જેનામાં અવાજ ઉઠાવવાની સચ્ચાઇ અને ધગશ અન્યો કરતાં વધારે છે તે એકલ-દોકલ લડાઇ લડ્યા કરે છે
આપણા દેશમાં છેલ્લા કેટલાક સમયથી અણધારી આફતો, પરિવર્તનો અને કટોકટીની સ્થિતિ એક પછી એક ઊભી થતી રહે છે. ખેડૂતોનાં પ્રશ્નો, સ્ત્રીઓની સલામતીનાં મુદ્દા, કોમી હિંસા, ભ્રષ્ટાચાર સામેની લડત, પર્યાવરણને લઇને થતો ઊહાપોહ, દલિતો કે આદિવાસી આંદોલનોનો કોલાહલ જેવું કંઇ કેટલું બધું સતત આપણા દેશમાં ચાલતું રહે છે. લોકશાહી રાષ્ટ્રમાં જ્યાં સતત રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓમાં ઉતાર ચઢાવ આવ્યા કરે ત્યાં પરિવર્તનો પણ થાય અને નવા ચહેરાઓ રાજકીય કે સામાજિક ફલક પર દેખાય પણ ખરાં, પરંતુ એ બધાં વરસાદી દેડકાં સાબિત થાય છે. આંદોલનનો જુવાળ બહુ જુદા પ્રકારનો હોય છે જેમાંથી નવા આગેવાનો મળવાની આશા રહે છે. છેલ્લા એક દાયકામાં જોઇએ તો કોઇ એક આંદોલને આખા રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હોય, આખા રાષ્ટ્રની અપેક્ષાઓ વધારી હોય તો એ છે ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટે અણ્ણા હઝારેએ શરૂ કરેલી ચળવળ. એ આંદોલનને પગલે શરદ પવારે મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. થોડા વખત પછી પાસાં પલટાયાં અને એ આંદોલને આપણને ‘આપ’ અને કેજરીવાલ આપ્યા. કેજરીવાલ ઉત્તમ નેતા કે આગેવાન છે એ કહેવું વાજબી ન હોઇ શકે, પણ રાજકારણીઓની ભીડમાં એ જુદા તરી જ આવે છે અને એટલી સફળતા મેળવવી પણ કંઇ નાની વાત ન કહેવાય.
આંદોલનોએ ભારતને હંમેશાં બહુ નોંધપાત્ર નેતાઓ પૂરા પાડ્યાં છે. સ્વતંત્ર સંગ્રામ એક સર્વાંગી આંદોલન હતું જેમાં આખા રાષ્ટ્રએ હિસ્સેદારી નોંધાવી હતી. સ્વતંત્ર ભારતમાં રાજકીય અને આર્થિક પ્રવાહો સાથે જે પરિવર્તનો આવ્યા તેમાં આંદોલનોનો ફાળો બહુ મોટો હતો. જો કે ઘણાં આંદોલનોનો પાયો જાતિવાદ પણ હતો. સિત્તેર અને એંશીનાં દાયકામાં જાતિઓનાં ઘર્ષણને પગલે જાતભાતનાં વિરોધો થયા. વળી રોજગારી માટે થયેલાં સ્થળાંતરે પણ ઘર્ષણને વેગ આપ્યો. આવા જ એક જાતિ આધારિત ઘર્ષણનાં મૂળિયાં પકડીને બાળ ઠાકરે મહારાષ્ટ્રનો જાણીતો ચહેરો બન્યા અને શિવસેનાનો જન્મ થયો. શિવસેના અને ઠાકરે પરિવારની વિચારધારાઓ યોગ્ય છે કે નહીં તે મુદ્દો અહીં નથી ચર્ચાઇ રહ્યો પણ તેમણે આગેવાનની હરોળમાં પોતાનું નામ તો નોંધાવ્યું જ. નેતાઓ એ રીતે પણ આવતાં તો કામદારોની ચળવળમાં કોઇ પાસાંને જેણે બાકી નહોતાં રાખ્યા તેવા જ્યોર્જ ફર્નાન્ડિસને રેલવેની તોતિંગ હડતાળે રાષ્ટ્રીય રાજકારણનાં એક ધારદાર નેતાની ઓળખ આપી. કાપડ મીલ કામદારોનાં આંદોલને દત્તા સામંત જેવા ચહેરાને આગેવાન બનાવ્યા. તે રાજકારણમાં પણ આવ્યા. જો કે એક સમયે તેમની પડખે ઊભા રહેલા મીલ કામદારોએ તેમનો વિરોધ પણ કર્યો અને તેમનો અંત લોહિયાળ રહ્યો.
ભારતમાં આંદોલનોનો દોર નથી અટક્યો, પણ તેનો પ્રકાર બદલાઇ ગયો છે. અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી, હાર્દીક પટેલથી માંડીને કન્હૈયા કુમાર પણ આંદોલનોની જ નિપજ છે પણ જેનામાં ખરેખર પરિવર્તન કરવાની ક્ષમતા છે તે એકલા પડી જાય છે, તો જે લોકો જાતિનાં કાર્ડનો ઉપયોગ કર્યા કરે છે તે અંતે સત્તાની લાલચમાં સમાધાન કરે છે, પછી લડતનું જોશ રાજકીય શતરંજના દાવપેચ માટે જરૂરી શાતિર શાંતિમાં ફેરવાઇ જાય છે.
ભારત આંદોલનોનો દેશ રહ્યો છે. ચિપકો આંદોલન, સેવ સાયલન્ટ વૅલી આંદોલન, નામાંતર આંદોલનથી માંડીને નર્મદા બચાઓ આંદોલન જેવાં ઘણાં આંદોલનો થયાં છે જેની રાષ્ટ્રવ્યાપી ચર્ચાઓ અને અસર બંન્ને રહ્યાં છે. નર્મદા બચાઓ આંદોલનનાં મેધા પાટકર તેમનાં નામ અનુસાર મેધાવી ચોક્કસ છે, અને તેમણે બનતું બધું જ કર્યું પણ અમુક મામલે સત્તાધીશોને આંદોલનકારીઓનાં કાંડા કાપી લેતા સારી પેઠે આવડે છે. જો કે મેધા પાટકર પ્રકારનાં આગેવાનોનું મૌન ખરીદી નથી શકાતું. પણ છેલ્લા કેટલાક દાયકાઓથી જે લોકો સત્તા પર હોય છે તેઓ જ્યારે મૌન ખરીદી નથી શકતાં ત્યારે બીજા દેકારા વધારી દે છે. વળી કલબુર્ગી હોય કે દાભોલકર કે પછી ગૌરી લંકેશ, આ બધાં ‘વન પર્સન આર્મી’ની માફક કામ કરનારા લોકો હતાં, પણ હવે તેઓ નથી. આ લોકોની સરિયામ હત્યા કરાઇ. કોઇ મોટા આંદોલનને પ્રેરક બળ પૂરું પાડી શકે તેવી આ મશાલોને કસમયે જ ઠારી દેવાઇ. આ કારણે જેનામાં અવાજ ઉઠાવવાની ધગશ અને સચ્ચાઇ અન્યો કરતાં વધારે છે તે જાહેરમાં આવવાને બદલે પોતાની રીતે, એકલ-દોકલ લડાઇ લડ્યા કરે છે અને કદાચ ગૌરી લંકેશ કે દાભોલકર જેવી શહીદી વહોરવાની રાહ જોયા કરે છે.
પણ શું આનો અર્થ એમ કરવો કે આપણા લોકશાહી રાષ્ટ્રમાં આંદોલનો નથી થઇ રહ્યાં? આંદોલનોનું સ્વરૂપ હવે બદલાયું છે. ટ્વીટર વૉર અને ફેસબુક પર ચાલતી ચળવળો ડિજીટલ આંદોલનનાં રૂપમાં મોટી બની રહી છે. ડિજીટલ એજમાં હોઇએ ત્યારે આ તમામ પ્લેટફોર્મ્સ મહત્ત્વનાં છે કારણ કે વધુમાં વધુ લોકો સુધી અવાજ પહોંચી શકે છે. ઇજીપ્તમાં ફેસબુકને કારણે તો ક્રાંતિ આવી પણ આપણે ત્યાં એ સ્તર લાવવું મુશ્કેલ છે. વિવિધતામાં એકતાની આપણી ઓળખ વિખવાદો વધારતી બાબત બની ચૂકી છે. જ્યાં એક વર્ગનાં લોકો બળાત્કારનાં વીડિયો શોધવા સર્ચ કરતા હોય, જ્યાં કોઇનાં ઓનર કિલીંગના વિડિયો જોનારા લાખોની સંખ્યામાં મળી આવે ત્યાં માનસિકતાઓ વચ્ચેનો ભેદ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ આંખે ઊડીને વળગે તેવો હોય છે. વૉટ્સ એપ કે અન્ય સોશ્યલ મીડિયા પર દેખાવો કરવા માટે શેર થતી વિગતો લોકો ગંભીરતાથી નથી લેતા તેમ નથી પણ મોટાભાગનાં કિસ્સામાં દેખાવોમાં ‘હું પણ ત્યાં હતો/હતી’ એ દેખાડવા માટે થતી નવી પોસ્ટ્સ સુધી આ આંદોલનનો જુવાળ સીમિત થઇ જાય છે.
જેને નક્કર કામ કરવું હોય છે તેઓ પોતાની આવી પોસ્ટ્સ્નો હિસ્સો જ નથી હોતા, તેમાં વિગતો જ ‘નાયક’ હોય છે. સોશ્યલ મીડિયા પર પોતે કોની સાથે દલીલમાં બહેતર સાબિત થઇ શકે છે તેની હોડમાં આંદોલનનો જુવાળ કિ-બોર્ડ પર ટાઇપ કરવામાં જ ખતમ થઇ જાય છે અને એટલે જ કદાચ અત્યારનાં આંદોલનોમાંથી કોઇ મજબૂત નેતા મળવો મુશ્કેલ થઇ રહ્યો છે. એક તરફ મીડિયાનો મારો અતિરેકની હદ પાર કરી ચૂક્યો છે ત્યારે સતત ભક્તિનાં મંજીરા વચ્ચે અલગ સંભળાયેલો અવાજ શોધવો ઇન્ટરનેટને કારણે સરળ હોઇ શકે પણ કોઇની એક પોસ્ટ શેર કે ફોરવર્ડ કરીને આપણે આંદોલનમાં જોઇએ એટલું ઇંધણ નથી પૂરી શકતા.
જો કે નિર્ભયા આંદોલન, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનાં વિદ્યાર્થીઓનો વિરોધ, જાધવપુર યુનિવર્સિટીમાં થયેલા વિરોધો નક્કર પરિણામો લાવનારા સિદ્ધ થયા. અત્યારે જે.એન.યુ.માં પણ જે ચાલી રહ્યું છે તેનાં ભારતીય વિદ્યાર્થી આલમ પર ઘેરા પ્રતિભાવ પડશે એ ચોક્કસ. નવી પેઢીને આંદોલન કરીને પરિવર્તન લાવવામાં રસ ચોક્કસ છે પણ નહોર વાગી જાય એ રીતે કડક પકડમાં લેવાતાં આ યુવા ચહેરાઓ આગેવાન બનવાની ધારે હોય ત્યારે કાં તો આંદોલન પૂરતો જુવાળ સાચવે છે અને પછી અલગ રસ્તે ચાલી જાય છે અથવા તો દબાણમાં આવી સમાધાન અપનાવે છે કે પછી તેઓ એકલા પડી જાય છે. લોકશાહી દેશમાં આંદોલનથી આવેલા આમૂલ પરિવર્તનો ઇતિહાસની મહત્ત્વની ઇંટ હોય છે તે આપણે સમજવું રહ્યું. એક ફોરવર્ડ મેસેજ કે એક પોસ્ટથી માનસિક સ્તરે અધધધ વૈવિધ્ય ધરાવતા દેશમાં પરિવર્તન લાવવું મુશ્કેલ બનશે. આપણા દેશમાં બહુ બધુ બદલાઇ રહ્યું છે અને એ પરિવર્તન આપણને માફક આવશે જ એ જરૂરી નથી અને માટે જ વધારે સજાગ થઇને આંદોલનોને માર્ગે નેતૃત્વ શોધવાની કવાયત આપણે કરવી જ રહી. વૈચારિક જડતા, સત્તા મોહ કે માફિયા માનસિકતા પરિવર્તન નહીં પતન નોતરે. જિંદગી સાથે ઘસાઇને જીવેલા લોકો આંદોલનની સાચી આગ બને છે અને તેઓ જ પરિવર્તનશીલ સમાજ બક્ષી શકે છે.
બાય ધી વેઃ
ફેક ન્યુઝનાં જમાનામાં, જ્યાં પ્રેસ્ટીટ્યુટ કે સિકુલર જેવા શબ્દો બિનસાંપ્રદાયિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ધરાવતી લોકશાહીનાં વિચારકો માટે ઉછળવા માંડ્યા છે ત્યારે આપણે સાચું જીવવાની હિંમતનો દીવો બુઝાવા ન દે તેવા એકલ-દોકલ લડવૈયાઓની સાથે હાથ જોડવાની તાતી જરૂર છે. રાહુલ બજાજે જે કહ્યું તેમાં કંઇ ખોટું નથી. ભયનો માહોલ બધે જ પ્રસર્યો છે પણ હવે અમને ડર નથી એ આપણે ખોંખારો ખાઇને કહી શકીશું ત્યારે આંદોલનો સામાજિક, સુધારાવાદી અને ક્રાંતિકારી પ્રકારનાં થશે નહીંતર બધું કી-બોર્ડનાં ‘હેપ્ટીક ટચ’ અને ફોરવર્ડનાં ‘નૉટિફિકેશન સાઉન્ડ’માં જ અટકી જશે. હિંસા, ભ્રષ્ટાચાર, શોષણ, ગુનાખોરી બિહામણા ચોક્કસ છે પણ એટલા મજબૂત નથી કે આંદોલનનાં ઉજાસ પર ઓળો બનીને પથરાઇ જાય.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 ડિસેમ્બર 2019