રવિશંકર રાવળે ચિત્ર, લલિતકલાઓ અને સાહિત્ય દ્વારા ગુજરાતની પ્રજામાં સામાજિક-સાંસ્કૃિતક મૂલ્યોનું ઘડતર-સંવર્ધન થાય તે હેતુથી ‘કુમાર’ માસિક શરૂ કર્યું. સમાંતરે એમની ચિત્રસાધના અવિરત ચાલુ રહી. રવિશંકરભાઈની કલાસાધના અને ‘કુમાર’ના વાચનથી પ્રેરાઈને પછી તો એમની અનુગામી પેઢીના તે સમયના અનેક યુવાનો નટુ પરીખ, એસ્થર ડૅવિડ, ગુલામમહંમદ શેખ અને અન્ય યુવાનો ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય જેવી લલિતકલાઓમાં સતત સાધનારત રહીને રવિશંકર રાવળની આ ઉજ્જ્વળ પરંપરાનું પ્રગતિશીલ અનુસંધાન બન્યાં.
રવિશંકર રાવળની આ પ્રેરક કલાસાધના તેમ જ શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર અંગેનો સંઘર્ષ ચિરસ્મરણીય રહે એવા ઉમદા હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદે શરૂ કરેલી રવિશંકર રાવળ સ્મૃિત – વ્યાખ્યાનમાળા ખરેખર એક અભિનંદનીય ઘટના છે.
આ જ સ્મૃિત વ્યાખ્યાનમાળાના એક તેજોમય મણકારૂપ વ્યાખ્યાનની અવિસ્મરણીય ઘટના એટલે સુવિખ્યાત સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ ૨૬મી જાન્યુઆરીના દિવસે પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં સાંજે ૬-૦૦ વાગે આપેલું વ્યાખ્યાન, જેનો વિષય હતો ‘Porosity, Paradox, Practice My Journey.’ સ્થપતિ તરીકે એમના જીવનનો પુરુષાર્થ એટલે અમેરિકન ફ્રૅન્ચ સ્થપતિઓ અનુક્રમે લૂઇ કહાન અને લૂઇ કાર્બેઝ પાસેથી મેળવેલા શિક્ષણને વ્યાપક દૃષ્ટિકોણથી નિષ્ઠાપૂર્વક પ્રયોગાન્વિત કરવાની પ્રક્રિયા, આ પ્રક્રિયા દ્વારા દોશીસાહેબ તે સમજ ઉપર પહોંચ્યા કે વિકાસપોષક જીવનશૈલીને અનુકૂળ જે કાંઈ સાધનો-સગવડોની કાયમી ધોરણે જરૂર હોય, જેમાં સામાજિક-સાંસ્કૃિતક પરંપરાઓ સાથેના સંદર્ભો પણ વણાઈ જતા હોય, તદુપરાંત માણસના વ્યક્તિગત જીવનની ખાસિયતો ઉપર પણ લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું હોય, હવાઉજાસ અને મુક્ત પ્રાકૃતિક વાતાવરણને પણ અવકાશ રહે તે પ્રકારનાં ઘરો, ઉપરાંત શાળા-કૉલેજ, કંપનીઓ તેમ જ સંસ્થાઓનાં મકાનો હોવાં જોઈએ.
આ અંગેનાં સરસ ઉદાહરણો તરીકે એમણે મંચ પર ગોઠવેલા મોટા સ્ક્રીન પર અમદાવાદની પોળોનાં મકાનો દર્શાવ્યાં હતાં. જેમાં પોળોની રચના તરીકે એમાંનાં રસ્તાઓ, ચોકઠાં એમાંનાં વૃક્ષો, આમાંથી જીવંત થતી નગરસંસ્કૃિત અને શહેરની પોળોના આ રચનાત્મક સર્જન પાછળનો ઘણાં વર્ષો જૂના સ્થપતિઓનો અને દોશીસાહેબનો પણ સ્થાપત્યને સુસંગત વિશાળ સામાજિક-સાંસ્કૃિતક દૃષ્ટિકોણ જોઈને-જાણીને સાહિત્યકારો, સાહિત્યરસિકો સાથે મને પણ આશ્ચર્ય અને આનંદની રોમાંચક અનુભૂતિ થઈ. દોશીસાહેબે ત્યાર બાદ નગરજીવનની આ પ્રાચીન સ્થાપત્યપ્રિય સભ્યતામાં ઉપસ્થિત સૌને ફેરવ્યા પછી એમના ર્ક્તૃત્વના સુભગ પરિણામ સ્વરૂપે સ્થાપિત થયેલી અને આધુનિક નગરવિકાસની એંધાણી આપતી અનેક જાણીતાં મકાનોની સ્થાપત્યસૃષ્ટિમાં અમને બધાને સફર કરાવી. આ મકાનોમાં પોતાનું ઘર, પોતાની ઑફિસ, સેપ્ટ યુનિવર્સિટી પાસેની ગુફા, આઈ.આઈ.એમ., પ્રેમાભાઈ હૉલ, આ તમામનાં સ્થાપત્યનો ખ્યાલ આપવા સાથે આ બધા અંગેના પોતાના કાર્યાનુભવો પણ કહ્યા.
તે બધું જોઈ-સાંભળીને જૂનું કે નવું, દેશ કે વિદેશ, અનુક્રમે આ તમામ અંગેના કશા જ પક્ષપાત-પૂર્વગ્રહ વિના, સીમાડાઓનાં બંધન વિનાની એમની ખુલ્લી ઊંડી અને ઉદાર એવી સ્થાપત્યકલાની મને દૃષ્ટિ અને સમાજનિષ્ઠ, લલિતકલા ઉપરાંત સાહિત્યરસથી ભીંજાતા એક કસાયેલા સંઘર્ષશીલ સ્થાપત્યકાર તરીકેના એમના ભવ્ય વ્યક્તિત્વના દર્શન થયા. આ પ્રકારના વ્યક્તિત્વને ચાર ચાંદ લગાડે એવી ઘટના સ્થાપત્યશિક્ષક તરીકેની એમની કારકિર્દીને લગતી હતી શરૂઆતમાં વિદ્યાર્થી ભાઈબહેનોનું કાર્ય જોયા-ચકાસ્યા પછી નાપાસ કરીને નારાજ કરનારા અને તે પછી વર્ગમાં ન જોતા એમની પાસે જઈને એમની નારાજગી જાણનારા – ‘તમને પસંદ એવું મારે કેવી રીતે સ્થાપત્ય શીખવવું તે તમે મને શીખવો’ – એમ કહેનારા આ બાલકૃષ્ણ દોશી વિદ્યાર્થીઓ પાસેથી તે શીખ પામીને સ્થાપત્યના શિક્ષક તરીકે અનુગામી પેઢીને ઘડીને એમનામાં કાબેલિયતનો કસબ કેળવવાની પણ શિક્ષક તરીકે સ્થાપત્યકલા અનુભવ અને મહાવરા દ્વારા સિદ્ધ કરીને વિદ્યાર્થીઓનો ભરપૂર પ્રેમ અને આદર જીતી લીધો.
કાલુપુર, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 18 ફેબ્રુઆરી 2018; પૃ. 13