Opinion Magazine
Number of visits: 9449557
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું ભલે નાપાસ થયો હોઉં, પણ તને તો પાસ નહીં જ થવા દઉં એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અને કેન્દ્ર સરકારનું અરવિંદ કેજરીવાલની બાબતમાં વલણ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 June 2018

દિલ્હીમાં ૨૦૧૫માં અરવિંદ કેજરીવાલની સરકાર રચાઈ ત્યારથી ચૂંટાયેલી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર (એલ.જી.) વચ્ચે અથડામણ થઈ રહી છે. કારણ એ છે કે કેન્દ્ર સરકાર દિલ્હીની સરકાર કામ કરી શકે એવું ઈચ્છતી નથી, એટલે એલ.જી.નો ઉપયોગ કરીને રાજ્ય સરકારના માર્ગમાં વિઘ્નો પેદા કરે છે. દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી, એટલે એલ.જી. અનેક પ્રકારની વહીવટી સત્તા ધરાવે છે અને તેનો ઉપયોગ કરીને રાજ્ય સરકારને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરે છે. ૨૦૧૫માં દિલ્હીમાં સરકાર રચાઈ ત્યારથી અથડામણોનો લાંબો ઇતિહાસ છે, જેમાં છેલ્લી ઘટના અત્યારે બની રહી છે. ત્રણ દિવસથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમનું આખું પ્રધાનમંડળ એલ.જી.ની કચેરીમાં ધામા નાખીને ધરણા કરી રહ્યા છે.

વાત એમ છે કે ગયા ફેબ્રુઆરી મહિનામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુસ્સામાં ગેરવર્તાવ કર્યો હતો એમ કહેવાય છે. એ પછી સનદી અધિકારીઓએ વિરોધ પ્રદર્શિત કરવા દિલ્હીના પ્રધાનોની રાબેતા મુજબની બેઠકમાં ઉપસ્થિત રહેવાનું બંધ કર્યું હતું. સનદી અધિકારીઓ કહે છે કે તેમનો વિરોધ મર્યાદિત સ્વરૂપનો હતો, અને તેમણે ફરજ બજાવવાનું બંધ નહોતું કર્યું. અરવિંદ કેજરીવાલ કહે છે કે અધિકારીઓના અસહયોગ પાછળ દિલ્હીના એલ.જી.નો હાથ છે અને એ કેન્દ્ર સરકારના આદેશ મુજબ વર્તે છે.

અહીં મેં આમ આદમી પાર્ટીના નેતાએ દિલ્હીના મુખ્ય સચિવ સાથે ગેરવર્તાવ કર્યો હતો એમ ‘કહેવાય છે’ એવો શબ્દ પ્રયોગ કર્યો છે અને દેશભરના મીડિયા એ રીતે જ ઉલ્લેખ કરે છે એનાં કેટલાંક કારણો છે. પહેલું એ કે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરી નથી. બીજું, તેમણે સતાવારપણે એલ.જી.ને, સનદી અધિકારીઓના સંગઠનને કે પછી ભારત સરકારના ઉચ્ચપદસ્ત અધિકારીઓના મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, જેનો હવાલો વડા પ્રધાન ખુદ સંભાળે છે)ને લેખિત ફરિયાદ નથી કરી. સત્તાવાર ફરિયાદ વિના રાજ્ય સરકાર સાથે અસહયોગ કરવામાં આવે છે. શા માટે ફરિયાદ કરવામાં નથી આવતી? શા માટે કહેવાતા આરોપીઓનાં નામ આપવામાં નથી આવતાં?

કારણો શોધવા જવાની જરૂર નથી. યેનકેન પ્રકારેણ દિલ્હીની સરકારને શાસનમાં સફળતા ન મળે એ માટે કેન્દ્ર સરકાર દિલ્હીમાં સરકાર રચાઈ ત્યારથી પ્રયત્ન કરે છે. એમાં વળી અનેક અવરોધોની વચ્ચે દિલ્હીની સરકાર શિક્ષણ અને આરોગ્યના મોરચે દેશની કોઈ પણ સરકારને શરમ આવે એવું નેત્રદીપક કામ કરી રહી છે, એ જોઇને કેન્દ્ર સરકાર અને બી.જે.પી. વધારે પરેશાન છે. રોજ જુદા જુદા ફુગ્ગા ચગાવીને, ઇવેન્ટો યોજીને, વિદેશ પ્રવાસો કરીને અને પ્રોટોકોલના ભાગરૂપે વિદેશમાં વાહવાહ કરાવીને, ફીઝીકલ ફિટનેસના ટ્વીટ કરીને, કોઈકનો યશ આંચકી લઈને, મનફાવે એવી ફેંકાફેંકી કરીને દિવસો પસાર કરાતા હોય તેમ જ પ્રજાને ભરમાવવાનો પ્રયાસ ચાલતો હોય, ત્યાં આ અરવિંદ કેજરીવાલ નામનું મગતરું ચોખ્ખું નજરે પડે એવું કામ કરે છે. તેમને ખબર છે આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક અનેક સમસ્યાઓ હોવા છતાં અને અરવિંદ કેજરીવાલ તાનાશાહી વલણ ધરાવતા હોવા છતાં આખરે આમ આદમી પાર્ટી તેજસ્વી યુવાનોની પાર્ટી છે. તેમનામાં ધગશ છે, આવડત છે અને પ્રશ્નોને સમજવા જેટલી બુદ્ધિ છે.

હું ભલે નાપાસ થયો હોઉં, પણ તને તો પાસ નહીં જ થવા દઉં, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અને કેન્દ્ર સરકારનું અરવિંદ કેજરીવાલની બાબતમાં વલણ છે. આમ તો ૨૦૧૫ની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલે માત્ર એક મહિનામાં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને હટાવીને પોતાના માટે પોતે જ કબર ખોદી હતી અને નરેન્દ્ર મોદી તેમાં તેમને સુવડાવે એ પહેલાં પોતે પોતાની જાતે જ તેમાં પોઢી ગયા હતા. હવે અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી રાજકારણમાં રાષ્ટ્રીય વિકલ્પ બની શકે એવી કોઈ શક્યતા બચી નથી.

રાજકીય વિકલ્પ તરીકે તો અરવિંદ કેજરીવાલ આત્મહત્યા કરીને જન્નતનશીન થઈ ચુક્યા છે, પરંતુ સમસ્યા છે શાસકીય વિકલ્પની. નાનકડું રાજ્ય છે, એક શહેર માત્ર છે, પૂરા કદના રાજ્યનો દરજ્જો નથી, સત્તા મર્યાદિત છે, એલ.જી. ૨૦૧૫ની સાલથી માર્ગમાં વિઘ્નો નાખતા રહે છે, કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને એવા બીજા ઇશ્યુઝ શોધીને સરકારને તેમ જ એ.એ.પી.ને અટવાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને છતાં ય કેજરીવાલ સરકાર બીજા કોઈ પણ રાજ્યની સરખામણીમાં સારું શાસન આપી શક્યા છે. શિક્ષણ અને આરોગ્યને લાગેવળગે છે ત્યાં સુધી દિલ્હી મોડેલ સ્ટેટ છે. સમસ્યા આ છે. મેરે કમીઝ સે તેરા કમીઝ જ્યાદા સફેદ કૈસે.

વડા પ્રધાનના દરેક કથન શાબ્દિક ફુગ્ગો માત્ર હોય છે અને હરીફાઈયુક્ત સમવાય રાજ્ય (કોમ્પીટિટીવ ફેડરાલિઝમ) આનું બોલકું ઉદાહરણ છે. જો એમ ન હોત તો તેમણે પોતાના પ્રધાનોને અને બી.જે.પી. શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું હોત કે જરા જુઓ દિલ્હી પાસેથી શું શીખવા જેવું છે અને શું અપનાવવા જેવું છે. જે દિલ્હીમાં થઈ શકે એ અન્યત્ર કેમ ન થઈ શકે. આને કહેવાય કોમ્પીટિટીવ ફેડરાલિઝમ. હરીફાઈ હરાવવા માટેની ન હોય, શીખવા માટેની હોય છે. પણ વડા પ્રધાન જે બોલે છે એમાં તેમની પોતાની જ કોઈ શ્રદ્ધા હોતી નથી.

એક નામ લઇશ તો વડા પ્રધાનને ગમશે નહીં એની મને જાણ છે. એ નામ છે જવાહરલાલ નેહરુ. વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખતા. પત્રોમાં કેટલીકવાર તાત્ત્વિક ચર્ચા કરતા, પરંતુ મોટાભાગે કયા રાજ્યોમાં શું ચાલી રહ્યું છે અને કોણે કઈ રીતની પહેલ કરી છે, એનાં કેવાં પરિણામો મળી રહ્યાં છે, શું પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેની ચર્ચા કરતા. આને કહેવાય પરિવારનો મોભી જેના માટે પરિવારના દરેક સભ્ય એક સરખું મહત્ત્વ ધરાવે છે. બૃહદ્દ પરિવારના સભ્યો પરિવારના મોભી દ્વારા અનુભવોની અને સમસ્યાઓની આપ-લે કરતા.

બાય ધ વે કોણ છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ? તેઓ નિવૃત્ત સનદી અધિકારી છે અને નિવૃત્તિ પછીથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં કાર્યસમિતિના સભ્ય છે. ટાળો મળી ગયો હશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 જૂન 2018

Loading

15 June 2018 admin
← મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે
પણ નિયત સાફ છે. ગફલતો તો થતી રહે, માણસ માત્ર ભૂલને પાત્ર →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved