એવું નથી લાગતું કે માનવીય ચેતના કટોકટીમાંથી પસાર થઇ રહી છે; બુદ્ધિ અને પ્રજ્ઞાના સહયોગ દ્વારા, સમગ્રતાનું શિક્ષણ પામવાની દિશા ધૂંધળી થતી જાય છે; અહં અને મમના દ્વંદ્વને કારણે સમગ્રતાના શિક્ષણની દિશા સામે અનેક પડકારો ઊભા થયા છે? પરિણામે આપણે સંવાદની ભૂમિકાથી અળગા થતા થઇ રહ્યા છીએ.
શું કરાય?
છોડીને ભાગી જવાથી તો ઉકેલ નહીં જ આવે એવી પાકી શ્રદ્ધા, સમજ હજુયે જીવે છે. પ્રયત્નને સ્થાન છે. સામે ગાંધી, ટાગોર, શ્રી અરવિંદ, જે. ક્રિષ્ણામૂર્તિ અને શ્રદ્ધેયા વિમલા તાઈ વગેરેનાં ચિંતનો તરફ મન ગતિ કરે છે. વર્તમાન પરિસ્થિતિની વિષમતા અને વિસંવાદ વચ્ચે એવું કંઈક કરીએ જેથી ખુલ્લા મન અને હૃદય સાથે નવા સમાજની રચના માટેની અભિપ્સા, જે યુવકોમાં જોવાય છે તેને બળ મળે. આવું મંથન કરનારા વિવિધ ક્ષેેત્રોના અગ્રણીઓ, સમાજના હિતચિંતકો સાથે સંવાદની ભૂમિકાએ મથીએ ને નિરાશા હતાશાથી મુક્ત થઈ પ્રવૃત્ત થવાય.
હમણાં પાનખર ચાલે છે, નવી પ્રેરણા, નવો સંદેશ અનુભવાય છે. સહજભાવે નિર્મોહ થઇ વૃક્ષો, જૂનાં પાંદડા તજીને નવાંને આવકારવા સજ્જ થઈ રહ્યાં છે, એને જોવામાં આનંદ અનુભવાય છે. એ જ રીતે મનમાં પડેલાં, ઘર કરી બેઠેલાં બદ્ધમતો અને ગ્રંથિઓથી મુક્ત થઈ જીવવાની પ્રેરણા સ્ફુરે છે, પણ ગ્રંથિઓની પકડમાંથી છૂટાતું નથી. નવા માર્ગનાં સ્પંદનો આવે છે પણ ભૂતકાળ પકડી રાખે છે. વર્તમાનને પ્રેરણા આપવી-લેવી એ કુદરતી પ્રક્રિયા છે. શ્રદ્ધેયા વિમલાતાઈના શબ્દોમાં,
“જીવન આપણને ત્યારે જ શીખવવા તૈયાર થાય છે જ્યારે ભૂતકાળને ખુલ્લો કરી, જાગ્રત સંવેદનશીલતાને આવકારીએ. પ્રતિક્રિયારહિત અવધાનથી, જગતના પદાર્થોમાં લોપાયા વિના, નામકરણ કર્યા વિના જોઈએ, જ્યારે જૂનું મન સાપેક્ષ સંબંધોથી યુક્તમન હરખશે ત્યારે જ જીવનનું શિક્ષણ શરૂ થાય છે. અવધાનના દર્પણમાં આત્માનો પ્રકાશ મૌનની અવસ્થામાં બધું અજવાળે છે.
મન જ્યારે અવધાનમાં જીવે છે ત્યારે બદ્ધમતોની ગ્રંથિઓ જુએ છે અને ત્યારે અવધાન Awarness શ્વાસોચ્છ્વાસ જેવું સહજ બની, સહજ અને સ્વયં સ્ફૂર્ત બની રહે છે, ત્યારે સમગ્ર જીવનના પ્રકાશમાં પ્રેરણા પ્રવૃત્ત થાય છે. આપણને અંદરથી ભીંજવી નાખે છે.”
‘જે શોધે છે એ પામે છે’ એ શાશ્વત્ સત્ય છે, સંતોના જીવનમાંથી એ સમજાય છે. એમાંથી જીવન પ્રત્યેની શ્રદ્ધાને બળ મળે છે. સ્વસમજણનો દીપ આપણે સૌ પ્રજ્જવલિત કરીને, માનવજાત સામેના પડકારોને ઝીલવા આપણે કટિબધ્ધ થઇએ તો “સહુજન હિતાય, સહુજન સુખાય”ની દિશામાં ચાલીને ઇશ્વરી પ્રેરણાને આવકારીએ.
પ્રેમ અને કરુણા એ આત્મબળની અભિવ્યક્તિ છે એટલે કે મનુષ્ય પાસે એવું કોઈ તત્ત્વ છે જેને આપણે આત્મા કહીએ છીએ. આજના પદાર્થવિજ્ઞાનવેત્તાઓ એને Energy of supreme intelligence કહે છે. બ્રહ્માંડ વ્યાપ્ત છે, એને પરમાત્મા કહે છે અને દેહમાં વ્યાપ્ત છે એને આત્મા કહ્યો છે. આપણી સમજ અને સત્ય એમાં છે કે પશુતાને સમજી એનાથી મુક્ત રહીએ, એ આપણા પર સવાર ના થાય એ રીતે એને વશમાં રાખી. ભૂતકાળના સંસ્કારો આપણા પર સવાર ન થાય એવી સમજણ વિક્સિત કરી શકીએ. આપણે શિક્ષણપ્રેમી લોકો પ્રથમ મનુષ્ય બનવાનો પરમાર્થ કરીએ અને મનુષ્ય બની રહેવાનું પ્રણ લઈએ તો ઇશ્વરી પ્રેરણા પ્રવૃત્ત થઇ શકે.
આજે ગુજરાતી સાહિત્ય જગતમાં વિવાદઅને વિખવાદના જે સમાચાર જાહેર માધ્યમોમાં વાંચવા મળે છે, ભાષાનો જે પ્રયોગ થઈ રહ્યો છે તેમાં સૌથી વધુ તો સંવેદનશીલતાને આઘાત પહોંચી રહ્યો છે, એની વેદના અનુભવાય છે.
સાહિત્યકારો સંવેદનશીલતાની અભિવ્યકિત કરતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરીષદ તો સાહિત્યકારોની કર્મભૂમિ છે. એની અને ગુજરાત સાહિત્ય અકાદમીની પરસ્પરની અભિવ્યક્તિમાં કડવાશ વધે નહીં અને સંવાદની ભૂમિકા સધાય તથા સાથે મળીને સ્વાયત્તતા અંગે રસ્તો શોધે એ અંગે અમારી નમ્ર અપીલ છે. શાંત ચિત્તે, અહંને વચ્ચે લાવ્યા વિના સાહિત્યક્ષેત્રની સ્વાયત્તતાનું ચિંતન થશે તો તેમાં સૌનું ગૌરવ સચવાશે. સ્વાયત્તતાની ઝંખના તો સૌની છે, પ્રશ્ન રસ્તો શોધવાનો છે. એ સંવાદ દ્વારા જ શક્ય બનશે. નિરાગ્રહી ચિત્ત સાથે આગળ વધશું તો શુભ માર્ગ સૂઝી આવશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 08