Opinion Magazine
Number of visits: 9447398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રવાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 December 2016

ઘરડાઠચ્ચ રાજનેતાના અવસાન પછી રાષ્ટૃીય શોકમાં રાષ્ટૃધ્વજ અડધી કાઠીએ કરવાની નીતિ ફેરવિચારણા માગી લે છે

દેશની સર્વોચ્ચ અદાલતે સિનેમાઘરોમાં રાષ્ટ્રગીતના ફરજિયાત ગાનનો ચુકાદો આપ્યો તે પછીની બે ઘટના: ભારતીય હોકી ટીમના કેપ્ટન વંદના કટારિયાએ હરિદ્વારના એક મોલના સિનેપ્લેક્સમાં ફિલ્મના આરંભે રાષ્ટ્રગીત ન વગાડવાના વિરોધમાં ફિલ્મ જોવાનું માંડી વાળ્યું. મેનેજમેન્ટનો બચાવ હતો કે તેમને ફિલ્મના આરંભે રાષ્ટ્રગીત વગાડવા અંગેનો કોઈ અદાલતી આદેશ મળ્યો નથી! સત્તા પક્ષ ભા.જ.પ.ના પ્રવક્તા અને ઍડવોકેટ અિશ્વનીકુમારની, દેશની તમામ અદાલતોની કાર્યવાહી રાષ્ટ્રગીતથી શરૂ કરવાની જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટે એમ કહીને ફગાવી કે (થિયેટરોમાં) રાષ્ટ્રગીત ફરજિયાત કરતાં તેમના આદેશને આ હદે (ઓવરસ્ટ્રેચ્ડ) ખેંચવો ન જોઈએ!

જસ્ટિસ દીપક મિશ્રા અને અને અમિતાવ રોયની ખંડપીઠે થિયેટરોમાં ન માત્ર રાષ્ટ્રગીત વગાડવા આદેશ કર્યો છે, એ સમયે ફિલ્મી પડદે રાષ્ટ્રધ્વજ લહેરાતો બતાવવા, તમામ દર્શકોને ફરજિયાત સાવધાનની મુદ્રામાં ઊભા રહેવા અને થિયેટરોના દરવાજા બંધ રાખવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાની સારીનરસી અસરોની ચર્ચાથી માંડીને અદાલતોની અસીમિત સક્રિયતાના મુદ્દે ટીકાઓ પણ થઈ રહી છે. આ સાથે જ રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રગીત-રાષ્ટ્રધ્વજ જેવાં રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યેનો આદર અને નાગરિક ફરજો જ નહીં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદના મુદ્દા પણ ચર્ચાના ચોકમાં આવ્યા છે.

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જેવાં રાષ્ટ્રીય પ્રતીકો આ પૂર્વે પણ ચર્ચા અને વિવાદનાં કેન્દ્રો રહ્યાં છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોર લિખિત ‘જનગણમન’માં આવતા ‘અધિનાયક’ શબ્દનો હવાલો આપીને આ ગીત તો જ્યોર્જ પંચમનું સ્તુિતગાન છે, તે કઈ રીતે રાષ્ટ્રગીત હોઈ શકે તેમ પણ કહેવાયું હતું. કવિવર ટાગોરે આ વાતનો ખુલાસો કરી, રાજા જ્યોર્જનું સ્તુિતગાન લખવાનું મૂર્ખતાપૂર્ણ કામ તેઓ હરગીઝ ન કરે તેમ કહ્યું હતું.

જનગણમનમાં આવતા ‘સિંધ’ શબ્દને બદલે ‘કશ્મીર’ કરવાની પણ માગ ઊઠી હતી. જાણીતા દોડવીર  સંજીવ ભટનાગરે ભાગલા પહેલાંના સિંધનો આઝાદ ભારતના રાષ્ટ્રગીતમાં ઉલ્લેખ ટાળવા અદાલતમાં દાદ માગી હતી. તેમણે રશિયાના રાષ્ટ્રગીતમાં કે અમેરિકાના રાષ્ટ્રધ્વજમાં થયેલા ફેરફારો પોતાની તરફેણમાં રજૂ કર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે ભારત સરકારની એ દલીલ સ્વીકારી હતી કે રાષ્ટ્રગીતમાં આવતો સિંધનો ઉલ્લેખ કોઈ ભૌગોલિક સીમા કે માત્ર શબ્દાર્થ પૂરતો મર્યાદિત ન ગણવો જોઈએ.

આપણા રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’નો ઈતિહાસ પણ રસપ્રદ છે. 1905ની સાતમી સપ્ટેમ્બરે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વારાણસી અધિવેશનમાં તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ ગોપાલકૃષ્ણ ગોખલેની અનુમતી વિના જ તે પહેલીવાર ગવાયું હતું. 2006માં વંદે માતરમના શતાબ્દી વરસે દેશની તમામ શાળાઓમાં તેના સમૂહ ગાનના સરકારી આદેશનો મુસ્લિમો દ્વારા ભારે વિરોધ થયો હતો. આ ગીતમાં ભારતને માતા સાથે સરખાવવામાં આવે છે, તે મુસ્લિમો સ્વીકારતા નથી. દેશના બંધારણે અને સંસદે સર્વાનુમતે જેને રાષ્ટ્રગીત ઠેરવ્યું હોય, તેનો વિરોધ ખુદ લોકશાહીની સઘળી મર્યાદાનો લોપ સમાન ગણાવો જોઈએ. બીજી તરફ ‘ભારત મેં રહેના હો તો વંદે માતરમ ગાના હી હોગા’ની હઠ અને બૂમરાણ પણ ન તો દેશપ્રેમ છે કે ન તો રાષ્ટ્રવાદ.

ઉદ્યોગપતિ અને સાંસદ નવીન જિંદાલે રાષ્ટ્રધ્વજનો આમઆદમી પણ ઉપયોગ કરી શકે તે માટે દીર્ઘ કાનૂની સંઘર્ષ કર્યો હતો. 2002માં સર્વોચ્ચ અદાલતે શરતોને આધીન રાષ્ટ્રધ્વજનો ઉપયોગ માત્ર સરકાર નહીં આમઆદમી પણ કરી શકશે તેવો ચુકાદો આપ્યો હતો. તેને કારણે તિરંગો ધ્વજ સરકારી ઇમારતોની શોભા ન બની રહેતાં સામાન્ય નાગરિકના ઘરે ફરકાવવાનું શક્ય બન્યું હતું.

રાષ્ટ્રધ્વજનો ઉપયોગ સામાન્ય નાગરિક માટે સુલભ બન્યો તે તો સારું જ થયું, પણ ઘરડાઠચ્ચ રાજનેતાના અવસાન પછી જાહેર કરાતા રાષ્ટ્રીય શોકમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ કરવાની નીતિ ફેરવિચારણા માગી લે છે. સેંકડો કે હજારોની સંખ્યામાં નાગરિક મોત વખતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ન થાય તે બાબત નાગરિકને મૂંઝવે છે. રાવલપિંડીના લશ્કરી શસ્ત્ર સરંજામના કારખાનામાં વિસ્ફોટ વખતે પાકિસ્તાનના તત્કાલીન લશ્કરી શાસક ઝીયાએ કે હમણાં પેશાવરની શાળાનાં બાળકો પરના આતંકી હુમલા વખતે વર્તમાન વડાપ્રધાન નવાઝ શરીફે તેને રાષ્ટ્રીય શોકની ઘટના ગણી પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખ્યો હતો.

ત્સુનામીનો ભોગ બનેલા એશિયાઈ નાગરિકોના શોકમાં અમેરિકી રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો હતો, પણ ભારતમાં મોરબી હોનારત, ગોઝારા ભૂકંપ, વાવાઝોડાં કે ઉત્તરાખંડની ઘટનાઓ, રેલમાર્ગ, વિમાની અકસ્માતો વખતે આઝાદ હિંદનો તિરંગો ઊંચોને ઊંચો જ રહે છે. નાગરિકોનાં મોત એ રાષ્ટ્રીય શોકનો મુદ્દો બનતો નથી. ત્યારે રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીત પ્રત્યે નાગરિકના મનમાં કઈ રીતે સહજ ભાવે પ્રેમ અને સન્માન જાગે? અને એટલે જ ક્રાંતિકારી ચે ગુવેરાએ કહ્યું છે તેમ ‘ગરીબના શરીર પરનું ચીંથરું મારો રાષ્ટ્રધ્વજ છે’ તે કેટલું સાચું છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછીની રાષ્ટ્રવાદની ચર્ચા નિમિત્તે આ વરસે જેની શતાબ્દી છે તે રવીન્દ્રનાથ ટાગોરના અમેરિકા અને જાપાનમાં અપાયેલાં રાષ્ટ્રવાદ વિશેનાં વ્યાખ્યાનો સાંભરે છે. 55 વરસના, સાહિત્યના નોબેલથી પુરસ્કૃત રવીન્દ્રનાથના 1916-17માં અપાયેલાં આ વ્યાખ્યાનોનો જાપાન-અમેરિકામાં ભારે વિરોધ થયો હતો. આ વ્યાખ્યાનોમાં વ્યક્ત થયેલા વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ટાગોરે કહ્યું હતું, ‘ભારત ક્યારે ય સાચા અર્થમાં રાષ્ટ્રવાદી નહોતું. બચપણથી મને શિખવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રની પૂજા ઈશ્વરની અને માનવતાની પૂજા કરતાં મોટાં છે, પણ મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ આવી શિખામણો વિરુદ્ધ લડીને રાષ્ટ્ર નહીં માનવતા જ સૌથી મહાન છે તેમ માનતા રહેશે.’

ત્રીજી જાન્યુઆરી 1934ના ‘હંસ’માં પ્રકાશિત લેખમાં પ્રેમચંદે ‘એ કોણ નથી જાણતું કે જાતિભેદ અને રાષ્ટ્રીયતા એ બે ની વચ્ચે અમૃત અને વિષ જેટલો ભેદ છે.’ તેમ સ્પષ્ટ કરીને લખ્યું હતું. ‘આપણે જે રાષ્ટ્રીયતાનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ, તેમાં જન્મગત વર્ણો રજમાત્ર ન હોય. તેમાં શ્રમિકો-કિસાનોનું રાજ હશે. તેમાં ન કોઈ બ્રાહ્મણ હશે, ન હરિજન, ન કાયસ્થ, ન ક્ષત્રિય. તેમાં બધા ભારતવાસી હશે.’ ગાંધીજીએ પણ લખ્યું છે, ‘કોઈ દેશભક્તમાં માનવતા ઓછી હોય તેટલા પ્રમાણમાં દેશભક્તિ ઓછી ગણાશે.’ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતના રાષ્ટ્રવાદીઓની ‘રાષ્ટ્રદ્રોહી’ની ગાળો સતત ખાતા રહ્યા છે.

વતનમાં બેવતનની જિંદગી જીવતા ભારતના દલિતોનો રાષ્ટ્રવાદ ડૉ. આંબેડકરની આ પસંદગી પરથી સમજાય છે. ડૉ. આંબેડકરે કહ્યું છે, ‘જો મારે દેશહિત અને દલિતહિત વચ્ચે પસંદગી કરવાની આવશે, તો હું નિશ્ચિતપણે દલિતહિત પસંદ કરીશ. પણ જો મારે અંગતહિત અને દેશહિત વચ્ચે પસંદગી કરવાની આવશે, તો નિશ્ચિતપણે મારી પસંદગી દેશહિતની હશે. આપણે પ્રથમ ભારતીય છીએ અને પછી હિંદુ, મુસલમાન, સિંધી અથવા કન્નડી છીએ એવી ભાવના કરતાં આપણે પ્રથમ ભારતીય છીએ અને પછી પણ ભારતીય જ છીએ, એવી ભાવનાનું નિર્માણ કરવું જોઈએ.’

રાષ્ટ્ર્વાદની આ બૂમરાણમાં ગાંધી-ટાગોર-પ્રેમચંદ-આંબેડકરે જે ‘સાબાર ઉપર માનુષ’ની વાત કરી છે તે રખે વિસરાય.

સૌજન્ય : ‘ગરીમા’, “દિવ્ય ભાસ્કર”, 15 ડિસેમ્બર 2016

Loading

16 December 2016 admin
← ડૉ. દક્ષા પટેલઃ સમન્વયી ભાવબુદ્ધિની સેવા યાત્રા
Can Compulsions Elicit Respect? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved