મિલતી હૈ ઝિંદગી મેં મુહબ્બત કભી કભી
હોતી હૈ દિલબરોં કી ઇનાયત કભી કભી
શરમા કે મુંહ ન ફેર નજર કે સવાલ પર
લાતી હૈ ઐસે મોડ પે કિસ્મત કભી કભી
ખુલતે નહીં હૈ રોજ દરીચે બહાર કે
આતી હૈ જાનેમન યે કયામત કભી કભી
તનહા ન કટ સકેંગે જવાની કે રાસ્તે
પેશ આયેગી કિસીકી ઝરૂરત કભી કભી
ફિર ખો ન જાયે હમ કહીં દુનિયા કી ભીડ મેં
મિલતી હૈ પાસ આને કી મહોલત કભી કભી
સાહિર લુધિયાનવી એટલે શબ્દનો, સંવેદનનો એવો સ્વામી જે શબ્દોમાં અને સંવેદનોમાં સમાય નહીં. એમના નામ સાથે જ યાદ આવે શબ્દ અને સંવેદનની એવી જ સામ્રાજ્ઞી અમૃતા પ્રીતમ. સાહિર મળીને જાય એ પછી એમના શ્વાસ અને સ્પર્શને ફરી ફરી માણવા અમૃતા સાહિરે પીને અડધી છોડેલી સિગરેટ પીતાં. એમણે લખ્યું છે, ‘ઉમર કી સિગરેટ જલ ગઈ … મેરે ઈશ્ક કી મહક કુછ તેરી સાંસો મેં, કુછ હવા મેં મિલ ગઈ’
સાહિર-અમૃતા એક ન થઈ શક્યાં. ત્યાર પછી અમૃતાને એમનામાં જીવતા સાહિર સાથે ઇમરોઝે મૃત્યુ પર્યંત સંભાળી લીધાં. સાહિરના જીવનમાં અમૃતા પછી પણ સ્ત્રીઓ આવી પણ સાહિર જીવનભર એકલા જ રહ્યા. ભગ્ન પ્રેમની વેદના શરાબમાં ડુબાડીને ને લોહીમાં કલમ બોળીને રોમાન્સનાં જુદાં જુદાં રૂપો આલેખતા રહ્યા અને ૫૯ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.
આજે સાહિરનું એક સુંદર પ્રણયગીત માણીએ : ‘મિલતી હૈ ઝિંદગી મેં મુહબ્બત કભી કભી’ ફિલ્મ ‘આંખે’(1968), સંગીતકાર રવિ. જિંદગીની જદ્દોજહદ વચ્ચે આંખો ખોલતા અને આમંત્રણ આપતા પ્રેમનું આટલું સહજ સુંદર ચિત્રણ ભાગ્યે જ જોવા મળે. ખરું પૂછો તો મુગ્ધતાથી માંડીને ભગ્નતા સુધીના પ્રેમના તમામ રંગોના આલેખનમાં સાહિર જેટલી મહારત પણ ભાગ્યે જ જોવા મળે છે કારણ કે આ તમામ રંગો માત્ર સાહિરની કલમની શાહીમાંથી નથી નીતર્યા, આ રંગો સાહિરના લોહીમાં ભળ્યા છે, એમની નસોમાં વહ્યા છે.
પણ એમના અસ્તિત્વમાં પ્રેમના જ રંગો હતા? ના. એમના લોહીનો એક રંગ વિદ્રોહનો પણ હતો. એક આક્રોશનો, એક પીડાનો, એક અહંકારનો, એક સમાજિક નિસબતનો ને એક બદતમીજીનો રંગ પણ હતો. રંગોના આ મેઘધનુષ પર એક વેદનાભરી કડવાશ ઝૂલતી રહેતી. સાહિરનો જન્મદિન વિમેન્સ ડેના દિવસે જ આવે છે એ એક યોગાનુયોગ છે, પણ પુરુષકેન્દ્રી ને ભોગવાદી સમાજવ્યવસ્થામાં સ્ત્રી જે અત્યાચાર અને શોષણનો શિકાર બને છે તેને સાહિર જેવી તીખી ને સાચી અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ આપી શક્યું છે. યાદ છે ને ‘ઔરતને જનમ દિયા મરદોં કો મરદોંને ઉસે બાઝાર દિયા’ અને ‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ’ ગીતોની વેધકતા?
એક મુલાકાતમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે સાહિર વિરોધાભાસી માણસ હતો, પણ તેના વિચાર અને શબ્દોમાં એક અજબ પારદર્શક્તા હતી. સાહિરના ડ્રોઇંગ રૂમની બાજુમાં એની માનો રૂમ હતો. વાત કરતા કરતા અચાનક સાહિર અચાનક ઊઠીને મા પાસે જાય, ‘મા, મેં કહ્યું તે બરાબર હતું ને ?’ માનો આ જ જવાબ હોય, ‘હા, બેટા, બિલકુલ બરાબર હતું.’ સાહિરની જિંદગીમાં પ્રેમની અહમિયત ઘણી હતી તેમાં ના નહીં, પણ જાણકારો કહે છે કે તેમના ચિત્ત પર અંકિત થયેલા સ્થાયી ભાવ બે જ હતા – મા પ્રત્યે અસીમ પ્રેમ અને પિતા પ્રત્યે અનંત ધિક્કાર. તેમના તમામ સર્જનોના મૂળ આ બેમાં છે.
‘આંખે’ રામાનંદ સાગરની અત્યંત સફળ સ્પાય થ્રીલર ફિલ્મ હતી. આગલા વર્ષે આવેલી ‘ફર્જ’ ફિલ્મે સ્પાય થ્રીલર ફિલ્મની દિશા ખોલી હતી. રામાનંદ સાગરે એક ભવ્ય બિગ બજેટ સ્પાય થ્રીલર બનાવવાનું નક્કી કર્યું અને પ્રમાણમાં નવા ધર્મેન્દ્રને બહુ વિચારપૂર્વક સાઈન કર્યો. સાથે સફળ સ્ટાર માલા સિંહાને લઈ બેલેંસ કર્યું. શૂટિંગ દરમ્યાન ધર્મેન્દ્રની ‘ફૂલ ઔર પથ્થર’ આવી અને સફળ થઈ એટલે સાગરે બજેટ ઓર વધારી દીધું. ‘આંખે’ બૈરુતમાં શૂટ થયેલી પહેલી હિંદી ફિલ્મ હતી. સ્વતંત્ર દેશ માટે ઇન્ટેલિજન્સ સર્વિસિઝ કેટલી અગત્યની હોય છે તે આમાં ખૂબ સારી રીતે બતાવ્યું હતું. આસામની સરહદ પર થતા આતંકવાદી હુમલા પાછળનું ષડયંત્ર પકડવા કામ કરતા એક સ્પાયની બૈરુતમાં હત્યા થાય છે. તેની જગ્યાએ સુનીલ(ધર્મેન્દ્ર)ને મોકલાય છે. ત્યાં તેને મળે છે ભૂતપૂર્વ પ્રેમિકા મીનાક્ષી(માલા સિંહા) અને પ્રિન્સેસ ઝેનબ (ઝેબ રહેમાન). વાર્તા આગળ વધતી જાય છે તેમ મોટા મિશન પર કામ કરનારાઓને પોતાની અંગત લાગણીઓને કેવી રીતે બાજુએ હડસેલી દેવી પડે છે તે સમજાય છે. ‘ગૈરોં પે કરમ’ અને ‘મિલતી હૈ’ આ બન્ને ગીતમાં પમાતી-તરછોડાતી લાગણીઓની અભિવ્યક્તિ છે. ‘મિલતી હૈ’ ગીતમાં એટલે જ પ્રેમના ઈજન સાથે એક હળવી, ન પકડાય એવી ઉદાસીની છાંટ પણ દેખાય છે જે ગીતના આકર્ષણને વધારે છે. આ ગીત લતા મંગેશકરનાં ઉત્તમ ગીતોમાંનું એક છે. દેખાવડા નાયક-નાયિકા, રોમેન્ટિક અપીલ અને જાપાનના ખૂબ સુંદર લોકેશનો – આ એક જ ગીત જોઈએ તો સમજાઈ જાય કે દિગ્દર્શન માટે રામાનંદ સાગરને અને સિનેમેટોગ્રાફી માટે એન. સિંઘને ઍવોર્ડ શા માટે મળ્યો હતો.
સાહિર સાથે રવિનું તેમ એસ.ડી. બર્મન (ચૂપ હૈ ધરતી, ચૂપ હૈ ચાંદ સિતારે), ઓપી નય્યર (માંગ કે સાથ તુમ્હારા), ખય્યામ (આસમાં પે હૈ ખુદા ઔર જમીન પે હમ), મદન મોહન (રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું) અને જયદેવ(અભી ન જાઓ છોડકાર)નું બહુ સરસ કોમ્બિનેશન હતું. આમાંના કોઇની પણ વાત એક પુસ્તક માગી લે અને તો ય અધૂરી રહે.
સાહિરની ‘કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ કિ ઝિંદગી તેરી તેરી ઝુલ્ફોં કી નર્મ છાંવ મેં ગુઝરને પાતી તો શાદાબ ભી હો સકતી થી, મગર યે હો ન સકા’થી ‘બુઝા દિયે હૈ ખુદ અપને હાથોં મુહબ્બતોં કે દિયે જલા કે, મેરી વફાને ઉજાડ દી હૈ ઉમ્મિદ કી બસ્તિયાં બસા કે’ની સફર વર્ણવવી બિલકુલ સહેલી નથી. અને ‘યે ભોગ ભી એક તપસ્યા હૈ, તુમ ત્યાગ કે મારો ક્યા જાનો? અપમાન રચયિતા કા હોગા, રચના કો અગર ઠુકરાઓગે’ આ શબ્દોમાં પ્રેમનો જે દર્પ છે, ત્યાગ તરફ જે કટાક્ષ છે તે સાહિરની કલમ સિવાય બીજે ક્યાંયથી નીપજે કે ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 12 માર્ચ 2021
![]()

