પૂરગ્રસ્ત લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણોમાં પણ તળિયાઝાટક ફેરફારો કરવાની જરૂર છે
હજુ તો ભાદરવો અધવાર્યો છે ને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં સો ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. દેશના અડધા ભાગમાં પૂરનું સંકટ ઊભું થયું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળમાં પણ જળપ્રલયની સ્થિતિ ઊભી થઈ. દક્ષિણ એશિયામાં 4.2 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. સમૃદ્ધ દેશ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં વાવાઝોડા પછીના ભારે વરસાદથી ભારે ખાનાખરાબી થઈ છે. તો પૂર્વ આફ્રિકાના કેન્યા, સોમાલિયા, ઈથોપિયા, તાન્ઝાનિયા અને યુગાન્ડામાં વરસાદના અભાવે અનાજપાણીનું સંકટ ઊભું થયું છે.
ભારતમાં બિહાર, અસમ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક ભારે વરસાદ અને પૂરથી સવિશેષ અસરગ્રસ્ત છે. દેશની લગભગ અડધી વસ્તી અલ્પ સમય માટે તો આશરે દસ કરોડ લોકો લાંબા ગાળા માટે પૂરથી ભારે પ્રભાવિત થયા છે. ઓગસ્ટના અંત સુધીમાં બિહારમાં 514, ગુજરાતમાં 247, અસમમાં 157, ઉત્તર પ્રદેશમાં 103, અરુણાચલમાં 48, મણિપુરમાં 22 અને નાગાલેન્ડમાં 19 લોકોનાં મોત થયાનું સત્તાવાર રીતે કહેવાયું છે. લાખો લોકો ઘરબાર વગરના થયાં છે, ખેતીને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
બિહાર માટે પૂર વરસોવરસ સર્જાતી તારાજી અને તબાહીની જાણે કે વાર્ષિક ઘટના છે. એક અંદાજ મુજબ બિહારની 76 ટકા વસ્તી પૂર અસરગ્રસ્ત મનાય છે. આ વરસે પણ સત્તાની સાઠમારીના દિવસોમાં રાજ્યની સામાન્ય પ્રજા પૂરનો માર સહન કરી રહી હતી. કોસી નદી એના કાંઠે વસનારા માટે દેવી અને ડાકણ બંને છે. કોસીનું પૂર એટલું ભયાનક હોય છે અને તે એટલી મોટી તબાહી સર્જે છે કે મૈથિલી ભાષામાં તો ‘ભલે વર કાના જેવો હોય તો પણ મા મને તું કોસી કાંઠે ન પરણાવતી’, એવી કન્યાના મુખે માબાપને થતી વિનવણીની કહેતી પ્રચલિત છે. કોસી કાંઠાના ગરીબો પૂરનો માર સહન કરીને ફરી બેઠા જ થઈ શકતા નથી.
બિહારમાં આવતા પૂરનાં કારણોમાં, નેપાળમાંથી બિહારમાં વહેતી કોસી નદી તેમ બંગાળનો ગંગા નદી પરનો ફરક્કા બેરેજ મનાય છે. ગત વરસે તો રાજ્યના મુખ્યમંત્રી નીતીશ કુમારે ફરક્કા બંધ તોડી નાખવા અને બિહારને પૂરથી કાયમી ઉગારી લેવા માગણી કરી હતી. તેના લીધે ગંગામાં મોટા પ્રમાણમાં કાંપ જમા થઈ ગયો છે. તેનાથી ગંગાનો પ્રવાહ ધીમો પડી ગયાનું, વહેણ પહોળું અને પાણી છીછરું થઈ ગયાનું કહેવાય છે. મુખ્યપ્રધાને રાષ્ટ્રીય કાંપ નીતિ ઘડવા અને ફરક્કાનો કાંપ દૂર કરવા પણ માગણી કરી હતી.
એકંદરે નપાણિયો મનાતો ગુજરાતનો બનાસકાંઠા અને પાટણ વિસ્તાર આ વખતે જુલાઈના ભારે વરસાદથી પાણીપાણી થઈ ગયો હતો. સામાન્ય કરતાં અતિ ભારે વરસાદે તો મુશ્કેલી સર્જી જ હતી, પણ બનાસકાંઠાના ધાનેરા અને બીજે જે મોટી જાનહાનિ થઈ તેના મૂળમાં રાજસ્થાનનો જૈતપુરા બંધ ઓવરફ્લો થવો અને બંધના દરવાજા ન ખોલ્યાનું કારણ મનાય છે. દાંતીવાડા અને સીપુ બંધમાં ખૂબ પાણી જમા થયાં બાદ અચાનક છોડવું, નર્મદાની નહેરોમાં ગાબડાં અને પાળા તૂટવા, કેટલેક ઠેકાણે પૂરની જાણ થયા બાદ સલામત સ્થળે જવા પૂરતો સમય ન મળ્યાના કારણે પણ લોકોને હાલાકી વેઠવી પડી છે. વડાપ્રધાને રાષ્ટ્રપ્રમુખની સોગંદવિધિ આટોપીને ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું તેના પરથી સ્થિતિની ગંભીરતા પરખાઈ હતી. પરંતુ ચૂંટણીવરસમાં નબળા વિપક્ષ અને રાજ્યસભા ચૂંટણીની ચડસાચડસીમાં રાજ્ય સરકાર પોતાની ભૂલો ઢાંકવામાં સફળ થઈ.
ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્તોની થોડી તસવીરો છપાય, થોડી સંવેદનાસભર કહાનીઓ દેખાડાય, ટૂંકા અને લાંબાગાળાના પગલાંની ઠાલી જાહેરાતો થાય ને એટલામાં તો પૂરના પાણી ઓસરે તેના કરતાં વધુ ઝડપે તેની અસર ઓગળી જાય છે. જેમ બિહારના પૂરના મૂળમાં પાડોશી દેશ નેપાળ કે રાજ્ય બંગાળ કારણભૂત છે તેમ ગુજરાતમાં રાજસ્થાનનો બંધ જવાબદાર છે. પણ રાજ્યો કે દેશ વચ્ચે આ બાબતમાં કોઈ સંકલન ઊભું થઈ શકતું નથી. તેથી દર વરસે તબાહીની કથાઓ દોહરાયા કરે છે.
પૂરગ્રસ્ત રાજ્યો અને લોકોને અપાતી સહાય અને રાહતનાં ધોરણો પણ તળિયાઝાટક ફેરફારો માગે છે. હવાઈ નિરીક્ષણો પછી વડાપ્રધાને ગુજરાત અને બિહાર બેઉને એકસરખી 500 કરોડની કેન્દ્રીય સહાયની ઘોષણા કરી હતી. ગુજરાત કરતાં બિહારમાં પૂરની અસરનો વ્યાપ અને મૃત્યુઆંક બમણો હતો તેમ છતાં બેઉને એકસરખી સહાય ‘ટકે શેર ભાજી’ જેવી છે. કેન્દ્ર સરકારે કયા ધોરણે બિહાર અને ગુજરાતને એકસરખી રાહત આપી છે તે સમજવું અઘરું છે. વળી આ સહાય નીતીશ કુમારે બિહારમાં ભાજપનું શરણું સ્વીકાર્યા બાદની છે. એટલે વિપક્ષી રાજ્ય પ્રત્યે ઓરમાયા વર્તન અને અન્યાયનું ગાણું પણ ગાઈ શકાતું નથી.
ગુજરાતમાં મુખ્યમંત્રીએ જાતે આખી સરકાર લઈને પૂરગ્રસ્ત વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાખવા પડ્યા હતા. છતાં એક મહિને પણ ઘણાં ગામોમાં પૂરનાં પાણી કે કાદવ કીચડ સાફ ન થયાંની ફરિયાદો છે. ગુજરાત સરકારે પૂર અસરગ્રસ્તોને જે દસ દિવસની કેશડોલ (પુખ્તને રોજના 65 રૂ. સગીરને 45 રૂ.) આપી તે સાવ ઓછી છે. નદીના વહેણમાં આવતાં અને કાયમી અસરગ્રસ્ત ગામોનું સ્થળાંતર બહુ ગમી જાય એવું પગલું લાગે છે. પરંતુ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ વિના આમ કરવું યોગ્ય નથી. આ ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે કે માનવીએ પૂરથી ભાગવાનું નથી, પણ તેની સાથે જીવતા શિખવાનું છે.
મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુએ ભારે વરસાદને કારણે જે હાલાકી વેઠવી પડે છે તે તો સાવ જ માનવસર્જિત છે. ચોમાસા પૂર્વે જ ઊભી થનારી સ્થિતિ અંગેનો કોઈ એક્શન પ્લાન કાર્યરત થતો નથી. વળી અનેક નગરો મહાનગરોની નાની નદીઓને પૂરી દઈ તેમાં રહેઠાણો બનાવવામાં આવ્યા છે. તેથી પાણીનો કુદરતી પ્રવાહ વહેતો અટકી જાય છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવી કે જ્યાં છે તેની યોગ્ય જાળવણી ન થવી તે પણ મોટું કારણ છે. એકલા મુંબઈમાં જ મીઠી, ઉલ્હાસ, પોઈસર, દહિસર અને ઓશીવાડા જેવી નાની નદીઓ પૂરીને તેના પર તથા કિનારે બાંધકામો થયાં છે. તે તબાહીનું કારણ બને છે.
પૂર, દુકાળ કે અન્ય આફતો કેટલી કુદરતી છે અને કેટલી માનવનિર્મિત એ કહેવું અઘરું નથી. છેલ્લા બે દાયકામાં સ્થપાયેલા પૂરની આગાહી કરતાં 375 ટેલિમેટ્રી સ્ટેશનોમાંથી પોણા ભાગના બંધ હોવાનું ‘કેગ’ના રિપોર્ટમાં કહેવાય કે મુંબઈ હાઈકોર્ટ, સરકાર બાર વરસ પૂર્વેના મુંબઈના વરસાદમાંથી તલભાર શીખી ન હોવાનું કહી આલોચના કરે તે સરકારો ઘોળી પીએ છે. દેશની આર્થિક રાજધાનીની આ હાલત હોય તો કોસી કાંઠાનો ગરીબ તો શી અપેક્ષા રાખે.
સૌજન્ય : ‘ટકે શેર ભાજી …’, “દિવ્ય ભાસ્કર”, 09 સપ્ટેમ્બર 2017