Opinion Magazine
Number of visits: 9451402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતામાંથી મિત્ર

કિશનસિંહ ચાવડા|Opinion - Opinion|3 October 2018

શ્રાવણ મહિનો હતો. સોળસત્તર વરસની ઉંમર હશે. બાનો હુકમ મળ્યો કે મારે રોજ રણમુક્તેશ્વર મહાદેવના દર્શને જવું. આમ હું નાસ્તિક નહીં. પણ ધાર્મિકતા અપ્રિય. ક્રિયાકાંડમાં કદી જ શ્રદ્ધા નહીં. છતાં કુટુંબના ઉછેરમાં જ ધર્મની ભાવના લોહીમાં મળી ગયેલી. એટલે ધર્મ અને ધાર્મિકતા વચ્ચે અંતરમાં સંઘર્ષ ઊભો થયો; પરંતુ બાની આજ્ઞા છે એ પાયાની વાત ઉપર બુદ્ધિ અને લાગણી બન્નેએ સમાધાન અનુભવ્યું.

હું રોજ સાંજે પહેલાં રણમુક્તેશ્વરનાં દર્શને જાઉં અને ત્યાંથી સીધો અખાડામાં. દર્શનનો ક્રમ પણ વ્યાયામમંદિરમાં જવા જેટલો જ અચૂક. કોઈ પણ નિયમ કે નિયમનનું અચૂક પાલન પોતે જ મોટી બુનિયાદી તાલીમ છે. સંયમ સહજ બને છે, ત્યારે એ સ્વભાવ થઈ જાય છે. શરૂઆતમાં અંત:કરણે બાની આજ્ઞાનું સમાધાન સ્વીકાર્યું હતું. ધીરે ધીરે એમાંથી સાંત્વના મળવા માંડી અને પછી એમાંથી આનંદનો ઉદય થયો.

દર્શને જવાનો રસ્તો ટૂંકો હતો. બરાનપુરાથી વળાંક લઈને જે રસ્તો ગોયાગેટના રાજમાર્ગ ઉપર નીકળતો ત્યાં આગળ એક લીમડો હતો. એ વળાંકને પશ્ચિમે શહેરસુધરાઈના છંટકાવનાં ગાડાં છૂટતાં અને પછી ગંદવાડ આવતો. એ લીમડાના ઝાડ નીચે તૂટેલી ઝૂંપડી જેવી જગ્યામાં એક સાંજે એક વૃદ્ધ સ્ત્રીને સૂતેલી જોઈ. સામાન્ય રીતે કોઈ ભીખારણ હશે એમ માનીને સ્વાભાવિક માનવી બેપરવાઈથી હું તો ચાલ્યો ગયો. બીજે દિવસે સાંજે પણ એ ડોશીને એ જ રીતે સૂતેલી જોઈ. એ સાંજે પગ જરા ખંચાયા; પણ રોકાયા નહીં. ત્રીજે દિવસે સાંજે એ ડોશી આગળ ઝાડ નીચે પગ થંભી ગયા.

ડોશીની પાસે બેસીને જોયું તો ફાટલું એક લૂગડું અડધું પહેરીને અડધું ઓઢ્યું હતું. શરીરે બીજું વસ્ત્ર નહોતું. એ જીર્ણ વસ્ત્રની અંદર લપેટાયલી કાયા શ્વાસ લેતી હતી. એ શરીરને ઢંઢોળીને બોલાવવા પ્રયત્ન કર્યો. કાયા હાલી; પણ અંતરપંખી બોલ્યું નહીં. શું કરવું એ એકદમ સૂઝ્યું નહીં. જરાક મૂંઝવણ થઈ. પણ હું વિચાર કરીને તરત પાછો ઘેર ગયો. ખભે એક કાથીની નાની ખાટલી લીધી. એક ગોદડી, એક ઓઢવાનું, ખિસ્સામાં એક નાનું પવાલું લઈ લીધું. બાને થોડી વાત કરી ન કરી ને હું પેલા લીમડા નીચે આવી પહોંચ્યો. ખાટલી પર ગોદડી નાંખીને ઉપર ડોશીને સૂવાડી, ઓઢાડીને જરાક દૂર કુંભારવાડેથી એક ઘડો લઈ આવ્યો. પાણી ભર્યું, એમાંથી થોડુંક પાણી ડોશીને પાયું. અંધારું થવા આવ્યું હતું. ગયો રણમુક્તેશ્વરનાં દર્શને. તે સાંજે અખાડે ન જઈ શકાયું. રાત પડવા આવી હતી. પણ મને જંપ ન વળે. બાને વાત કરી. બાએ જમીને સાથે આવવાની હા પાડી. થોડુંક ખાવાનું લઈને અમે બન્ને પહોંચ્યાં પેલા લીમડા નીચે. બાએ ડોશીનું શરીર જોયું. તાવ તો ધખધખે. અમે બન્ને ગયાં છોટાલાલ વૈદ્યને ત્યાં. છોટાકાકા જમતા હતા. બાએ વાત કરીને દવા માગી, મેં રૂબરૂ તપાસવાનો આગ્રહ કર્યો. વૈદ્યકાકા અમારી જોડે આવ્યા, ડોશીને તપાસીને એમણે દવા આપી. સવારસાંજ મધમાં પડીકાં આપવાનાં. ત્રીજે દિવસે ડોશીમાં કંઈક હોશ આવ્યા. આઠદસ દિવસ અમે નિયમિત દવા આપી. ડોશીમા સાજાં થવા માંડ્યાં. બપોરે બા માસીને ત્યાં જાય ત્યારે લીમડા નીચે ખાવાનું પહોંચાડીને જ જાય. ચૌદમેપંદરમે દિવસે ડોશી વાત કરતી થઈ.

એક દિવસે સાંજે હું રોજના નિયમ પ્રમાણે રણમુક્તેશ્વર દર્શને જતો હતો. રાબેતા મુજબ લીમડા નીચે રોકાયો. આજે ડોશીની જીભમાં શબ્દે દેખા દીધી. પહેલી વખત એના મુખમાંથી શબ્દ પડ્યો : ‘‘બેટા,’’ … થોડી વાર શ્વાસ ખાઈને એણે બીજો શબ્દ કહ્યો : ‘‘જીવાડી…’’ મેં કહ્યું કે, ‘‘માજી, એ તો ઈશ્વરની દયાનું પરિણામ છે.’’ ડોશીની આંખમાં જાણે તેજ ફુટ્યું. બોલી : ‘‘ઈશ્વરે પણ એ દયા કોઈની મારફત જ પહોંચાડવાની ને! એ કંઈ ઓછો નીચે ઊતરે છે!’’ બોલીને મારે માથે હાથ મૂક્યો. હું તો પછી મહાદેવ દર્શન કરવા ચાલ્યો ગયો.

બીજે દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર હતો. રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં ઘીનાં કમળનાં દર્શન હતાં. તે સાંજે મારી સાથે બા પણ હતી. રસ્તામાં ડોશીને ખાવાનું પહોંચાડીને અમે ગયાં દર્શન કરવાં. અમારા મનમાં હતું કે પાછા વળતાં ડોશી પાસે બેસીશું. પાછાં આવ્યાં ત્યારે લગભગ નવેક વાગ્યા હશે. ડોશીમા ખાટલામાં નિરાંતે બેઠી હતી. અમને બન્નેને જોઈને એને ઘણો આનંદ થયો. અમને ખાટલી પર જ બેસાડ્યાં. મેં કહ્યું કે, ‘‘બા, આ ખાટલી ત્રણ જણાનો ભાર નહીં ઝીલે.’’ અને તરત જ ડોશીના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘‘ત્રણનો શું, તેરનો ઝીલશે. ધરતી જેવી છે આ ખાટલી.’’

પછી બાને ખભે હાથ મૂકીને ડોશીએ કહ્યું : ‘‘બહેન, મારે તમને બેયને એક વાત કહેવી છે ને કહેવાતી નથી. પણ લ્યો, કહું છું. તમે મને જીવાડી છે તે હવે એ વાત કહેવી જ પડશે ને! અમે આ પાછળના ગામ ગાજરાવાડીમાં રહેતાં હતાં. મારે દીકરીની દીકરી હતી. હું તો બહેન, વરસોથી વિધવા છું. અમારા એક સગાનો દીકરો અમારે ઘેર જતો-આવતો. વારતહેવારે બે પૈસાની મદદ કરતો. દીકરી જુવાન હતી. છઠ્ઠી ચોપડી ભણીને પછી માસ્તર થઈ. ધીરે ધીરે પેલા છોકરાએ અમારે ઘેર રહેવા માંડ્યું. બહેન, એ તો પરણેલો હતો. ઘેર છોકરાં હતાં. છતાં મારી જુવાન દીકરી ઉપર એની આંખ ચોંટી. હું આખો ખેલ પામી ગઈ. દીકરીને ચેતવી દીધી. પણ પેલો માને નહીં. હું જરાક બહાર જાઉં કે દર્શને જાઉં ત્યાં એ ઘરમાં આવ્યો જ હોય. પછી તો મને ચઢ્યો ગુસ્સો. પણ હું ગરીબ વિધવાબાઈ શું કરું! લાચારી તો એવી કે વાત ના પૂછો. આખરે એક દિવસ કંઈક ખવડાવીને મને અહીં નાંખી ગયો અને દીકરીને ઉપાડી ગયો છે. હવે પાછી મળે એવું કંઈક કરો.’’ ડોશીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અમે બન્ને ઘર ભણી ચાલી નીકળ્યાં.

બાએ ઘેર આવીને આ વાત બાપુજીને કરી. અને આગ્રહ કર્યો કે અમારા કુટુમ્બના એક ફોજદાર મિત્ર હતા તેમને બાપુજીએ વાત કરવી. બાપુજી બાનો સ્વભાવ જાણે. એટલે બીજે દિવસે બાપુજીએ આખી વાત ફોજદારકાકાને કરી. ચોથે જ દિવસે પેલાં બે જણાં પકડાયાં. છોકરી હજી સગીર હતી. એટલે એ એની માને સોંપવામાં આવી ને પેલાને પૂર્યો જેલમાં. છોકરીને મેળવીને પેલી ડોશીમાને ઘણો આનંદ થયો. એમના ગાજરાવાડીને ઘેર અમે એ ડોશીને લઈ ગયાં ત્યારે એનો આનંદ જોવા જેવો હતો.

બીજે વરસે ડોશીએ પોતાની એ જુવાન દીકરીનાં લગ્ન કર્યાં. બાએ એમાં ઘરનું જાણીને ઘણી મદદ કરી.

આ પ્રસંગે મારા અંતરને સેવાની સાચી દિક્ષા આપી. એનાથી મારી બા તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. બાએ ત્યાર પછી ભાવિ સેવાકાર્યમાં જે સમભાવ અને સ્નેહ બતાવ્યા તે એમના મૃત્યુ સુધી અખંડિત રહ્યા. આ ડોશીના પ્રસંગમાંથી એવું શું બન્યું હતું કે જેણે મારી અને બાની વચ્ચે એક નવો સમ્બન્ધ સ્થાપ્યો હતો! વાત્સલ્ય તો એનું અપાર હતું; પરંતુ પછી એને બધાં સેવાકાર્યોમાં ઊંડો રસ પેદા થયો. ક્યારેક સલાહ આપતી, કદીક તટસ્થ રહેતી, વળી ક્યારેક સમભાવપૂર્વક સાથ આપતી બા સદાની સંગાથી બની ગઈ. વાત્સલ્ય ઉપરાંત એની પાસેથી અપૂર્વ હૂંફ અને રક્ષણ મળવા માંડ્યાં. બાના આ વલણથી અનુગૃહિત બનેલું મારું અંત:કરણ એની આશિષની અપેક્ષા રાખવા લાગ્યું. આ અપેક્ષાએ સમર્પણની ભાવનાને એકાગ્ર બનાવી, અને આખરે આ જ પ્રક્રિયાએ મારી અંતરનિષ્ઠાને સુદૃઢ બનાવવામાં મોટી સહાય કરી. મસ્ત યૌવનમાં જો સન્નિષ્ઠા સધ્ધર ન હોય તો અભિમાનનો સૂક્ષ્મ કીડો આખી હસ્તીને લૂણો લગાડે છે. બાની વત્સલ અને વિમળ સાથીદારીએ મરતાં સુધી મારી સન્નિષ્ઠાની ચોકી કર્યા કરી તે કર્યા જ કરી.

એમના છેલ્લા દિવસોમાં એક યાદગાર પ્રસંગ બન્યો. ગાંધીજીની વાત માનીને અમારે ઘેર હું એક હરિજન વિદ્યાર્થીને જમવા લઈ આવ્યો. બા આમ તો ચુસ્ત વૈષ્ણવ. પણ તે દિવસે એણે અમને રસોડામાં બેસાડીને જમાડ્યા. અને જમાડતાં જમાડતાં પેલી ડોશીની વાત કહી. બાએ ગદ્ગદ કંઠે કહ્યું : ‘‘ગાંધીજી જે દરિદ્રનારાયણની વાત કહે છે તે સાવ સાચી છે. જે એમની સેવા કરે છે તે ઈશ્વરની સાચી પૂજા કરે છે.’’

ત્યાર બાદ અમારા ઘરમાં હરિજન અને વૈષ્ણવજન વચ્ચે કશો જ ભેદભાવ ન રહ્યો.

બા ને હું, માદીકરો હતાં; પછી અમે બન્ને મિત્રો બની ગયાં.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 410 – September 30, 2018

Loading

3 October 2018 admin
← Hyper-extremism tends to follow extremism
મુનશીજી →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved