Opinion Magazine
Number of visits: 9447599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થકારણ વિ. અનર્થકારણથી હટીને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 September 2017

મોટા દઈતવાદના ધોરણે ઢેકો કાઢતો રાષ્ટૃવાદ કથિત વિકાસને કારણે થતા વંચિતોની સંભાળ સારુ થોભતો નથી.

ઊગતા સૂર્યના દેશથી આવેલ સર્વોચ્ચ મુલાકાતી અને આપણે ત્યાંનો ઊગતો, ઊગી ચૂકેલો દીસતો સૂર્ય : બબ્બે સૂરજના અંજાપે અને એથી સ્તો આપણા અધધ અંધાપે આ પોસ્ટ-ટ્રુથ સોસાયટીમાં કિયું સત્ય ઋતની સાખે સંભારવું, કિયું ન સંભારવું અંજાપેઅંધાપે અને ઘોર ઘોંઘાટે, કહો કે આક્રાન્ત અપહૃત અને બલાત્કૃત વિમર્શના આ દિવસોમાં અને આ રાતોમાં લગરીક અજવાળું બની ઝબકતા અવાજો અને મૂંગે મૂંગે પણ અવાજ રૂપ બની રહેતાં અજવાળાં, જેમ કે ગૌરી લંકેશ પ્રકરણ … બને કે એમાંથી કંઈકે વારણ અને કંઈકે હૈયાધારણ મળી રહે.

આ લખું છું ત્યારે કેમ જાણે ‘કહાની મેં ટિ્‌વસ્ટ’ જેવી, ક્‌વચિત્‌ બેસ્વાદ જેવી લાગણી પણ નીંભર વર્તુળોની કૃપાએ અનુભવું છું. રાજ્ય સરકારોને હલાવી શકનાર પુરુષાર્થી પત્રકાર પિતા લંકેશની પુત્રી પેઈજ થ્રીથી માંડીને બીજા સગવડિયા ને ટંકશાળી વિકલ્પોવાળી દૈનિક પત્રકારિતા છાંડીને પિતૃતર્પણની લડાકુ પત્રકારિતામાં સક્રિય બન્યાં એ કર્ણાટકના જાહેર જીવનની એક ખુશકિસમતી હતી.

પાંચમી સપ્ટેમ્બરે ગૌરીની નિર્ઘૃણ હત્યાના સમાચાર મળ્યા ત્યારે સ્વાભાવિક જ દાભોલકર, પાનસરે, કલબુર્ગી એ આખો સિલસિલો સાંભરી આવ્યો અને જે વિચારધારાથી સેવાયેલી માનસિકતાનો એક હિસ્સો એ સૌમાં નિમિત્ત મનાય છે તેની જવાબદારી આ કિસ્સામાંયે હોઈ શકે એવા પ્રાથમિક પ્રતિભાવને અવશ્ય અવકાશ હતો. તે પછી, હમણેના દિવસોમાં કલબુર્ગીની હત્યામાં વપરાઈ હતી એ જ સામગ્રી અહીં પણ સંયોજાયાના હેવાલો આવ્યા છે. ઉલટ પક્ષે, આરંભના દિવસોમાં જ કુટુંબના કોઈક છેડેથી આ નકસલ ચેષ્ટા હોવાનોયે ઇશારો થયો હતો. જ્યાંથી ઇશારો આવ્યો હતો તે ભાજપ સાથે કશીક ગોઠવણની ફિરાકમાં હોવાનું અનુમાન પણ વાંસોવાંસ ચાલી આવ્યું હતું. ગૌરીની કીર્તિદા કામગીરીમાં નકસલ મિત્રોને મુખ્ય ધારામાં થાળે પાડવાની કોશિશનો ય સમાવેશ થતો હતો એ જોતાં એની હત્યામાં નકસલ સંડોવણીની થિયરી એક પા પેલી શંકાસ્પદ માનસિકતા બાબતે એસ્કેપ રુટની સગવડ પૂરી પાડે છે તો કથિત નકસલ અભિગમ વિશે સવાલો પણ જગવે છે.

જ્યાં સુધી સંઘર્ષ અને રચનાની રાજનીતિ અગર લોકનીતિને વરેલી અને એ નાતે વહેમજવન સામે પણ ઝૂઝતી પત્રકારિતાનો સવાલ છે, સ્થાપિત માત્રને એને અંગે અસુખ હોવાનું, હોવાનું અને હોવાનું. દાભોલકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશને એ રીતે ચોક્કસ જ એવા એક નિશાની દાયરામાં મુકાય છે જેમાં વીતેલી અને આવનારી સદીઓના શલાકાપુરુષ ગાંધી હતા. આ પ્રકારની વિચારધારાકીય માનસિકતામાં અને નકસલ મનોવલણોમાં હત્યાને ધર્મ્ય માનવી એ એક વિવાદાતીત બાબત બની રહે છે. આતતાયીવધનું એક કથિત ધર્મશાસ્ત્રસંમત લૉજિક પણ એમાં ઉપયોગી થઈ પડે છે, અને પછી જેમ કંસવધ તેમ ગાંધીવધ એવું સમીકરણ સરળતાથી સ્થાપિત પણ થઈ જાય છે. આ ‘વધ’ પરિભાષા નકસલ વર્તુળોમાં પણ એમની તરેહના વિચારસંપ્રદાયની રીતે ગ્રાહ્ય બની રહે છે, જેમ ફ્રેન્ચ ક્રાન્તિ સંદર્ભે રોબેસ્પિયરની એ ઉક્તિ મશહૂર છે કે ‘અવર્સ ઈઝ અ ટિરની ઑફ લિબર્ટી’ (હા, અમે આપખુદ જુલમશાહી ચલાવીએ છીએ પણ આ આપખુદી ‘સ્વતંત્રતા’ની – સ્વતંત્રતાને નામે – છે.)

ગમે તેમ પણ, તમે જુઓ કે શોષણમુક્તિ માટેના સંગ્રામની હોઈ શકતી નકસલ ભૂમિકા બાબતે ગૌરી સહિત કોઈને પણ તાત્ત્વિક કદરબૂજ ન હોવાને કારણ નથી. પણ આ સંગ્રામને તેઓ ચાલુ પ્રવાહમાં રહીને લોકશાહી રાહે લડી શકે તે ઇષ્ટ અને સલાહભર્યું લાગે છે. ખુલ્લા લોકશાહી માર્ગે પળનાર નકસલને ગુપ્તતાવાદી હિંસ્ર નકસલો પોતાનાથી છૂટા પડેલા એક ‘રેનેગેડ’ તરીકે જુએ અને આવા ‘રેનેગેડ’ને સુવિધા આપનાર ગૌરી લંકેશમાં સ્પર્ધી કે શત્રુ જુએ તેવું ન જ બની શકે એવું નથી. માત્ર, હમણે સુધીના ઘટનાક્રમના ઉજાસમાં આ એક દૂરાકૃષ્ટ એવી થિયરી લાગે છે.

હત્યાની જવાબદારી આ બેમાંથી કોની (અગર તો તપાસને અવળે પાટે ચડાવવા માટે કોઈક ક્ષુલ્લક કારણ આગળ ધરાય તો તેની પણ) ચર્ચાને અવશ્ય અવકાશ છે. પણ આ ક્ષણે એમાં અધિક નહીં ખેંચાતાં વિમર્શ-સફાઈની દૃષ્ટિએ જે એક બુનિયાદી મુદ્દો કરવો રહે છે તે હિંસા-અહિંસા વિષયક છે. ડાબેરી ઇતિહાસકાર બિપનચંદ્રની એ એક મૂલગ્રાહી નિરીક્ષા સંભારવાનું અહીં બનતું રહ્યું છે કે ભગતસિંહ લાંબું જીવ્યા હોત તો તે ગાંધીવાદી તરીકે ઊભર્યા હોત. અલબત્ત, એમના માર્ક્‌સીય વિચારવલણો ઠીક ઠીક યથાવત્‌ હોત, પણ તે ધોરણે સંઘર્ષ માટેની પદ્ધતિમાં એમને લાંબે ગાળે ગાંધીની પદ્ધતિની ઉપયોગિતા વસી હોત, એ અર્થમાં તે ગાંધીવાદી હોત.

નહીં કે અહીં આ ચર્ચામાં વધુ ઊંડા ઊતરવાનો કે આગળ જવાનો ખ્યાલ છે. માત્ર, જેમ કોઈ કૂતરાને હડકાયું જાહેર કરવાથી એને મારી નાખવાનો પથ બેહિચક પ્રશસ્ત થઈ જાય છે તેમ સામેવાળાને, દાખલા તરીકે, તે ‘રાષ્ટ્રવિરોધી’ છે એવો થપ્પો મારી એની હત્યાને વિશે સ્વીકૃતિ  બલકે ‘લૅજિટિમસી’નો માહોલ બનાવાય છે. ચોક્કસ સંજોગોમાં તેને ‘ગણશત્રુ’ કહીને પણ આવી લૅજિટિમસી રળી શકાય. ડાબેરી સરકાર  હસ્તક નંદીગ્રામમાં જે બન્યું એને હમણાં જ જ્ઞાનપીઠ પુરસ્કૃત શંખ ઘોષે અસંદિગ્ધ શબ્દોમાં વખોડી કાઢ્યું હતું – અને એ વખોડવામાં એમને પોતાનાં ડાબેરી વિચારવલણો આડે નહોતાં આવ્યાં એ સમજવા જેવું છે. રાષ્ટ્રવાદી ભાવનાઓમાં રમવું કે પ્રગતિશીલ માનવતામાં રાચવું, તે સુધ્ધાં એક વિવેક માગી લે છે. હત્યાનું રાજકારણ ધર્મ્ય લાગે એ પ્રકારની લેજિટિમસી એ રચનામૂલક સંઘર્ષની દૃષ્ટિએ પથ્ય નથી તે નથી.

આરંભે અંજાપાઅંધાપાની (કે પછી કાનના સંદર્ભમાં કહીએ તો બધિરતાની) જે જિકર કરી એમાં જગાડવા ઝંઝેડવા ઝકઝોરવાની રીતે ગૌરી જેવી શહાદતો વિપળવાર પણ વહેલી નથી. મા નર્મદાનાં ઉજવણાં અને રિવરફ્રન્ટની રમણભૂમિ પરના ધૂમધડાકા વચ્ચે નર્મદાના દાવાઓની વાસ્તવિકતા ક્યાં ય ડૂબી જાય છે, એને કારણે થયેલાં વંચિતોના ડૂસકાં ક્યાં ય દબાઈ જાય છે. મોટા દઈતવાદના ધોરણે ઢેકો કાઢતો રાષ્ટ્રવાદ કથિત વિકાસને કારણે થતા વંચિતોની સંભાળ સારુ સ્વાભાવિક જ થોભતો નથી. અર્થકારણ વિ. અનર્થકારણ જેવી બુનિયાદી પરિપૃચ્છાથી ઉફરાટે બુલેટ ટ્રેન એક વિશ્વસત્તા અને વિશ્વનેતાના પ્રતીક તરીકે એનાં ખાણદાણ સારુ ખપ આવી શકે છે. સ્ટેચ્યુ ઑફ લિબર્ટીને ઊંચાઈમાં પાછળ મૂકતી સૂચિત સરદાર પ્રતિમાના કીર્તિકળશની પૂંઠે, પછીતે અને પુરાણમાં પ્રજાનાં વાસ્તવિક સુખદુઃખના સવાલો ઢંકાઈધરબાઈ જાય છે. તમારાં વાસ્તવિક સુખદુઃખ છો માર્યાં ફરતાં, રોશનીના અંધાપે જે સાક્ષાત્‌ સ્વર્ગાનુભવ કરો છો તે ઓછો છે? આનંદો.

સૌજન્ય : ‘બુલેટ-ગતિ’, “દિવ્ય ભાસ્કર”, 16 સપ્ટેમ્બર 2017

Loading

16 September 2017 admin
← Discovery of Another India
અંગત એજન્ડા માટે વિદેશી મહેમાનોનો રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved