આપણા મેહુલભાઈ અને તેમના ભાણિયા નીરવ મોદી પંજાબ નેશનલ બેંકને ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને નાસી ગયા, એ પછી ભારત સરકારને અને બેન્કના સત્તાવાળાઓને જાણ થઈ હતી કે આરોપી નદારદ છે. ૧૩,૫૦૦ કરોડ રૂપિયા એ કોઈ નાની રકમ નથી. આનાથી દસ હજારમાં ભાગના આપણા પોતાના રૂપિયા હોય તો પણ આપણે દિવસરાત દેણદાર પર નજર રાખીએ કે એ નાસી ન જાય. પણ, ખેર સરકારનું અને બેન્કના અધિકારીઓ ગાફેલ રહ્યા અને મામા-ભાણેજ ભાગી ગયા. એ સિવાય તેમણે પરિવારના લોકોને એક એક કરીને રવાના કરી દીધા હતા અને કેટલાકનું તો બીજા દેશોનું નાગરિકત્વ પણ મેળવી લેવામાં આવ્યું હતું.
આમ છતાં ય ૨૦૧૯ માટે સરકારે પસંદ કરેલા નવા સૂત્ર મુજબ આપણે માની લઈએ કે એ સાફ નિયતનો મામલો હતો. એ પહેલાં ૯૫૦૦ કરોડ રૂપિયાનું કરી જનાર વિજય માલ્યા સંસદભવનમાં સેન્ટ્રલ હોલમાં કોફી પીને અને નાણાં પ્રધાન અરુણ જેટલીને મળીને નાસી ગયો, એ પણ સરકારના પક્ષે ગફલત હતી બાકી નિયત સાફ હતી. નિયત સાફ હતી એટલે તો સરકારે સંસદમાં ગળું ખોંખારીને કહ્યું હતું કે ગુનેગારોને છોડવામાં નહીં આવે. તેમને પાતાળમાંથી શોધીને પાછા લાવવામાં આવશે અને સજા કરવામાં આવશે. કાયદો તેનું કામ કરશે અને સરકાર કાયદાનું પાલન કરનારાઓને પ્રભાવિત નહીં કરે એવો દરેક વખતે કરવામાં આવે છે એવો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. ૨૪મી ફેબ્રુઆરીએ ભારત સરકારે દેશને જાણકારી આપી હતી કે નીરવ મોદીનો ભારતીય પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે. સરકારની દક્ષતા જોઇને ઘણા લોકો ગદગદ થઈ ગયા હતા.
નીરવ મોદી આ વરસની પહેલી જાન્યુઆરીએ ભાગી ગયો હતો. મામા અને પરિવારના બીજા સભ્યો એક એક કરીને રવાના થઈ ગયા હતા. પૂરા ૨૯ દિવસ પછી પંજાબ નેશનલ બેન્કે સી.બી.આઈ.ને જાણ કરી હતી કે નીરવ મોદીએ બેંક સાથે છેતરપીંડી કરી છે. એ પહેલાં ૨૩મી જાન્યુઆરીએ નીરવ મોદી દાઓસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નરેન્દ્ર મોદીની સાથે હતો અને વડા પ્રધાન સાથે ગ્રુપ ફોટોમાં પણ જોવા મળે છે. છેતરપીંડી કરીને નાસી જનારા ભાગેડુની હિંમતને દાદ દેવી કે ફૂહડ વહીવટીતંત્ર પર ફિટકાર વરસાવવો એ તમે નક્કી કરો. આપણા મહાન દેશના મહાન વડા પ્રધાનને નાસી જવાની ઘટનાના ૨૩ દિવસ પછી પણ જાણ નહોતી કે ફોટો પડાવવા જે માણસ સાથે ઊભો છે, એ દેશની બીજા ક્રમની મોટી બેંકના ૧૩,૫૦૦ કરોડ રૂપિયા લૂંટીને જતો રહ્યો છે. પણ નિયતમાં કોઈ ખોડ નહોતી, નિયત સાફ હતી. નિર્દોષપણે થતી ગફલતને તો ભગવાન પણ માફ કરે છે.
હવે જે નવી વિગતો સામે આવી છે એ સાફ નિયત વિષે શંકા પેદા કરે છે.
બ્રિટિશ સરકારે ભારત સરકારને આપેલી માહિતી મુજબ નીરવ મોદી ભારત સરકારે ઈશ્યુ કરેલા પાસપોર્ટનો ઉપયોગ કરીને બ્રિટનમાં દાખલ થયો હતો, એટલું જ નહીં, બીજા દેશોમાં પણ ફરે છે. તેણે અમેરિકા, બ્રિટન, હોંગકોંગ અને સિંગાપુરનો પ્રવાસ પણ કર્યો છે. આવું બને? ભારત સરકારે તો છેક ૨૪મી ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે એટલે તે જ્યાં ગયો છે, ત્યાંથી બીજા દેશમાં પ્રવાસ નહીં કરી શકે. તો શું ભારત સરકારે વિશ્વદેશોને અને જગતભરના વિમાનમથકોને નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે એની જાણકારી નહોતી આપી?
એમ લાગે છે કે ભારત સરકારે નીરવ મોદીના પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે, એની જાહેરાત કરી હતી, વાસ્તવમાં પાસપોર્ટ રદ નહોતો કર્યો. અમેરિકા, બ્રિટન, હોંગકોંગ અને સિંગાપુર એ ઉત્તર કોરિયા કે સીરિયા જેવા મુફલીસ દેશો નથી. ત્યાંના વસાહતી વિભાગો અને વિમાનમથકોના કર્મચારીઓ ઝીણી નજરે ચકાસણી કરતા હોય છે. ઘડીભર આપણે માની લઈએ કે ભારત સરકારની એડવાઇઝરી તરફ સંબંધિત દેશના સંબંધિત અધિકારીનું ધ્યાન નહોતું ગયું અને ભૂલમાં વિઝા ઈશ્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ ચારે ય દેશોમાં આવું બને? એક જગ્યાએ ભૂલ થાય, દરેક જગ્યાએ એક સરખી ભૂલ થાય?
બીજું, ભારત સરકારે હવે રહી રહીને નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસો બહાર પાડી છે. એ પણ એટલા માટે કે સરકાર પાસે કોઈ છૂટકો નહોતો. નીરવ મોદી લંડનમાં નજરે પડ્યો એટલે ઊહાપોહ થયો. ઊહાપોહ થયો એટલે ભારત સરકારે તે ભારતનો ગુનેગાર હોવાની રજૂઆત કરી. આવી રજૂઆત કરવામાં આવી એટલે બ્રિટિશ સરકારે અને ઇન્ટરપોલે ભારત સરકારને સત્તાવાર જાણકારી આપી કે તમારો ગુનેગાર તો તમારો પાસપોર્ટ વાપરીને લંડનમાં આવ્યો છે અને દુનિયાના દેશોમાં ફરી રહ્યો છે. ઇન્ટરપોલે એમ પણ જણાવ્યું કે ભારતના આરોપી નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ પણ નથી. હવે ભારત સરકાર પાસે રેડ કોર્નર નોટિસ બહાર પાડવી અનિવાર્ય બની ગઈ.
સૌજન્ય : ‘કારણ તારણ’, “ગુજરાતી મિડ-ડે”, 16 જૂન 2018