જીવનચરિત્ર લખવાની કળા આપણા દેશમાં બહુ વિકાસ પામી શકી નથી. આપણા દેશમાં જીવંત વ્યક્તિઓની ખુશામત તો સૌ કોઈ કરે છે, પણ જે લોકો ગુજરી ગયા છે તેમના વિશે અધિકારપૂર્વક લખવાની આંતરદ્રષ્ટિ હજુ પણ આપણે વિકસાવી શક્યા નથી. ભૂતકાળથી લઈને અત્યાર સુધીના નેતાઓનાં જીવન આધારિત પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તે પૈકી બહુ ઓછાં એવાં પુસ્તકો છે કે જેનું સાહિત્ય અર્થપૂર્ણ અને વાંચવાલાયક છે. ગોખલેના જીવન આધારિત બી.આર. નંદાનું પુસ્તક, સરદાર પટેલ આધારિત રાજમોહન ગાંધી અને રાધાકૃષ્ણન્ આધારિત એસ. ગોપાલનું પુસ્તક એ એવાં થોડાં પુસ્તકો છે, કે જે રાજકીય નેતાનાં જીવનચરિત્રને ન્યાય આપી શકે છે. આ વાત માત્ર રાજનીતિ અને સાર્વજનિક લેખનકાર્ય પૂરતી જ સીમિત નથી, પરંતુ, સાહિત્ય અને સાંસ્કૃિતક ઇતિહાસ આધારિત પુસ્તકોનાં પણ કાંઇક આ પ્રકારનાં જ હાલ છે. યોગ્ય સંશોધન કરીને શિવરામ કારંથ, મહાશ્વેતા દેવી અને પંડિત રવિશંકરનાં જીવન આધારિત લખવામાં આવેલા પુસ્તકો વાંચવામાં મને રસ છે; પરંતુ, દુર્ભાગ્યવશ આ પ્રકારનાં બજારમાં ઉપલબ્ધ નથી. આશા રાખું કે આ પ્રકારના જીવનચરિત્રો પણ ભવિષ્યમાં વાંચવા મળશે. જીવનચરિત્રો પર કાર્ય કરી રહેલા ચાર મહત્ત્વપૂર્ણ લેખકોને હું જાણું છે અને તેમનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં હોય છે. પરંતુ, હાલનાં સમયમાં જ હિન્દીમાં આવેલ એક જીવનચરિત્રની તો ચર્ચા કરવી જ પડે તેવું મને લાગી રહ્યું છે.
આ પુસ્તક મૂળ આદિવાસી એવા કાર્યકર્તા લાલ શ્યામ શાહને કેન્દ્રમાં રાખીને પત્રકાર સુદીપ ઠાકુર દ્વારા લખવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ કે જેઓને તેમનો વિસ્તાર ગોંડવાના તો ઓળખે જ છે પણ સાથે-સાથે તેમનાં કાર્યની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાય છે. આદિવાસી અભિજાત પરિવારમાંથી આવતા લાલ શ્યામ શાહનો જન્મ વર્ષ ૧૯૧૯માં થયો હતો અને તેમની પાસે એટલાં બહોળા પ્રમાણમાં જમીન અને વન સંપત્તિનું સ્વામિત્વ હતું કે તેઓ જો ઇચ્છતા હોત તો આરામથી પોતાનું સમગ્ર જીવન પસાર કરી શક્યા હોત, પણ તેમણે પોતાનાં સમાજની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને આદિવાસી મહાસભા બનાવીને આદિવાસીઓનાં જળ-જંગલ-જમીનનાં અધિકાર અને સાંસ્કૃિતક વિરાસતની રક્ષા કરવા માટે આજીવન સંઘર્ષ કરતાં રહ્યાં. સમગ્ર મધ્યભારતનો આદિવાસી સમાજ તેઓને સન્માનપૂર્વક યાદ કરે છે. લાલ શ્યામ શાહનો સંઘર્ષ દેશની આઝાદી બાદ પણ ચાલુ જ રહ્યો. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને પ્રથમ ચૂંટણી ખૂબ જ ઓછા મતોથી હારી ગયા. પરંતુ, અદાલતે બાદમાં આ ચૂંટણી રદ્દ કરી હતી. બીજી વખત ચૂંટણી થઈ તેમાં લાલ શ્યામ શાહ જીતી ગયા અને જીત્યાના થોડા સમય બાદ જ તેમને લાગ્યું કે કેટલાંક વહીવટકર્તાઓ, ઓફિસર્સ અને રાજનેતાઓ દ્વારા આદિવાસીઓનું શોષણ કરવામાં આવે છે, તેથી તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવે છે અને આદિવાસીઓને લૂંટતા ધનિક લોકોના ખોળામાં આ સરકાર બિરાજમાન છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં હિત પરત્વે લાલ શ્યામ શાહના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે આ પુસ્તકમાં માત્ર રાજનૈતિક જ નહિ, પણ તેનાથી પર રહીને લાલ શ્યામ શાહના સંઘર્ષની પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાકૃતિક સંસાધન પર આદિવાસીઓના હક અને વિસ્થાપનનું કારણ બનનાર વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ લાલ શ્યામ શાહ લડતા રહ્યા. અહીં ‘પૃથક ગોંડવાના’ રાજ્યના સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે, પછી ભલે તે સફળ થઈ શક્યો નહિ. અને જો આવું થયું હોત તો આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના આદિવાસી પર્વતીય અને વનક્ષેત્ર આમાં સામેલ થઈ શક્યા હોત. પત્રકાર અને લેખક સુદીપ ઠાકુરની નજરમાં લાલ શ્યામ શાહ ચિંતક અને કાર્યકર્તા એમ બંને હતા. આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો અંગેની તેમની સમજણ સાફ હતી, અને લાલ શ્યામ શાહનું માનવું હતું કે સંવિધાને તો જનજાતિઓના અધિકારના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વ્યવસ્થા બનાવી હતી, પરંતુ આ સંસ્થાઓએ પણ આદિવાસી હિતને તિલાંજલિ આપીને તેને નોકરશાહી અને ધનિકોની કૃપા હેઠળ છોડી દીધી અને તે વિરુદ્ધ લાલ શ્યામ શાહ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા.
આ પુસ્તકમાં પંડિત નહેરુની સાથે લાલ શ્યામ શાહે ઓક્ટોબર ૧૯૫૦માં રાયપુરમાં મુલાકાત કરી હતી તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. નહેરુ તે વખતે રાયપુરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક માટે આવ્યા હતા. લાલ શ્યામ શાહે આદિવાસીઓની સમસ્યાઓને સીધી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવા માટે એક પદયાત્રા કરી હતી કે જેમાં દેશના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ રાયપુર પહોંચ્યા હતા. અને કોંગ્રેસની બેઠકવાળા સ્થળથી થોડા દૂર એક મેદાનમાં એકઠા થયા હતા. તેઓનો હેતુ એવો હતો કે પૃથક ગોંડવાના રાજ્યની રચના કરો અને આદિવાસીઓને આર્થિક સુરક્ષા પૂરી પાડો. લાલ શ્યામ શાહ તો માત્ર એટલું જ ઇચ્છતા હતા કે નહેરુ આ આદિવાસીઓની સાથે થોડી વાતો કરે, પણ તે સમયે નહેરુના અંગત લોકોએ તેમને માત્ર કોંગ્રેસ બેઠક સુધી જ સીમિત રાખવા ઇચ્છતા હતા. એવામાં નહેરુ જ્યાં રોકાયા હતા ત્યાં લાલ શ્યામ શાહ તેમને મળવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને તેમણે નહેરુને જણાવ્યું હતું કે દેશના આદિવાસીઓ દૂરદૂરથી ચાલીને માત્ર તમને મળવા અને પોતાની વાત રજૂ કરવા માટે અહીં આવ્યા છે. આ વાત સાંભળતાની સાથે જ નહેરુ કોઈ પ્રકારની સુરક્ષા વિના જાતે ગાડી હંકારીને આદિવાસીઓને મળવા માટે આવ્યા અને તેઓની માંગને ગંભીરતાથી સમજવા માટેનો વિશ્વાસ પૂરો પાડ્યો.
લાલ શ્યામ શાહ વર્ષ ૧૯૬૨માં ચંદા લોકસભા ક્ષેત્ર(હવે મહારાષ્ટ્રનું ચંદ્રપુર)થી ચૂંટણી જીત્યા અને અહીં પણ બે વર્ષના સમયગાળાની અંદર જ આદિવાસીઓની દયનીય હાલત અને ઉપેક્ષા જોતા રાજીનામું આપી દીધું. કારણ કે, સરકાર ઇચ્છતી હતી કે આદિવાસીઓનાં હિતને બાજુમાં મૂકીને પૂર્વ પાકિસ્તાનનાં વિસ્થાપિતોને મધ્યભારતનાં જંગલોમાં વસાવવા જોઈએ. જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં ત્યારે કટોકટી દરમિયાન લાલ શ્યામ શાહની ધરપકડ કરવામાં આવી અને તે સમયે તો તેઓ કોઈ પક્ષની સાથે જોડાયેલાં પણ નહોતા. તેઓ લગભગ એક વર્ષ સુધી જેલમાં રહ્યા છતાં પણ તેઓ પોતાના નિર્ણય અને હેતુ પરત્વે મક્કમ રહ્યા. ૧૯૮૦ના દાયકામાં તેઓ ‘જંગલ બચાઓ, માનવ બચાઓ’ આંદોલનમાં સક્રિય થઈ ગયા અને આ ઘટનાની દેશના દૂરના ભાગોમાં પણ અસર પડી. આ તે સમય હતો કે જ્યારે સરકાર ઇન્દ્રાવતી પર અનેક બંધ બાંધવાની યોજના બનાવી રહી હતી અને આ બંધ વિશાળ પ્રાકૃતિક જંગલોને ખત્મ કરવાનું અને હજારો આદિવાસી પરિવારોનું વિસ્થાપન કરવાનું એક કારણ હતું. લાલ શ્યામ શાહ જાણતા હતા કે આ પ્રકારની પરિયોજનાઓ આદિવાસી સમાજ માટે નુકસાનકારક છે. તેમણે પ્રખ્યાત ગાંધીવાદી બાબા આમ્ટેની સાથે મળીને આ વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને ઓછામાં ઓછી બે પરિયોજનાઓને રોકવામાં તેઓ સફળ રહ્યા.
વર્ષ ૧૯૮૮માં તેમનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ તેમનો સંઘર્ષ તેમનાં અંતિમ શ્વાસ સુધી ચાલુ રહ્યો. લાલ શ્યામ શાહ આદિવાસી સમાજનો અવાજ અને વિવેક હતા. આજના નેતાઓની માફક તેઓ પોતાના અંગત લાભ માટે સત્તા-સંઘર્ષમાં નહોતા આવ્યા, પરંતુ તેઓ પોતાના સમાજના આત્મસન્માન અને હકો માટે લડ્યા. લાલ શ્યામ શાહનાં જીવન આધારિત આ પુસ્તક ઐતિહાસિક મહત્ત્વ માટે વાંચવું જોઈએ અને આજની પેઢી લાલ શ્યામ શાહનાં સપનાંને સમજે અને તે માટે તેમને પ્રેરણા મળે માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com
https://www.telegraphindia.com/opinion/a-shining-legacy-205569