ઈમરજન્સી પછીનાં વર્ષોની વાત છે. ચુનીભાઈ વૈદ્ય ‘ભૂમિપુત્ર’નું સંપાદન છોડીને વડોદરેથી અમદાવાદ ગયા હતા અને ત્યાં તેમણે ‘ગુજરાત લોકસમિતિ’ની સ્થાપના કરી હતી. તેમણે ‘લોકસ્વરાજ’ નામનું એક સામયિક પણ શરૂ કર્યું હતું જેમાં પહેલીવાર પ્રકાશ ન. શાહનો એક લેખ વાંચ્યો હતો. એ લેખ ઘણું કરીને તાજેતરમાં જ અવસાન પામેલા ચન્દ્રકાન્ત દરુને લઈને વિવેકવાદ અંગેના વિમર્શનો હતો. મને બરાબર યાદ છે કે એ લેખ વાંચતા નાકે દમ આવી ગયો હતો. એ લેખ બે વાર વાંચ્યા પછી બે વાત સમજાઈ ગઈ હતી; આ માણસ અનોખી વાત કરે છે અને અનોખી રીતે કરે છે.
જો કોઈ પાસેથી અનોખી વાત જાણવા સમજવા મળતી હોય તો તેની અનોખી રીત(શક્ય છે ક્લિષ્ટ કે દુર્બોધ)ને સહન કરી લેવી જોઈએ એની તાલીમ તો વિચારવિશ્વના અને નિસ્બતના પ્રદેશમાં પ્રવેશ કર્યો ત્યારથી જ મળવા માંડી હતી. અનેક મૌલિક વિચારકોને મહાપરાણે વાંચવાનો અને તેમાંથી કાંઈક પામવાનો પ્રયાસ કર્યો છે. આમાં આપણો સ્વાર્થ છે અને તેમનો તો ઉપકાર જ હોય છે.
પ્રકાશભાઈ સાંપ્રત ગુજરાતને મળેલા મૌલિક વિચારક છે. આ નિવેદન પૂરી ગંભીરતા સાથે અતિશયોક્તિના દોષ વિના કરું છું. પ્રકાશભાઈ ગુજરાતમાં વિચારનારા વિચારક છે અને બાકીના બધા (હા, લગભગ બધા) ‘વિચારકો’ છે. આવા વિચારનારા વિચારકના વિચાર પકડવા જહેમત તો લેવી જ પડે, પણ આગળ કહ્યું એમ અનોખી વાત કરનારા પ્રકાશભાઈની કહેવાની રીત પણ અનોખી છે. અનોખી એટલે અક્ષરસઃ અનોખી, યુનિક. દારૂ પીનારાઓ એમ કહે છે કે દારૂનો પહેલો પેગ મોઢે માંડો એટલે એ મોઢું બગાડી નાખે. પહેલા ઘૂંટડાની કડવાશ અને તુરાશ મોઢું બગાડ્યા વિના ન રહે. ધીરે ધીરે જીભ સમાધાન કરતી જાય અને દારૂ ચડતો જાય. ખરી મજા બીજા પેગથી આવે. પ્રકાશભાઈને વાંચો તો શરૂમાં આવો જ અનુભવ થાય અને બીજાં વાંચને અનોખાપણું પ્રગટ થતું જાય. ક્લિષ્ટપણાનો અને અનોખાપણા વચ્ચેનો ભેદ સમજાવા લાગે. પ્રકાશભાઈ અનોખી શૈલીના માલિક છે, ક્લિષ્ટ નથી. વિચારગર્ભિત અનોખી ભાષાનો પણ લ્હાવો લેવો જોઈએ.
હમણાં જ ફેસબુક પર કોઈકે લખ્યું છે કે તેઓ જ્યારે ભણતા હતા ત્યારે ઉમાશંકર જોશીએ તેને કહ્યું હતું કે, ‘અલ્યા, પ્રકાશ દર રવિવારે લખે છે, તું વાંચે છે કે?’ બોલો આના કરતાં વધારે મોટું સર્ટિફિકેટ બીજું કયું હોઈ શકે? આગલી પેઢીના વિચારકે નવી પેઢીના વિચારકને વધાવ્યા હતા. કાન્તે નાન્હાલાલને વધાવ્યા હતા એ રીતે નહીં, ગાંધીજીએ વિનોબા કે મશરુવાળાને વધાવ્યા હતા એ રીતે. કહેવાનું તાત્પર્ય એ કે પ્રકાશભાઈની શૈલી શબ્દાડંબરી નથી, સારગર્ભિત અનોખી છે. આગળ કહ્યું એમ પહેલીવાર પ્રકાશભાઈને મહામહેનતે વાંચ્યા એ પછીથી પ્રકાશભાઈની શૈલી આનંદમાં પરિણમતી ગઈ. આજે પણ હું પ્રકાશભાઈનો લેખ ક્યારે ય બે વાર વાંચું છું; પણ એ સમજવા માટે નહીં, પણ શૈલીનો આનંદ લેવા.
લખવામાં કે બોલવામાં પ્રાસાદિક શૈલી પામવી એ એક પ્રકારનું ઐશ્વર્ય છે. એ વરદાન છે, પણ સાથે અભિશાપ પણ છે એ ન ભૂલવું જોઈએ. એમાંથી વાચકને ડોલાવવાનો, કેફમાં રાખવાનો, પકડી રાખવાનો મોહ પેદા થતો હોય છે. એક દિવસ એવો લેખક કે વક્તા એ પણ ભૂલી જાય છે કે નશામાં વાચક કે શ્રોતા નથી પણ તે પોતે રહે છે અને કરોળિયો જેમ પોતાની જાળમાં ફસાઈ જાય છે એમ એ પોતે જ પોતાની શૈલીની જાળમાં ફસાઈ જાય છે. શૈલી શીલ ગુમાવી દે છે અને એ વિચાર ચૂકેલો વિચારક બનીને રહી જાય છે. અનેક પ્રાસાદિક શૈલીના ધણી કોઈક માટે વેઠ કરતા જોવા મળે છે. એ કોઈક કાં તો લોકપ્રિયતા અપાવનારી વાચકોની સંખ્યા હોય અથવા ધર્મ કે રાજ્યના સત્તાધીશ હોય.
જીવનમાં ખૂંટો જાળવી રાખવો એ બહુ અઘરું કામ છે. એક ખૂંટો છે આજુબાજુના જગતમાં જે બની રહ્યું છે તેને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો અને સમજાવવાનો. બીજો ખૂંટો લોકસંગ્રહનો. સમજવાની અને સમજાવવાની જહેમત પાંડિત્યના પ્રદર્શન માટે નહીં, પરંતુ લોકકલ્યાણ ખાતર. પ્રકાશભાઈએ આખી જિંદગી આ કામ કર્યું છે. ક્યારે ય બૌદ્ધિક અપ્રમાણિકતા મને તો જોવા નથી મળી. પ્રકાશભાઈને વાંચીએ કે સાંભળીએ ત્યારે હંમેશાં કોઈક નવો દૃષ્ટિકોણ હાથ લાગે.
પ્રકાશભાઈ સાથે મિત્રોનો કાયમી મીઠો ઝઘડો ચાલી રહ્યો છે. પ્રકાશભાઈને ઘણું કહેવાનું છે અને સાવ ઓછું કહે છે. જો કહેવા બેસે તો અનેક છેડાઓ એક સાથે ખોલે અને પછી સમેટવા માટે સમય કે જગ્યા ન બચે. એ પછી ગાય જેમ વાગોળે એમ યાદ કરી કરીને આપણે તેમણે ખુલ્લા મૂકેલા છેડાઓ ગોઠવવા પડે, બાકી પ્રકાશભાઈ તો તેમની ખાસિયત મુજબ ખડખડાટ હસતા હસતા જતા રહે. એકાદ શ્લેષ કે વ્યંજનાની પ્રસાદી જરૂર આપતા જાય. પ્રકાશભાઈ સામે બીજો ઝઘડો એ વાતે કે તેઓ હદ કરતાં વધારે સહિષ્ણુ અને મોકળા છે. ‘નાગપુરી ચ્યવનપ્રાશ’નું પાન પણ કરે અને પછી ખડખડાટ હસતા હસતા આપણી સમક્ષ એકથી એક હીરામોતી પીરસે. પ્રકાશભાઈ વિનોદ કરી જાણે છે, ખુશમિજાજ રહે છે, અટ્ટહાસ્ય કરી શકે છે એનું કારણ તેમની મનની મોકળાશ છે.
હમણાં થોડા દિવસ પહેલાં મારા મિત્ર ઉર્વીશ કોઠારીનો મને ફોન આવ્યો કે આપણે પ્રકાશભાઈનું સન્માન કરવું છે અને બને એટલી નિધિ અર્પણ કરવી છે. મને પ્રસ્તાવ ગમ્યો પણ ખરો અને થોડી શંકા પણ થઈ. આજના આ તામસયુગમાં બૌદ્ધિક સમાધાનો કર્યા વિના, કોઈના દરબારી બન્યા વિના, સામે પ્રવાહે તરવાવાળા માણસની કદરદાની કોણ કરશે? મેં કહ્યું પણ ખરું કે સોનાની જાળ પાણીમાં નાખવાનું સાહસ નહીં કરવું જોઈએ. ઉર્વીશભાઈ અને બીજા મિત્રો અડગ રહ્યા અને સન્માનને ધાર્યા કરતાં ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો. હોલ નાનો પડ્યો એનું કારણ પ્રકાશભાઈની મૌલિકતા અને મોકળાશ બંને હતાં.
એ હર્ષભર્યા પ્રતિસાદ વિષે સાંભળીને મેં પ્રકાશભાઈને કહ્યું હતું કે હવે તમારે ગાંધીજીની માફક જાહેરાત કરી દેવી જોઈએ કે, ‘હવે પછી મારી શૈલી વિષે પ્રશ્ન ઉઠાવવાનો કોઈને અધિકાર નથી.’
25 જુલાઈ 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2019