Opinion Magazine
Number of visits: 9448986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિંભર રાજકારણીઓ અને તેમની આજ્ઞાધારી પોલીસ નલિયા અને માંડવીનાં દુષ્કર્મો અંગે ન્યાય ક્યારે કરશે ?

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|29 April 2017

મહિલાઓ પરના અત્યાચારો અંગે તંત્ર લગભગ નિષ્ક્રિય જણાય છે…. 

કચ્છના નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક હિંમતવાળી યુવા સર્વાઈવર ન્યાય માટે લડી રહી છે. ત્યાં તાજેતરમાં એક વ્યાપક સેક્સકાંડ ચાલી ચૂક્યું છે. એ બંને બાબતો હવે સાવ અજાણી નથી. ‘નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ’ નામનું જૂથ યુવતીને ન્યાય મળે અને સેક્સકાંડના દુષ્કર્મીઓને સજા થાય તે માટે લડત ચલાવી રહ્યું છે. મંચને હમણાં બીજાં એક દુષ્કર્મની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો આવ્યો છે. એ ઘટના તે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માંડવી ગામની. લોકોને ઓછી જાણકારી હોય તેવા આ બનાવ અંગે મંચની એક ટુકડીએ તાજેતરમાં માંડવીની મુલાકાત લીધી હતી. તેના અનુસંધાનમાં ગયા શનિવારે અમદાવાદમાં જાણીતી મહિલા સંસ્થા ‘અવાજ’ના સંકુલમાં સંમેલન યોજ્યું હતું. તેમાં માંડવીના મૃત પીડિતાનાં પરિવારજનો, રાજ્યભરની પંદરેક સંસ્થાના પ્રતિનિધિઓ તેમ જ અગ્રણી નાગરિકો જોડાયાં હતાં.

ભાવનગરથી આશરે સો કિલોમીટર પરના આઠ-દસ હજારની વસ્તીવાળા માંડવી ગામના પચાસેક વર્ષનાં ભાવનાબહેન ભગવાનભાઈ ખેનીનો, માથામાં ઇજા સાથેનો મૃતદેહ પહેલી ડિસેમ્બરે ગામની સીમમાંથી મળ્યો. તેમની પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પણ નોંધાયું. પંદરેક દિવસ સુધી કોઈ ધરપકડ ન થતાં લોકો તેમ જ પાટીદાર, દલિત, ઓ.બી.સી. અને અન્ય સંગઠનો ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓએ મૃત પીડિતાનાં પરિવારને મળ્યા બાદ પોતપોતાની રીતે ઉગ્ર વિરોધની શરૂઆત કરી. તેને પગલે શાસક પક્ષના અગ્રણીઓએ આ બનાવ અંગે નાર્કો ટેસ્ટ સહિતની જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી. એટલું જ નહીં તેમણે સહુ વિરોધીઓને પરિવાર વતી નિવેદનો આપવાં કે ઉપવાસ પર ન ઊતરવાની હાકલ પણ કરી ! દરમિયાન વિરોધીઓએ ત્રણ કથિત આરોપીનાં નામ પત્રકાર પરિષદમાં જાહેર કરીને સી.બી.આઈ.ને તપાસ સોંપવાની માંગણી કરી. સરકારે કેસની તપાસ ભાવનગર રેઇન્જ ઇન્સ્પેક્ટર જનરલને સોંપી અને એક શકમંદની ધરપકડ કરવામાં આવી.

ત્રણ મહિના પછી 28 માર્ચે આ બનાવના સાક્ષી પિસ્તાળીસ વર્ષના ધીરુભાઈ ગુજરાતીએ આપઘાત કર્યો. તેમના પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર ધીરુભાઈને પોલીસ તપાસ માટે વારંવાર બોલાવતી અને ખૂબ મારતી. આ શારિરીક અને માનસિક ત્રાસથી તેમણે આપઘાત કર્યો. ભાવનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટના કહેવા મુજબ દુષ્કર્મ અને હત્યાના સાક્ષી ધીરુભાઈએ તેમનાં નિવેદન વારંવાર બદલ્યાં હતાં. તે માટે દબાણ આવતું હોવાની શક્યતા પણ તેમણે જણાવી. ધીરુભાઈના પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો. પોલીસની ધરપકડ અને તપાસની બીજી એજન્સીને સોંપણી એવી માગણીઓ અંગે કલેક્ટરે ખાતરી આપ્યા પછી છ દિવસ બાદ પરિવારે નમતું જોખ્યું. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરતના વરાછા રોડ પરનું હીરા બજાર ચોથી એપ્રિલે બંધ રહ્યું. એ જ દિવસે ધીરુભાઈના આપઘાત માટે જવાબદાર ગણીને એક પોલીસ કર્મચારીની ધરપકડ પણ કરવામાં આવી.

માંડવી બનાવની તપાસ માટે છેક એકત્રીમી માર્ચ અને સોળમી એપ્રિલે જવા માટે અંગે મંચના આગેવાન અને સંમેલનના સંચાલક મીનાક્ષીબહેન જોષીએ દિલગીરી વ્યક્ત કરી. અલબત્ત, સોળમી ફેબ્રુઆરીએ રચાયેલો આ મંચ એ નિસબત ધરાવતાં લોકોનું કદાચ એકમાત્ર જૂથ છે કે જે ઇન્સાની  સરોકારથી યૌન અત્યાચારની તપાસને ધક્કો મારતું રહ્યું હોય. મંચ સર્વાઈવર્સની મુલાકાતો, પોલીસ અને સરકાર સામે રજૂઆતો, દેખાવો, સભાઓ કરતો રહે છે. કોઈ રાજકીય પક્ષ, વગદાર જૂથ, ઉદ્યોગ સમૂહ, સમૃદ્ધ એન.જી.ઓ.નો ટેકો ન લેનાર મંચના સંસાધનો અને પહોંચ ઓછાં છે. સમય આપનાર કાર્યકર્તાઓ તેમ જ વકીલોની જરૂર સતત રહે છે. સભાઓ માટેની મંજૂરી, સ્થળ ,વક્તાઓ, દસ્તાવેજોની નકલો, પત્રિકાઓની છપામણી, તપાસ મુલાકાતો માટેનાં વાહનો સુધીની અનેક બાબતોમાં ઘણી મુશ્કેલી પડે છે. પોલીસ અને સરકારી અધિકારીઓનું વર્તન એકંદરે જડ, તોછડું અને ચૂપકીદીભર્યું હોય છે.

આવા અવરોધો વચ્ચે પણ મંચે માંડવી ઘટનાની તપાસ કરી. તેમાં જોડાયેલાં ‘ગણતર’ના નિરુપમાબહેને જણાવ્યું કે પોલીસે ગામને પાદર બનાવેલી ચોકીમાં અત્યાર સુધી 170 લોકોની પૂછપરછ કરી છે. પણ ભાવનાબહેન અને ધીરુભાઈ બંનેના અપમૃત્યુની એફ.આર.આઈ.માં જે કુલ સાત નામ છે તેમાંથી કોઈ પૂછપરછ કરી નથી. જે એકમાત્ર વ્યક્તિની ધરપકડ કરી છે તે નિર્દોષ હોવાની સંભાવના છે. ભાવનાબહેન પરનાં દુષ્કૃત્ય પહેલાં અહીં આઠ-દસ કિસ્સા બની ચૂક્યા છે. ઑલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃિતક સંગઠનના રિમ્મીએ જણાવ્યું કે નલિયાની જેમ અહીં પણ પોલીસ અમારા વાહનોનો પીછો કરતી રહી હતી. ભાવનાબહેનાનાં પરિવારના તુલસીભાઈએ જણાવ્યું કે પોલીસ પાસે તપાસ અંગે માહિતી પૂછવા જઈએ ત્યારે તે કહે છે કે ‘તમને આ ઉઘરાણી સિવાય કશું આવડતું નથી’. ધીરુભાઈના ભાઈ વલ્લભભાઈએ કહ્યું, ‘મારા ભાઈને પોલીસ અવારનવાર લઈ જતી અને મારપીટ કરતી. કોઈ આરોપી પકડાય નહીં, આખા ઘરને ખોટા ખોટા હેરાન કરે. ભાઈને દિવસે પોલીસવાળા લઈ જાય અને રાતે ગામવાળા લઈ જાય, બંને બોલવા માટે દબાણ કરે.’

