સફાઈકર્મીઓનાં મોતનો સવાલ આપણી વર્ણવ્યવસ્થા સાથે પણ ગાઢ રીતે સંકળાયેલો છે
મંગળવારે પરોઢે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સફાઈકર્મી દલસુખભાઈ ચાવરિયાનું ગટરમાં ઊતરીને કામ કરતી વખતે ગૂંગળાઈ જવાથી મોત થયું. પાંત્રીસ વર્ષના દાનાભાઈ આ કામ અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન માટે કરતા હતા, પણ તેમની એ નોકરી એક પ્રાઇવેટ કૉન્ટ્રાક્ટરની દર્પણ વાલ્મીકિ એજન્સીમાં હતી. આવાં મોત એ સ્વચ્છતા અભિયાન ચલાવનારા આ દેશની એક અસ્વચ્છ વાસ્તવિકતા છે. આ દેશ ચલાવનારાઓને ખેડૂતો, સૈનિકો, ગરીબ સ્ત્રીઓ તેમ જ બાળકો અને હજારો શ્રમજીવીઓની જિંદગીની જેમ જ દલિત વાલ્મીકિ સફાઈ સૈનિકોની જિંદગીની પણ કિંમત નથી.
ગયાં વર્ષે ત્રણસો મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ એટલે કે ગટર મળ સફાઈ કામદારોનાં મોત થયા હોવાની માહિતી લોકસભામાંમળી ચૂકી છે. આ વર્ષનાં પહેલાં સાત દિવસમાં મુંબઈ અને બેંગલોરમાં એવા સાત જણ મોતને ભેટ્યા. હમણાં એપ્રિલમાં દિલ્હીમાં વળી બે. હાથ વડે બીજાનાં મળની સફાઈ પર પ્રતિબંધને લગતો ‘પ્રોહિબિશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍઝ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ ધેઅર રિહૅબિલિટેશન ઍક્ટ’ 2013થી હોવા છતાં આ મોત થતાં રહે છે. મેન્યુઅલ સ્કેવેિન્જન્ગ એટલે કર્મચારીએ માથે મેલું ઉપાડવું, બીજાઓનો મળ પોતાનાં હાથથી, ઓજાર વિના કે અપૂરતાં ઓજારથી સાફ કરવો, મોટે ભાગે તો આખું શરીર ગટરમાં ઊતારીને તેને સાફ કરવી અને આવાં તમામ કામનો સમાવેશ મેન્યુઅલ સ્કૅવેન્જિન્ગમાં થાય છે.
મૅન્યુઅલ સ્કૅવેન્જિન્ગનું નિયમન કરતો કાનૂન 1993માં આવ્યો. પણ તે પૂરતો અસરકારક ન હોવાથી તેનો વિરોધ થતાં 2013નો સુધારો આવ્યો. તે મુજબ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ તરીકેની નોકરી આપવા ઉપર અને સ્વચ્છતા માટેની વ્યવસ્થા વિનાનાં શૌચાલયો બાંધવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તદુપરાંત સલામતીનાં સાધનો વિના ગમે તેવી કટોકટીમાં પણ ખાળ કે ગટરની સફાઈ કરાવવા પર મનાઈ ફરમાવવામાં આવી. પણ આ કાયદો ગરીબોનાં સસ્તાં માનવબળના ઉપયોગને યોગ્ય ઠેરવે છે, એમ અભ્યાસીઓ યથાર્થ રીતે માને છે. વળી તેમાં સફાઈ કામ પૂરેપૂરું યંત્રોથી થાય તેની જરૂરિયાતનો કોઈ નિર્દેશ પણ નથી. ઊલટું કાયદો એ મતલબની સ્પષ્ટતા કરે છે સલામતી-સાધનો સાથે જેને મળ સફાઈનાં કામમાં રાખવામાં આવ્યા છે તે મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ગણાશે નહીં. એટલે કે ગટર કામદારને નોકરીએ રાખનાર પાલિકા, સરકારી વિભાગો કે રેલવેની જવાબદારી માત્ર સાધનો પૂરાં પાડવાની રહે છે. વળી આ નોકરીદાતાઓએ જો સફાઈ કામનો કૉન્ટ્રાક્ટ આપ્યો હોય તો તેઓ એટલી જવાબદારીમાંથી પણ છૂટી જાય છે ! સાધનોની યાદી કાનૂન બાદ અલગ બહાર પાડવામાં આવી છે. તેમાં હૅલ્મેટ, ગૅસ માસ્ક અને મૉનિટર, એરલાઇન બ્રીદીંગ ઍપેરેટસ, સર્ચ લાઇટ, સલામતી પટ્ટા અને ગૉગલ્સ, ગમ-બૂટ, ફુલ બૉડી વેડર સૂટ સહિત કુલ ચાળીસેક વસ્તુઓનો સમાવેશ થાય છે. દિલ્હી જળ નિગમના સફાઈ કર્મચારી સંગઠનના આગેવાન વેદપ્રકાશ કહે છે કે ખૂબ સલામતી આપનાર સૂટ ચાળીસેક હજાર રૂપિયાથી ઉપરનો હોય. ‘પણ અહીં સો-બસો રૂપિયા માટે ય કપડાં કાઢીને ગટરમાં ઊતરવું પડે તેવા લોકો હોય તો પેલા સૂટનું શું કરવાનું ?’ વળી સરકાર પાસે મૂલ્યહીન નેતાઓનાં સુરક્ષા કવચ માટે કરોડોની જોગવાઈ છે, પણ ગટરવાળાનાં સલામતીસૂટ માટે નથી. એને લગતા આંકડા જોવા જેવા છે : સફાઈ કામદારોની કામની પરિસ્થિતિમાં સુધારો થાય કે તેમનું પુનર્વસન થાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 2013-14માં 557 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાંથી માત્ર 35 કરોડ વપરાયા.પછીના વર્ષમાં ફાળવણી ઘટી અને વપરાશના નામે મીંડું બતાવવામાં આવ્યું. 2016-17ની ફાળવણી માત્ર 25 કરોડની છે.
ચાર વર્ષ પહેલાં ગાંધી જયંતીએ જંગી ખર્ચ અને દેખાડા સાથે હાથ ધરવામાં આવેલા ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ચાર ધ્યેયોમાંનું એક ધ્યેય હાથથી ગટર સફાઈની નાબૂદી છે. બીજાં ત્રણ છે : ખુલ્લામાં મળવિસર્જન નાબૂદી, વૈજ્ઞાનિક ઢબે ઘનકચરાનું વ્યવસ્થાપન અને જાહેર સ્વચ્છતા માટે લોકમાનસનું ઘડતર. આમાંથી સહુથી વધુ ધ્યાન યેનકેન પ્રકારેણ લાખો જાજરુ બાંધવા-બંધાવવા તરફ અપાયું છે. પણ જરૂરી પાણી અને ગટર વ્યવસ્થા થકી તેની સ્વચ્છતાની જાળવણીનું ભાગ્યે જ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે સ્વચ્છતા અભિયાન મળસફાઈના કામદારો માટે આપત્તિરૂપ બન્યું. સફાઈ કામદારો માટેની લડત માટે મેગસેસે પુરસ્કારથી સન્માનિત કર્મશીલ બઝવાડા વિલ્સન કહે છે કે આ અભિયાન ‘ટૉઇલેટ યુઝર્સ’ માટેનું છે, ‘ટૉઇલેટ ક્લીનર્સ’ માટેનું નથી.
દેશમાં મૅન્યુઅલ સ્કૅવેન્જર્સની સંખ્યા પણ હંમેશાં ચર્ચાનો મુદ્દો બને છે. સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતાના મંત્રીએ ગયા વર્ષે માર્ચમાં રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ દેશના તેર રાજ્યોમાં કુલ 12,737 મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ છે અને 26 લાખ સૂકાં સંડાસ છે. આ જ ખાતાના બીજા એક આંકડા મુજબ આ સંખ્યા 13,368 છે. બીજી બાજુ ‘સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ’ બતાવે છે કે દેશના ગામડાંમાં 1.82 લાખ પરિવારો એવાં છે કે જેમાં ઓછામાં ઓછાં એક સ્ત્રી કે પુરુષ સભ્ય ગટર સફાઈ કામદાર હોય. વળી 2011નું સેન્સસ બતાવે છે કે 21 લાખ ઘરોમાં ખુલ્લી ગટરો કે સૂકાં સંડાસ છે જે મૅન્યુઅલ સ્કૅવેન્જર જ સાફ કરે છે. દિલ્હીની ગટરોમાં 2017ના જુલાઈ,ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં 12 ગટર કામદારોનાં મોત થયાં. પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની વિગતો પ્રમાણે દેશનાં પાટનગરમાં મૅન્યુઅર સ્કૅવેન્જર્સની સંખ્યા શૂન્ય છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ 2010-17 દરમિયાન 70 સફાઈ કામદારોનાં મોત થયા. પણ ‘સફાઈ કર્મચારી આંદોલન’ મુજબ એકલા 2017માં જ 107 મોત થયાં છે.
આવાં મોતને વિલ્સન ‘કૉન્શ્યસ કિલિંન્ગ્સ’ એટલે કે સભાનપણે કરેલી હત્યાઓને સમકક્ષ ગણાવે છે. બાવન વર્ષના વિલ્સન અને તેના સાથીઓ સફાઈ ‘કામદાર આંદોલન’ થકી ગટર સફાઈ કામદારોના પ્રશ્નોને દેશભરમાં વાચા આપી રહ્યા છે. તેના ભાગ રૂપે તેમણે 2015-16માં 125 દિવસની 35 હજાર કિલોમીટરની દેશવ્યાપી ‘ભીમ યાત્રા’ કાઢી હતી. કેરાલાની સરકારે ગટર સફાઈ માટે રોબોનો ઉપયોગ શરૂ કરવાનું જાહેર કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં પૂનામાં સફાઈ કામદારોએ મહાત્મા ફુલેના જીવનકાર્ય પરનું પ્રભાવશાળી નાટક ‘સત્યશોધક’ ભજવ્યું.
ભાષા સિંહ જેવા વિરલ પત્રકાર ‘અદૃશ્ય ભારત’ નામનું હિન્દી પુસ્તક લખે છે જેમાં તે ખાસ તો ગટર કામદાર મહિલાઓનાં વીતકો લખે છે. સેનિટેશનના વિષય પર ગહન છતાં બહુ વાચનીય હિન્દી પુસ્તક ‘જલ થલ મલ’ સોપાન જોશી પાસેથી મળે છે. અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજના યુવાઓ, રંગકર્મી મૌલિક શ્રીમાળીના લેખન-દિગ્દર્શન હેઠળ ગટર-મોત વિષય પર ‘ઉર્ફે આલો’ નામનું આખું ભજવે છે. તેમાં ગટરમાં પડીને થતાં સફાઈ કામદારનાં મોતનું દૃશ્ય યાદગાર રીતે મંચ પર ભજવાય છે. ફિલ્મો અને ડૉક્યુમેન્ટરિઝ બને છે, સંગઠનો રચાય છે. પણ ‘ફિટનેસ ચૅલેન્જ’ની બાલિશતાઓમાં રાચતા આગેવાનોને દેશના સફાઈ કામદારોની ફિટનેસનો કોઈ અંદાજ ખરો ? બે દેશોના વડા પ્રધાનો મળીને જેને સેવી રહ્યા છે તે બુલેટ રેલવે લાઈન, એ સ્માર્ટ સિટી અમદાવાદથી શરૂ થાય છે કે જેની ગટરલાઈનમાં એક સફાઈ-સૈનિકની જિંદગી પૂરી થઈ ગઈ હોય.
+++++++++++++
14 જૂન 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 15 જૂન 2018