Opinion Magazine
Number of visits: 9506055
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધી અને સિનેમા

નિલય ભાવસાર|Gandhiana|29 June 2017

ઘણી જગ્યાએ એવું વાંચવામાં આવ્યું છે કે ગાંધીજીએ તેમનાં જીવનમાં એક પણ ફિલ્મ જોઈ નહોતી અને તેમને સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો. પણ, મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં કુલ બે ફિલ્મ જોઈ હતી અને તે સાથે સિનેમા વિશેનો તેમનો અભિપ્રાય શું છે તેમ જ મહાત્મા ગાંધીની સિનેમા સાથે સંકળાયેલી ઘટનાની માહિતી અહીં પ્રસ્તુત છે. અહીં પ્રસ્તુત માહિતીનો ઘટનાક્રમ તેની તારીખ અને વર્ષ પ્રમાણે ગોઠવવામાં આવ્યો છે.

તારીખ ૨૫ નવેમ્બર, ૧૯૨૬ના રોજ ‘યંગ ઇન્ડિયા’ના એક લેખમાં મહાત્મા ગાંધી નોંધે છે કે આજે મારા એક જર્મન મિત્રએ મને જણાવ્યું કે એક જર્મન પત્રમાં મારા પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે હું ફિલ્મ કંપનીને પ્રોત્સાહન આપી રહ્યો છું. પરંતુ, એ જર્મન પત્રના નિર્દોષ લેખકને એ વાતનો ખ્યાલ નથી કે હું ક્યારે ય પણ સિનેમામાં ગયો નથી અને તે માટે ક્યારે ય પ્રોત્સાહન પણ આપ્યું નથી. અને જો કેટલાંક મિત્રો સિનેમામાં જવા માટે મને આગ્રહ કરશે તો પણ હું ઈશ્વરે આપેલ આ મૂલ્યવાન સમય તે માટે ખર્ચ કરીશ નહિ. કેટલાંક મિત્રો કહે છે કે સિનેમામાં શિક્ષણાત્મક મૂલ્યો રહેલાં છે અને તે વાત કદાચ શક્ય હોઈ શકે પણ મને કાયમી એવું લાગી રહ્યું છે કે તેની ભ્રષ્ટ અસર પરાણે મારા પર વર્તાઈ રહી છે. માટે, હું શિક્ષણાત્મક મૂલ્યો અન્ય જગ્યાએ શોધી રહ્યો છું. આગળ જતાં, તારીખ ૨૪ માર્ચ, ૧૯૨૭ના રોજ ‘યંગ ઇન્ડિયા’ના જ અન્ય એક લેખમાં ગાંધીજી નોંધે છે કે તમારે સિનેમા અને થિયેટરમાં જવાનું ટાળવું જોઈએ. મનોરંજન એ એક એવી વસ્તુ છે કે જેનાથી તમે દૂર રહી શકતા નથી પણ તેમાથી આનંદ મેળવી શકો છો. આ માટે તમારે ભજન મંડળીઓમાં હાજરી આપવી જોઈએ કે જ્યાં તમે શબ્દો અને સંગીત થકી તમારા આત્માનો ઉદ્ધાર કરી શકશો. તારીખ ૧૦ માર્ચ, ૧૯૨૯ના રોજ રંગૂનમાં મજૂરોને સંબોધતા ગાંધીજી કહે છે કે આ સિનેમા, નાટક, ઘોડદોડ, દારૂ અને અફીણના અડ્ડાઓ એ તમામ સમાજના દુ:શ્મનો છે અને તેનાથી વર્તમાન તંત્રમાં આપણામાં એક પ્રકારનો ભય ઊભો થાય છે.

તારીખ ૩૦ એપ્રિલ ૧૯૩૧ના રોજ બોરસદ તાલુકા ખાતે અમેરિકન એસોસિયેટેડ પ્રેસના પ્રતિનિધિ જેમ્સ એ મિલ્સે ગાંધીજીની મુલાકાત લીધી હતી અને એ વખતે ન્યૂયોર્કના ફોક્સ મૂવીટોન ન્યૂઝ તરફથી ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. અને તેના આગામી મહિનામાં તારીખ ૫ મે, ૧૯૩૧ના રોજ બોરસદ તાલુકા ખાતે મહાત્મા ગાંધીએ એક હિન્દી (ઈમ્પિરિયલ) ટોકી ફિલ્મ કંપનીને ખાદી વિશે હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં સંદેશો આપ્યો હતો. તારીખ ૨૨ સપ્ટેમ્બર ૧૯૩૧ને મંગળવારના રોજ લંડનમાં મહાત્મા ગાંધીની ચાર્લી ચેપ્લિનની સાથે મુલાકાત થઇ હતી. અને તે મુલાકાતનું સ્થળ હતું ડૉ. કાતિયાલનું ઘર. આ અંગે મહાત્મા ગાંધીને જણાવવામાં આવ્યું હતું કે ચાર્લી ચેપ્લિન તેઓને મળવા માટે આતુર છે. આ પહેલાં ગાંધીજીએ ક્યારે ય પણ મહાન કોમેડિયન ચાર્લી ચેપ્લિન વિશે કશું જ સાંભળ્યું નહોતું અને તેમનો વર્લ્ડ સિનેમા સાથે ખાસ કોઈ પરિચય પણ નહોતો. ગાંધીજીને કહેવામાં આવ્યું હતું કે ચાર્લી ચેપ્લિન એ ગરીબોના મિત્રો છે અને લોકોને હસાવવાનું કાર્ય કરે છે. આ મુલાકાત અગાઉ ચાર્લી ચેપ્લિનને ગાંધીજી વિશેની જાણકારી હતી અને ચેપ્લિને ગાંધીજી અને તેમનાં ચરખા વિશે સાંભળ્યું હતું. લંડનની આ મુલાકાતમાં ચેપ્લિને ગાંધીજીને સૌપ્રથમ એ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કેમ યંત્રનો વિરોધ કરો છો? આ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ ધીરજપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં ખેડૂત છ મહિના ખેતી કરે છે અને છ મહિના નિષ્ક્રિય રહે છે. ચરખો એ ખેડૂતને રોજગારી પૂરી પાડે છે અને ચરખા થકી ખેડૂત પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્ત્રોનું ઉત્પાદન કરી શકે છે. દરેક લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે અન્ન અને વસ્ત્રોનું ઉત્પાદન કરવું જોઈએ.

તારીખ ૨૯ માર્ચ, ૧૯૩૪ના રોજ કસ્તૂરબાને લખેલા એક પત્રમાં ગાંધીજી નોંધે છે કે અમદાવાદમાં કેટલાંક બાળકોને માથામાં દુઃખાવો ઉપડ્યો છે, તાવ આવ્યો છે અને ઉલટી પણ થઇ છે અને સાથે બાળકોએ પોતાની યાદશક્તિ પણ ગુમાવી દીધી છે. બાળકોના આ રોગનું કારણ સિનેમા હોઈ શકે છે કારણ કે બાળકો સિનેમામાં ગયા હતાં વગેરે … આગળ, તારીખ ૪ સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ માથુરદાસ ત્રિકમજીને લખેલા એક પત્રમાં ગાંધીજી નોંધે છે કે હું આ સિનેમા અને સંગીત વિશે શું સાંભળી રહ્યો છું? શું તે લોકો કોંગ્રેસની સભાને કોઈ સર્કસમાં પરિવર્ત કરવા ઈચ્છે છે? મને સંગીત પસંદ છે પણ તેનો કોઈ ચોક્કસ સમય અને સ્થળ હોય છે. જો કોંગ્રેસની સભામાં ત્રણથી ચાર દિવસ સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓ જોવા મળશે તો પછી તેની ગંભીરતા અલોપ થઇ જશે. મારા મત પ્રમાણે જ્યાં દેશની સંસદનું કાર્ય યોજાવા જઈ રહ્યું હોય ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓને કોઈ જ સ્થાન નથી. પણ, આપણે કોંગ્રેસને એક તમાશો બનાવી દીધો છે. તારીખ ૧૦ ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ વર્ધામાં ગાંધીજીએ સ્ત્રીઓએ સિનેમા ફિલ્મમાં કામ કરવા વિશેના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું કોઈ દિવસ સિનેમામાં ગયો નથી; મને આ ગમતું નથી; પણ હું તો ગામડિયો; હું શું કહી શકું? અલબત્ત કોઈપણ સુધારો સત્ય અને અહિંસા ઉપર રચાયેલો હોય તો એ મને ગમે. આગળ, તારીખ ૧૩ સપ્ટેમ્બર ૧૯૩૭ના રોજ વિલિયમ બી. બેન્ટોન નામના એક અમેરિકન પત્રકાર ગાંધીજીનો ઈન્ટરવ્યૂ લેવા માટે સેગાંવ આવ્યા હતા અને ત્યાં તે પત્રકારે ગાંધીજીને પૂછ્યું હતું કે શું તેઓએ ક્યારે ય કોઈ અમેરિકન ફિલ્મ જોઈ છે અથવા અમેરિકન જાઝ સંગીત સાંભળ્યું છે? આ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું હતું કે ના, ક્યારે ય નહિ. આ તમારા માટે એક સારી સ્ટોરી છે પણ હું ક્યારે ય સિનેમામાં ગયો નથી.

તારીખ ૨૧ મે, ૧૯૪૪ને રવિવારના રોજ ગાંધીજીએ મુંબઈમાં પોતાના નિવાસસ્થાને Mission to Moscow નામની ફિલ્મ જોઈ હતી. અને તેના આગામી મહિને તારીખ ૨ જૂન, ૧૯૪૪ને શુક્રવારના રોજ ગાંધીજીએ ફરી વખત મુંબઈમાં જ પોતાના નિવાસસ્થાને ‘રામરાજ્ય’ નામની ફિલ્મ જોઈ હતી.

તારીખ ૨૭ મે, ૧૯૪૭ના રોજ ભંગી નિવાસ, વાલ્મીકિ મંદિર, નવી દિલ્હી ખાતે મહાત્મા ગાંધી સિનેમા વિશે જણાવે છે કે મશીનરીથી જલદી કામ પતી જાય છે, તેમાં દરેક રીતે નુકસાન છે. શરીરનું, પૈસાનું અને નવરાશ મળી જાય છે એટલે ‘નવરા બેઠા નખ્ખોદ વાળે’ એ કહેવત પ્રમાણે પછી લડવાનું જ સૂઝે છે. અથવા તો સિનેમાનાટક જોવામાં સમય ખર્ચે. મને ઘણાં ખૂબ સમજાવે છે કે, સિનેમા જોવાથી ઘણો બોધ મળે છે. પણ મને તો એ વાત ગળે ઉતરતી જ નથી. એક તો એ બંધિયારમાં બેસવાથી શ્વાસોચ્છવાસ રૂંધાય છે. હું તો બહુ નાનો હતો ત્યારે આવા થિયેટરમાં ગયો હતો. મારું ચાલે તો હિંદુસ્તાનભરમાંથી સિનેમા થિયેટરની જગ્યાએ કાંતણ થિયેટર ઊભા કરું. જુદી જુદી હાથકળાની સામગ્રીઓ થિયેટરમાં બનાવું. / સિનેમા થિયેટર તદ્દન બંધ જ કરાવું. અથવા કદાચ એટલી છૂટ મૂકું કે, કેળવણી કે કુદરતી દ્રશ્યો બતાવાય તેવાં જ ચિત્રો બતાવું. પણ નાચગાન તદ્દન બંધ કરાવું. આગળ, તારીખ ૨૭ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ પ્રાર્થના સભામાં ગાંધીજી જણાવે છે કે તમારે અહીં સિનેમાની શું જરૂરિયાત છે? સિનેમાની જગ્યાએ તમે ઘણાં નાટકો ભજવી શકો છો કે જેના વિશે આપણને ખ્યાલ છે. સિનેમા માધ્યમમાં માત્ર તમારા પૈસાનો વ્યય થશે અને તેમાં આગળ તમે જુગાર રમવાનું શીખશો તેમ જ અન્ય ખરાબ આદતોમાં સપડાશો. સિનેમાને કોઈ સ્થાન હોવું જોઈએ નહિ.

Email: nbhavsarsafri@gmail.com

Loading

29 June 2017 admin
← Is Tajmahal not a part of Indian Culture?
રમતજગતમાં ખદબદતો જાતિવાદ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved