ગાંધી વિરુદ્ધ ગાંધીઃ
[સુધીર ચંદ્ર ઘણા પુસ્તકોમાંથી, છેલ્લે હિન્દીમાં ‘ગાંધી : એક અસંભવ સંભાવના’ માટે જાણીતા છે.]
નાગરિકતા સુધારા કાયદો લાવીને ગાંધીજીના વિચારોને અમલમાં મૂક્યા હોવાના મોદી સરકારના દાવાને સમર્થન આપવાની અવળચંડાઈ કરતા ગાંધી પરિવારના જ લોકોથી ગાંધીનો આપણે બચાવ કરવો પડે એ ભારે શરમની વાત છે. આ લોકો ગાંધીને કહેવા માગે છે કે, તેમણે શું વિચારવું જોઈતું હતું, કહેવું જોઈતું હતું અને કરવું જોઈતું હતું.
મહાત્મા ગાંધીના છેલ્લા ૧૫ મહિના કોમી દાવાનળ વચ્ચે શાંતિ અને સમજૂતી આણવા માટે એક જગ્યાએથી દોડીને બીજી જગ્યાએ દોડવામાં ગયા. સિત્યોતેર વર્ષના ગાંધીની દોડધામ નવેમ્બર ૧૯૪૬માં શરૂ થઈ જ્યારે તેઓ નોઆખલી ધસી ગયા, જ્યાં મુસ્લિમોનાં ટોળાંઓ હિન્દુઓ પર જુલમ ગુજારી રહ્યાં હતાં. તેઓ જ્યારે મુસ્લિમ બહુમતી વિસ્તાર નોઆખલીમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા – જેનો અર્થ તેમના માટે એમ હતો કે “હિન્દુ અને મુસ્લિમોનાં હૈયાં નજીક લાવવાં” – ત્યારે નોઆખલીનો બદલો લેવા બિહારમાં આગ ફાટી નીકળી.
તેનાથી ગાંધીના શાંતિલક્ષી પ્રયત્નોને ભારે ફટકો પડ્યો. તેઓ નોઆખલીમાં પ્રયત્ન કરી રહ્યા હતા આખા ભારત માટે દાખલો બેસાડવાનો. ઊલટું, તેમના પોતાના કૉંગ્રેસ પક્ષના શાસન હેઠળના પ્રાન્તમાં કોમી હિંસા થઈ હતી. આ સંજોગોમાં કૉંગ્રેસ કાર્યકરોની ભૂમિકા અંગે ગાંધીની ચિંતા બાજુ પર મૂકીએ, તો પણ બિહારના કારણે તેમના નોઆખલીના કામ પર અવળી અસર પડી રહી હતી. ત્યાં મુસ્લિમો તેમને મોંઢે કહેવા લાગ્યા કે તેઓ હિન્દુ હોવાથી, બિહાર જઈને મુસ્લિમો બચાવવાના બદલે, અહીં રહ્યા હતા.
ગાંધી એ વાક્પ્રહારો ગળી ગયા અને એમ દલીલ કરતા રહ્યા કે નોઆખલીમાં શાંતિ સ્થપાશે તો બીજા બધે પણ શાંતિ થશે. એટલું જ નહિ, પણ તેમને શ્રદ્ધા હતી કે બિહારની કૉંગ્રેસ સરકાર નિર્ણયાત્મક થઈને કામ કરશે અને પરિસ્થિતિ જલદી કાબૂમાં લાવશે.
પણ એવું બન્યું નહિ. ઊલટું, થોડાં કૉંગ્રેસીઓ પણ હિંસામાં સામેલ હતા. અંતે, કૉંગ્રેસના જ વિકાસ પ્રધાન ડૉ. સૈયદ મહમૂદે ગાંધીને તાકીદનો સંદેશો પાઠવ્યો અને જણાવ્યું કે માત્ર તેઓ જ મુસ્લિમોને બચાવી શકશે. ગાંધીએ હવે દોડીને બિહાર પહોંચવું પડ્યું, હવે એ આશાએ કે બિહારમાં શાંતિ થશે તો પછી બીજે બધે શાંતિ થશે. ૧૯૪૭નો લગભગ આખો માર્ચ – તેમની જિંદગીનો છેલ્લો માર્ચ – તેમણે હિંસાગ્રસ્ત ગામડાં અને નગરોમાં ગાળ્યો. દરેક જગ્યાએ તેઓ પોતાનું હ્રદય ઠાલવતા, અને પરસ્પર ઘૃણા દૂર કરવા પોતાની નૈતિક મૂડી વાપરતા.
નોઆખલી અને બિહારની ઘટનાઓ દેશના વિભાજન અને આઝાદીના થોડા મહિના પહેલાં બની. સ્વતંત્ર ભારતમાં તેમને જે સાડાપાંચ મહિના ગાળવા મળ્યા તેમાં ગાંધીની સ્થિતિ એવી જ રહી. તેઓ સ્વાતંત્ર્યપર્વની પૂર્વસંધ્યાએ જઈ રહ્યા હતા નોઆખલી (જે હવે પાકિસ્તાનનો ભાગ બની રહ્યું હતું), ત્યારે કલકત્તામાં થઈ રહેલી હિંસાના કારણે તેમણે ત્યાં જ રોકાવું પડ્યું. કલકત્તામાં શાંતિ સ્થપાઈ તો તેઓ (બીજી વિભાજિત પાંખ) પંજાબ તરફ આગળ વધ્યા, પણ દિલ્હીની હિંસાએ તેમને રોકી લીધા. કલકત્તા અને દિલ્હી, બંને શહેરોમાં તેમણે સત્યાગ્રહીના આખરી શસ્ત્ર – આમરણ ઉપવાસનો આશરો લેવો પડ્યો, કારણ કે બીજું કશું કારગત નીવડ્યું નહિ.
દિલ્હીમાં તેમના આમરણ ઉપવાસનું પણ ખોટું અર્થઘટન થયું. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારતના મુસ્લિમો માટે થઈને તો ઉપવાસ પર બેઠા નથીને. આ સવાલ પાછળ જે આક્ષેપ હતો તે એક માનસિકતા બતાવતો હતો જે એ પછીના ગાળામાં ઊંડી અને બહોળી થતી ગઈ છે. ગાંધીએ સ્વીકાર્યું કે તેમનો ઉપવાસ ભારતમાંના પીડિત મુસ્લિમો માટે હતો. પરંતુ તેમણે ઉમેર્યું કે ઉપવાસ પાકિસ્તાનમાંના પીડિત હિન્દુઓ અને શીખો માટે પણ હતો.
એક બીજો પણ સવાલ હતો, જે દર્શાવતો હતો કે ગાંધીજીના બોધપાઠ જીવનમાં ઉતારવાના તો દૂર રહ્યા, તેને સમજવામાં પણ લોકો કેવા નિષ્ફળ ગયા હતા. તેમને પૂછવામાં આવ્યું :
“તમે સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.) સુરક્ષા પરિષદની બેઠકની પૂર્વસંધ્યાએ અને કરાચીના હુલ્લડો તેમ જ પાકિસ્તાનના ગુજરાત પ્રદેશના જનસંહારની તરત પછી ઉપવાસ આદર્યા છે. કરાચી-ગુજરાતની ઘટનાઓને આંતરરાષ્ટ્રીય અખબારોમાં કેટલી પ્રસિદ્ધિ મળી તે તો ખબર નથી, પણ એમાં કોઈ શંકા નથી કે તમારા ઉપવાસે બીજી બધી ઘટનાઓને કોરાણે મૂકી દીધી છે. (યુ.એન.ની બેઠકમાં) પાકિસ્તાનના પ્રતિનિધિઓ પણ એ વાત ઉછાળશે કે હિન્દુઓ ભારતમાંના મુસ્લિમોનો જાન લેવા બેઠા છે અને મહાત્માએ તેમને સમજાવવા ઉપવાસ કરવા પડે છે. સાચી વાતની દુનિયાભરમાં જાણ થતાં વાર લાગે છે, પણ તે દરમિયાન તમારા ઉપવાસના કારણે યુ.એન. સમક્ષ આપણો કેસ નબળો પડી શકે છે.”
ગાંધીની જો કે એવી અપેક્ષા પણ નહોતી પણ પાકિસ્તાનના પહેલા વિદેશપ્રધાન સર મુહમ્મદ ઝફરુલ્લા ખાને સુરક્ષા પરિષદમાં કાશ્મીર વિશે બોલતાં કહેલું કે ગાંધીના “ઉપવાસના પ્રતિસાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીની ભાવના અને તમન્નાની નવી અને ભારે લહેર ઉપખંડમાં ફેલાઈ રહી છે.”
ગાંધીએ એક વાર તેમના પ્રિય મિત્ર ચાર્લી(‘દીનબન્ધુ’ એન્ડ્રુઝ)ને પૂછ્યું હતું, “શું માણસ જીવનથી વિશેષ કશાની કુરબાની કરી શકે?” આપણે પૂછવું જોઈએ કે એ પીડાજનક સાડાપાંચ મહિનામાં એવું શું હતું જેણે ગાંધીને તેમની જિંદગી દાવ પર લગાવવા મજબૂર કર્યા. એનો જવાબ આપણા વિશેની આ અત્યંત હતાશાભરી ટિપ્પણીમાં છે. તેમણે કહ્યું, “હમારે મેં શાયદ હ્રદય નહીં હૈ.”
રોજેરોજ ગાંધી લોકોને સમત્વથી અને માનવતાથી કામ લેવાનું સમજાવતા રહ્યા. તેની કોઈ અસર પડી નહિ, અને તેમણે તેમની જિંદગી દાવ પર મૂકી.
ઉપવાસ સફળ તો થયો, પણ તેમની સામે જે સવાલો ઊભા કરવામાં આવ્યા તેમાં ગાંધીની પ્રજા અને દેશ પરત્વેની અપેક્ષાઓ અંગે કેવી ઊંડી ના-સમજ પ્રવર્તતી હતી તે બહાર આવતું હતું. પણ આ વૃદ્ધ માનવીએ છેલ્લા પંદર મહિનામાં એનાથી ય કપરાં વીતકો સહન કરવાનાં હતાં. કદાચ માનવામાં ન આવે, પણ નોઆખલીમાં તેમણે એક જાહેર નિવેદન આપ્યું હતું તે બિહારમાં મુસ્લિમો સામે હિંસા ફેલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું.
ગાંધીને ગાંધીની વિરુદ્ધમાં મૂકવામાં આવ્યા.
ત્યારે જે બિહારમાં થયેલું તે આજે ભારતભરમાં કરવામાં આવી રહ્યું છે. આ વખતે એ કામ પાછળ કોઈ બેનામી તોફાની તત્ત્વો નથી, પણ દેશની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારના સર્વોચ્ચ પદાધિકારીઓ, સહી સાથે લેખો લખતા લોકો અને પોતાની કોલમોમાં શાંતિ અને અહિંસાના દૂતને આઘાતજનક રીતે વેતરી નાખતાં દેશનાં અગ્રણી અખબારો છે.
રાજમોહન ગાંધી અને રામચંદ્ર ગુહા જેવા આપણા શ્રેષ્ઠ ગાંધી-અભ્યાસુઓએ નવા નાગરિક કાયદાથી ગાંધીનાં સપનાં સાકાર થવાના સરકારી દાવાની પોકળતા ખુલ્લી પાડેલી છે. સરકાર જાણે છે કે આવા દાવા કરવામાં કોઈ પુરાવા આપવાની જરૂર છે નહિ અને સરકારનું કહ્યું માનવા માટે તત્પર પ્રજાજનો તેને સરળતાથી ગળે ઉતારી લેતા હોય છે. છતાં અમુક ઉત્સાહી લોકો હિંમતભેર પુરાવા આપવા દોડે છે, ભલે પુરાવા હોય જ નહિ.
આવા એક ઉત્સાહી ભાઈએ ‘મિસરિડિંગ ધ મહાત્મા’ શીર્ષક હેઠળ લેખ લખ્યો છે, જેનું ઉપશીર્ષક છે, “જે લોકો સી.એ.એ.-એન.આર.સી.નો વિરોધ કરે છે તેઓ ગાંધીજીની વિશ્વવિચારણા પર અપકાર કરે છે”. ‘ઈન્ડિયન, એક્સપ્રેસમાં ૨૦મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થયેલા આ લેખના લેખક છે શ્રીકૃષ્ણ કુલકર્ણી. (ગાંધીજીના પુત્ર રામદાસનાં પુત્રી સુમિત્રા કુલકર્ણીના પુત્ર.) તેઓ ગાંધી-અભ્યાસથી અપરિચિત છે. તેમને સંબંધિત સાહિત્યનો પણ પરિચય નથી. પણ તેમણે પોતાની વાતને પૂરા અધિકારથી રજૂ કરી છે. કદાચ પોતે જૈવિક અર્થમાં ગાંધીના પ્રપૌત્ર છે એટલે. એ રીતે તો તેઓ રાજમોહન ગાંધીના ભાણેજ પણ થાય.
આના પરથી મને મારો ભત્રીજો યાદ આવ્યો, જેણે મને એક વાર સંભળાવી દીધું હતું, “તાઉજી, તમને ઇતિહાસની સમજ જ નથી. આ મુસ્લિમો છે ને …”
પણ મારી કંપનીમાં બીજા પણ મહાપુરુષો છે. અમારા બધાની ઉપર તો છે ગાંધી. દોસ્તોયેવ્સ્કીની મહાનવલ ‘ધ બ્રધર્સ કારમાઝોવ’ના વિખ્યાત પ્રસંગમાં જેમ ગ્રાન્ડ ઇંક્વિઝિટર ઈસુ ખ્રિસ્તને જ ખ્રિસ્તી ધર્મ સમજાવે છે, તેમ આપણા ભત્રીજાઓ, આપણા શાસકના ચાળે, ગાંધીજીને પણ કહી શકે છે કે તેમણે ખરેખર શું વિચાર્યું હશે, શું કહ્યું હશે અને શું કર્યું હશે. તેઓ તેમને તે કહેશે, જે કુલકર્ણી આપણને કહી રહ્યા છેઃ
“વિભાજન પછી પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની યાતનાઓ વિશે અને પાકિસ્તાન પાસેથી ન્યાય મેળવવા વિશે ગાંધીજીએ ઘણું કહેવાનું હતું.”
તેઓ ગાંધીને ક્વૉટ કરશે, જેમ કુલકર્ણી પણ કરે છે. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ ગાંધીજીએ કહ્યું હતું કે, “પાકિસ્તાનમાંના હિન્દુઓ અને શીખોની સલામતીની ખાતરી કરવી તે હિંદી સરકારની ફરજ છે. પરંતુ સરકાર એ ફરજ અદા કરી શકે તેટલા ખાતર તેને જે કંઈ કરવું ઘટે તે કરવાની પૂરી સ્વતંત્રતા આપવી જોઈએ અને તેને એકેએક હિન્દીનો સાચા દિલનો પૂરેપૂરો સહકાર મળવો જોઈએ.” વધુમાં, ૨૬મી સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું, “પાકિસ્તાન પોતાની સાબિત થયેલી ભૂલ સ્વીકારવાનો ઈનકાર કરવાનું ચાલુ રાખે ને તેને નજીવી દેખાડવાની કોશિશ કર્યા કરે તો હિન્દી રાજ્યસંઘની સરકારનો તેની સામે યુદ્ધ કર્યા વિના છૂટકો નહિ થાય.”
અવતરણ ચિહ્નો અને મૂળ સ્રોતના પાન ક્રમાંકનો દેખાડો ભલે કર્યો હોય, પણ કુલકર્ણીના દાવામાં કોઈ વજૂદ નથી, અને તેમનાં અવતરણો એવાં મારી મચડીને રજૂ કરાયાં છે કે તેની અસર ગાંધીની ભાવના અને અર્થ કરતાં – હકીકતમાં તેઓ જે સારુ જીવ્યા અને જે સારુ તેમણે કુરબાની આપી તેના કરતાં – બિલકુલ વિપરીત જ છે. જેમ કે, ૨૬મી સપ્ટેમ્બરનો દાખલો લઈએ. આ અવતરણ એ દિવસની સાંજના તેમના પ્રાર્થના પ્રવચનમાંથી છે.
પ્રવચનની શરૂઆતમાં જ ભારે વિષાદગ્રસ્ત નિવેદન છેઃ “આજે ચાલી રહેલી હેવાનિયત ભરેલી કતલ શીખ ધર્મથી વિરુદ્ધ છે બલકે કોઈ પણ ધર્મની સાથે એવી કરણીનો મેળ નથી.”
તેમાં તમામ સમુદાયો માટે અને ભારત-પાકિસ્તાન બંને માટે ચેતવણી પણ છે, અને વિનંતી પણ છે. ગાંધી ઉપર જે બોલ્યા તે આ સંદર્ભમાં, સૌથી ખરાબ સંજોગોની કાલ્પનિક પરિસ્થિતિ વિશે બોલ્યા.
“મેં કહ્યું કે જો આપણે માનીએ કે, જો એ વાત પૂરેપૂરી સાબિત કરી આપવામાં આવે કે, પાકિસ્તાન સરકાર પાસેથી આપણે ન્યાય મેળવી શકીશું જ નહિ – જો તેઓ સ્વીકારે જ નહિ કે તેમણે કશું ખોટું કર્યું છે – જો તમે તેમની સમક્ષ ખુલાસો ન કરી શકો, તો પછી તમારી કેબિનેટ છે, એ મોટી કેબિનેટ છે, તેમાં જવાહરલાલ છે, તેમાં સરદાર પટેલ છે, બીજા પણ સારા માણસો છે, જો તેઓ પણ પાકિસ્તાનને સમજાવી ના શકે, તો અંતે આપણે લડવું પડે. (પણ) આપણે મૈત્રીપૂર્ણ રીતે સમાધાન લાવવું જોઈએ. આપણે એમ કેમ ન કરી શકીએ?”
ગાંધીને ગાંધીના જ પોતાના માણસોની અવળચંડાઈથી – એ જ શબ્દ સાચો છે (વેન્ડલાઈઝ) – બચાવવામાં માથું શરમથી ઝૂકી જાય છે.
મૂળભૂત સત્ય એ છે કે ગાંધીએ કદી ભારત અને પાકિસ્તાન વચ્ચે ભેદ કર્યો નહોતોઃ “હું ભારત અને પાકિસ્તાનને બે જુદા દેશો તરીકે વિચારતો નથી.”
તેઓ બેમાંથી એકેને બીજાથી અલગ કે બીજાના ભોગે વિચારી શકતા નહોતા. તેમની ચેતવણી હતી કે, બેમાંથી એકેય સ્વર્ગ નહિ બની શકે જો બીજું નરક બનીને ઊભું રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન પર યુદ્ધ કરવાનો સવાલ છે, તેઓ ભારપૂર્વક કહેતા રહ્યા કે ભારત-પાકિસ્તાનનું ભલું અવિભાજ્ય છે. પરસ્પર વેરભાવથી તો પરસ્પરનું નિકંદન વળી જશે. યુદ્ધમાં બંને ખુવાર થઈ જશે.
ગાંધીને પાકિસ્તાનમાંની હિન્દુ અને શીખ લઘુમતીની ચિંતા હતી. પણ તેમને ભારતમાંની મુસ્લિમ લઘુમતીની પણ ચિંતા હતી. તેમને ખબર હતી કે બંને દેશો પોતાની લઘુમતીને ત્રાસ આપવામાં એકબીજાથી આગળ જઈ રહ્યા હતા.
૧૯મી નવેમ્બર ૧૯૪૭ના રોજ તેમણે કહ્યું કે, “આજે આ આક્ષેપ તમામ હિન્દુ અને શીખ પર લાગુ પડે છે, એવી જ રીતે તમામ મુસ્લિમોને પણ લાગુ પડે છે.” જેનું હ્રદય જેટલું નોઆખલીમાં એટલું જ બિહારમાં ઘવાયું હતું, તે માણસ એવું જ જુએ, એવું જ વિચારે, એવું જ બોલે. કોમ – દેશનાં ડાબલાં પહેર્યાં વિના.
ગાંધીએ ૨૫-૨૬મી સપ્ટેમ્બરે જે કહ્યું હોવાનું કહેવાય છે, તેને થોડા દિવસ પહેલાંના, ૧૭મી સપ્ટેમ્બરના આ પ્રાર્થના પ્રવચન સાથે સરખાવી જુઓઃ
“પાકિસ્તાનમાં ત્યાંની લઘુમતીની વસ્તી એટલે કે હિંદુ ને શીખો સાથે ખરાબ વર્તન રાખવામાં આવ્યું છે એ વાત સાચી છે તો પૂર્વ પંજાબે પણ પોતાની લઘુમતી વસ્તી એટલે કે મુસલમાનોની સાથે એવું જ વર્તન રાખ્યું છે એ વાત પણ એટલી જ સાચી છે. ગુનાની જવાબદારી કોની કેટલી એ કાંઈ સોનાને કાંટે તોળવાનું ન હોય. બંને પક્ષે કોનો કેટલો વાંક છે તેની તુલના કરવાનો મારી પાસે કશો હકીકતોનો આધાર નથી. પરંતુ બંને પક્ષોના હાથે ગુનો થયો છે એટલું જાણી લઈએ તો આપણા માટે પૂરતું છે. આને અંગે યોગ્ય મેળ બેસાડવાનો રસ્તો એ છે કે બંને રાજ્યો બંને પક્ષોએ કરેલા ગુનાનો નિખાલસ એકરાર કરે, પછી સમજૂતીની શરતો મુકરર કરે અને સમજૂતી પર ન આવી શકાય તો સામાન્યપણે હંમેશ થાય છે તેમ લવાદી દ્વારા ફેંસલો મેળવવાનો રસ્તો લે. એ સિવાય બીજો અણઘડ ને જંગલી ઈલાજ યુદ્ધે ચડવાનો છે. એના વિચારમાત્રથી મને સૂગ ચડે છે.”
આ વૃદ્ધ માનવી શું સમજાવી રહ્યો છે? શું તે આપણને એવું કંઈક નથી કહી રહ્યો જે આપણે આજે લક્ષ પર લેવું જોઈએ?
અનુવાદકની પૂરક નોંધ
(૧) ગાંધીજી દસમી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા અને બિરલા હાઉસ રોજ સાંજની પ્રાર્થનામાં તેમ જ ક્યારેક અન્યત્ર નવાસવા આઝાદ અને નવાસવા વિભાજિત દેશોની પ્રજાના હિંસક ઉન્માદ પર રોજ ટિપ્પણી કરતા રહ્યા. પ્રવચનો પહેલા દિવસથી જ આકાશવાણી પરથી પ્રસારિત થવા લાગ્યા. તે થોડા દિવસના અંતરે તેમનાં સામયિકોમાં શબ્દશઃ નહિ પણ અહેવાલ સ્વરૂપે પ્રસિદ્ધ થતા. તે સંગ્રહિત સ્વરૂપે ‘દિલ્હી ડાયરી’ (નવજીવન, ૧૯૪૮) નામે પ્રસિદ્ધ થયાં. પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ પાઠ હિન્દીમાં ‘પ્રાર્થના પ્રવચન’ નામે સંગ્રહિત થયો. કુલકર્ણીએ તેમના લેખમાં ‘દિલ્હી ડાયરી’નો આધાર લીધો છે અને “ગાંધીજીના પોતાના શબ્દોમાં” એવો દાવો કર્યો છે, જે અવતરણની અંદર જ ખોટો પડી જાય છે. તેમણે આપેલો પાન ક્રમાંક પણ ખોટો છે, એવું કહેવું બાલિશ કહેવાય પણ તેમણે જે “ગાંધીજીએ પોતે કહ્યું છે, જુઓ મારી પાસે પુરાવો છે” એવો ભાવ રાખ્યો છે ત્યારે તેમની પુરાવાની ભૂલ ચીંધવી રહી. અહીં સુધીર ચંદ્રના લેખના ગુજરાતી અનુવાદમાં ગાંધી અવતરણોનો સ્રોત, એક અપવાદ સિવાય, ‘દિલ્હી ડાયરી’ છે.
(૨) ગાંધીજીએ પાકિસ્તાન પર યુદ્ધ કરવાની હાકલ કરી હોય તેવી છાપ ઊભી કરતાં અવતરણ રજૂ કરવામાં કુલકર્ણી જે ભૂલ કરી રહ્યા છે, તે નવી નથી. એ વખતે રોઈટર સમાચાર સંસ્થાએ એવો જ અહેવાલ લખેલો, જે ‘લંડનના ટાઈમ્સ’માં છપાયો, અને તે વાંચીને નોબેલ સમિતિએ ગાંધીને શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય રદ્દ કરેલો. એ વાત હવે ખુલ્લા મુકાયેલા નોબેલ આર્કાઈવ્ઝમાંથી બહાર આવી છે. ગાંધીજીએ જો કે ૩૦મી સપ્ટેમ્બરે યુદ્ધના સંદર્ભ અંગે લાંબો ખુલાસો આપેલો. જે આ અવતરણ બાબતે ગાંધીજી પોતે સ્પષ્ટતા કરી ચૂક્યા છે, તેને અવગણીને પણ કુલકર્ણી તેમના મોઢામાં એ શબ્દો ફરી પાછા ઓરી રહ્યા છે.
(૩) નાગરિકતા અંગે ગાંધીના વિચારો બાબતે આટલી અર્થઘટનની કવાયતો કરવાના બદલે એમના પોતાના શબ્દોમાં ટિપ્પણી જોઈતી હોય તો, નવેમ્બર ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં વાઈસરૉય સાથે (ભારતનું બંધારણ ઘડવામાં જે ધ્યાન પર લેવાયો તે) મોતીલાલ નહેરુ રિપોર્ટની ચર્ચા કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે “નાગરિકત્વ બાબતે (ભારત, કૉંગ્રેસ અને તેઓ પોતે) સ્પષ્ટ છે કે તેમાં રેશિયલ ડિસ્ક્રિમિનેશન (વંશીય ભેદભાવ) હોવું જોઈએ જ નહિ.” વધુમાં, કુલકર્ણી જે ‘દિલ્હી ડાયરી’નો આધાર લે છે, તેમાં ૨૪મી ઑક્ટોબરના પ્રવચનમાં ગાંધીજી કહે છેઃ “હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી અને બીજા સૌ સરખી રીતે હિંદ માતાનાં સંતાન છે અને તે સૌને હિંદી રાજ્યના નાગરિકપણાનો સરખો અધિકાર છે. મારા બચપણથી હું આ આદર્શ મારી નજર આગળ રાખીને ચાલતો આવ્યો છું. પરંતુ સ્વતંત્રતાની સિદ્ધિ પછી એ આદર્શ જાણે કે ઓગળી જવા બેઠો છે!”
[સૌજન્યઃ “ધ વાયર વેબસાઈટ”, અનુવાદઃ આશિષ ઉપેન્દ્ર મહેતા]
E-mail: ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2020; પૃ. 08-10