Opinion Magazine
Number of visits:
10149292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કારણ ગમે તે હોય, ખાંડ, ગોળ, ડુંગળી … મોંઘી થઈ રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 August 2026

રવીન્દ્ર પારેખ

કારણ ગમે તે હોય, ખાંડ, ગોળ, ડુંગળી ને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. એ કોઈ લક્ઝરી આઇટેમ નથી, જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે. અગાઉ દૂધ, તેલ, શાકભાજીના ભાવ વધી ચૂક્યા છે. હવે ખાંડ, ગોળ, ડુંગળી…નો વારો છે. રોજિંદા વપરાશની ચીજો જ મોંઘી થાય છે, કારણ મોટે ભાગના લોકો તેનો ઉપયોગ કરતા હોય છે, એટલે તેના ભાવ વધે તો નફાનું ધોરણ ઊંચું રહે છે, જો કે, હવે તો સોનાનો ભાવ પણ દસ ગ્રામના દોઢેક લાખ પર પહોંચ્યો છે. આમ પણ કશું સસ્તું થવા માટે હોતું જ નથી, ક્યારેક ભાવ થોડા ઘટે, તો તે પણ પછી વધવા માટે જ હોય છે. એ ખરું કે 2019 પછી ખાંડના ભાવ બહુ વધ્યા નથી, પણ 2026માં ખાંડના ભાવ એકદમ જ વધ્યા છે. છેલ્લા બે મહિનામાં કિલોએ 20થી 25 રૂપિયા વધ્યા છે ને અત્યારે ખાંડ 65થી 75 રૂપિયે મળે છે. રિટેલ વેપારીઓ માર્જિન રાખીને ખાંડ વેચે છે. ઝીણી ખાંડનો હોલસેલ ભાવ કિલોના 68 રૂપિયા હોય તો રિટેલમાં 73 રૂપિયે મળે છે. એ જ રીતે મીડિયમ ખાંડનો ભાવ હોલસેલમાં 70 રૂપિયા હોય તો રિટેલમાં 75-76 રૂપિયે વેચાય છે.

ભાવ વધવાનાં કારણોમાં ઇન્ડસ્ટ્રીને કારણે શેરડીના પાક માટે જમીન ઓછી પડે છે, શેરડીમાં લાલ રોગ (રેડ રોટ) લાગુ પડ્યો છે, ઇથેનોલનો પેટ્રોલમાં ઉપયોગ થવાને કારણે શેરડી એમાં ખર્ચાઈ રહી છે ને તેનું ઉત્પાદન પણ ઘટ્યું છે, ઈન્ડસ્ટ્રીને કારણે મજૂરી મોંઘી થઈ છે એટલે પૈસા ખર્ચતા પણ લેબરર્સ મળતા નથી, જેવાં કારણો આગળ કરાય છે. એ હકીકત છે કે ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે ને ખાંડ મોંઘી થઈ છે. આ બધાં કારણો અગાઉ પણ હતાં જ, તો ભાવ અત્યારે જ કેમ વધ્યા? સીધી વાત એટલી છે કે ખાંડ માટે શેરડી ઓછી પડે છે ને એ ઈથેનોલમાં વપરાઈ રહી છે એવું વિપક્ષનું માનવું છે. જો કે, સરકારનો બચાવ એવો છે કે ઇથેનોલમાં એટલી શેરડી વપરાતી નથી, તે મકાઈ વગેરેમાંથી બને છે, પણ આંકડાઓ કહે છે કે 25થી 30 લાખ ટન ખાંડ બની શકે, એટલી શેરડી ઇથેનોલમાં વપરાઈ છે ને સુગર મિલમાં પહોંચવી જોઈએ એટલી શેરડી પહોંચી જ નથી. છેલ્લા કેટલાક સમયથી શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે ને તે હજી ઘટે એવી પૂરી શક્યતા છે. દેખીતું છે કે ખાંડના ભાવ કાબૂમાં ન રહે. રાજ્યમાં ખાંડ સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં બને છે. એટલે જ વીસથી વધુ સુગર મિલ સુરતમાં છે. ખાંડ માટે અન્ય રાજ્યો પર પણ આધાર રાખવો પડે છે. સુગર ઉત્પાદકોનું કહેવું છે કે અત્યારે દોઢ મહિનો ચાલે એટલી ખાંડનો પૂરતો જથ્થો છે. રાજ્યની સુગર મિલો પાસે અત્યારે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો છે. આમ છતાં 14થી 17 લાખ ટનની સામે 10 લાખ ટન જ વાર્ષિક ઉત્પાદન થાય છે ને બાકીનો જથ્થો મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાંથી મેળવાય છે. સવાલ એ છે કે જે જથ્થો ઓછો બતાવાય છે તે ઇથેનોલમાં વપરાતી શેરડીને કારણે તો નથીને?

સરકાર તો એવો દાવો પણ કરે છે કે ગુજરાતમાં શેરડીમાંથી ઇથેનોલ બનાવાતું નથી, પણ ખાંડ મળ્યા પછી મળતા મોલાસિસમાંથી બનાવાય છે. સરકાર પાસેથી ડબલ જવાબો મળે છે. એક તરફ તે કહે છે દોઢ મહિનો ચાલે એટલી ખાંડ છે ને બીજી તરફ 14થી 17 લાખ મેટ્રિક ટન ખાંડની સામે 10 લાખ મેટ્રિક ટન ખાંડ જ રાજ્યમાં બને છે ને બાકીની ખાંડ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ…માંથી મેળવાય છે. આટલી તંગી વચ્ચે ખાંડની નિકાસ પણ થતી રહી છે તે પણ કમાલ જ છે. જો કે, હવે નિકાસ પર નિયંત્રણ આવ્યું છે. સરકાર કહે છે તે પ્રમાણે દોઢ મહિનો ચાલે એટલી ખાંડ છે તો, સવાલ એ છે કે ખાંડ રાતોરાત 75 સુધી કેમ પહોંચી? લાગે છે એવું કે સરકારનું વલણ આયોજન કરતાં પડશે તેવા દેવાશે-જેવું વિશેષ છે.

સરકારે પગલાં તો ભર્યાં છે. વિદેશથી આવતાં ખાંડનાં રો મટિરિયલ પર 100 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે, પણ સરકારે 10 લાખ ટન કાચી ખાંડ મંગાવવાનું 20 ઓગસ્ટથી ડ્યૂટી ફ્રી કરી નાખ્યું છે. આ બધી લીપાપોતી તહેવારો પૂરતી જ હોય, તો પણ પછીનું ચિત્ર ધૂંધળું જ છે. ગુજરાતમાં ખાંડની સ્થિતિ સારી નથી. ચા-કોફી મોંઘી થવાની પૂરી શક્યતાઓ છે. એક સમાચાર એવા પણ છે કે મીઠાઈનાં રો મટિરિયલ્સમાં અગાઉ ભાવ વધારો થયેલો ત્યારે જ મીઠાઈના ભાવ વધેલા એટલે હવે મીઠાઈ મોંઘી નહીં થાય. બીજી તરફ ખાંડ, ઘી, ડ્રાયફ્રૂટનાં ભાવ વધતા મીઠાઈના ભાવ 50થી 70 રૂપિયા વધવાની પણ વાત છે. આવા સમાચારથી હસવું આવે છે. આપણા વેપારીઓ એટલા ભોળા નથી કે જે કારણસર એક વખત ભાવ વધારે તે જ કારણસર ફરી ન વધારે.

ખાંડની રામાયણ તો પતી નથી ત્યાં ગોળ મોંઘો થવાના સમાચાર છે. 4 દિવસમાં ગોળના ભાવ ક્વિન્ટલે 1,200 રૂપિયા વધ્યા છે. ગોળના ભાવોમાં પણ 24 ટકા સુધીનો વધારો નોંધાયો છે. હોલસેલ મંડીઓમાં ગોળનો ભાવ 6,500થી 7,000 પ્રતિ ક્વિન્લ નોંધાયો છે, જયારે રિટેલમાં તેના પર 1,200 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ગયા મહિના સુધી કિલોના 40-5૦ને ભાવે વેચાતો ગોળ 80થી 90ના ભાવે વેચાતો થયો છે. આમ તો વધતા ભાવોનું કોમન કારણ ઓછાં ઉત્પાદનનું જ અપાય છે. એ સાથે જ ખાંડ મોંઘી થતાં લોકો ગોળ તરફ વળ્યા છે એવી વાત પણ છે. એકાએક જ સ્ટોક ખૂટવા લાગે ને તેની બીજા પદાર્થો પર તરત જ અસર પડે એ સમજાતું નથી. થોડા જ દિવસોમાં ગોળ બમણો મોંઘો થઈ જાય એમાં કેવળ ને કેવળ નફાખોરી જ દેખાય છે. ઘણીવાર વધતી માંગ પણ એક કારણ તરીકે આગળ કરાય છે, પણ રાતોરાત માંગ વધી કઈ રીતે જાય છે તે સવાલ છે. ગોળનાં ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ છે ને વિશ્વમાં ગોળનો 70 ટકા હિસ્સો ભારતનો છે, તો ઉત્પાદનની ઘટ, ભારતનો 70 ટકા હિસ્સો વિશ્વમાં કઈ રીતે જાળવી રાખે છે એ પ્રશ્ન જ છે. એ પણ ચમત્કાર જ કહેવાય કે ઓછા ઉત્પાદને પણ ભારત ખાંડની નિકાસ કરી રહ્યું છે.

