Opinion Magazine
Number of visits: 9448947
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો આવડત હોય તો રાજકાજના ટકોરાબંધ માપદંડ દ્વારા રાજ કરી બતાવો

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2018

ત્રેવડ વિનાનાં માણસોનાં બે લક્ષણ હોય છે. એક તો તેને વિધવા ડોશીની મરણમૂડી પર નજર કરવામાં અને ખાવામાં કોઈ શરમ નથી આવતી, અને એ પછી પણ દળદર ફીટે એમ ન હોય તો લડી લેવાની જગ્યાએ ધર્મનો કે ભગવાનનો આશરો લઈને ટૂંટિયું વળીને બેસી જવામાં પણ કોઈ શરમ નથી આવતી. આજકાલ આ બંને લક્ષણ એક સાથે જોવાં મળી રહ્યાં છે એ જોઇને જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ.

પહેલાંના યુગમાં વિધવા ડોશીઓ થોડીક મરણમૂડી અલગ મૂકી દેતી. એમાં આદર થાય એવી ખુદ્દારી હતી. જ્યારે મરણ થાય ત્યારે ભાઈ-ભત્રીજા કે સગાં-વહાલાંઓએ ડોશીનું કારજ કરવા પૈસા ન કાઢવા પડે એટલે ડોશીઓ એ મૂકીને જાય. મરવામાં પણ કોઈનું ઋણ ન જોઈએ. કેવી મોટી વાત! એ મહાન માતાઓને કોટિ-કોટિ પ્રણામ! આપણી પરંપરામાં અને રીતિ-રિવાજોમાં ગર્વ લેવા જેવા આવાં ઘણાં નરવાં ઉદાહરણો હતાં અને છે, જો સમાજને તેમ જ સામાજિક પરંપરાઓને જોતાં-સમજતાં આવડતું હોય તો.

તો વિધવા ડોશીઓ મરણમૂડી અલગ મૂકીને જતી, અને ગણ્યાગાંઠ્યા અપવાદ છોડીને કોઈ એના પર નજર નહોતું કરતું. ગમે એવું આર્થિક સંકટ હોય, લોકો વાસણ વેચી નાખે, મજૂરી કરે; પણ ડોશીની મરણમૂડી પર નજર કરવી એ પાપ ગણાતું, નમાલાપણું ગણાતું. પણ આ તો સમાજ છે. એમાં અનેક પ્રકારના લોકો હોય અને કેટલાક લોકો ડોશીને પટાવીને કે જબરદસ્તી કરીને મરણમૂડી ખાઈ જતા. અત્યારે રિઝર્વ બેન્ક સાથે આ જ થઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક પાસે જે નાણાં છે એ વિધવા ડોશીની મરણમૂડી છે. કોઈ અણધાર્યા કે અસાધારણ સંકટમાં કામ આવે એ માટે અલગ રાખવામાં આવેલી મૂડી. ૧૯૩૪માં રિઝર્વ બેન્કની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી કોઈ શાસકોએ મરણમૂડી પર નજર કરી નહોતી. ૧૯૩૬ના બિહારના ધરતીકંપ વખતે નહીં, ૧૯૪૩ના બંગાળના દુકાળ (ફેમિન) વખતે નહીં, બીજા વિશ્વયુદ્ધ વખતે નહીં, ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે નહીં, ૧૯૭૨ના દુષ્કાળ વખતે નહીં અને ૧૯૯૧ની પેમેન્ટ ક્રાઈસિસ વખતે પણ નહીં. મરણમૂડીને હાથ ન લગાડાય, એની એક મર્યાદા પાળવામાં આવતી હતી. એને હાથ લગાડવા માટે ઘીસુ અને માધોનું કલેજું જોઈએ જે પ્રેમચંદની ‘કફન’ વાર્તામાં તેનાં બે પાત્રો ધરાવે છે.

એ પછી પણ દળદર ન ફીટે અને સંઘર્ષ કરવાની હામ ન હોય, તો ભગવાન તો છે જ. ધર્મને શરણે થઈ જવાનું. જાતને અને બીજાને છેતરવા માટે ધર્મ એક હાથવગું સાધન છે. આશ્રમમાં ઝાડું મારીને સદાવ્રતમાં જમી લેનારાઓને મેં મારા ગામમાં જોયાં છે. ખબર નહીં કેમ પણ કહેવાતા ધાર્મિક માણસોને લોકો શંકાનો લાભ આપતા રહે છે અને તેમને સહન કરતા રહે છે. બહુ ઓછા ધાર્મિક માણસો ઈશ્વરપરાયણ આધ્યાત્મિક હોય છે. મોટા ભાગના ધાર્મિક માણસો ત્રેવડ વિનાનાં, રોતલાં, દાધારન્ગા, મતલબી અને ઢોંગી હોય છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ રહી છે. એ પછી લોકસભાની ચૂંટણી માથે છે અને કર્તુત્વની મૂડી જમા થઈ શકી નથી, એટલે રામલલ્લાને શરણે જવાની તૈયારી ચાલી રહી છે. રામલલ્લાને પણ હવે ગુસ્સો આવતો હશે કે આ શું માંડ્યું છે, વચ્ચે તો ક્યારે ય યાદ કરવામાં આવતો નથી અને ચૂંટણી ટાણે ત્રિશૂળ લઈને નીકળી પડે છે. શું અયોધ્યા સેનેટોરિયમ છે કે રાજકીય ક્ષય થાય ત્યારે તબિયત સુધારવા આવી જવાનું? ૧૯૯૨માં મસ્જિદ તોડવામાં આવી, એ પછીનાં અઢી દાયકા પર નજર કરો, રામલલ્લાની યાદ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે ચૂંટણી નજીકમાં હોય અને ઊગરવા માટે કોઈ આરો ન હોય. ૨૦૧૪નો એક અપવાદ છોડીને દરેક વેળાએ આ પેટર્ન જોવા મળશે.

૨૦૧૪માં વૈતરણી સહેજે તરી શકાય એમ હતી એટલે રામલલ્લાને યાદ નહોતો કરવામાં આવ્યો. ડૉ. મુરલી મનોહર જોશીએ બી.જે.પી.નો ચૂંટણીઢંઢેરો તૈયાર કર્યો હતો. હંમેશ મુજબ તેમાં અયોધ્યા, આર્ટિકલ ૩૭૦ અને સમાન નાગરિક ધારાનો આગળનાં પાનાંઓમાં સમાવેશ કરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બી.જે.પી.ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પાસે ઢંઢેરાનો ડ્રાફ્ટ આવ્યો, ત્યારે તેમણે રામલલ્લાને, આર્ટિકલ ૩૭૦ને અને સમાન નાગરિક કાયદાને પાછળ ધકેલી દીધા હતા. ખાતરી કરવી હોય તો ૨૦૦૯ અને ૨૦૧૪નાં ચૂંટણીઢંઢેરા સરખાવી જુઓ. ૨૦૧૪માં રામલલ્લાની જરૂર નહોતી. સબ કા સાથ સબ કા વિકાસને નામે મુસલમાનોના અને પ્રગતિશીલ ઉદારમતવાદીઓના મત જોતા હતા એટલે રામલલ્લાને વનવાસ આપવામાં આવ્યો હતો. તેમને મત મળ્યા પણ હતા, પણ આ વખતે વિધર્મીઓ અને ઉદારમતવાદી તો બાજુએ રહ્યા, ધાર્મિક હિન્દુઓના મત પણ મળે એમ નથી, એટલે રામલલ્લાને વનવાસમાંથી પાછા બોલાવવામાં આવ્યા છે. 

મહિના પહેલા સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગજેન્દ્રસિંહ ચોહાણ અને અન્નુ કપૂર જેવા પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ્સ સમક્ષ ઉદારમતવાદી ભાષણ આપ્યું ત્યારે કેટલાક લોકો ભરમાઈ ગયા હતા. કેટલાકને તેમાં ગ્લાસનોત અને પેરેસ્ત્રોઈકા નજરે પડવા લાગ્યા હતા. મેં ત્યારે લખ્યું હતું કે આ તો ૯૫ વરસની યાત્રામાં આલાપવામાં આવેલો હજારમો રાગ છે. ગુલાંટના અંતિમ  પ્રમાણ તરીકે જવાહરલાલ નેહરુનાં કેવાં વખાણ કરવામાં આવ્યાં હતાં એ વિષે મેં લખ્યું હતું. જ્યારે નેહરુ પીગળ્યા નહીં ત્યારે તેઓ મુસલમાનોના એજન્ટ બની ગયા હતા.

જો આવડત હોય તો રાજકાજના ટકોરાબંધ માપદંડ દ્વારા રાજ કરી બતાવે. ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે તેને મદદરૂપ થવાનું છે. યુવાનો માટે રોજગારી પેદા કરવાની છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવાની છે, ચીનનો રાજકીય-આર્થિક મુકાબલો કરવાનો છે, પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાના છે કે જેથી ચીનને મોટા પાયે પ્રવેશ ન મળે, ડોલર સામે રૂપિયાને પડતો બચાવવાનો છે, ફુગાવાને અંકુશમાં લેવાનો છે, નિકાસનો દર વધારવાનો છે, વ્યવસ્થામાં અનેક સુધારા કરવાના છે, વગેરે. કરવા માટેનાં કામ કાંઈ ઓછાં નથી. આ બધાં શાસક માટેનાં રાજકાજનાં ટકોરાબંધ કામો છે. સામે પક્ષે ડોશીની મરણમૂડી પર નજર કરવી, ધર્મનું રાજકારણ કરવું, સમાજમાં વિભાજનો પેદા કરવાં, સરદાર પટેલ કે સુભાષચન્દ્ર બોઝના ખબે ચડી બેસવું, પૂતળાંનો સહારો લેવો, નેહરુપરિવારની સાત પેઢીને યાદ કરીને સરસ્વતી સંભળાવવી, વગેરે આત્મવિશ્વાસથી છલકાતા શક્તિશાળી રાજાનાં લક્ષણ નથી. આ આવડતના અભાવનાં અને પરાજયનાં લક્ષણો છે.

૨૦૦૯માં ડૉ. મનમોહન સિંહે રાજકાજના ટકોરાબંધ માપદંડો દ્વારા શાસનક્ષમતા સાબિત કરીને બીજી મુદ્દત મેળવી હતી. ૨૦૧૪માં તેઓ નિષ્ફળ નીવડ્યા તો પરાજય સ્વીકારી લીધો હતો. તેમણે ડોશીની મરણમૂડી વાપરી નહોતી, ધર્મનો આશ્રય લીધો નહોતો, સમાજમાં વિખવાદ પેદા કર્યા નહોતા, કોઈના ખભે ચડ્યા નહોતા, કોઈના કુળને ગાળો આપી નહોતી, પૂતળાં બંધાવ્યા નહોતા; અને છતાં ય ડૉ. મનમોહન સિંહ સસલું અને સાહેબ સિંહ. વાહ!

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 નવેમ્બર 2018

Loading

5 November 2018 admin
← ‘યૂ આર માય ન્યૂ ફૅમિલી’
એક બાજુ રાહત અને બીજી બાજુ લાત! →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved