Opinion Magazine
Number of visits: 9449389
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોનો પક્ષ લેતાં સરકાર અચકાય છે કેમ?

ડંકેશ ઓઝા|Samantar Gujarat - Samantar|30 August 2016

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિતોને બાંધીને ખુલ્લેઆમ લાઠીથી ફટકારવામાં આવ્યા. એનો વીડિયો ઉતારવામાં આવ્યો.

આ ઘટના પોલીસચોકીની નજીકના વિસ્તારમાં જ બની. કહેવાતા ગૌરક્ષકોના હાથમાં જે લાકડી હતી, તે પોલીસની હતી. આ બધી દૃશ્યાવલી દર્દનાક છે. જ્યારે પણ જે કોઈ ચૅનલ પર તે દર્શાવાય છે, ત્યારે ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે, જે આ જોઈને હલબલી ન ઊઠે. અગિયારમી જુલાઈની આ ઘટનાના અઠવાડિયા પછી રાજ્યના મુખ્યમંત્રી, જે મહિલા છે અને મહિલાઓને જાહેરજીવનમાં આગળ કરવા પાછળનું એક કારણ તેઓ પુરુષો કરતાં વધુ સંવેદનશીલ હોય છે તેવું અપાય છે, તેઓ સ્થળ પર ગયાં અને ભોગ બનેલ દલિત પરિવારોની મુલાકાત લીધી, ત્યારે એમનું કહેવું એટલું જ હતું કે અમને જે રીતે માર્યા તે રીતે એમને મારવા જોઈએ.

વાત તો કાયદો હાથમાં લેવાની જ છે. પહેલાં કહેવાતાં ગૌરક્ષકોએ કાયદો હાથમાં લીધો. હવે દલિતો બદલામાં કાયદો હાથમાં લેવા માંગે છે. આવું બને તો તે લોકશાહી માટે ખતરાની ઘંટડી છે. આખા સમાજ માટે એ લાંછનરૂપ છે. કાયદો અને વ્યવસ્થાની રીતે સરકાર નબળી પુરવાર થઈ છે. સંસ્કારિતાની રીતે આખો સમાજ નિષ્ફળ પુરવાર થયો છે.

શરૂઆતમાં શિવસૈનિકોનું આ કામ છે, એવી વિગત બહાર આવી. શિવસેનાએ તરત એનો ઇન્કાર કર્યો. પછી કહેવાતા ગૌસેવકોના ફાળે આ અપકીર્તિ ગયાનું અખબારો કહે છે. જે બાબતે કોઈ રદિયો કે સ્પષ્ટતા મળતા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અગાઉ ધર્મ છોડીને ગયેલા દલિતોને પાછા હિન્દુ ધર્મમાં લાવવાના ઘરવાપસીના કાર્યક્રમો ભૂતકાળમાં યોજાયા છે, ત્યારે આવા પ્રસંગે તેમની જવાબદારી ઘણી બને છે.

દલિતો એટલે સમાજના છેવાડાના માણસો, જેમને સદીઓથી અસ્પૃશ્ય ગણ્યા છે, જેમની પાસેથી ગંદકીની સફાઈનું કામ લીધું છે, જેમની સાથે માનવીય વ્યવહાર દાખવ્યો નથી તેવો વર્ગ. આજે પણ ગામડામાં પોતાને ત્યાં લગ્ન હોય, તો ઢોલ વગાડવા ન દેવાય, લગ્નનો વરઘોડો કાઢવો હોય, તો વરરાજાએ હેલમેટ પહેરવી પડે, એવા કિસ્સાઓ હજુ ગઈ કાલના છે. હિન્દુ સમાજના સશક્ત વર્ગો ખાસ કરીને ગામડામાં તેમના પર જે દાદાગીરી કરે છે, તેથી ગામ છોડીને આ વર્ગને હિજરત કરવી પડે છે. આવા કિસ્સા આપણી સ્મૃિતમાંથી વિસરાઈ ગયા હોય, તો હર્ષદ દેસાઈ અને ચંદુ મહેરિયાએ લખેલ પુસ્તક ‘સાંભરડાથી સ્વમાનનગર સુધી’ જોઈ જવું જોઈએ.

રાજકારણીઓએ જે ઝડપથી મુલાકાતો લેવાનું શરૂ કર્યું, તેથી આ ઘટનાને રાજકીય રંગ જરૂર અપાયો છે, પરંતુ પ્રશ્નને રાજકીય રીતે જોવાની જરૂર નથી. કૉંગ્રેસના રાજ્યમાં આવી ઘટનાઓ ઓછી બની નથી. અમદાવાદના પાદરમાં જેતલપુર ગામ આવેલું છે, જે સ્વામિનારાયણ મંદિરને કારણે ખૂબ જાણીતું છે. ત્યાં ચારેક દાયકાપૂર્વે દલિત શકરાને જીવતો સળગાયાની ઘટના બની હતી. આજે દલિતો પોતે આવી ઘટનાના વિરોધમાં બળી મરવાનો પ્રયાસ કરે છે કે ઝેરી દવા પીવાનો પ્રયાસ કરે છે. આ બધું દર્શાવે છે કે સમાજ બહુ બદલાયો નથી પણ પરિસ્થિતિ વધુ વકરતી જાય છે.

ટેક્નોલૉજીની સુવિધાઓ વધી છે, તેથી આવી ઘટનાઓની ત્વરિત વ્યાપક અસર જોવા મળે છે. પરંતુ હજુ શાસનતંત્ર એવું ને એવું જ છે. કલેક્ટરને જાતે જવાનું તો મન ન થયું, પણ ગાંધીનગરથી કહેવામાં આવ્યું છતાં ન ગયા, એવા સમાચાર છેેેેેેેે. હોબાળો મચે ત્યારે ફાયરબ્રિગેડની જેમ તંત્ર દોડવા તૈયાર છે, પણ હોબાળો ન થાય તો તે સંવેદનબધિર રહે છે. એના પુરાવા કાયમ મળતા રહે છે. રાજકીય રીતે ગમે તે પક્ષની સરકાર હોય, પરિસ્થિતિમાં બહુ બદલાવ જણાતો નથી, જે દર્શાવે છે કે આખો સમાજ આવી બાબતોમાં ક્યાં તો સંવેદનાહીન બની ગયો છે, ક્યાં તો આ બધું તેને કોઠે પડી ગયું છે.

હવે વિગતો આવવા માંડી છે કે બજેટમાં સ્પેિશયલ કૉમ્પોન્ટ પ્લાન જુદો છાપીને જે બજેટ જુદું ફાળવાય છે, તેનાં નાણાં પણ જે હેતુ માટે જોગવાઈ કરી છે, ત્યાં વાપરવાને બદલે અન્યત્ર વપરાય છે. એક તરફ અનામત વિરોધી આંદોલનો થયાં છે, તો બીજી તરફ બૅકલોગની જગ્યાઓ ભર્યા વગરની પડી રહી છે. એટ્રોસિટી એક્ટના મુદ્દે સમાજ ઘણી ભીંસ અનુભવે છે. પણ બીજી તરફ એ કેસો કદી ઝડપથી ચાલતા નથી. તેમાં  જામીનની જોગવાઈ ન હોવા છતાં આરોપીઓને જામીન સુધ્ધાં મળી જાય છે, જે બાબતે દલિત કર્મશીલ વાલજીભાઈ પટેલ વેદનાપૂર્વક અવારનવાર વિગતો બહાર પાડે છે.

આપણે ત્યાં પરંપરા એવી ઊભી કરાઈ છે કે દલિતોના કલ્યાણનો વિષય દલિતમંત્રીને સોંપવો અને આદિવાસી કલ્યાણનો વિષય આદિવાસી મંત્રીને સોંપવો અને મહિલા કલ્યાણનો વિષય મહિલામંત્રીને સોંપવો. આમ કરીને આપણે કલ્યાણના નામે કેટલું ઉકાળી શક્યા એ જોઈ શકાય છે. તે માટે કોઈ લાંબા સંશોધનની જરૂર લાગતી નથી.

આ વખતની ઘટના વેળાએ અનામતના લાભાર્થી દલિતો ખુલ્લેઆમ બહાર આવ્યા છે એ સારું છે. પણ અનામત બેઠકો પર ચૂંટાતા દલિત સાંસદો, દલિત ધારાસભ્યો અને અન્ય કક્ષાએ ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓ હજુ પક્ષની શિસ્તના નામે જાગૃતિ દર્શાવતા બોલકા બનીને બહાર પડ્યા હોય તેવું જોવા મળતું નથી. એક માત્ર દલિત ધારાસભ્યે દલિત-સમસ્યા બાબતે ધ્યાન આપવા રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખ્યો હોવાનું બહાર આવ્યું. તે ક્રૅડિટ અસારવાના ધારાસભ્ય નિવૃત્ત આઈ.એ.એેસ. અધિકારી આર.એમ. પટેલને ફાળે જાય છે.

સંખ્યાબંધ દલિત સામયિકો ગુજરાતમાંથી નીકળે છે. સરકારી નહીં તો દલિત સમાજમાંથી દલિતસાહિત્ય અકાદમી પણ રચાઈ છે. મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં દલિતસાહિત્યનું વ્યાપક ખેડાણ થયું છે. આમ છતાં, અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર તરફના એક માત્ર દલિત સાહિત્યકાર ઍવૉર્ડવાપસીના નામે બહાર આવ્યા છે.

ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદ જેવા સંતો અસ્પૃશ્યતાના નામે આ છેલ્લી ટ્રેન છે, એવું દાયકાઓ પૂર્વે ગાઈ-વગાડીને કહી ચૂક્યા છે. અદ્વૈત ફિલસૂફીમાં માનતો સનાતનધર્મ કેવી રીતે દ્વૈતથી લઈને આભડછેટને તળિયે જઈ પહોંચ્યો તે ઝટ સમજાય નહીં તેવી હકીકત છે. ગુજરાતનો સમાજ અતિશય ધાર્મિક મનાતો હોય ત્યારે અધર્મની સરહદને અડી જાય એવો વ્યવહાર કેમ જોવા મળતો હશે એ સવાલ મૂંઝવી નાખનારો છે.

આગળ વધેલા વર્ગે પાછળ રહી ગયેલાનું ધ્યાન રાખવાનું હોય છે. આ બાબત હવે કુટુંબોમાં પણ વિસરાવા લાગી છે. આખા સમુદાયમાંથી તો અદૃશ્ય ન થઈ ગઈ હોય એવું લાગે છે. તેમ છતાં આવી ઘટના બને એ ખરી ચિંતાનો વિષય છે. પ્રજાકલ્યાણને વરેલી સરકારોને જરૂર દોષ દઈ શકાય, પરંતુ તેટલા માત્રથી વાત પતતી નથી. પ્રશ્નનાં મૂળ, દૂષણની જડ કદાચ વધુ ઊંડે ઊતરી ગઈ હોય તેવું આજે વર્તાય છે, તેથી સંવેદનશીલ જાગૃતજનો માટે આ સમસ્યા ઘેરી બને છે. બધા જ વર્ગોએ સમાજના હિતચિંતક બનીને પ્રશ્નને મૂળિયાંથી લઈને ટોચ સુધી તપાસવાની ઘડી આવી પહોંચી છે. હજુ નહીં જાગીએ તો લાંબે ગાળે એકાદ વર્ગ નહીં, આખો સમાજ તેનો ભોગ બનશે એટલું નક્કી.

e.mail : dankest.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; 08 & 05

Loading

30 August 2016 admin
← અમદાવાદનું દલિત-સંમેલન : આસપાસ અને આરપાર
મારો ભાષાપ્રવેશ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved