Opinion Magazine
Number of visits:
10194239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન તરીકે અપાયેલું જે કાંઈ હતું તેનો સર્વનાશ મનુષ્યોએ કરી નાખ્યો છે : ૮૭ વર્ષ પૂર્વે પર્યાવરણ માટે ટાગોરનો વિલાપ*

રૂપાલી બર્ક|Opinion - Opinion|17 September 2026

— I — 

પહાડો ધસી રહ્યા છે, જંગલો સળગી રહ્યા છે, નદીઓ સુકાઈ રહી છે. હમણાં સમગ્ર વિશ્વમાં કુદરતી આપદાઓ વધી ગઈ છે. પશ્ચિમના દેશોમાં એક તરફ, ન જોયો હોય એટલો મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ, અસહ્ય હીટ વૅવનો અનુભવ થઈ રહ્યો છે. અત્યાર સુધી ‘ગ્લોબલ વોર્મિંગ’ કહેવાતું હતું એ હવે ‘ગ્લોબલ બોઈલિંગ’ કહેવાવવા લાગ્યું છે. પૃથ્વીનું સતત વધતું તાપમાન આ પ્રક્રિયાના નામકરણમાં કરાયેલા ફેરફારમાં પ્રતિબિંબિત થાય છે. આત્યંતિક અને ઝડપી જળ-વાયુ પરિવર્તનને વ્યાખ્યાયિત કરતાં ૨૭ જુલાઈ, ૨૦૨૩માં સંયુક્ત રાષ્ટ્રના વડા આન્તોન્યો ગટૅરસે આ કઠોર શબ્દોનો ઉપયોગ કરતા કહેલું, “જળ-વાયુ પરિવર્તનનું આગમન થઈ ચુક્યું છે અને તે ભયાનક છે. વળી, આ તો હજુ શરૂઆત છે …બાળકો ચોમાસાના વરસાદમાં તણાઈ જાય છે, જ્વાળાઓથી પરિવારોને નાસવું પડી રહ્યું છે, કામદારો અસહ્ય ગરમીથી મૂર્છા પામી રહ્યાં છે. હવે ખચકાટ કે બહાના ચાલશે નહીં. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ દરિયાની વધતી સપાટી અંગે ચેતવણી ઉચ્ચારી છે કે ભારતના મુંબઈ, કોલકાતા સહિત વિશ્વભરમાં લાખો લોકોના માથા પર વિસ્થાપનનું જોખમ તોળાઈ રહ્યું છે. 

૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગણિતવીદ્દ અને શિક્ષક, લેખક-અનુવાદક ઉત્પલ ચટોપાધ્યાયના પ્રસિદ્ધ થયેલા લેખમાં (scroll.in) એમણે રબીન્દ્રનાથ ટાગોરે ૮૭ વર્ષ પૂર્વે, ૨ સપ્ટેમ્બર, ૧૯૩૮ના રોજ શ્રીનિકેતનમાં વૃક્ષારોપણ સમારોહની શરૂઆત કરેલી એ પ્રસંગે એમણે આપેલું અગમચેતીરૂપ વક્તવ્ય ઉત્પલ ચટોપાધ્યાયએ પ્રથમ વખત બંગાળીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી આપ્યો છે જેનો પ્રથમ ગુજરાતી અનુવાદ કરી આપ સમક્ષ લેખના ઉતરાર્ધમાં સહર્ષ રજૂ કરું છું. ઉત્પલ લખે છે :

‘લગભગ એક સદી પૂર્વે જ્યારે પર્યાવરણીય અધ:પતનથી સાંપ્રત સમયમાં કટોકટી સર્જાઈ છે એવી પરિસ્થિતિ નહોતી, ત્યારે ટાગોરે જંગલના વિનાશ અંગે સમય પહેલા ચેતવણી ઉચ્ચારી હતી. કોલકાતા શહેરમાં જન્મ્યા હોવા છતાં ટાગોરને બાળપણથી જ પ્રકૃતિ સાથે ગાઢ સંપર્ક હતો. કિશારાવસ્થામાં પિતા દેબેન્દ્રનાથ સાથે હિમાલયની તળેટીના પ્રવાસનો અનુભવ એમણે આત્મકથાનક નોંધોમાં આવરી લીધો છે. બાદમાં, હાલ બાંગલાદેશમાં એવા શિલાઈદાહામાં એક જમીનદારી મિલ્કતની અવારનવાર મુલાકાત દરમ્યાન મહા નદી પદમા પર હોડીમાં સવારી દરમ્યાન એમને ઘણી ટૂંકી વાર્તાઓ અને ગીતો લખ્યાં. પ્રકૃતિના અફાટ વ્યાપનો, આકાશનો, પર્વતોનો, નદીઓનો અને બંગાળના ડેલ્ટા પ્રદેશની સપાટ, લીલીછમ ભૂમિનો અનુભવ એમણે કર્યો હતો. સમાંતરે એમણે કોલકાતા અને કોલકાતાની આસપાસના ઊંઘરેટા ગામોનું શહેરીકરણ જોયું અને કોંક્રિટના દમનકારી વ્યાપનો તથા મનુષ્યો અને પ્રકૃતિ વચ્ચે ઘટતા સંપર્કનો વિલાપ કર્યો. જ્યારે એમણે એમની શાળા સ્થાપી, હાલ શાંતિનિકેતન, વિશ્વભારતી, કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય — યુનૅસ્કો વર્લ્ડ હૅરિટૅજ સાઈટનો હિસ્સો છે, એમણે તકેદારી રાખી કે ચાર દીવાલનાં બંધિયાર વાતાવરણને બદલે વૃક્ષોની છાયામાં વર્ગો લેવામાં આવે.

… સતત શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફ ધસતા વિશ્વની માગ અને પ્રકૃતિ સાથે આપણા સંબંધોને જાળવવાની આવશ્યક્તા વચ્ચેનો સંઘર્ષ એમની કૃતિઓનો આવર્તક વિષય છે જેને સૌથી પ્રબળતાથી એમણે ‘રોક્તોકોરોબી’માં આલેખ્યો છે. ખનનના એક ભૂગર્ભ રાજ્યના અમાનવીકરણ કરતા યંત્રો સામે નંદીનીનું પાત્ર બંડ પોકારે છે. 

…આવી નિસ્બતથી ટાગોરે ‘હલકર્ષણા’, ખેતર ખેડવાના ઉત્સવ સાથે વૃક્ષારોપણ ઉત્સવ શ્રીનિકેતનમાં આદર્યો હતો.’

— II —          

‘જંગલના સ્વામી’

સૃષ્ટિના પ્રથમ તબક્કામાં પૃથ્વી પથરાળ અને ઉજ્જડ હતી. એની આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે કોઈ પણ પ્રકારે એની અનુકંપાના ચિહ્ન દેખાતા નહોતા. ચારેય દિશાઓમાં જ્વાળામુખીઓ ફાટવાથી જમીન અશાંત બની ગઈ હતી. આ બધું થઈ રહ્યું હતું તેવામાં એક અણધારી શુભ ઘડીએ જંગલની દેવીએ પૃથ્વીના રંચમંચ પર પોતાના સંદેશાવાહકોને મોકલ્યા. જે કાંઈ નગ્ન હતું એ લીલા ઘાસથી ઢંકાવા લાગ્યું, છોડ અને વૃક્ષ જીવનના અગ્રદૂત બની પ્રગટ્યા. પશુઓ હજુ અવતર્યા ન હતા. પ્રારંભિક અને મૂલ્યવાન જીવનને આવકારવા અને એનું જતન કરવા વૃક્ષો પોતાનો ખોરાક બનાવવા લાગ્યાં અને જમીન પર છાંયડો પાથરવા લાગ્યાં. સૂર્યના ધગધગતા કિરણોને સમેટી અને ભાવિ ઉપભોગ માટે સંગ્રહિત કરી એમણે મનુષ્યોને, જે ઘણાં સમય બાદ અસ્તિત્ત્વમાં આવવાના હતા, શ્રેષ્ઠ ભેટ આપી. આજે પણ મનુષ્યો જીવન અને ઊર્જાના એ જ સ્રોતમાંથી પુષ્ટ થઈને આગળ વધી રહ્યો છે. 

મનુષ્યો ટેવવશ બગાડ કરે છે. જ્યાં સુધી જંગલોમાં વિહરતા હતા એ પ્રકૃતિ સાથે સમૃદ્ધિ, અર્થપૂર્ણ અને સંતુલિત આદાનપ્રદાન જાળવતા હતા પરંતુ જ્યારથી વસાહતો રચવા લાગ્યા, ત્યારથી જંગલો સાથેનું જોડાણ ખોવા લાગ્યા. પૃથ્વી પર જીવનની અસલી અને દિવ્ય ભેટ લાવનાર સૌપ્રથમ મિત્રોને મનુષ્યો ભૂલી ગયા. એટલું જ નહીં, સૌથી ક્રૂર અને અવિચારી ઢબે જંગલો પર આક્રમણ કરવા લાગ્યા જેથી લાકડા, ઈંટ અને ચૂનાના કોલથી પોતાના ઘર બાંધી શકે. આદિકાળનાં લીલાં વૃક્ષોના આશીર્વાદને નજરઅંદાજ કરી મનુષ્યોએ પોતાની ઉપર વિસ્તરતો જતો શાપ નોતર્યો.

આજે ઉત્તર ભારતના હિસ્સા ઉજ્જડ બની રહ્યાં છે અને ઉનાળાના મહિનાઓમાં આત્યંતિક ગરમીથી બેહાલ થાય છે. પરંતુ પ્રાચીન પાઠથી પરિચિત વ્યક્તિને ખ્યાલ હોય જ કે આ વિસ્તારો એક વખતે જંગલોથી આચ્છાદિત હતા જ્યાં સન્યાસીઓ ઊંચાં વૃક્ષોની શીતળ છાયામાં સાદા પરંતુ સુંદર આવાસમાં રહેતા હતા. મનુષ્યોએ પ્રકૃતિની ભેટ સાથે ગીધ જેવો વ્યવહાર કર્યો, એમના પ્રત્યે દાખવેલા ઔદાર્યથી નાખુશ થઈને એમણે જરા સરખી પરવાહ કર્યા વિના જંગલોનો વિનાશ કર્યો. વનનાબૂદીને લીધે ક્રમશ: રણનું વિસ્તરણ થઈ રહ્યું છે. જો આપણે પોતાનો વિનાશક અંત ટાળવો હશે તો આપણને જંગલોનું વરદાન આપનારા દિવ્યાત્માનું સ્મરણ કરી પ્રાર્થના કરવી પડશે કે જે ચેતનાએ આપણને ટકાવી રાખેલા તે જ ચેતના આપણી ભૂમિનું રક્ષણ કરે, આરામ માટે છાંયડો અને પોષણ માટે ફળ પૂરાં પાડે. 

આ સમસ્યા ખાસ આપણા માટે કે માત્ર આજ પૂરતી જ નથી ઊભી થઈ. મનુષ્યના અમાપ લોભથી જંગલની સંપત્તિને બચાવવાનો મોટો પડકાર સર્વત્ર છે. યુનાઈટૅડ સ્ટેટ્સમાં પણ ઈમારતી લાકડાના ઉદ્યોગે જંગલોને નષ્ટ કર્યા છે જેના પરિણામે વાવાઝોડા ફળદ્રૂપ ખેતરોનો નાશ કરી રેતથી ઢાંકી દે છે. બ્રહ્માંડના સર્જકે જીવનના સંદેશાવાહકને મોકલીને એના પોષણ માટેની વ્યવસ્થા ગોઠવી હતી જેમાં મનુષ્ય જાતે લોભમાંથી જન્મેલા મૃત્યુનું ઘટક ઉમેર્યું.

જીવનને પોષવાના દિવ્ય હેતુનું અધિક્રમણ કરવાના પરિણામરૂપે મનુષ્યો પર આટલા બધા શાપ ઉતરી આવ્યા છે. નિર્દય અસંયમ અને જંગલોનો અનુવર્તી વિનાશ ઊંડા, સ્વયં-લાદિત ઘામાં પરિણમ્યા છે. જે વૃક્ષો પાંદડાનું છત્ર પૂરું પાડીને હવાને સ્વચ્છ બનાવતાં હતાં, જેના સૂકા પાન ધરતીને ઉપજાઉ બનાવતાં હતાં, એ વૃક્ષોને ઉખાડી નાખવામાં આવ્યાં છે. ભલી ધરતીને જે કાંઈ જીવનરૂપે અર્પણ કરવામાં આવેલું એને મનુષ્યોએ પોતાનું જ હિત વિસરી જઈને એ બધી ચીજોનો નાશ વાળી દીધો છે. 

હવે પસ્તાવાનો સમય છે. આપણાં સંસાધનો સિમિત હોવા છતાં એમનો ઉપયોગ કરીને આપણે એક વેદીનું નિર્માણ કરી અને જીવનના દિવ્ય વનાત્માને ફરી પાછા આપણી મધ્યે આવકારીએ. આજની આપણી અલ્પ શરૂઆતના બે હિસ્સા છે. પ્રથમ, ખેતર ખેડવા, અનાજની આપણી જરૂરિયાત પૂરી કરવા ખેતરોને ખેડવા એ પોતાના પ્રત્યે આપણી અનિવાર્ય ફરજ છે. પરંતુ બદલામાં આપણે કશુંક પરત આપવું પડશે જેથી ધરતીને પહોંચાડેલા નુકશાનને ભરપાઈ કરી શકીએ, એના ઘાનું વળતર ચુકવી શકીએ. આ હેતુથી આપણે આ વૃક્ષારોપણનો ઉત્સવ યોજ્યો છે. આપણે હૃદયથી આશા કરીએ છીએ કે જે બીજ અને રોપા આપણે આજે વાવીએ છે તે લીલાછમ ખેતરો અને સુંદર ઘટાદાર વૃક્ષો બનશે, જે વિશ્વના આપણા આ નાનકડા ખૂણાને ફળથી લદાયેલાં જંગલ અને લીલોતરીભર્યા ખેતરથી શાંત અને સોહામણો બનાવશે.

સંદર્ભો: 

https://scroll.in/article/1095382/mankind-destroyed-whatever-was-gifted-as-life-tagore’s-lament-for-the-environment-87years-ago

news.un.org

india.un.org

* લેખનું શિર્ષક ઉત્પલ ચટોપાધ્યાયના લેખનું જ રાખેલું છે.

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

17 September 2026 Vipool Kalyani
← રાધા ક્યોં ગોરી, મૈં ક્યોં કાલા … 

Search by

Opinion

  • રાધા ક્યોં ગોરી, મૈં ક્યોં કાલા … 
  • ભા.જ.પ.નું સેવા સંકલ્પ અભિયાન : જેન-ઝી મશાલ વિ. દીપ -જશન
  • દીવાલો પાછળ ઢંકાયેલા સૂર્યો … 
  • આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત
  • ‘હિંદુ હોને કા ધર્મ’: દેશના કોમી ઇતિહાસનો એક અધ્યાય

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved