જય જગત, વસુધૈવકુટુંબકમ્ અને રજવાડાંના વિલીનીકરણથી બનેલા ભારતમાં પરપ્રાંતીય શબ્દ કેવો ભેદભાવપૂર્ણ લાગે છે!
કારખાનામાં જરૂર હોય ત્યારે આપણને તે મજૂરો પરપ્રાંતીય લાગતાં નથી. રાજ્યોને તેમના પરસેવાએ વાઇબ્રન્ટની વાહવાહી બક્ષી છે. ચૂંટણીટાણે તેમને પક્ષો તથા નેતાઓ માગ્યા વિના પણ કંઈક આપવા જાય છે. આજે તેમને જરૂર છે અને હજુ ભવિષ્યમાં પણ ઉદ્યોગોને જરૂર પાડવાની છે, છતાં તેમની ઘોર ઉપેક્ષા કેમ? ચૂંટણીની રેલીઓ કે નેતાઓના સ્વાગતમાં અધિકારીઓ લાખો લોકો ભેગા કરે છે તેમને લાવવા-લઈ જવા વાહનો તથા ફૂડપૅકેટની સુંદર વ્યવસ્થા તંત્ર કરે છે, એ તંત્ર આજે શ્રમજીવીઓને વતનમાં હેમખેમ પહોંચાડવા કેમ પોતાની કાબેલિયત બતાવી શકતું નથી? તેમને ટ્રેનમાં મોકલવામાં પણ ૪૦ દિવસનું મોડું થયું. જે આયોજન થયું તે પણ સરળ ન થયું. ફોર્મ ભરવાનાં, જાણે વિઝા મેળવવાના હોય તેવી સ્થિતિ. વિઝા-પાસપોર્ટ જેવી અટપટી પદ્ધતિનો કોઠો સામાન્ય ને પ્રમાણમાં અશિક્ષિત મજૂર કેવી રીતે વીંધી શકે?
એમાંયે કોઈ રાજ્ય સ્વીકારે કે ન સ્વીકારે. ન સ્વીકારે તો પાછા આવે. બસોની રાહ જોવી પડે અને રેલવે સ્ટેશને કલાકો સુધી બેસી રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ.
પ્રથમ તો જે જ્યાં હોય ત્યાં રહે તેમ કહેવાયું. પછી ઉત્તર પ્રદેશે પાછા બોલાવવાનું શરૂ કર્યું. આમ શરૂઆતથી જ આ અંગે રાજ્યોમાં કોઈ સ્પષ્ટ નીતિ કે સંકલનનો અભાવ હતો. શ્રમિકો જે રાજ્યમાં રોજી માટે આવ્યા ત્યાં પણ અત્યારે કારખાનાં-ધંધા બંધ છે. એટલે મજૂરોને ખાવાનો પ્રશ્ન ઊભો થાય. આવક વિના શું કરે? આ કોઈ કાયમી મજૂરો નથી. ઘણા પાસે તો રેશનકાર્ડ કે આધારકાર્ડ પણ હોતાં નથી. જ્યાં કામ કરતા હતા તે ઉદ્યોગો કે ભવિષ્યમાં પણ તેમની જરૂર પાડવાની છે, તેમણે જમવાની અને રહેવાની કોઈ વ્યવસ્થા ઊભી ન કરી. કામ બંધ થાય તો લાંબા ગાળા સુધી પગાર આપવાનું પણ ઉદ્યોગો માટે શક્ય નથી તેમ ઉદ્યોગો કહે છે. લૉક ડાઉન પછીનું પણ વેતન બધાને ચૂકવાયું છે કે કેમ તે પ્રશ્ન છે.
સૌ પ્રથમ દિલ્હીએ બસોથી મોકલવાનું શરૂ કર્યું ત્યારે ટીકાઓ થઈ. કોઈ રાજ્ય કે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ લાંબાગાળા સુધી જમવાની વ્યવસ્થા કરી શકે નહીં તે સ્વાભાવિક છે. રાજસ્થાન અને ઝારખંડના મુખ્ય મંત્રીએ ટ્રેન થકી મોકલવાની માગણી કરી, પછી કેન્દ્રને સૂઝયું. પોતાનું ભાડું ખર્ચીને વતનમાં જતાં મજૂરોને ભવિષ્યમાં કામ ચાલું થતાં ભાડું આપીને પાછા બોલાવવા પડશે એ ન ભૂલવું જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 06 મે 2020