ કલેક્ટીવ’ નામના પત્રકારોના જૂથે આની ઘણી વિગતો ગયા વરસે બહાર પાડી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે કેસ હાથ ધરવો પડ્યો એનું આ પણ એક કારણ હતું. જેમ કે ગયા વરસે કર્ણાટક વિધાનસભાની ખરાખરીની ચૂંટણી વખતે એક્સપાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી. કોના કહેવાથી અને કોના માટે એવો પ્રશ્ન તો બેવકૂફ હોય એ જ પૂછે. ક્યાં ગોદી મીડિયાનો ઘોંઘાટ અને ક્યાં ઓફિસ પણ નહીં ધરાવતા પત્રકારોના એક જૂથનું જૂઠની હવા કાઢી નાખનારું કારનામું. આ છે સત્યની તાકાત! શાસકો, સર્વોચ્ચ અદાલત, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચ ભાગવા માગે તો પણ ભાગી નથી શકતા.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે વિગતો આપતા અમને ચાર મહિના લાગશે. શા માટે? જો ચૂંટણીપંચ ૮૦ કરોડ મતદાતાઓનું મતદાન બે-ત્રણ અઠવાડિયામાં કરાવી શકે અને તેની ગણતરીના કલાકોમાં ગણતરી કરી શકે તો બે-ચાર હજાર બોન્ડ્સની ગણતરી કરતા ૧૩૬ દિવસ લાગે? હા, જો સામાન્ય ચૂંટણી નજીક હોય અને શાસકોની ગુલામી કરવી હોય તો આટલો સમય લાગે. અગેન, સત્યની જ્યોત લઈને જીવતા રિપોર્ટર્સ કલેક્ટીવના પત્રકારો તેમને બિચારાઓને સતાવે છે. તેમની પાસે એ પણ વિગતો છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે અને એ સિવાય બીજા અનેક પ્રસંગે ગણતરીના કલાકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ શાસકોને બોન્ડ્સની વિગતો આપી હતી. ગણતરીના કલાકોમાં એક્સ્પાયેર થયેલા બોન્ડ્સની મુદ્દત લંબાવી આપવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ શાસકોની ખિદમત કરી શકે છે, પણ દેશની જનતાને માહિતી આપતાં વખત લાગે છે. તેઓ ડરે છે.
જો ચૂંટણી પહેલાં બોન્ડ્સની વિગતો બહાર આવે તો બીજું ઘણું બધું બહાર આવે. રિપોર્ટર્સ કલેક્ટીવના માર્ગે બહાર આવે અને સર્વોચ્ચ અદાલતના માર્ગે બહાર આવે એમાં જમીન આસમાનનો ફરક છે. જો બી.જે.પી.ને બોન્ડ્સ આપનારા અને નહીં આપનારાઓનાં નામ બહાર આવે તો કોના પર (ઉદ્યોગપતિઓ) ઇ.ડી. અને બીજી સરકારી એજન્સીઓની રેડ પડી અને કોને લાભ કરી આપવામાં આવ્યા એના છેડા જોડવામાં આવે. છેડા તો જોડાયેલા જ છે, જે સત્તાવારપણે સિદ્ધ થાય. દેશપ્રેમીઓએ છૂપાવેલાં પુષ્કળ હાડપિંજર બહાર આવી શકે એમ છે.
જોઈએ, સર્વોચ્ચ અદાલત શું કરે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 માર્ચ 2024