હૈયાને દરબાર
આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે –
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.
• કવયિત્રી : ઉષા ઉપાધ્યાય • સંગીત અને સ્વર : નંદિતા ઠાકોર
સોશિયલ મીડિયાનાં જે કોઈ દૂષણો હોય એ, પરંતુ એનો એક મોટો ઉપકાર એ છે કે દેશ દેશાંતરના સર્જકોને જાણવાનો, સમજવાનો અને એમની કૃતિઓ માણવાનો મોકો દરેકને મળી શકે છે. ડો. ઉષા ઉપાધ્યાયના નામથી સાહિત્યપ્રેમીઓ તો પરિચિત હોય જ, પરંતુ, એમનાં સર્જનને માણવાનો લહાવો મને તો ફેસબુક દ્વારા જ મળ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલાઓની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા તેઓ જૂઈ મેળો કરે છે, એ પણ અત્યંત સરાહનીય ઘટના છે. સોશિયલ મીડિયા દ્વારા જ મહદ્દ અંશે ઉષાબહેનને સાંભળવાનો મોકો પણ મળતો. રણકાદાર અવાજ, વિચારોની સ્પષ્ટતા તેમ જ મોહક સ્મિત સાથેનું એમનું વકતવ્ય ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. જળ બિલ્લોરી શબ્દ જ મોહક છે, રિધમિક છે. એ કાવ્યનું પઠન કરવાની તો મજા આવે જ પરંતુ સંગીતબદ્ધ થયેલું વધુ કર્ણપ્રિય લાગે.
ડો. ઉષા ઉપાધ્યાય ગુજરાત વિધાપીઠનાં સિનિયર પ્રોફેસર અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. તેઓ જાણીતાં કવયિત્રી તથા વિવેચક પણ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં તેમણે લોક સાહિત્ય, ભારતીય કવિતાઓ, સાહિત્યની સમાનતાઓ અને મહિલાઓ અંગેના વિષયો ઉપર ઘણું કામ કર્યું છે. સંશોધન સર્જનાત્મક સાહિત્ય સંપાદનો એમનો રસનો વિષય છે. વિદ્યાપીઠ એમને માટે તીર્થ સમાન છે. નાનપણથી જ શબ્દ સાથે ઊંડો સંબંધ. ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું. માતા-પિતાએ એમને પહેલો પરિચય પુસ્તકોનો જ કરાવ્યો હતો. ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’નો ગુજરાતી અનુવાદ શાળા કક્ષાએ જ વાંચી લીધો હતો. પ્રકૃતિ પ્રેમી પણ ખરાં. કાવ્યયાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે ઉષાબહેન કહે છે, " પહેલેથી જ હું પ્રકૃતિની નજીક રહી છું. મારા પિતા ઘનશ્યામ ત્રિવેદી ગુજરાત વિદ્યુત બોર્ડમાં હોવાને લીધે પપ્પાનું પોસ્ટિંગ જુદી જુદી જગ્યાઓએ થયાં કરતું. એ રીતે મારું બાળપણ બિલિમોરામાં વીત્યું. દક્ષિણ ગુજરાત એ હરિયાળો પ્રદેશ. એની ઘેઘૂર વનસ્પતિનો લાભ મને ભરપૂર મળ્યો. ઉમાશંકર જોશીની પંક્તિઓ; વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ ..!ની દીક્ષા નાનપણમાં જ મળી. અખૂટ ઉત્સાહ અને સૌંદર્યના પાઠ પ્રકૃતિ પાસેથી શીખી.
સાહિત્ય રૂચિ ઘડનારી પાઠશાળા એ પુસ્તકાલયો. ‘સોપાન', ગુણવંત આચાર્ય સહિત કેટલા ય લેખકો નાનપણમાં જ વાંચી લીધા હતા. આ લાઈબ્રેરીમાં બાલ સામયિકોનો અખૂટ વૈભવ. પિતા સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા. એટલે રાષ્ટ્રપ્રીતિનો વારસો એમની પાસેથી તથા સાહિત્યનો વારસો માએ આપ્યો. ગીતોનો લય નાનીમાને લીધે કેળવાયો. એ ખૂબ હલકથી ધ્રોળ, ભજનો ગાતાં. કવિતા લખવાનો આરંભ એફ.વાય.બી.એ.માં હતી ત્યારે થયો. ઝવેરચંદ મેઘાણીના પ્રભાવે સૌ પ્રથમ ગીત લખ્યું. એ વખતે છંદો શીખવાની મથામણ હતી, તેથી કોલેજના વિદાય સમારંભમાં મેં પ્રોફેસરોનાં નામને સોનેટમાં ગૂંથીને એને શિખરિણીમાં ગાયું હતું. પ્રકૃતિ, કાવ્યસર્જન સાથે સમાજના પ્રશ્નોની ઊંડી ચિંતામાં કાર્લ માર્કસનું દાસ કેપિટલ પણ વાંચી લીધું હતું. ૧૯૭૯માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં જોડાઈ. પશ્ચિમી દેશોના સાહિત્યના અનુવાદો વાંચ્યાં પછી કવિતાની ધાર નીકળતી ગઈ. માતૃત્વ અને પીએચ.ડી.ની પદવી એ કસાથે ૧૯૮૨માં મળી. ૧૯૮૫થી કાવ્ય અને વિવેચન સતત ચાલ્યા. પરિષદમાં સક્રિય થઈ.
જળ બિલ્લોરી કાવ્યની વાત કરું તો એ મારા કુદરતપ્રેમની જ અભિવ્યક્તિ છે. વરસાદના ગાઢ અનુભવ અને વૃષ્ટિનો પ્રભાવ મારા મનને હંમેશાં તરબતર કરે છે. વરસાદનાં બદલાતાં ચિત્રો એમાં અનાયાસે વ્યક્ત થયાં છે. આ ગીત સૌથી પહેલું નંદિતા ઠાકોરે સ્વરબદ્ધ કર્યું. સૂર-સ્વરમાં શબ્દો નીખરી ઊઠ્યાં. મારા પ્રકૃતિપ્રેમને લીધે કવિતામાં કલ્પનો સાહજિક ગૂંથાઈ આવે છે. કાવ્યરીતિમાં આ કલ્પનો મારી અભિવ્યક્તિને જુદી પાડે છે.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું
આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર
અને છે જળબિલ્લોરી ..!
આ પંક્તિઓ બધાંને બહુ ગમે છે. ધરતીરૂપી ખાંડણિયો આ સાંબેલાધાર વરસાદ જાણે કોઈ ધાનને છડે છે. અને છડનાર કોણ છે? એ તો છે નભની નાર, વિરાટ નારી જે વરસાદથી ધાન ખાંડી રહી છે. મને પોતાને જ થાય કે આ કાવ્ય મેં લખ્યું કેવી રીતે? શક્ય છે વરસાદના ગાઢ અનુભવો તથા વૃષ્ટિએ મારી ચેતનામાં ઊંડે સુધી પ્રભાવ જન્માવ્યો હશે.
આ ગીતને સ્વરબદ્ધ કરીને ગાનાર કવયિત્રી નંદિતા ઠાકોર વાગ્ગેયકાર કહી શકાય. અમેરિકામાં ‘સ્વરાંકન’ નામે સુગમ સંગીતનું ગૃપ ચલાવે છે. ‘અમે-તમે અને આપણે’ નામની ફેસબુક સિરીઝમાં એમણે અનેક નામી-અનામી બહેનોનાં સર્જનને રજૂ કર્યાં છે, જે હવે એમની યુટ્યુબ પર પણ સાંભળી શકાય છે. આ ગીત વિશે નંદિતા ઠાકોર કહે છે, "મારે ક્યાંક કાવ્યપઠન કરવાનું હતું ત્યારે મારા પપ્પાએ આ કાવ્ય સૂચવ્યું હતું. જળ બિલ્લોરી શબ્દનો લય મને બહુ ગમ્યો. શબ્દ અને કાવ્ય બન્નેમાં અપાર શક્યતાઓ રહેલી છે. તમે પેઈન્ટર હો તો એમાં ચિત્રો દેખાય, ડાન્સર હો તો નૃત્ય દેખાય, મૂવમેન્ટ્સ કરવાનું મન થાય. મને પણ તરત કમ્પોઝ કરવાનું થયું હતું. જો કે, પછી એ ઘણાં વર્ષે થયું. માત્ર કવયિત્રીઓની રચનાઓનો શો બે વર્ષ પહેલાં અમેરિકામાં કર્યો ત્યારે જે રીતે મનમાં આવ્યું એ જ રીતે કમ્પોઝ થયું. આ ગીત અમે પાંચ છ બહેનોએ સાથે ગાયું હતું. બધાને બહુ જ ગમ્યું. સેકન્ડ અંતરામાં વેરીએશન લઈને તબલાંના બોલ બોલીને નાખ્યા. પછી તો એ ઘણી વાર ગવાયું. ઉષાબહેનનું એક હરિગીત મીરાં ને મેવાડ … પણ અનાયાસે કમ્પોઝ થઈ ગયું હતું. પરંતુ, જળ બિલ્લોરી ગીત મને ગાવાની ખૂબ મજા આવે છે.
ડો. ઉષા ઉપાધ્યાયનું ગુજરાત મહિમાનું એક સરસ કાવ્ય તથા અન્ય ગીત ઝંખનાની ઝીણેરી જ્વાલા … રાગ કિરવાણીમાં જાણીતાં ગાયિકા માયા દીપકે સુંદર પ્રસ્તુત કર્યું છે. દીપોત્સવી પર્વના આરંભે વાક્બારસના દિવસે નૈસર્ગિક પ્રતિભા ધરાવતાં સંગીતજ્ઞ, સ્વરકાર અને ગાયક ડો. ફાલ્ગુની શશાંકે ઉષાબહેનની સ્તુતિ, તું અખિલ છે, તું નિખિલ છે…ને અત્યંત ભાવવાહી રીતે સ્વરબદ્ધ કરીને કંઠ આપ્યો હતો. આમ, ઉષાબહેનનાં અનેક ગીતો જુદા જુદા કલાકારોએ ગાયાં છે. એ સાંભળવાની તક સોશિયલ મીડિયા દ્વારા મળી, એટલો એનો આભાર!
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 ડિસેમ્બર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=671370