ભાવનગરના નીતિન ઘેલાણીએ માંડવીમાં કેટલાંક આસામાજિક તત્વોના ત્રાસથી અનેક સાધનસંપન્ન કુટુંબોએ પણ સૂરત હિજરત કરી હોવાનું જણાવ્યું. ભાવનગરના વરિષ્ઠ નાગરિક અને પૂર્વ અધ્યાપક દમયંતીબહેન મોદીએ જણાવ્યું કે જેલમાં પૂરવામાં આવેલ આરોપી, કથિત આરોપીના પરિવાર, ગામ લોકોની મુલાકાતમાંથી કશું જાણવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. વળી તેમણે શહેરના કેટલાક વિસ્તારમાં મહિલાઓની વારંવાર થતી જાતીય સતામણીના અત્યારના તેમ જ ભૂતકાળના કિસ્સાની વાત કરી. કચ્છ મહિલા વિકાસ સંગઠનનાં મીનાક્ષીબહેને તેમની સંસ્થાએ નલિયા અંગે જે તપાસ કરી તેની ટૂંકી માહિતી આપી. એ દુષ્કર્મ સામે મંચે ચલાવેલી ઝુંબેશમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નિલપરના ગ્રામ સ્વરાજ સંઘના પ્રતિનિધી દિનેશભાઈ સંઘવીએ ‘રાજ્યના વેચાઈ ગયેલા તપાસ તંત્ર’ પર પસ્તાળ પાડી અને નલિયાની સર્વાઇવર તેમ જ તેના જીવનસાથીને  બિરદાવ્યાં. તદુપરાંત નલિયાકાંડ અંગે લાખો રૂપિયાની અખબારી જાહેરખબરો આપી તપાસ અને ન્યાય પ્રક્રિયાને અસર પાડવાની કોશિશ કરતાં ‘કચ્છ લડાયક મંચ’ સામે  તેમણે પણ મીનાક્ષીબહેનની જેમ લાલબત્તી ધરી.  

નલિયા અંગે જાગેલ લોકમતને કારણે સોળમી માર્ચે રાજ્ય સરકારે વિધાનસભામાં તપાસપંચની જાહેરાત કરી હતી. મંચના જણાવ્યા મુજબ આ પંચનું જાહેરનામું ક્યાં ય ઉપલ્બ્ધ નથી. સરકારે એની વ્યાપક પ્રસિદ્ધિ કરી નથી, તેની કોઈ કાર્યવાહી નજરે પડી નથી. એટલે સરકારે એમાં કાર્યાન્વિત થવું જોઈએ, અથવા ‘આ પંચનું – ન્યાયનું ફારસ બંધ કરી દેવું જોઈએ’ એવું મંચ માને છે. નલિયાની એક ફરિયાદી પીડિતા ઉપરાંત પાંત્રીસ બહેનોનાં પાંસઠ પુરુષોએ કરેલા જાતીય શોષણના પુરાવા તરીકે વિપક્ષના નેતા તથા નાયબ મુખ્યમંત્રી પાસેથી સી.ડી. તાત્કાલિક ધોરણે મગાવી લેવામાં આવે એવી માગણી પણ મંચે કરી છે. 

એમ પણ માનવામાં આવે છે કે નલિયા અને માંડવી બંનેમાં થયેલા મહિલાઓ પરના અત્યાચારની તપાસ પ્રક્રિયા કોમો અને પક્ષોનાં બહુ નિંભર રાજકારણમાં અટવાઈ છે. તાજેતરમાં ગુજરાતના સર્વોચ્ચ પોલીસ અધિકારી એક મહિલા બન્યાં છે ત્યારે પૂછવાનું થાય : ‘હર બાર કિસી ભી હાલાત મેં / ઔરત હી બેઇજ્જત ક્યું ?’  

+++++++

27 એપ્રિલ 2017

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 અૅપ્રિલ 2017] 

Loading

29 April 2017 admin
← પ્રાણીરક્ષાની ચિંતા, ગોરક્ષાનું રાજકારણ
દ્રૌપદીનું ચીરહરણ : નાટ્યાત્મકતાનું મિથક →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved