ગુજરાતના દલિત કાર્યકર ભાનુભાઈ વણકરે પાટણમાં આત્મવિલોપન કર્યું એ પછી ગુજરાતનો સામાજિક ચહેરો ફરી એક વાર સામે આવ્યો છે અને એ ચહેરો ગૌરવ લેવા જેવો નથી, શરમાવા જેવો છે.
ભાનુભાઈ વણકર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા હતા અને દલિતોના અધિકારની જમીન દલિતોના નામે કરવામાં આવે એ માટે સંઘર્ષ કરતા હતા. અનેક નિવેદનો-આવેદનો છતાં પાટણમાં વહીવટી તંત્ર બધિર હતું અને જમીન નામે ચડાવી આપતું નહોતું. ભાનુભાઈએ આત્મવિલોપન જેવું અંતિમ પગલું ભરવાની નોટિસ આપ્યા છતાં, સત્તાવાળાઓ પર એની કોઈ અસર થઈ નહોતી. હદ તો ત્યારે થઈ હતી જ્યારે ભાનુભાઈએ આત્મવિલોપન કર્યું એ પછી સરકારે દલિતોના ગુસ્સાને શાંત પાડવાને બદલે કાયદો અને વ્યવસ્થાના નામે દલિત આગેવાનોની ધરપકડ કરી હતી. ગુજરાત સરકારની સાન જ્યારે ઠેકાણે આવી ત્યાં સુધીમાં આબરૂનું નુકસાન થઈ ચૂક્યું હતું. સાન ઠેકાણે એટલા માટે આવી હતી કે દલિતોનો ગુસ્સો ધારવા કરતાં વધુ પ્રગટ થયેલો જોવા મળ્યો હતો અને સરકાર ડરી ગઈ હતી.
ખરું પૂછો તો ગુજરાત માનવીય ગૌરવ અને સમાનતા આધારિત માનવીય સંબંધોની બાબતે ક્યારે ય બહુ મોટી આબરૂ ધરાવતું નહોતું અને આજે પણ ધરાવતું નથી. ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દલિતોને આપવામાં આવતી અનામતની જોગવાઈનો વિરોધ કરવા પાંચ વર્ષમાં બે વખત હિંસક આંદોલનો થયાં હતાં. પહેલું આંદોલન ૧૯૮૧માં થયું હતું અને બીજું ૧૯૮૫માં. વિચિત્ર વાત એ છે કે જે લોકો ત્યારે દલિતોને આપવામાં આવતા અનામતનો વિરોધ કરતા હતા તેઓ આજે પોતાને અન્ય પછાત જ્ઞાતિ તરીકે ઓળખાવીને અનામતનો લાભ માગી રહ્યા છે. બીજી નોંધનીય વાત એ છે કે ૧૯૮૧ અને ૧૯૮૫ના દલિતવિરોધી અંદોલનની પાછળ જે રાજકીય પક્ષનો હાથ હતો અને એનો લાભાર્થી હતો એ આજે ગુજરાતમાં સત્તામાં છે અને આંદોલનકર્તા સમાજ એની સામે પડ્યો છે. વાસ્તવમાં ગયા વર્ષનું પટેલોનું અનામત માટેનું આંદોલન અનામતની જોગવાઈ મેળવવા માટેનું નહોતું, અનામતને ખતમ કરવા માટેનું હતું. આમ અનામતની માગણી કરતું પટેલોનું આંદોલન વાસ્તવમાં અનામતવિરોધી ત્રીજું અંદોલન હતું. ભારતમાં આવો ગૌરવવંતો ઇતિહાસ એક માત્ર ગુજરાત રાજ્ય ધરાવે છે.
દલિતો સામેનો પૂર્વગ્રહ ગુજરાતમાં સદીઓ જૂનો છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના અહેવાલ મુજબ દલિતો સામેના અત્યાચારમાં ગુજરાત દેશમાં પાંચમો ક્રમ ધરાવે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઈવન ગોવા દલિતો સામેના અત્યાચારમાં અગ્રેસર છે અને એ તમામ ભારતીય જનતા પાર્ટી (B.J.P.) શાસિત રાજ્યો છે. N.C.R.B.ના આંકડા મુજબ દેશમાં ૨૦૧૫ની તુલનાએ ૨૦૧૬માં દલિતો સાથેના અત્યાચારમાં ૫.૫ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં દલિતો સામેના અત્યાચારની ૨૦૧૫માં ૧,૦૯૪ ઘટનાઓ બની હતી જેમાં ૨૦૧૬માં વધારો થઈને ૧,૩૨૨ ઘટનાઓ થઈ હતી. આમ ગુજરાત દલિતો સામેના અત્યાચારોમાં અગ્રેસર રાજ્યોમાંનું એક છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછીથી દલિતો સાથેના અત્યાચારમાં ૫.૫ ટકાનો વધારો થયો છે એ આંખ ઉઘાડનારી બાબત છે અને શોષિતોની આંખ હવે ઊઘડવા પણ લાગી છે. જે રાજ્યોમાં દલિતો સાથે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ પ્રમાણમાં અત્યાચાર થઈ રહ્યા છે એ B.J.P. શાસિત રાજ્યો છે એ યોગાનુયોગ નથી. વાત એમ છે કે સરેરાશ હિન્દુત્વવાદી બ્રાહ્મણી માનસિકતા ધરાવે છે. તે જ્યારે હિન્દુ સાંસ્કૃિતક રાષ્ટ્રનો અર્ક અથવા મૂળ તત્વ (ઇથોસ) શોધવા નીકળે છે ત્યારે એ બ્રાહ્મણોએ વિકસાવેલી પૃથક હિન્દુ અસ્મિતા સુધી પહોંચી જાય છે જેના કેન્દ્રમાં બ્રાહ્મણ પોતે છે એટલે સ્વાભાવિકપણે એમાં અસમાનતા અને ઊંચનીચતા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૯૦ વર્ષ પછી પણ સર્વસમાવેશક હિન્દુ સાંસ્કૃિતક અસ્મિતા વિકસાવી શક્યો નથી એ એની કાં તો બૌદ્ધિક નાદારી છે અથવા બેઈમાની છે.
હિન્દુ સાંસ્કૃિતક રાષ્ટ્રની વ્યાખ્યા વિનાનો અથવા એની અધૂરી ફૂહડ પ્રકારની વ્યાખ્યાનો ૯ દાયકાનો ઇતિહાસ છે એટલે એ પરિવાર જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તામાં આવે ત્યારે દલિતો અને મુસ્લિમો સાથેના અત્યાચારમાં વધારો ન થાય તો બીજું શું થાય? કૅડર આને માટે જવાબદાર નથી. સ્વયંસેવકોને અને બીજા હિન્દુત્વવાદીઓને બિચારાઓને ખબર જ નથી કે સત્તામાં આવ્યા પછી હિન્દુ રાષ્ટ્રને સાકાર કરવાનો એજન્ડા શું છે? આગળ કહ્યું એમ, ગૌબ્રાહ્મણ પ્રતિપાલક બ્રાહ્મણી પૃથકતાને તેઓ હિન્દુ સંસ્કૃિત સમજે છે એટલે દલિતો જ્યારે અધિકારની માગણી કરે છે ત્યારે તેઓ એની સાથે અત્યાચાર કરે છે. સંઘપરિવારે બેમાંથી એક કામ કરવું જોઈએ. કાં તો એણે ગૌબ્રાહ્મણ પ્રતિપાલક બ્રાહ્મણી પૃથકતાને શરમાયા કે ઢોંગ કર્યા વિના પ્રામાણિકપણે હિન્દુ સાંસ્કૃિતક રાષ્ટ્રના અર્ક તરીકે જાહેરમાં સ્વીકાર કરવો જોઈએ અથવા કબૂલ કરવું જોઈએ કે હજી સુધી તેઓ સર્વસમાવેશક હિન્દુ સાંસ્કૃિતક રાષ્ટ્રનો ગાભો શોધી શક્યા નથી એટલે સ્વયંસેવકો રાહ જુએ.
નબળા વિદ્યાર્થીને ભણવામાં વાર લાગે. વિદ્યાર્થી જો નબળો પણ પ્રામાણિક હોય તો તે હોશિયાર વિદ્યાર્થીની મદદ લઈને જવાબ મેળવી લેતો હોય છે. ૧૯મી અને ૨૦મી સદીમાં સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે જેવા અનેક (અનેક એટલે લગભગ ૧૦૦) હોશિયાર વિદ્યાર્થીઓ આનો જવાબ આપતા ગયા છે; પરંતુ એ સનાતની હિન્દુ માનસને માફક આવે એવા નથી. ટૂંકમાં કહીએ તો સ્થિતિ એવી છે કે પોતાની કોઈ વ્યાખ્યા નથી. જો છે તો એની જાહેરમાં સ્પષ્ટતા કરવામાં આવતી નથી. પૂર્વસૂરિઓએ કરેલી વ્યાખ્યા પ્રામાણિકતાપૂર્વક અને સંપૂર્ણપણે સ્વીકારવી નથી. હવે કહો કે આ સ્થિતિમાં સંઘપરિવારની ઘટક B.J.P. સત્તામાં આવે ત્યારે દિશાહીન કૅડર ધોલધપાટ કરવા સિવાય બીજું શું કરે? એ ગરીબડાઓને ખબર જ નથી કે કરવાનું શું?
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દલિતો સાથેના અત્યાચારોમાં ૫.૫ ટકાનો વધારો થયો છે એની શું વડા પ્રધાનને જાણ નથી? સરકારી આંકડા છે એ કોઈ સેક્યુલરિસ્ટોએ પેદા કરેલા આંકડા નથી. એમાં પણ B.J.P. શાસિત રાજ્યોમાં અત્યાચારોનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે એની તેમને જાણ નથી? એવું શું છે કે ગેર B.J.P. શાસિત રાજ્યોમાં દલિતો સાથેના અત્યાચારનું પ્રમાણ ઓછું છે? ક્યાંક તો કોઈક સંબંધ B.J.P.ના શાસનનો દલિતો સામેના વધતા અત્યાચારો સાથે છે એવો સાદો પ્રશ્ન પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં ઊપજતો નથી? એવું બને ખરું? સાધારણ બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા માણસના મનમાં પણ આ પ્રશ્ન જાગે.
તો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ચૂપ કેમ છે? પાણી માપવામાં આવી રહ્યું છે. પૃથકતાગ્રસ્ત સનાતની બ્રાહ્મણી હિન્દુ સાંસ્કૃિતક રાષ્ટ્રનાં પાણી કેટલાં ઊંડાં છે એ માપવામાં આવી રહ્યું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 ફેબ્રુઆરી 2018