Opinion Magazine
Number of visits: 9483409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરમીથી નહીં, ગરીબીથી મરે છે લોકો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2017

ઠંડી અને વરસાદને કુદરતી આપત્તિ માનતી સરકારો ગરમીને કે હીટ વેવને કુદરતી આપત્તિ માનતી નથી

અખબારી ભાષામાં આકાશમાંથી અગન વરસી રહી છે. મે મહિનો એટલે ભીષણ ગરમીનો મહિનો. 2016નું વરસ ગયા સો-સવાસો વરસોમાં સૌથી ગરમ વરસ હતું. 2017નો ઉનાળો પણ આકરો છે એવા એંધાણ બહુ આરંભથી જ વર્તાઈ રહ્યાં હતાં.

માનવશરીર આમ તો બદલાતી ઋતુઓ સાથે સંતુલન સાધી લેતું હોય છે. પરંતુ તીવ્ર ઠંડી-ગરમી-વરસાદ સામે ગરીબી અને અભાવોમાં જીવતા લોકો ઝીંક ઝીલી શકતા નથી. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ 2016ના વરસમાં ખરાબ હવામાનને કારણે 1600થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતાં. તેમાં 40 ટકા મોત ગરમીના કારણે થયા હતાં. દેશમાં 700 લોકો ગત વરસની ગરમીને લીધે મરણ પામ્યા હતાં. સામાન્ય રીતે ગરમીને કારણે ઉત્તર ભારતનાં ગરીબ અને પછાત રાજ્યોમાં વધુ મોત થતાં હોય છે, પરંતુ 2016ના વરસમાં ગરમીથી થયેલાં 700 મોતમાં અડધા કરતાં વધુ હિસ્સો આંધ્ર-તેલંગણાનો છે. આ બે રાજ્યોના 400 લોકો ગયે વરસે ગરમીમાં માર્યા ગયાં હતા. ગુજરાતમાં ગરમીને કારણે 87 અને મહારાષ્ટ્રમાં 43 મોત થયાં હતા.

આ વરસે એપ્રિલ માસના અંત સુધીમાં દેશમાં 50 વ્યક્તિઓનાં મોત ગરમી અને લૂના કારણે થઈ ચૂક્યાં છે. કાતિલ હીટ વેવથી છેલ્લા ચાર વર્ષમાં 4620 લોકોનાં મોત થયાં છે. માત્ર ગરમીથી જ નહીં, ઠંડી અને વરસાદથી થતાં મોતનો આંકડો પણ ઘણો મોટો છે. પૂર, ભારે વરસાદ અને વીજળી પડવાથી 2016ના વર્ષમાં 415 લોકોને મરણને શરણ થવું પડ્યું હતું. હાડ થીજવતી ઠંડીએ 56 લોકોનાં જીવનનો ભોગ લીધો હતો. આટઆટલાં મોત છતાં આ કોઈ રાજકીય ચર્ચાનો મુદ્દો બનતો નથી.

ગરમીથી બફાઈને, ઠંડીથી ઠુંઠવાઈને કે પૂરમાં તણાઈને થતાં મોતના ખબર વાંચતા-સાંભળતા રહીએ છીએ. આ માટે હવામાનની વિષમતા જવાબદાર હોવાનું કારણ અપાતું રહે છે કે કુદરત આગળ માનવી લાચાર હોવાની દુહાઈ દેવાય છે, પરંતુ વાસ્તવમાં આ મોત માટે આપણી સામાજિક આર્થિક અનવસ્થા અને અસમાનતા જવાબદાર હોય છે તે આબાદ રીતે ભૂલાવી દેવાય છે. જ્યાં સૌથી વધુ ઠંડી-ગરમી-વરસાદ હોય ત્યાં મૃત્યુ આંક ઓછો હોય અને અન્યત્ર મૃત્યુઆંક વધુ હોય એવું બને છે. એટલે ઉષ્ણતામાનમાં અસાધારણ વધારો-ઘટાડો થવાથી લોકો મરતા નથી, પરંતુ આની પાછળ સામાજિક- આર્થિક કારણો કામ કરે છે. 

આ સમસ્યા માત્ર હવામાનની વિષમતાની નથી. આપણા સામાજિક આર્થિક ભેદભાવ ખરી સમસ્યા છે. વાસ્તવમાં આ મોત ઠંડી-ગરમીને કારણે નહીં, રોટી-કપડાં-મકાનની પ્રાથમિક જરૂરિયાતના અભાવને કારણે થતાં હોય છે. જે લોકોનાં મોત થાય છે તેમાં ગરીબ-અશક્ત-વૃદ્ધ-બીમાર-લાચાર લોકો અને બાળકો હોય છે. તેમના મોતનું ખરું કારણ કુપોષણ, નબળું શરીર, ગરીબી અને અભાવગ્રસ્ત જિંદગી અને પહેરવાનાં કપડાં કે રહેવાના મકાનનો અભાવ છે — નહીં કે ગરમી-ઠંડી. જેમની પાસે રહેવાં કાચાં ઝૂપડાં કે ફૂટપાથ છે, અંગ ઢાંકવાનાં કપડાં માંડ છે તેમને માટે રક્ષણ મેળવવું શક્ય નથી. દેશનો 90થી 95 ટકા અસંગઠિત શ્રમિક વર્ગ ધોમધખતા તાપ, કાતિલ ઠંડી અને સાંબેલાધાર વરસાદ વચ્ચે રોજી રળતો હોય છે. તે જ ભોગ બને છે.

હવામાનની વિષમ સ્થિતિથી થતાં મોત માટે સરકારો બાપડી શું કરે, એવો નાદાન સવાલ પણ થતો હોય છે. તો સરકારો શું કરે છે તે જાણીને રંજ અને રમૂજ પણ થાય છે. ઠંડી અને વરસાદને કુદરતી આપત્તિ માનતી સરકારો ગરમીને કે હીટ વેવને કુદરતી આપત્તિ માનતી નથી. તેથી વરસાદ કે ઠંડીને કારણે મરનારને જે સરકારી રાહત મળે છે તે ગરમીને કારણે મરનારને મળતી નથી. સરકારે હીટ વેવનો માપદંડ તો નક્કી કર્યો છે પણ ગરમીથી થતાં મોત નક્કી કરવાં મુશ્કેલ ગણીને આપદાપ્રબંધનના નિયમ-કાયદામાંથી ગરમીને બાદ કરી દેવામાં આવી છે.

સરકારો ગરમી સામે લડવા જે પગલાં લઈ રહી છે કે લોકોને જે પગલાં લેવા જણાવી રહી છે તે ગરીબોની ક્રૂર મજાક સમાન છે. મોટા ભાગની રાજ્ય સરકારો અને નાનાં-મોટાં વહીવટીતંત્રો લોકોને બપોરના 12થી 4 ઘરની બહાર ન નીકળવા, છાંયડામાં જ રહેવા, તરસ ન હોય તો પણ ભરપૂર પાણી પીવાં, છાસ, લીંબુ, શરબત અને લસ્સી જેવાં ઘરનાં પીણાં પુષ્કળ માત્રામાં પીવાં, લાઇટ કલરનાં, ખુલતાં સુતરાઉ કપડાં પહેરવાં, માથે ટોપી, છત્રી કે ભીનું કપડું રાખવાં સલાહ આપે છે. જે દેશનો મોટો કામદાર-કિસાન વર્ગ ભરબપોરે મહેનત-મજૂરી કરતો હોય તેને છાંયડામાં રહેવા કે બપોરે આરામ કરવાનું કહેવું કેટલું વાજબી છે? જો સરકારોને તેના નાગરિકના ક્ષેમકુશળની ખરેખર ફિકર હોય, તો તેણે આ ઉનાળામાં કમ સે કમ ‘મનરેગા’ના મજૂરોને પગાર સહિત બપોરના આરામની સવલત આપવી જોઈએ. 

આમ ન કરતાં તંત્રોની બપોરે આરામ ફરમાવવાની સલાહ તેમની મજાક જ ગણાશે. દેશમાં પાણીની તીવ્ર તંગી હોય, લોકોને પીવાના પાણી માટે બે-પાંચ કિલોમીટર દૂર જવું પડતું હોય અને માંડમાંડ તરસ મિટાવી શકાતી હોય ત્યારે ગરમી સામે રક્ષણના ઉપાય તરીકે વગર તરસે ભરપૂર પાણી પીવાની સલાહ સંવેદનહીન લાગે છે. આપણા આપદાપ્રબંધકો અને નીતિનિર્માતાઓ સામાન્ય માણસની વાસ્તવિક સ્થિતિથી કેટલા વિમુખ છે તે આવા માર્ગદર્શન થકી જણાઈ આવે છે. આવી જ સલાહ કપડાં વિશેની પણ છે. ખરેખર તો લોકોને રહેવા યોગ્ય ઘર અને ઠંડીગરમી સામે ટકી શકે તેવો ખોરાક મેળવી શકે તેવી રોજીની જરૂર છે તે ખરો ઉપાય કેમ દેખાતો નથી?અગાઉનાં વર્ષો કરતાં હવે વધુ ઠંડી કે ગરમી કેમ પડે છે અને વરસાદ કેમ ઘટી ગયો છે તે શોધવાનું ખરું અગત્યનું કામ કોઈ કરતું નથી. 

એ હકીકત જગજાહેર છે કે શહેરોમાં બંધાયેલી ઇમારતોમાં કાચ અને લોખંડનો ભરપૂર વપરાશ થાય છે અને પછી ગરમીથી બચવા એરકંડિશનરોનો વિપુલ માત્રામાં ઉપયોગ કરીએ છીએ. તેણે આપણાં શહેરોને ગરમ બનાવી દીધાં છે, પરંતુ શહેરી આયોજનમાં સુધાર કરવાનું આપણને સૂઝતું નથી. આ વરસે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રએ ગરમીથી ગરીબોને બચાવવાના ઉપાય તરીકે ચાલીઓ અને ઝૂંપડાંઓનાં છાપરાં પર સફેદ ચૂનો લગાવ્યો છે. હજી શહેરમાં, રાજ્યમાં અને દેશમાં લાખો-કરોડો લોકો કેમ આવી અવસ્થામાં રહે-જીવે છે તે સવાલ વિસારે પાડીને ગરમીથી બચાવવા છાપરે ચૂનો લગાવવાનો ઉકેલ વાસ્તવિકતાને ચૂનો લગાવવા બરાબર છે. આ આપત્તિ કુદરતસર્જિત નથી તેટલી માનવસર્જિત છે. ગરમીનો કાળો કેર સામાજિક-આર્થિક ભેદભાવને ઉઘાડા પાડે છે, તેને ઢાંકવા છાપરે ચૂનો લગાવવાથી તે ઢંકાશે નહીં.

ચંદુ મહેરિયા, લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે

સૌજન્ય : ‘વ્યાખ્યાની વિચિત્રતા’, “દિવ્ય ભાસ્કર”, 04 મે 2017

Loading

4 May 2017 admin
← 40 પહેલાંનાં બૈરાં
નિયમગીરીની ‘પ્રફુલ્લ’તાનું રહસ્ય →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved