Opinion Magazine
Number of visits: 9447581
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતની ઘટનાઓ: આપણે આપણા જ પગને કાપી રહ્યા છીએ, પરંતુ ટોળાંનું કલોરોફૉર્મ છે એટલે નુકસાન નજરે પડતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|10 October 2018

અનુભવમાંથી જે શીખવા જેવું હોય એ નહીં શીખવું અને નહીં શીખવા જેવું શીખવું એ આપણો સ્વભાવ છે. શોશ્યલ મીડિયા અને એમાં ય વોટ્સેપનો વ્યાપ વધ્યો એ પછીથી કાયદો અને વ્યવસ્થાનું સંકટ પેદા કરે એવી પહેલી મોટી ઘટના ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં બની હતી. ૨૦૧૨ના જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં આસામમાં કોકરાજહારમાં બોડો ઉગ્રવાદીઓએ બંગાળી મુસલમાનોને માર્યા હતા. અઠવાડિયું ચાલેલા તોફાનોમાં લગભગ ૭૭ મુસલમાનો માર્યા ગયા હતા. એ પછી ૧૫મી ઓગસ્ટે બેંગલુરુમાં સમાજ-માધ્યમો દ્વારા અફવા ફેલાઈ હતી કે આસામનો બદલો લેવાની મુસલમાનો તૈયારી કરી રહ્યા છે અને એક-બે દિવસમાં ઇશાન ભારતનાં લોકોને મારવામાં આવશે. હવે આસામમાં મુસલમાનોને બોડોએ માર્યા હતા, પરંતુ ભારતીય પ્રજા મોન્ગોઈલ્ડ ફીચર્સ ધરાવનારા દરેક જણને નેપાળી, આસામી કે વિદેશી ધારી લે છે. આપણે છીએ તો દેશપ્રેમી રાષ્ટ્રવાદી, પરંતુ આપણા ભેરુઓને ઓળખવા-સમજવાની કોઈ દહાડો કોઈ તસ્દી આપણે લેતા નથી. આને કારણે બેંગલુરુ અને મૈસૂરમાં રહેતા ઇશાન ભારતના અને નેપાળના લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. મોન્ગોઈલ્ડ ફીચર્સ ધરાવનારા વિદેશીઓ પણ ઘરની બહાર નહોતા નીકળતા.  બેંગલુરુ આઈ.ટી. હબ છે એટલે ત્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે.

જાય તો જાય ક્યાં? પોતાને વતન. આ પણ ભારતીય રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનો વરવો ચહેરો છે. બાળક રડતું-રડતું પોતાના માના ખોળામાં આશ્રય મેળવે એમ પરપ્રાંતિયો સામે હુલ્લડો થાય છે ત્યારે તેઓ પોતાના વતનમાં જઇને સુરક્ષા મેળવે છે. બાળક તો નાદાન હોય છે એટલે તેને મા સિવાય બીજા પર ભરોસો નથી હોતો, પરંતુ વયસ્કોને પણ પોતાના દેશબાંધવો પર ભરોસો હોતો નથી. કયા મોઢે દેશપ્રેમના અને રાષ્ટ્રવાદના નગારા વગાડો છો, જ્યારે તમારાં પોતાનાં વિષે વિવેક કરવાની અને સુરક્ષા આપવાની તમારામાં લાયકાત નથી. માફ કરજો, પરંતુ ઘોંઘાટ કરતા દેશપ્રેમીઓ અને રાષ્ટ્રવાદીઓમાં સભ્યતા, સંસ્કાર અને મીઠું એમ ત્રણેય ચીજનો અભાવ હોય છે. બેંગલુરુમાં જ્યારે ઇશાન ભારતના લોકો ભાગ્યા ત્યારે આ ઘોંઘાટિયા દેશપ્રેમીઓ પણ સધિયારો દેવા બહાર નહોતા આવ્યા. એક પણ માયનો લાલ દેશપ્રેમી ઇશાન ભારતનાં બાંધવોની વહારે આગળ નહોતો આવ્યો. શું ખબર મુસલમાનોએ ખરેખર હુમલો કરવાની તૈયારી કરી હોય અને હુમલો કરે તો? ભગત સિંહ પાડોશમાં પેદા થવો જોઈએ, આપણે ત્યાં નહીં એવી મરાઠી કહેવત છે. જો તમારો દેશપ્રેમ, કે ભાષાપ્રેમ, બીજી જે કોઈ અસ્મિતા હોય તેનો પ્રેમ ટોળાંમાં પ્રગટ થતો હોય તો તમારા જેટલા નપુંસક આ જગતમાં બીજું કોઈ નથી એ લખી રાખજો.

એ જ અઠવાડિયામાં અને કોકરાજહારને કારણે જ બીજી ઘટના મુંબઈમાં બની હતી. કોકરાજહારમાં મુસલમાનોને માર્યા એના વિરોધમાં મુસલમાનોના એક નાનકડા સંગઠને આઝાદ મેદાન ખાતે દેખાવોનું આયોજન કર્યું હતું. સંગઠન કોઈ શક્તિશાળી નહોતું એટલે એ સંગઠનના નેતાઓનો અને પોલીસનો અંદાજ હતો કે બસો-પાંચસો જણા હાજર રહેશે. સોશ્યલ મીડિયા પર દેખાવોના આયોજનના મેસેજ ગયા અને વીસ હજાર લોકો હાજર થઈ ગયા. એ દિવસે કોઈ અઘટિત ઘટના બની હોત તો ખબર નહીં શહેરમાં કેવી સ્થિતિ સર્જાઈ હોત.

જો શાણો સમાજ અને જવાબદાર શાસકો હોય તો નવા પેદા થયેલા વિસ્ફોટક જોખમ સાથે કેમ કામ પાડવું એ વિષે ગંભીરતાપૂર્વક વિચારત. આ વિસ્ફોટક પદાર્થ કેવળ ભારતમાં ઉપલબ્ધ થયો છે એવું નથી. જગત આખામાં સોશ્યલ મીડિયાનો વિસ્તાર થયો છે. ભય, ભાગાભાગી, અફવાઓ ફેલાવવી, ટોળા દ્વારા મારઝૂડ કરવી, લિન્ચિંગ કરવું વગેરે ઘટના જગતના બીજા કોઈ દેશમાં બનતી હોય એવું તમારા જોવામાં આવ્યું છે? કોઈ વ્યક્તિ ખોટી વાતના પ્રભાવમાં આવીને હિંસા કરે એ સમજાય છે, પરંતુ ટોળાંઓ કાયદો હાથમાં લઈને આતંક મચાવે એવું જગતના દેશોમાં ભાગ્યે જ બને છે. પ્રગતિશીલ દેશોમાં તો આવી ઘટનાઓ બનતી નથી, પરંતુ પાડોશમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આવી ઘટનાઓ નથી બનતી.

તો પછી આપણે ત્યાં કેમ આવી ઘટનાઓ બનતી રહે છે? બે કારણો છે. એક તો એ કે માનવીના જીવનની કિમંત આપણે બહુ ઓછી કરીએ છીએ. આપણે ત્યાં એ સંખ્યા છે અને સંખ્યા ઓછી હોય તો બહુમાં બહુ આપણે રાહત અનુભવીએ છીએ એટલું જ. આવી માનસિકતા આપણામાં એટલા માટે છે કે આપણે ભારતીય છીએ જ નહીં, ત્યાં માનવી હોવું તો બહુ દૂરની વાત છે. ગુજરાતમાંથી બિહારીઓને કે હિન્દીભાષીઓને તગેડી મુકવામાં આવે ત્યારે આપણા માટે એ મોટી ગંભીર ઘટના બનતી નથી, કારણ કે આપણે બિહારી નથી. આપણે માનવી તો નથી જ, પરંતુ સાચા ભારતીય સુધ્ધાં નથી એટલે આપણે સહેજે કોઈના હાથનું રમકડું બનીએ છીએ. એ પણ ટોળાંનો ભાગ બનીને, સ્વતંત્રપણે વિચારના ભાગરૂપે નહીં. યાદ કરો દાયકા પહેલાં તમે હિન્દુત્વવાદી દેશપ્રેમી હતા? બીજું, તમે તમારી વહાલી અસ્મિતાનું જતન વ્યક્તિગત રીતે કરો છો કે ટોળાંનો ભાગ બનીને?- એ પણ વિચારી જુઓ. જો વ્યક્તિગત રીતે તમે ગુજરાતી હોવા માટે સાચો ગર્વ અનુભવતા હોય તો  તમારે ઉમાશંકર જોશીને વાંચવા પડે, ગુજરાતનો ઇતિહાસ જોવો પડે, ગુજરાતીઓની ખાસિયતો, ખૂબીઓ અને મર્યાદા સમજવાં પડે, ગુજરાતી સંગીત, નાટક અને અન્ય કલાઓને સમજવી પડે, મધ્યકાલીન સંતસાહિત્ય સમજવું પડે એમ એમાં કેટલી બધી મહેનત લેવી પડે. આના કરતાં ટોળાંનો ગુજરાતી બનવું કેટલું સહેલું. ગુજરાતી તરીકે હાથમાં પથ્થર લેવા સિવાય અને ભૂંડી ગાળ બોલવા સિવાય બીજા કોઈ ગુણની જરૂર નથી.

આપણે બધા ટોળાંના હિન્દુ છીએ, ટોળાંના ગુજરાતી છીએ, ટોળાંના પટેલ છીએ અને ટોળાંના બીજા જે કંઈ હોઈએ એ છીએ. અસ્મિતાની ઉપાસના ટોળાંમાં કરવામાં આવે છે, વ્યક્તિગત રીતે નહીં. એટલે આપણી અસ્મિતા ભ્રામક છે અને ક્વચિત હિંસક પણ છે. આને કારણે આપણે આપણી અસ્મિતાને ખોખલી પણ બનાવી રહ્યા છીએ. અસ્મિતાની ઉપાસના વ્યક્તિગત રીતે કરશો તો તમે સાચા ભારતીય બનશો, સાચા હિન્દુ બનશો, સાચા જે કોઈ હશો એ બનશો અને સૌથી વધુ સાચા માણસ બનશો. અસ્મિતાની ઉપાસના જો વ્યક્તિગત રીતે પ્રામાણિકતાપૂર્વક કરવામાં આવે તો અસ્મિતાઓ પૂરક બને છે અને જો ટોળાંમાં ઘોંઘાટ સાથે  કરવામાં આવે તો એ પૃથક અને હિંસક બને છે.

રાજકીય પક્ષોને ટોળાંની ઓળખની જરૂર છે. તમને ખબર પણ નથી પડતી અને તમે તેમના હાથનું રમકડું બની જાઓ છો અને વોટ બેન્કમાં ફેરવાઈ જાઓ છો. ગુજરાતમાં શું બની રહ્યું છે એ જુઓ. હિન્દી ભાષીઓને ડરાવવામાં અને ખદેડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો રાજકારણ કરી રહ્યા છે. ટોળાંને એટલી પણ સમજ નથી કે ઉત્તર ભારતીઓ પોતાનું વતન છોડીને ગુજરાતમાં આવ્યા છે તો એનું કારણ ગુજરાતમાં રોજગારી છે. રોજગારી છે એનો અર્થ એ થયો કે ગુજરાતમાં ઉત્પાદક પ્રવૃત્તિ ચાલે છે જેણે રોજગારી પેદા કરી છે. હવે જો મજૂરને તગેડી મુકવામાં આવે તો તેની અસર કોના પર થાય? આપણે આપણા જ પગને કાપી રહ્યા છીએ, પરંતુ ટોળાંનું કલોરોફૉર્મ છે એટલે નુકસાન નજરે પડતું નથી.

ટોળાં અને ટોળાંના હાથમાં સોશ્યલ મીડિયા એટલે વાંદરાને દારૂ પીવડાવવા જેવું થયું. જો અનુભવમાંથી શીખશો નહીં તો એક દિવસ આપણા પોતાના લાડલા સંતાનને ગુમાવવાનો વખત આવશે. ઝેરનાં પારખાં કરવાના હોય નહીં એમ વડીલો કહેતા ગયા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 10 અૉક્ટોબર 2018

Loading

10 October 2018 admin
← માલિનીબહેન ગયાં
એમ.જે. અકબર, સુષ્મા સ્વરાજ અને નિર્ભયાના એ ક્રાંતિકારી દિવસો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved