
રમેશ ઓઝા
ત્રણ પ્રકારના લોકો અદાલતમાં જાય છે. એક એ જેનાથી અન્યાય સહન થતો નથી, ન્યાય માટે ઝૂરે છે અને ધાર્યો ન્યાય મેળવવા માટે તેમની પાસે મસલ પાવર, મની પાવર કે ઓળખાણ જેવી અન્ય તાકાત નથી. તેમની પાસે બે જ વિકલ્પ છે; કાં તો અન્યાય સહન કરીને બેસી જાય અથવા અદાલતમાં ન્યાય માગવા જાય. ન્યાય માટેનો ઝૂરાપો એટલો હોય છે કે ભારતીય ન્યાયતંત્રમાં ઝડપી અને કદાચ સાચો ન્યાય મળવાનો નથી તેવી શંકા હોવા છતાં તેઓ અદાલતમાં જાય છે. અન્યાય સહન નરીને અને અન્યાયને પડકારીને તેઓ કમ સે કમ પોતાની જાતને, પોતાના અંતરાત્માને ન્યાય કરે છે. ૨૦૧૭માં દિલ્હીમાં ૧૦૩ વરસની ઉંમરે ગુજરી ગયેલાં અમર કૌરના છેલ્લા શબ્દો હતા ઇન્સાફ. મુઝે ઇન્સાફ મિલા નહીં. એ કદાચ ઇન્સાફ જોવા માટે જ આટલું લાંબુ જીવ્યાં હતાં. લુધિયાણાનાં વતની અમર કૌરના પુત્ર અને જમાઈનું ૧૯૯૪ની સાલમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી હત્યા કરવામાં આવી હતી. બે દાયકા પછી પણ ખટલાની સુનવાઈ થતી નહોતી અને ન્યાય મળતો નહોતો એટલે અમર કૌર ૨૦૦૪ની સાલમાં સર્વોચ્ચ અદાલતમાં ગયાં. સર્વોચ્ચ અદાલતે માથાભારે લોકો ન્યાયનું કાસળ ન કાઢો એ માટે કેસને લુધિયાણાની અદાલતમાનથી દિલ્હીની અદાલતમાં ટ્રાન્સફર કર્યો. અમર કૌરને લાગ્યું કે હવે તો ન્યાય મળશે જ પણ ૧૩ વરસ રાહ જોયા પછી ૨૦૧૭ની સાલમાં તેઓ ‘ઇન્સાફ’ ‘ઇન્સાફ’ એમ વલોપાત કરતાં ચાલ્યાં ગયાં.
અદાલતમાં જનારા બીજા પ્રકારના લોકો એ છે જે પૈસા દ્વારા ન્યાય ખરીદી શકે છે અથવા જજોને ડરાવી ધમકાવીને કે લાલચ આપીને ન્યાય મેળવી શકે છે. બજારમાં રમકડું ખરીદવા ગયેલો માણસ જેમ તેને જોઈએ છે એ જ રમકડું ખરીદી આવે છે એમ આ લોકો તેમને જે ‘ન્યાય’ જોઈએ છે એ જ ‘ન્યાય’ ખરીદી આવે છે કે મેળવી લે છે. તેમને અમર કૌરની માફક બે-ત્રણ દાયકા રાહ જોવી પડતી નથી અને તેમને ન્યાય પણ તેમની ઇચ્છાની વિરુદ્ધ મળતો નથી. તેમને જે જોઈએ છે એ જ અદાલત તેમને આપે છે અને એ પણ ઝડપથી. ઉપરથી અદાલતી ચુકાદાનું લેબલ લાગી ગયું એટલે બધું ન્યાયી અને નૈતિક બની ગયું. બાબરી મસ્જીદનો ચુકાદો આનું સૌથી મોટું અને સૈકાઓ સુધી યાદ રહેનારું ઉદાહરણ છે. દરજી માપ મુજબ ખમીસ સીવી આપે એમ ચુકાદો સીવી આપ્યો. જજો તેમના આક્કાઓની ખિદમત કરે છે. આક્કાઓ એ છે જેમની પાસે સત્તા છે અથવા પૈસા છે અને હવે તો બન્ને છે.
અદાલતમાં જનારા ત્રીજા પ્રકારના લોકો આળવીતરા છે. તેઓ ન્યાય મેળવવા માટે અદાલતમાં નથી જતા, પરંતુ ન્યાયનું પવિત્ર મંદિર કેટલું ગોબરું છે એ પ્રજાને અને જગતને બતાવવા માટે અદાલતમાં જાય છે. તેમને ખબર છે કે તેમને ન્યાય મળવાનો નથી, પણ એ બહાને જજનું અને ન્યાયતંત્ર નામની કહેવાતી સ્વતંત્ર સંસ્થાનું પાણી માપી લેવાય. જજો (ખાસ કરીને ઉપલી અદાલતોમાં અને એમાં પણ સર્વોચ્ચ અદાલતમાં બિરાજમાન જજો) પણ જાણતા હોય છે કે આ લોકો તેમનું પાણી માપવા અદાલતમાં આવ્યા છે, પણ કરે શું? બિચારા સુનાવણી દરમ્યાન ન્યાયની મહાન વાતો કરે, સ્થાપિત હિતો વિરુદ્ધ આકરા વેણ બોલે, પણ ચુકાદો આપવામાં આવે ત્યારે પાણીમાં બેસી જાય. આળવીતરા દેશદ્રોહીઓ માટે આટલું પૂરતું છે. આવા આળવીતરાઓને સોક્રેટિસે બગાઈ તરીકે ઓળખાવ્યા છે. જેમ બગાઈ ઢોર ગમે એટલું ધમપછાડા કરે પણ તેનો આંચળ છોડતી નથી એમ સમાજના આવા ઉપદ્રવી આળવીતરાઓ બીકાઉ અને નમાલાઓને તેમની જગ્યા બતાવ્યા વિના છોડતા નથી. સોક્રેટિસે કહ્યું હતું કે સમાજને આવી બગાઈની જરૂર હોય છે. સમાજની તન્દુરસ્તી માટે આવશ્યક છે. આજકાલ આવી બગાઈને ખાન માર્કેટ ગેંગ, અર્બન નક્સલ, ટુકડે ટુકડે ગેંગ, દેશદ્રોહી, હિંદુદ્રોહી, વગેરે નામે ઓળખવામાં આવે છે.
ન્યાયતંત્રનો ચહેરો ગોબરો છે અને તે ભ્રષ્ટ છે એ શાળાના પાઠ્યપુસ્તકનો વિષય બની જાય ત્યારે અદાલતોમાં બિરાજમાન ન્યાયમૂર્તિઓએ શરમાવું જોઈએ કે ક્રોધિત થવું જોઈએ? તેમને સોક્રેટિસે ઓળખાવેલી બગાઈ બહુ પજવે છે એ ખરું, પણ એ ઉપરાંત અમર કૌરોનો ઇન્સાફ માટેનો ઝૂરાપો અને સ્થાપિત હિતોનું ઉઘાડું બીભત્સ વલણ પણ કારણભૂત છે. અમર કૌરો ન્યાયતંત્રને પ્રાસંગિક બનાવે છે અને સ્થાપિત હિતો ન્યાયતંત્રને અપ્રાસંગિક અને હાસ્યાસ્પદ બનાવે છે. રોજે રોજ ન્યાયની ડેલીએથી હતાશ થઈને પાછા જતા લોકોનો ચહેરો ઘણું બધું કહી જાય છે. તો બીજી બાજુ આ દેશમાં દરેક ચીજ બીકાઉ જણસ છે જે ખરીદી શકાય છે અથવા દરેકને ડરાવી શકાય છે અને તેમાં ન્યાયનો અને ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે એવું નીચ જનોનું બીભત્સ વલણ લોકોને નજરે પડે છે. ટૂંકમાં સામાન્ય માણસનો ન્યાય માટેનો ઝૂરાપો, સ્થાપિત હિતોનું બીભત્સ વર્તન અને પવિત્ર જગ્યાએ બેસીને અપવિત્ર કામ કરનારાઓને ઉઘાડા પાડતી બગાઈ એમ ત્રણેયે મળીને ન્યાયતંત્રનો ‘સાચો’ ચહેરો ઉઘાડો કર્યો છે. હા, સાચો ચહેરો. ક્રોધ કરવાથી ચહેરો બદલાવાનો નથી. લોકોનો તમારા વિશેનો અભિપ્રાય પણ બદલવાનો નથી.
તમને ખબર છે દેશભરમાં પાચ કરોડ ત્રીસ લાખ કેસ અદાલતોમાં ન્યાયની રાહ જોતા પડ્યા છે? તમને કદાચ એ વાતની પણ જાણ નહીં હોય કે એમાં ૩૦ ટકાનો વધારો ૨૦૨૦ થી ૨૦૨૫નાં માત્ર પાંચ વર્ષમાં થયો છે. વરસે છ ટકાનો વધારો દેશમાં દેશપ્રેમી સરકાર નહોતી અને દેશદ્રોહીઓ રાજ કરતા હતા ત્યારે નહોતો થયો. એકલી સર્વોચ્ચ અદાલતમાં ૮૯,૪૩૪ કેસો ચુકાદાની રાહ જોતા પડ્યા છે અને એમાં એક કેસ તો ચાર દાયકા જૂનો છે. દેશની વડી અદાલતોમાં ૬૩ લાખ કેસોનો ભરાવો થયો છે અને ચાર કરોડ ૭૦ લાખ કેસ નીચલી અદાલતોમાં પડ્યા છે.
આનું કારણ એ છે કે દેશને જેટલી અદાલતોની અને જજોની જરૂર છે એમાં અછત છે. ભારતમાં દસ લાખ લોકો દીઠ માત્ર ૨૧ જજ છે. એમાં ૨૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે. અર્થાત્ દસ લાખ લોકો દીઠ ૧૫ જજ. યુરોપના દેશોમાં દસ લાખ લોકો દીઠ સરેરાશ ૨૨૦ જજો છે, અમેરિકામાં આનું પ્રમાણ ૧૫૦ જજોનું છે, જર્મનીમાં ૨૪૫ જજો છે, કેનેડામાં ૧૨૦ જજો છે. વિકસિત લોકશાહી દેશો ન્યાયતંત્ર પાછળ જી.ડી.પી.ના ૦.૫ ટકા નાણાં ખર્ચે છે જ્યારે ભારત માત્ર ૦.૦૮ ટકા નાણાં ખર્ચે છે. ૧૯૮૭માં કાયદા પંચે ભલામણ કરી હતી કે દેશમાં જજોનું પ્રમાણ દર દસ લાખે ૫૦નું કરવું જોઈએ. ચાર દાયકા થવા આવ્યા ૫૦ (ક્યાં ૨૦૦ અને ક્યાં ૫૦) જજોનું પ્રમાણ પણ નથી હાંસલ કરવામાં આવ્યું.
કાઁગ્રેસના વખતથી ન્યાયતંત્રને જાણીબૂજીને મારવામાં આવી રહ્યું છે અને ૨૦૨૦ પછીથી પ્રાણ હરવાનું પ્રમાણ જાણીબૂજીને વધારવામાં આવ્યું છે. ચાવીરૂપ જગ્યાએ બને ત્યાં સુધી ઓછા લોકો રાખવા. ઓછા હોય તો અંકુશમાં રાખી શકાય, નજર રાખી શકાય, અનુકૂળ બનાવી શકાય અને અછતના અર્થતંત્રનો લાભ લઈ શકાય. આઠમાં ધોરણનાં પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર વિષે જે પ્રકરણ ઉમેરવામાં આવ્યું એ ભૂલ નથી, એ પણ જાણીબૂજીને કરવામાં આવ્યું છે. લોકો અદાલતના નામે નાહી નાખે તો ન્યાયની અને કાયદાના રાજની આશા રાખતા મટે.
ન્યાયાધીશોએ અકળાવાની જગ્યાએ આત્મમંથન કરવાની જરૂર છે. પોતાની જાતને પૂછવું જોઈએ કે આપણે ન્યાયને, કાયદાને, બંધારણને, બંધારણીય મૂલ્યોને, માનવીય મૂલ્યોને અને ન્યાય માગવા આવેલ સામાન્ય માણસ માટે કેટલી નિસ્બત ધરાવીએ છીએ? આપણે કોની ખિદમત કરીએ છીએ અને આપણી કરોડરજ્જુ કેટલી ટટ્ટાર છે.
બાકી તો બગાઈ પોતાનું કામ કરી જ રહી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 માર્ચ 2026
![]()