વેપારીઓનું પ્લાનિંગ એવું હોય છે કે તહેવારોના સમયમાં તેઓ શક્ય તેટલું વધારે કમાઈ લેવા માંગતા હોય છે. આ પછી પણ વસ્તુઓ ચોખ્ખી જ મળે એની ગેરંટી નથી. તહેવારોમાં જ હજારો કિલો અખાદ્ય માવો પકડાયો છે. એની મીઠાઈ સસ્તી વેચાતી નથી. નકલી દૂધ-ઘી ને અન્ય નકલી ખાદ્યપદાર્થો મહિનાઓ, વર્ષો સુધી વેચાતા રહે છે ને કોઈ પૂછતું નથી. વરસને વચલે દા’ડે દરોડા પડે કે સેમ્પલ લેવાય તેટલો ધોકો વેપારીને પહોંચે, પછી તો નકલીનો જ વેપાર ચાલતો હોય છે ને નકલીનો ભાવ પણ અસલીની જેમ જ વસૂલાય છે. ઘણીવાર એવું પણ બને છે કે ભાવ ઘટાડો ગ્રાહક સુધી પહોંચતો જ નથી. જેમ કે, હોલસેલ માર્કેટમાં ખાંડનો ભાવ ક્વિન્ટલે 350 જેટલો ઘટ્યો, પણ તેનો લાભ ગ્રાહકોને નથી મળ્યો.

ખાંડગોળનો ભાવ વધારો ઓછો હતો તે હવે ડુંગળી પણ મોંઘી થઈ છે. ભારતીય રાજકારણમાં ડુંગળી, પાયમાલીનો મસ મોટો ભાગ ભજવે છે. ડુંગળીનો ભાવ વધે છે તો સરકાર ઊથલે છે ને ભાવ ઘટે છે તો ખેડૂતોની દશા બેસે છે. એક મહિનામાં ડુંગળીનો 20 કિલોનો ભાવ 600થી વધીને 1,000 રૂપિયા થયો છે. ડુંગળીનો કિલોનો ભાવ 20થી 25 રૂપિયા વધ્યો છે. 15 દિવસ પહેલાં 35થી 40ની કિલોએ વેચાતી ડુંગળી હાલ 60થી 70ની કિલો વેચાય છે. આ ભાવ હજુ 15થી 20 રૂપિયા વધી શકે એમ છે. એમાં પણ માલની અછતનું કારણ આગળ કરાય છે. ડુંગળી રોજિંદા વપરાશની કસ્તૂરી છે. તેનો ભાવ આડેધડ વધે તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે. આમ તો મધ્યમ વર્ગનું બજેટ ખોરવાવા માટે જ હોય છે. ડુંગળીનો ભાવ બમણો થાય છે, તો ઘરે વપરાશ પણ અડધો થઈ જાય છે. નવો માલ ન આવે ત્યાં સુધી ડુંગળી મોંઘી રહેવાની છે, એવી આગાહીઓ પણ થઈ ચૂકી છે. કેમ જાણે નવો માલ આવતા ભાવ અડધા થઈ જવાના હોય !

કોણ જાણે કેમ, પણ સરકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો કાબૂ કરવા તરફ ધ્યાન જ આપ્યું નથી. જે ડુંગળીને કારણે ઇન્દિરા સરકાર ગઈ હતી, એવી સ્થિતિ હાલની સરકારની ન થાય તેવી પ્રાર્થના કરવાની રહે. વિકાસ અને નિર્માણની ભવ્ય વાતોમાં સાધારણ માણસનું જીવવું દાવ પર લાગ્યું છે. ગરીબો તો મફત સરકારી અનાજ પર ટકી જશે, પણ મધ્યમવર્ગ હવે નવી ગરીબી તરફ જઈ રહ્યો છે ને તેને કંઇ મફત મળતું નથી. તે રોજ જ ગરીબ થતો જાય છે. તે ખાંડનો ભાવ એડજસ્ટ કરે છે, તો ગોળ મોંઘો થઈ જાય છે ને ગોળની વ્યવસ્થા કરે છે, તો ડુંગળી તેને ઘેરી વળે છે. તેને એક જ પ્રશ્ન રોજ મૂંઝવે છે ને તે એ કે માણસ સિવાય ક્યારે ય કંઇ સસ્તું થશે કે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઑગસ્ટ 2026

Loading

28 August 2026 Vipool Kalyani
← વીર પસલી

Search by

Opinion

  • વીર પસલી
  • જેન ઝી, રાહુલ ગાંધી ને બીજાઃ સત્તાપક્ષ આંતરબાહ્ય કટોકટીમાં
  • પેકેટબંધ ફુડ પર ચેતવણીનું લેબલ કેટલું અસરકારક?
  • નર્મદને આજે 193 વર્ષ થયાં …
  • જાતિ આધારિત વસ્તી ગણતરીઃ વહીવટી આશાવાદ કે નિયંત્રિત નિષ્ફળતા?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved