Opinion Magazine
Number of visits: 9450165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થીઓ અને યુવાનોની રાજકારણમાં સક્રિય ભાગીદારીનું સ્પષ્ટતાપૂર્વક સમર્થન કરનાર ભગતસિંહ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|18 March 2017

આવતા ગુરુવારે [23 માર્ચ 2017] ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતનો દિવસ છે

શહીદે આઝમ ભગતસિંહે જૂન 1928માં એક લેખમાં લખ્યું છે : ‘આજે રાષ્ટ્રીય કૉલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ સત્યાગ્રહમાં બારડોલીના લોકોને મદદ કરે છે તેઓ શું મૂર્ખ છે ?…. કોઈપણ દેશને આઝાદી અપાવનારા એ દેશના યુવાનો જ હોય છે.’ ‘કિરતી’ માસિકના ઉપર્યુક્ત લેખનો વિષય છે ‘વિદ્યાર્થી અને રાજકારણ’. પહેલા જ વાક્યમાં ભગતસિંહ કહે છે : ‘આજકાલ આ વાતની ખૂબ ચર્ચા થાય છે કે વિદ્યાર્થીઓએ રાજકારણ કે રાજનૈતિક કામોમાં ભાગ લેવો જોઈએ કે નહીં.’ ચર્ચાનું નિમિત્ત પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા પર પ્રતિબંધ મૂકતો નિયમ હતો . એ અંગે ભગતસિંહે જે નોંધ્યું છે તે આપણે ત્યાં હંમેશ માટે પ્રસ્તુત છે : ‘આજે પંજાબ કાઉન્સિલની કાર્યવાહી વાંચીને એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારું શિક્ષણ તદ્દન નિરર્થક છે. દુનિયાની વાત તો બાજુ પર રહી, પણ વિદ્યાર્થીઓ પોતાના દેશની સમસ્યાઓમાં પણ ભાગ લેતા નથી. તેમને આ બાબતમાં કશું જ જ્ઞાન હોતું નથી … તેમને આજે બુદ્ધિહીન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’

સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની આ વાત ઉદારીકરણના નવસામ્રાજ્યવાદના યુગમાં પણ લાગુ પડે છે. નવમા દાયકામાં ઉદારીકરણનો ફેલાવો થતો ગયો તેની સાથે વિદ્યાર્થીઓની જાહેર જીવન અને રાજકારણમાંની સામેલગીરીનું પ્રમાણ ઘટતું ગયું. તે પૂર્વે, એટલે કે સાતમા અને આઠમા દાયકાના આંદોલનો દરમિયાન રાજકીય રીતે સક્રિય વિદ્યાર્થીઓનો ફાલ ઊતર્યો. તેમાંથી કેટલાક આગેવાનો મળ્યા. જેમ કે, ગુજરાતના નવનિર્માણ આંદોલનના અરધો ડઝન યુવા નેતાઓમાંથી મનીષી જાની, જે આજે ય લોકચળવળોમાં સક્રિય છે. જયપ્રકાશની સંપૂર્ણ ક્રાન્તિની ચળવળમાંથી  લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર આવ્યા. અરુણ જેટલી દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા ત્યારે કટોકટી સામેની લડતમાં જેલ ગયા હતા. પ્રકાશ કરાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)માં સામ્યવાદી પક્ષના સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ  ઇન્ડિયાના એક સ્થાપક હતા. સીતારામ યેચુરી એ સંગઠનના સભ્ય હતા. બ્રિન્દા કરાત અને વેંકૈયા નાયડુ અનુક્રમે કોલકાતા અને આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા.

કમનસીબે ઉદારીકરણ અને તેની સાથે ખાનગીકરણ તેમ જ વૈશ્વિકરણે શિક્ષણનો ઉદ્દેશ જ બદલી નાખ્યો. શિક્ષણમાં ઉત્પાદન, નફો, વ્યવસ્થાપન, વ્યક્તિગત સફળતા, મોટા પગારવાળી કૉર્પોરેટ જૉબ્સ  માટેની તાલીમ મહત્ત્વની બનતી ગઈ. જિજ્ઞાસા, પ્રશ્નવૃત્તિ અને જ્ઞાનલક્ષી મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપતી કેળવણી ગૌણ બની ગઈ. શિક્ષણનો અને જાહેર જીવનનો સંબંધ ઘટતો ગયો. રાજકારણમાં સાર્વજનિક હિતનું સ્થાન હવે રાજકારણી તરીકેની વ્યક્તિગત સિદ્ધિએ લીધું. કૉલેજો-યુનિવર્સિટીઓની ચૂંટણીઓ યૌવનસહજ બળવાખોર વિચારોને બદલે પૈસા અને ગુંડાગર્દીથી લડાવા લાગી. કૅમ્પસ પૉલિટિક્સની છબિ જનમાનસમાં ખરડાતી ચાલી. સત્તાવાળાઓને દોડવું’તું ને ઢાળ મળ્યો. કેટલી ય યુનિવર્સિટીઓમાંથી કૉલેજમાંની ચૂંટણીઓને જાકારો મળ્યો. તેની પાછળ ચૂંટણીઓ દૂષણ છે અને તે વિદ્યાર્થીઓને રાજકારણમાં ઘસડી જાય છે એ મતલબનાં કારણો આગળ ધરવામાં આવ્યાં. એ બંને કારણો કેવાં ગેરવાજબી છે તે લોકશાહી દેશની તમામ સ્તરની ચૂંટણીઓના સંદર્ભે વિચારતાં સમજાઈ જાય. વળી જે દેશમાં લોકપ્રતિનિધિઓની પસંદગી માટે અઢાર વર્ષે મતાધિકાર હોય ત્યાં શિક્ષણક્ષેત્રના પ્રતિનિધિઓની ચૂંટણીઓ જ ન હોય તે ભારોભાર વિસંગત છે. ગયા વર્ષે જૂનમાં સરકારે નવી શિક્ષણ નીતિ અંગેનાં સૂચનો માટે નીમેલી સુબ્રમણ્યન સમિતિએ વિદ્યાર્થીઓની રાજકીય પ્રવૃત્તિઓ પર ઘણાં નિયંત્રણો જ સૂચવ્યાં છે. તે પહેલાંની લિંગડોહ સમિતિનાં કૉલેજ ચૂંટણીઓ વિશેનાં સૂચનો પણ વધારે પડતાં બંધકર્તા ગણાયાં હતાં. ખરેખર તો આ ચૂંટણીઓ યુવા નાગરિકો માટે સક્રિય રાજકારણ માટેની ભૂમિકા પૂરી પાડે છે.

‘કિરતી’ના લેખમાં ભગતસિંહ પૂછે છે : ‘સક્રિય રાજકારણ એટલે શું ? ગાંધી, નહેરુ અને સુભાષચન્દ્ર બોઝનું ભાષણ સાંભળવું તે સક્રિય રાજકારણ ન કહેવાય ? તો કમિશન અને વાઇરૉયનું સ્વાગત કરીએ તો એ શું કહેવાય ? દેશો અને સરકારોની વ્યવસ્થા સંબંધી કોઈપણ વાત રાજકારણના ક્ષેત્રમાં જ ગણાઈ જાય. તો પછી આ રાજકારણ થયું કે નહીં ? કહેવાય છે કે એકથી સરકાર ખુશ થાય છે, બીજાથી નારાજ. શું વિદ્યાર્થીઓને જન્મની સાથે ખુશામતના પાઠ ભણાવવામાં આવે ?’

આપણી સરકાર વિદ્યાર્થીઓથી નારાજ રહે છે. તેના દાખલા મળતા રહ્યા છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભાજપના માનીતા સાધારણ નટની વડા તરીકેની નિમણૂંકની સામે 139 દિવસ   લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે પુષ્કળ દમન કર્યું હતું જેની વાત દેશભરમાં ફેલાઈ. તે પછી તરત જ ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુજીસી’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ  શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડા વિરુદ્ધ યુજીસીની ઑફિસ સામે આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જે.એન.યુ. કૅમ્પસમાં કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે કડક કાર્યવાહી એટલા માટે થઈ કે દેશભક્તિ અને કાશ્મીર સમસ્યા સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. રોહિત વેમુલાની આત્મહત્યા માટે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પાસે જવાબ માગતા વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. યુપીએની સરકારે લાદેલી નિરર્થક અને નુકસાનકારક સેમિસ્ટર સિસ્ટમ દૂર કરવા માટે ગુજરાત સહિત વિદ્યાર્થીઓએ અનેક જગ્યાએ ચલાવેલી ચળવળોને શાસકોએ ગણકારી નથી.

આમ પણ યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આપણા દેશની ગણતરીમાં જ નથી હોતાં. કૉલેજો-યુનિવર્સિટીઓના કર્મચારીઓ, અધ્યાપકો, આચાર્યો અને વહીવટકર્તાઓના એક મોટા વર્ગ માટે વિદ્યાર્થીઓ એમની નોકરીઓ ચાલે તે માટે પૂરતી સંખ્યામાં ચોપડે ચડતાં નામોથી વિશેષ કશું હોતા નથી. કૉલેજિયનો એટલે સાવ આળસુ, ઉડાઉ અને ઉદ્ધત ટોળાં તરીકેની ગેરવાજબી છાપ સમાજે મનમાં સંઘરી છે. જુદાં જુદાં કાઉન્ટરો પરના કર્મચારીઓનું અને પોલીસનું કૉલેજિયનો સાથેનું અપમાનજનક વર્તન જોવા જેવું હોય છે. વિદ્યાર્થી એ જાણે ગમે તેમ કરીને ચૂપ બેસાડવા માટે જ જન્મેલાં છે એ વલણ આપણા સમાજ અને શાસકોમાં વ્યાપક છે.

ભગતસિંહ માટે વિદ્યાર્થી એ યુવાશક્તિનું પ્રતીક છે. તેમની હાકલ ‘કૌટુંબિક જંજાળમાં જકડાયા પહેલા’,  ‘તન-મન-ધન દેશ માટે સમર્પિત કરી દે’ તેવા ‘વિદ્યાર્થી કે યુવાન’ લોકોને છે. ભગતસિંહે ખુદની જિંદગી ‘ખિદમતે વતન કે લિએ વક્ફ’ કરીને, ઘરબારનો ત્યાગ કરીને ક્રાન્તિકાર્યમાં સોળ વર્ષની ઉંમરે જ ઝંપલાવ્યું હતું.  યૌવનના તેઓ ચાહક હતા. સત્તરમા વર્ષે  લખેલા ‘યુવક’ નામના નિબંધમાં અને સ્વનામધન્ય ‘નવજવાન ભારત સભા’ના 1928ના ઘોષણાપત્રમાં તેમણે યૌવન તેમ જ  દુનિયાના ઇતિહાસમાં તેની સરફરોશીનું બહુ જ ગૌરવ કર્યું છે. અલબત્ત, તેમના માટે યુવાનોએ માત્ર રાજકીય પરિવર્તન નહીં પણ માનવમાત્રની સમાનતા માટેની સામાજિક ક્રાન્તિ પણ લાવવાની છે. એટલા માટે પંજાબ છાત્ર સંઘના લાહોરના અધિવેશન માટે ઑક્ટોબર 1929માં  જેલમાંથી મોકલેલા સંદેશમાં તેમણે લખ્યું : ‘નૌજવાનોં કો ક્રાન્તિ કા યહ સંદેશ દેશ કે કોને-કોને પહુંચાના હૈ … જિસસે આઝાદી આયેગી ઔર તબ એક મનુષ્ય દ્વારા દૂસરે મનુષ્ય કા શોષણ અસંભવ હો જાયેગા.’   

16 માર્ચ 2017

++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 માર્ચ 2017

Loading

18 March 2017 admin
← માતૃભાષાનું ગૌરવ : આપણા હાથની વાત
કરિશ્મા, નરેન્દ્ર મોદી અને ન્યૂ ઇન્ડિયા →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved