દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતના એક અગ્રેસર ઈસપ પહાડ એમની સ્મૃતિકથા, ‘ઍ લાઈફ કમીટેડ – ઍ મેમોયર’માં લખતા હતા :

અમીના પહાડ
વરસો પહેલાની વાત છે. … મારાં માતાની સ્મૃતિને આધારે કહી શકાય કે તે વેળા મારાં માતાપિતાના ફ્લેટમાં એક બાજુ સભા ચાલતી હતી, તો બીજી પા રાંધણિયામાં મારાં મા નાસ્તાપાણીની તેમ જ ભોજનની તૈયારી કરી રહ્યાં હતાં. દરમિયાન, સભામાંથી ડૉ. યુસૂફ દાદુ બહાર આવ્યા. લાગલા મારાં માતા સવાલી બેઠાં ! તમે લોકો લાંબીચોડી વાતોમાં કેમ અટવાયા છો ? યુસૂફ દાદુએ જવાબ વાળ્યો : અમે ડરબન ખાતે યોજાનારી અહિંસક પ્રતિકાર ચળવળમાં ભાગ લેનારી સ્વયંસેવકોની ટૂકડી માટે નામોની વિચારણા કરીએ છીએ. લાગલા માતા બોલ્યાં : સરસ. લખો, મારું નામ. ડૉ. દાદુએ પૂછ્યું, પરંતુ આ વિશે ગુલામ (ઈસપ પહાડના પિતાનું નામ) શું કહેશે ? માએ જવાબ વાળ્યો, ના, ગુલામ જેલમાં નહીં જાય. તમે મારું નામ લખો. અને પછી, એમણે સૂચવ્યું, ઈન્દ્રસ, રમણી અને શાન્તિ નાયડુનાં માતા અમ્મા નાયડુનું તેમ જ મૌલવી કાછલિયાનાં પત્ની મરિયમ કાછલિયાનાં નામ પણ લખો. વળી, તેમાં મારાં વડીલ ઔમા ભાયાતનું ય નામ ઉમેરો. તમારી બહેનને પણ યાદીમાં મૂકો. … અને પછી કેટકેટલી સન્નારીઓનાં નામો ય ઉમેરાયાં.

ડૉ.. યુસૂફ મોહમદ દાદુ
એશિયાટીક લેન્ડ ટેન્યોર ઍન્ડ ઇન્ડિયન રિપ્રેસન્ટેશન ઍક્ટ ઑવ્ 1946[Asiatic Land Tenure and Indian Representation Act of 1946]નો વિરોધ કરવા માટે યોજાયેલા આ અહિંસક પ્રતિકાર આંદોલનમાં જોહાનિસબર્ગની આ મહિલા ટૂકડીમાં દાક્તરીનો અભ્યાસ કરતાં, ભણતરને કોરાણે મૂકીને, ઝૈયનબ અસ્વાત પણ જોડાયેલાં હતાં. વળી, આ પ્રતિકાર માટેની ટૂકડીમાં ઝોહરા ભાયાત, ઝૂબેદા પટેલ અને મારી માતા ય સામેલ હતાં.
આ મહિલાઓ કાર વાટે ડરબન પહોંચી. એ દરેકને જેલવાસ થશે તેની તેમને ખાતરી હતી. અને જ્યારે એવો વખત આવ્યો, ત્યારે મારાં માતા પહેલીવાર જેલવાસ ભોગવવાનાં હતાં. એ પાછળ પાંચ સંતાનોને પિતાને હવાલે મુકીને જેલવાસ માટે જતાં હતાં. તેમાંના સૌથી મોટાનું વય માંડ બારનું જ હતું. દરમિયાન, મારા પિતાની ભાણી, આયેશા સલૂજી અમારી દેખભાળ સારુ અને રસોઈકામ કરવા માટે આવી પહોંચ્યાં હતાં.
ગાંધી દીધા સત્યાગ્રહ અને અહિંસક પ્રતિકારમાં અમીનાબહેનને શ્રદ્ધા. ગુલામ પહાડ અને યુસૂફ દાદુ એક દા જ્યારે હિંદના પ્રવાસે હતા ત્યારે ગાંધીજીને મળવા ગયા હતા અને એમના માર્ગદર્શનની અસર હેઠળ ચળવળ ચલાવવાનું વિચારેલું.
આવી અહિંસક પ્રતિકાર ચળવળમાં અમીનાબહેને બે વખત – 1946 તથા 1948માં – જેલવાસ નોતર્યો હતો. આ ઓછું હોય તેમ, આ જેલવાસ વેળા સંધિવાનો રોગ તેમને લાગુ પડેલો. પરિણામે તેમની કાર્યપ્રવૃત્તિમાં ઢીલાશ પહોંચી હતી. બન્ને હાથની કોણીને ય તેની અસર પહોંચતી હતી. પરંતુ અમીનાબહેન જેનું નામ; પોતાની કાર્યપ્રવૃત્તિઓ, રસોઈકામ અને આઝાદીની લડત માટેની સક્રિયતા એમણે ઓછી નહોતી કરી. સરકારી કાનૂનો અને રીતરસમની પૂર્ણપણે અવગણવા માટેની ઝુંબેશમાં જોડાતાં 1952માં ફરી વાર એમને જેલવાસ ભોગવવાનો થયો. જેલવાસ દરમિયાન એમનો સંધિવા વકરશે તેમ એઓ આગોતરું જાણતાં જ હતાં.
દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતમાં અભૂતપૂર્વ ફાળો આપનાર તરીકે તેમ જ સાર્વભૌમ પ્રજાસત્તાક માટે લોકશાહી, એકતા તેમ જ ન્યાય માટેની ઝુંબેશમાં અગ્રેસર રહેનારી મહિલાઓનો ય ફાળો નોંધપાત્ર તો છે જ, પણ હિન્દવી જમાત માટે તો પારાવાર પોરસાવનારી આ વિગતમાહિતી રહી છે. આવાં એક અગ્રેસર રહેનાર તરીકે અમીના પહાડનું યોગદાન પહેલી હરોળનું રહ્યું તેમ જાણવા મળે છે.
સમાજના વિકાસ તેમ જ પોષણ માટે મહિલાઓએ, અપરિહાર્ય, તેમ જ બહુધા પાયાગત ફાળો આપ્યાનું સમગ્ર ઇતિહાસ જોતાં જોવાજાણવાનું માલૂમ પડે છે. તેમનો ફાળો અર્થતંત્ર, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકારણ ક્ષેત્રે ય રહ્યો છે. વળી, સામાજિક જનજીવન તેમ જ પારિવારિક સારસંભાળ બાબત એમની સામેલગીરી કરોડરજ્જુ સમાન જ જોવા મળી છે.
જ્હોનિસબર્ગમાં આજની જેરાર્ડ સેકોટો સ્ટૃીટ [Gerard Sekoto Street] તે દિવસોમાં બેકર સ્ટૃીટ [Becker Street] તરીકે ઓળખાતી. આ શેરીમાં 1939માં બંધાયેલું સાત માળી ‘ઓરિયેન્ટ હાઉસ’ નામે મકાન છે, તેમાં 11 નંબરનો ફ્લેટ પહાડ દંપતીને નામ હતો. એ પહાડ પરિવારનું રહેણાક. હિન્દવી જમાતનાં રહેણાકો, તેમની નાનીમોટી દુકાનો તેમ જ શાકભાજી ને ફળફૂળ વેંચતી રેકડીઓનો કાયમી વિસ્તાર. દરેક ધર્મના લોકો અહીં વસે. વારુ, તેની ચોપાસ, આશરે સોએક મીટરના વિસ્તારમાં માર્કેટ સ્ટૃીટમાં ખોલવડ હાઉસ, ભૂતકાળની સાખે આજે ય અડીખમ ઊભું છે. એમાં 13 નંબરનું રહેણાક ઇતિહાસને પાને રણકે છે. આ ફ્લેટમાં એક વેળા ઇસ્માઈલ મીર વસતા હતા, પાછળથી એમણે અહમદ કથરાડાને રહેવા સારુ ત્યાં ગોઠવી આપેલું.
ગુજરાતના પશ્ચિમી કાંઠેથી વેપારી આલમના આ આપ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરે બોટ વાટે આવી પહોંચેલા; અને તેઓની સરકારી દફતરમાં ‘પેસેન્જર ઇન્ડિયન્સ’ તરીકેની ઓળખ પાકી બની. એમાંના કેટલાક મુલકના અંદરના વિસ્તારોમાં રોજીરોટી સારુ વિસ્તારાઈ ગયા. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ‘ખોલવડ’ નામક ગામથી આ વસાહતીઓ દક્ષિણ આફ્રિકે સ્થળાંતર કરી ગયા હતા. ટૂંકમાં જોઈએ તો ડરબનથી જ્હોનિસબર્ગ વચ્ચેના અંતરિયાળ મથકોમાં આ હિન્દવી જમાતના લોકો ધંધાધાપા સારુ ફેલાઈ ગયા હતા.
આ બેકર સ્ટૃીટ સાંકડી શેરી છે અને એક બીજાને કાપતા કમિશનર સ્ટૃીટ, માર્કેટ સ્ટૃીટ, પ્રેસિડન્ટ સ્ટૃીટ તેમ જ ફોક્સ સ્ટૃીટ જેવા બીજા નાનામોટા રસ્તાઓ ચોપાસ છે. કમિશનર સ્ટૃીટમાં જ્હોનિસબર્ગ મેજિસ્ટેૃટ્સ કોર્ટ અને તેની પડખે ચાન્સેલર હાઉસ. અહીં, બેકર સ્ટૃીટ તથા ફોક્સ સ્ટૃીટને નાકે નેલસન મન્ડેલા તેમ જ ઓલિવર ટામ્બોની, તે દહાડે, વકીલાત સારુ ઓફિસો.
જ્હોનિસબર્ગ મહાનગરનું જૂનામાં જૂનું પરુ એટલે ફૂહરેરુટાઉન[Ferreiratown]નો આ સમૂળગો વિસ્તાર. આ વિસ્તારમાં આફ્રિકન નેશનલ કાઁગ્રેસ, ત્રાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રેસ તેમ જ ત્રાન્સવાલ ઇન્ડિયન યૂથ કાઁગ્રેસનાં, એ દિવસો વેળા, અહીં દફતરો ધમધમતા. બાજુમાં, વળી, ટેૃડર્સ હૉલ, અને ત્યાં અનેક ભાતભાતની સભાઓ ભરાય. આમ આ સૌને માટે હળવા મળવાનાં અનેક કારણો મળી રહેતાં.
બીજી તરફ ઈસપ પહાડના પિતા, ગુલામ પહાડ ત્રાન્સવાલ ઇન્ડિયન કાઁગ્રસના પ્રમુખપદે લાંબા અરસા સુધી હતા. આ સક્રિયતાને કારણે ઓરિયેન્ટ હાઉસના એમના રહેણાકે અનેક નાનીમોટી સભાબેઠકો જોઈ છે. ક્યારેક મન્ડેલા, ટામ્બો, સિસુલુ વગેરે ય આમાંની બેઠકો માટે આવી ચડતા.
•••
હિંદવી જમાતનાં એક સાદાંસીધાં સન્નારી તરીકે અમીનાબહેનનું બાળપણ, એમની યુવાવસ્થા વીત્યાં હતાં. એમનો જન્મ દક્ષિણ આફ્રિકાના એક વેળાના ત્રાન્સવાલ વિસ્તારના ક્લકર્સડોર્પ (Klerksdorp) ખાતે જુલાઈ 1918માં થયો હતો. અમીના પહાડ(લગ્ન પહેલા ટીલી)નાં માવતર, સને 1880ની આસપાાસ, દક્ષિણ આફ્રિકામાં વસવાટી તરીકે આવેલાં. ક્લકર્સડોર્પમાં ધમધોકાર ચાલતા એકાદા ‘જનરલ શોપ’ના એ માલિક હતા. આ વિસ્તારમાં આફ્રિકાનારોની વધારે વસ્તી હતી અને વળી, વિસ્તારના કાયદા અનુસાર દેસી વેપારીઓ માટે જે જગ્યા નિયત થયેલી ત્યાં વસવાટ અને ધંધા માટે ચાલી જવાનો આદેશ હતો. તેની સામે ન્યાય મેળવવા અદાલતે ધા નંખાઈ; અને અદાલતમાં હાર થતાં, ધંધોધાપો વીંટી સાટીને અમીનાબહેનનાં માવતર અને પરિવારજનો મૂળ વતન ખોલવડ ખાતે પાછા વળી ગયેલાં. અમીનાબહેનને ખોલવડના આ દિવસો ભારે લાગતા હતા. એમને ત્યાં સોરવાતું જ નહોતું, અને લગીર ગમતું જ નહોતું. આની વચ્ચે,

ચીફ આલ્બર્ટ લુથુલી
ટીલી પરિવારને માટે પહાડ કુટુંબમાંથી સંબંધ બાંધવાનો પ્રસ્તાવ આવ્યો. અમીનાબહેનને તો ભાવતું હતું અને જાણે કે વૈદ્યે જ કીધું, તેવો ઘાટ થયો. અને અમીનાબહેન ગુલામ પહાડ જોડે પરણી ગયાં અને પોતાને ગમતા મુલકમાં ફેર પહોંચી ગયાં. એ દિવસોમાં ગુલામ પહાડ હજુ શ્વીત્ઝર – રેનેહકે [Schweizer-Reneke] ગામે વસવાટ કરતા હતા. એ 1940ના અરસાનાં વરસો હતાં. આફ્રિકન નેશનલ કાઁગ્રેસના આગેવાનો અને ક્યારેક કમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ સાઉથ આફ્રિકાના હોદ્દેદારો આ તરફ પ્રવાસે નીકળ્યા હોય તો તેઓ પણ પહાડ પરિવારના મહેમાન બનતા. જેવો પહાડ પરિવાર જ્હોનિસબર્ગના ઓરિયન્ટ હાઉસમાં વસવાટ માટે ગયો, તેની સાથેસાથે આ આગેવાનોનો ધામો ય અહીં પહોંચતો થયો. ડૉ. યુસૂફ દાદુ તો હતા જ અને વળી એ પહાડ પરિવારના દાક્તર રૂપે ય સેવા આપવા લાગેલા. ઇન્ડિયન કાઁગ્રેસના આગેવાનો નાનાંમોટાં કામો અર્થે આવતા રહેતા, તેમ આફ્રિકન નેશનલ કાઁગ્રેસના આગેવાનોમાં મન્ડેલા તેમ જ વૉલ્ટર સિસુલુની પણ આવનજાવન વધી ગયેલી.
ઓરિયેન્ટ હાઉસ માંહેના પહાડ પરિવારના ફ્લેટમાંની બેઠક ખંડમાં યુસૂફ દાદુની છબિ રહેતી. ગાંધી-નેહરુની સંયુક્ત છબિ ય ધ્યાનાકર્ષક હતી. વળી સૌનું ધ્યાન ખેંચાય તેમ આફ્રિકન નેશનલ કાઁગ્રેસના વડા ચીફ આલ્બર્ટ લુથુલીની છબિ રહેતી. લુથુલી તો અમીનાબહેનને પોતાની દીકરી જ માનતા. જ્યારે જ્યારે લુથુલીને જ્હોનિસબર્ગ આવવાનું બનતું ત્યારે ત્યારે તેમનો ઊતારો પોતાની આ ‘દીકરી’ને ઘેર જ રહેતો.
•••
તાજૂબીની જાણે વાત હોય તેમ બેએક ઘટનાની વિગતો જોઈએ :
એક વખત, બે આફ્રિકીઓ પહાડ પરિવારના ફ્લેટમાં ધસી આવ્યા. બન્નેનો આશય ઘરફોડ ચોરીનો જ હતો. અમીનાબહેનની હાજરીમાં બૂમાબૂમ કરીને પૈસોટકો, જરઝવેરાત જે કંઈ તેમની કને હોય તે સઘળું તત્કાળ તેમને આપી દેવાની તેમાં હાકલ હતી. અને તે વચ્ચે તેમની નજર લુથુલીની છબિ પર પડી. લાગલા બેમાંથી એકે પડપૂછ અદરી : ‘આ કોણ છે ?’ અમીનાબહેનનો જવાબ હતો : ‘એ મારા બાપાની છબિ છે.’ ‘આ તમારા બાપ કઈ રીતે હોય ?’ ‘ના, એ ચીફ લુથુલી છે, મારા પિતા.’ વળી અહીં આવે ત્યારે અહીં જ ઊતરે છે અને અમારી સાથે જ વસે છે.’ લાગલા એ બન્ને ચોરો કહેવા લાગ્યા : ‘અમને માફ કરી દો. અમારી ભૂલ થઈ. પરંતુ આ જગ્યાએથી હટશો મા. અને બીજુંત્રીજું કંઈ કરશો મા !’ … અને પછી બન્ને દરવાજો બંધ કરી ભાગી ગયા !
બીજો પ્રસંગ બાજુની ડાયગોનલ સ્ટૃીટ [Diagonal Street] માંહેનો છે :
આ શેરીમાં અનેક હિન્દવી જમાતીઓની શાકભાજી તેમ જ ફળફૂલ વેંચતી દુકાનો રહેતી. આવી એક દુકાનમાં અમીના પહાડ જઈ ચડે છે. દુકાનમાલિક અમીનાબહેનને ઓળખી ગયા. ત્યાં તો તરત એક આફ્રિકન નબીરાએ અમીનાબહેનને ઝડપી લીધાં. ચોમેર સોપો પડી ગયો. એ જણને સામે થવા જેવાં અમીનાબહેન ફર્યાં કે તરત પેલા જણે કહ્યું, ‘મમ્મી, તમે છો ! તમે મને ઓળખો છો કે ?’ અમીનાબહેને હા પાડી. હું તમારી ઘરે આવી ગયો છું. અમે તમારે ઘેર બેઠકો કરી છે. તમે જાગતાં રહેતાં. તમે રાંધી કરીને અમને જમાડતાં. તમે મારી મા છો !’ તરત દુકાનમાલિક સાંભળે તેમ પેલો નબીરો ઊમેરણમાં કહેવા લાગ્યો. ‘હવે તમે લોકો સાંભળો. તમે મારી મા જોડે સારો માનવાચક વહેવાર કરજો. આ મારી પણ મા છે.’
નેલ્સન મન્ડેલાએ એમની આત્મકથા, ‘લૉન્ગ વૉક ટુ ફ્રિડમ’માં લખ્યું છે તે અગત્યનું છે. એમણે આદરપૂર્વક અમીના પહાડને મોહક, વીરતાભર્યાં કર્મશીલ તરીકે સંભાર્યાં છે. બપોરનું ભાણું લેવા માટે અનેકવાર એમના રહેઠાણની એમણે મુલાકાત પણ લીધી છે. હંમેશાં આદર સત્કાર કરતાં ગૃહિણીમાંથી જેલવાસ ભોગવનાર આ રાજકીય કર્મશીલને કારણે રંગભેદ સામે અનેકાનેક ભોગ આપનારી હિન્દવી જમાતને સમજવામાં એમને સહાયતા સાંપડી છે.
મન્ડેલા ઉપરાંત, વૉલ્ટર સિસુલુએ પણ એમની આત્મકથામાં અમીનાબહેન વિશે પોરસાવતી વિગતો આપી છે. વળી, તે જ આઝાદી આંદોલનના હિન્દવી આગેવાનો – ઈસ્માઇલ મીર તથા અહમદ કથરાડાએ પણ એમની પોતીકી સ્મરણકથામાં અમીનાબહેન અંગે આદરભર્યું લખાણ આપ્યું છે. કાઁગ્રેસ આંદોલનમાં પણ એમના અંગે આદરભેર યાદ કરવામાં આવ્યાં છે. નેલ્સન મન્ડેલા તો છેવટ સુધી અવારનવાર ભાવપૂર્વક સંભારતા હતા કે કોઈ એક બિન-આફ્રિકી વ્યક્તિએ એમને આરંભથી ખવડાવ્યા, પીવડાવ્યા હોય તો એ ચોક્કસપણે અમીનાબહેન જ છે.

અહમદ કથરાડા
અહમદ કથરાડાએ પોતાની સ્મરણકથામાં નોંધ્યું હતું, અમીનાબાઈ હકીકતે તો અસાધારણ માણસ હતાં. એ હૂંફાળાં હતાં, માયાળુ પણ હતાં, હંમેશાં એમના મોં પર સ્મિત ફરકતું રહેતું. વળી, એ મોટાં દિલનાં ય હતાં. કરુણાથી ભરપુર અમીનાબહેનની તલ ભાર પણ ભૂલથાપ કાઢી ન શકાય તેવાં યજમાન પણ હતાં. રાજકારણ માંહેનાં અસંખ્ય સાથીસહોદરોમાં, પારિવારિક સભ્યોમાં તેમ જ નિજી મિત્રવર્તૃળમાં એમનું મજબૂત કામ અને યજમાનગીરીની અનેકાનેક વાયકાઓ પ્રસાર પામતી જ રહેતી. આ મહેમાનનવાજીનો લાભ લેનારામાંના કેટલાંક તો તદ્દન અજાણ્યાં ય હતાં. આવાં લોકો દક્ષિણ આફ્રિકાના અનેક વિસ્તારમાંથી પહાડ કુટુંબને સારુ હળવામળવા ય આવતું રહેતું. પહાડ પરિવારની યજમાનનવાજી, દિલની મોટાઈ, એમના માયાળુપણાનો જોટો મળવો મુશ્કેલ. કોઈ પણ જાતના જણાવ્યા વિનાના સમયે આવી જનારાંઓ માટે ય મહેમાનગતિની સોઈ રહેતી. દરેકને ભાવતાં ભોજનની સગવડ અમીનાબાઈ સલુકાઈએ કરી લેતાં.
ઈસપ પહાડનાં સ્મરણ મુજબ, ઇન્ડિયન કાઁગ્રેસનાં કામ માટે ક્યારેક કથરાડા કે પછી સુલેમાન ‘બાબલા’ સલૂજી જોડે ભંડોળ એકઠું કરવા ય ગામપરગામ પણ એ નીકળી પડતાં. આલ્બર્ટીના સિસુલુ, એડેલેઇડ ટામ્બો, ડોરીન મોત્સાબી તેમ જ રીકા હોજસન જોડે ય એમને ઘરોબો રહેતો. અમીનાબહેને ક્યારે ય નિશાળ તો કરી નહોતી, પરિણામે એમનું અંગ્રેજી નબળું હતું. પણ એ મજબૂતાયે રોળવતાં રહેતાં. હા, એ પોતાની માતૃભાષા ગુજરાતીમાં વાંચી, લખી, બોલી શકતાં હતાં. આવું છતાં એ દરેક જોડે સંવાદ કરી લેતાં.
અમીનાબહેન માનવતાવાદી હતાં. ચામડીનાં રંગ અનુસાર તેમ જ વિધર્મીઓ પ્રત્યે ય કોઈ ભેદભાવ રાખેલો જ નહોતો. એમના સંતાનોમાં આ ગુણ ઊતરે તે માટે એ સતત કહેતાબોલતાં.
•••
એમને દક્ષિણ આફ્રિકા છોડવું જ નહોતું, પરંતુ બે પુ્ત્રો ઈસપ અને અઝીઝનાં પરિવારના સભ્યો લંડન ચાલ્યા ગયાં તેનો અસાંગરો એમને લાગતો હતો તેથી પોતાના પતિ ગુલામ પહાડ અને સંતાનો અને પૌત્રોપૌત્રીઓ જોડે રહેવાનું થાય તે સારુ નછૂટકે તે લંડન જવા રાજી થયાં. ગયાં પણ ખરાં. ત્યાં થોડો સમય રહ્યાં અને પછી ગુલામ પહાડ અને અમીના પહાડે વતન જવાનું વિચાર્યું. વતન એટલે ખોલવડ. અને તેને સારુ એ બન્ને મુંબઈ જવા નીકળ્યાં. એ 1973નો સમય હતો.
મુંબઈના રોકાણ વેળા, એક જીવલેણ કાર અકસ્માતમાં, 26 મે 1973ના રોજ, અમીનાબહેન ખરાબ રીતે ઘવાયાં અને મૃત્યુ પામ્યાં. લંડનમાં ડૉ. યુસૂફ દાદુની આગેવાનીમાં ઉત્તર લંડનમાંના પહાડ પરિવારના રહેણાકમાં એક અંજલિ સભાનું આયોજન પણ થયું હતું.
20 ઍપ્રિલ 2006નો એ દિવસ હતો જ્યારે દક્ષિણ આફ્રિકાના બીજા રાષ્ટૃપતિ થાબો મ્બેકીએ અમીના પહાડની અપ્રતિમ સેવાઓને ધ્યાનમાં લઈ, એમને મરણોત્તર ‘નેશનલ ઑર્ડર ઑવ્ લુથુલી’ રજત ચંદ્રકથી નવાજ્યાં ય હતાં. જ્યારે પાંચમાના બે સંતાનોએ – ઈસપે અને અઝીઝે પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકાની સરકારમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. અઝીઝ પહાડ 1994થી 2008ના ગાળામાં વિદેશ ખાતામાં નાયબ પ્રધાન પદ સંભાળ્યું હતું. જ્યારે, ઈસપ પહાડ 1999થી 2008 વેળા પ્રમુખના દફતરમાં પ્રધાન પદ સંભાળેલું.
18 ફેબ્રુઆરી 2026
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ
E.mail : vipoolkalyani.opinion@btinternent.com
![]()

