નરક જેવી ઝૂંપડપટ્ટી હોય કે ઝૂંપડપટ્ટી કરતાં પણ બદતર કેદખાના. પાપ, પુણ્ય અને કર્મનાં ફળની વાત કરો એટલે તેમાં સુધારાને કોઇ અવકાશ ન રહે. કર્મશીલ અને વિદ્વાન લેખક આનંદ તેલતુંબડેની કલમે અવતરેલું પુસ્તક “સેલ એન્ડ સોલ” આપણા દેશની જેલ અને ન્યાયતંત્રનો અરીસો છે. લેખકની 31 માસની આપવીતી એમાં છે. તાજેતરમાં કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ, 2026માં આ પુસ્તક વિષે તેલતુંબડેનો વાર્તાલાપ રદ્દ કરવામાં આવ્યો એ ઘટના આપણા દેશની કહેવાતી લોકશાહીનું પ્રતિબિંબ છે. વિષમતા નિર્મૂલનની દિશામાં તેલતુંબડેના બૌદ્ધિક વિચારો અને નિસબત પ્રગટ કરતાં પુસ્તકો પછી અલગ શૈલીથી લખાયેલા “સેલ એન્ડ સોલ”માં તેમનું વ્યક્તિગત જીવન છે. કદાચ તેમને સ્વજીવનની વાત કરવી પડી છે.
1લી જાન્યુઆરી, 2018ની ભીમા કોરેગાંવ પરિષદ પછી થયેલા તોફાનો અને રાજકીય ગતિવિધિઓનાં પગલે આનંદ તેલતુંબડે સહિત સોળ વ્યક્તિઓને અર્બન નક્સલ કહી કેદ કરી દેવામાં આવ્યા. ભીમા કોરેગાંવ -16 (BK- 16) પૈકીના જી.એન. સાંઇબાબા અને સ્ટેન સ્વામીને તો મોત ભેટી ગયું. આની પાછળ ઉદ્દેશ વર્ષો સુધી આરોપીને જેલમાં રાખવાનો કે જામીન પર છોડી અદાલલતી આંટીઘૂંટીમાં રાખવાનો હતો જેથી, તે અવાજ ન ઉઠાવે. કટોકટી છાને પગલે પણ આવી શકે.
તેલતુંબડેએ તેમની લાંબી કારકિર્દીમાં સતત ઇનોવેટિવ ટેકનોલોજિકલ પ્રોજેક્ટ કર્યા છે. બીગ ડેટા એનાલીસીસમાં તેઓ ગળાડૂબ હતા ત્યાં એક અણધાર્યો વણાંક આવ્યો. પોલીસે બારણે ટકોરા દીધા. લેખક લખે છે કે નાનપણમાં પોલીસ નામનો ડર જોયેલો. તેમણે પિતા પાસેથી વીર નાયકોની વાર્તો સાંભળેલી. પોલીસની ગોળીએ ઠાર થતા વીરોની વાર્તા પણ સાંભળેલી. તે જ વખતે પોલીસ અને પ્રજા વચ્ચેની કડી ખોટી હોવાનું પ્રતીત થયેલું. લેખકે નાની વયે ભગતસિંહને વાંચેલા. અને પછી ડો. બાબાસાહેબ આંબેડકરને. ભગતસિંહની વીરતા અને બાબાસાહેબની શિક્ષણની હાકલ બંને તેમણે આત્મસાત કર્યા. બંનેનું સહજીવન તેમનામાં રહ્યું. આ બંનેમાં તેલતુંબડેને કોઇ વિરોધાભાસ દેખોયો નહિ.
ઉચ્ચ શિક્ષણ પછી કોર્પોરેટ ક્ષેત્રની નોકરી છતાં મૂડીવાદી લાલચમાં તેઓ ડૂબ્યા નથી. તેમની પ્રતિબદ્ધતા સામે લાલચ ઝાંખી પડી. કારકિર્દી અને લેખનથી આગળ જતાં તેમના જીવનમાં ધરપકડ કે જેલનો ક્યાં ય ઓછાયો ન હતો. ખ્યાતનામ IITમાં પ્રાધ્યાપક થયા. આ બધાની વચ્ચે ધરપકડનો વિચાર માત્ર વાહિયાત હતો. જીવનના કપરા મુકામે તેમને આંબેડકરની ચેતવણી યાદ આવી કે, લોકશાહી માની લેવાની બાબત નથી. તે સંવૈધાનિક નૈતિકતા આત્મસાત કરતા લોકો પર નિર્ભર છે. આવા વિચારો વચ્ચે ગિરફતાર થઇ પોલીસ કર્મચારીને તાબે થવાનું હતું. જે રૂક્ષ, બેપરવા, યંત્રવત, લગભગ પાશવી સિસ્ટમનું પ્યાદુ જ છે. ગંદકીથી પીળા પડી ગયેલા દેશી જાજરૂ, સતત લીક થતા નળ, ગંદી રીતે અપાતા ભોજન, સેલ ડોરના સતત અવાજ આવો જેલવાસ ક્યારે ય સપનાનો પણ ભાગ ન હતો. આ સઘળી પરિસ્થિતિમાં સતત અટવાતી પત્નીની શારિરીક અને માનસિક રીતે કથળતી અવસ્થા. બધું જ અસહ્ય હતું. તેથી જ દૃઢ મનોબળથી નક્કર તર્ક કરતી આનંદ તેલતુંબડેની કલમ “સેલ એન્ડ સોલમાં” લાગણીસભર રહી છે

આનંદ તેલતુંબડે
દેશ અને દુનિયામાં આનંદ તેલતુંબડેની ધરપકડનો વિરોધ થયેલો. 168 સ્થળો ખાતે તેમની ધરપકડ સામે એકસાથે દેખાવો યોજાયા હતા. નામાંકિત કર્મશીલો, વિદ્વાનો, સાહિત્યકારોની સહી ઝુંબેશ થઇ. તેનાથી વિપરીત હિન્દુત્વવાદીઓએ લેખકની ધરપકડની તરફેણ કરી. કોરોનાકાળમાં લેખક જેલના શરણે થયા. આ સમયે દેશ પણ એક વિષમ પરિસ્થિતિમાં હતો. દરેક આકસ્મિકતામાં રાજકીય હિત જોવાની ફિરાકમાં રહેતા આપણા દેશના વડા પ્રધાને કોરોનાને પણ બક્ષ્યો ન હતો. ઘરની બાલકનીમાંથી કે ઘરના ઉંબરે ઊભા રહીને થાળી વગાડવાનું એલાન થાય અને આ ઉન્માદ શેરી સ્વરૂપે ફેરવાઇ જાય. તો બીજી બાજુ દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે ધાર્મિક સ્થળે યોજાયેલા તબલીઘી જમાત સંમેલનને કોરોના જેહાદ કે તબલીઘી જમાત વાયરસ જેવા લેબલ લગાડી દેવાતા. તો વળી આવા જ વાતાવરણામાં યોજાતા કુંભમેળા પર સરકારે આંખ આડા કાન કર્યા, એકાએક કરવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનમાં વિસ્થાપિત મજૂરોની અવદશા તો સાવ જુદી જ સ્થિતિ હતી.
RSSના સામયિક “પંચજન્યમાં” તેલતુંબડેને માયાવી આંબેડકર કહીને અને વીકીમિડિયામાં લેખકના પાના પરના લખાણ સાથે ચેડાં કરીને તેમના વિરુદ્ધ અપપ્રચાર કરવામાં આવ્યો હતો. ધરપકડ પહેલાં લેખકે ખુલ્લા પત્રમાં વિગતે વાત કરી છે. પ્રમાણિકતાથી રળી ખાતા અને લેખનથી નાગરિક હકની શક્ય હિમાયત કરતા લેખકને અનલોફુલ એક્ટિવીટી પ્રિવેન્શન એક્ટ(UAPA)ની આપખુદી જોગવાઇનો ભોગ બનાવવમાં સહાયક હતા પેગેસસ અને ઇઝરાયલ સ્પાયવેર. આવા કાયદાઓથી નિસ્વાર્થ લોકસેવકને દેશદ્રોહી અને દેશના વિધ્વંસકને દેશભક્ત પુરવાર કરવા તેમ જ ઝિન્ગોઇઝમને રાષ્ટ્રવાદમાં ફેરવી લોકોનું ધ્રુવીકરણ કરવું એ સત્તાધીશોની કમાલ છે.
ખાસા સમયથી જેલના ભણકારા વાગતા હતા પણ વાસ્તવિકતાનો બોજો તો જેલમાં જ વર્તાયો. જેલના સળિયામાંથી મેલેમાઇનના થાળી વાડકામાં ફેકાતા આહાર, ગેંગસ્ટર કંપનીના ગુનેગાર, પોલીસ સુપ્રીટેન્ડેન્ટના ઇશારે પોલીસના ચાબખા ખાઇને લોહીલુહાણ થતા વિલાપ કરતા કેદીઓથી સ્થિતિ ઘણી ભયાવહ થતી. જેલના ન્યાયતંત્રમાં જજ, જ્યુરી અને પ્રોસેક્યુશન પોલીસ સુપ્રીટેન્ડન્ટમાં વીલિન થતાં લેખકે જોયાં અને તેની સામે કોઇની અપીલને સ્થાન નથી.
70 વર્ષની પાકટ વયે જેલની ચરમસીમા તો હતી કોરોના અસર. પાંચ દિવસ સતત તાવ, ઝાડાઊલટી, ચક્કર, પથારીમાંથી ઊઠી પણ ન શકાય તેવી હાલતની સામે કોઇપણ સારવાર વગર ઝીંક ઝીલવાની હતી. તેમની સાથે જેલવાસ વેઠતા BK 16 પૈકીના 84 વર્ષની જૈફ વયના સ્ટેન સ્વામીનું મૃત્યુ તેમને હચમચાવી ગયું. તેમણે લખેલી એકોક્તિમાં આ સંવેદના ઠલવાઇ છે. ઝારખંડના જંગલોમાં રહીને આદિવાસીઓના હિતની વાત કરતા જેસ્યુટ સ્ટેન પાર્કિસનના દર્દી હતા. તેમને જરૂરી સીપર, સ્ટ્રો, લાંબી બાંયનું સ્વેટર જેવી મામૂલી જરૂરિયાતો માટે તેમણે વલખાં મારવા પડેલા. જેલ બહાર સારવાર મળે તે માટેના તેમના અથાગ પ્રયત્નો તેમના જીવનના છેલ્લા દિવસોમાં માંડ સફળ થયા. લેખક લખે છે કે “જેલના હોસ્પિટલના દરવાજે વિદાય આપતી વખતે ‘અહીં પાછા ન આવતા’ એમ કહ્યું ત્યારે ન હતી ખબર કે આ શબ્દો સાવ અમંગળ પુરવાર થશે.” સ્ટેન તેમના જીવન અને મૃત્યુમાં નીતિબોધ મુકતા ગયા. સ્ટેન સાથે થયેલા તેમના સંવાદના સહારે લેખકે તેમનું સચોટ પાત્રાલેખન કર્યું છે.
જેલવાસમાં તેલતુંબડેના અસહ્ય માનસિક સંતાપનો દિવસ હતો 14 નવેમ્બર 2021. જેલના ટી.વી. સ્ક્રીન પર ગડચિરૌલી જંગલમાં મોટા પોલીસ એનકાઉન્ટરમાં 26 માઓવાદીઓ માર્યા ગયાના સમાચાર જોતા આનંદ કાંપી ઉઠ્યા. વર્ષોથી માઓવાદીઓના દરેક રિપોર્ટથી તેઓ ધ્રૂજી જતા. અંગ્રેજી એંકરના મોઢે તેમની બોલવામાં અઘરી અટકના ઉચ્ચારથી તેમનો ડર સાચો પુરવાર થયો. અને અશ્રુભીની આંખે ભૂતકાળની ઘટનાઓનો કેલિડોસ્કોપ શરૂ થયો. લેખકે અહીં પારિવારીક જીવનની વિકટ વાતો ઘણી સરળ અને સચોટ ભાષામાં ખુલ્લા દિલે કરી છે. પાત્રાલેખનની શૈલી અહીં ઉઘડતી જાય છે. સ્વભાવે ગંભીર તેમનાથી 15 વર્ષ નાનો, છઠ્ઠા નંબરનો ભાઈ મિલિન્દ તેમના પેંગડામાં પગ નાખવા સક્ષમ છે તેમ જણાતા, પોતાની ઇજનેરી અભ્યાસની તમામ સામગ્રી મિલિન્દ માટે સાચવી રાખી હતી. પણ ભાઈને ભાવિ કોઇ જુદી જ દિશામાં પોકારતું હતું. મોટા થઇને મિલિન્દે ITIમાં ઇલેકટ્રીકનો કોર્સ કરી પેપર મિલ્સમાં એપ્રેન્ટીસની નોકરી લીધી. તે પછી માઇન્સમાં જોડાયો. મિલિન્દે નોકરી સાથે કામદાર સંગઠનનું બીડું ઝડપેલું. ઘણી સફળ કામદાર લડતો પણ કરી. મહારાષ્ટ્ર કામગાર યુનિયન હેઠળ હજારો કામદાર સંગઠિત કરેલા. ખેલરાંજીમાં એક પરિવારના તમામ સભ્યોને રહેંસી નાખવાની ઘટના સામે વિરોધ શરૂ કરાવવામાં મિલિન્દની મુખ્ય ભૂમિકા હતી. શ્રમજીવીના પ્રશ્નો લડતો મિલિન્દ પરિવારથી ધીમેધીમે અલગ થતો ગયો. ત્યાં સુધી કે તે પરિવારના સારા માઠા પ્રસંગે પણ આવવાનું ટાળતો. મિત્રો અને સગાઓનું કહેવું છે કે તેમના પારિવારિક પ્રસંગોમાં પોલીસ સાદા ડ્રેસે તૈનાત રહેતી. માધ્યમોએ તેના નામ પર માઓવાદીની મહોર મારેલી. તેના માટે મોટું ઇનામ પણ જાહેર કરેલું. બંગાળી પ્રતિબદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની નવલકથા “હજાર ચુરાશીર મા”ના શહીદ વ્રતીનો નંબર 1084મો હતો. એ પછી તો મિલિન્દ જેવા શહીદોની ગણતરી જ ભુલાઇ ગઇ.
ભાઈની સાથે માદરે વતન રાજુર યાદ કરતા આનંદ કહે છે, રાજુર ન હતુ પૂરું ગામ કે પૂરું નગર. તે પરંપરા અને આધુનિકતાનો સંયોગ હતું. જીવનના રંગો સમજવાની સૂઝ લેખકને અહીં મળેલી. દલિત વસતિના સાવ છેડે એક માટીના ઘર સિવાય બીજું કાંઇ ન હતું. પરિવારના દસ સભ્યો, ઘણાબધાં ઉંદરો અને ક્યારેક દેખાડો દઇ જતા સાપ માંડ આ ઘરમાં સમાતા. માતાપિતાના પરિશ્રમે તેમનું ઘડતર થયું. માર્કસના શ્રમ મૂલ્યનો સિદ્ધાંત અને દુનિયા બદલવાની હાકલ સમજવાની પ્રેરણા અહીં મળેલી. સંજોગોવસાત રાજુરથી દૂર થતા ગયા પણ પ્રારંભિક વર્ષોની સ્પષ્ટ સ્મૃતિઓ હજી તેમને ઘડી રહી છે. અને કદાચ ભાઈ મિલિનન્દને મૃત્યુ પર્યંત. એટલે જ બે સહોદર ભાઈઓની સામાજિક નિસબત દાખવવાની રીત નોખી પણ પ્રતિબદ્ધતા સરખી રહી.
બીજું એક પાત્રાલેખન તેમની કલમે લખાયું છે કેદી ભોલાનું. લેખક કહે છે, સામાન્ય કેદીના પ્રતિરૂપ હતો ભોલો. નિર્દોષ અને અભણ, અસ્તિત્વનો ભાર રાખ્યા વગર દરેક પળમાં જીવતો માણસ. મૃત્યુ પામ્યો એ દિવસની સવારે આનંદે તેને ટી.વી. પર આવતાં ગીતના તાલે નાચતા જોયેલો. તેના ખુલ્લા શરીર પર કમરેથી સરકતું જતું ખુલતું પેન્ટ સૌના મનોરંજન માટે પૂરતું હતું. ઘોડાનો અવાજ કાઢવાનું કહેતા ઊંચા અને મોટા અવાજે હણહણી લેતો અને તેનું ઉપનામ ઘોડો સાર્થક કરતો. લેખક કહે છે એમણે જોયો છે રાત્રે સળિયા પકડી તેની માતાને યાદ કરી રડતો, પ્રલાપ કરતો, ગમગીન ભોલો. ભોલાને ખબર નહતી કે તેનો ગુનો શું છે? એક સવારે મિત્રો સાથે ઊભો હતો. ત્યાં પોલીસની જીપ આવી અને ભોલાને તેના ફાટેલા ખમીસેથી પકડી અનાજની ગુણ ફેંકતા હોય તેમ જીપમાં નાખી જેલના હવાલે કરી દીધો. કદાચ એક માત્ર સ્વજન તેની માને પણ આ ઘટનાની ખબર નહિ હોય. ભોલાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું. આપણી સામાજિક વ્યવસ્થા અને ન્યાયતંત્રની મિસાલ સમા ભોલા માટે લેખક લખે છે, સર્વહારા નસીબ લઇને જન્મેલા ભોલાને આ નરક આખો ગળી ગયું. લેખકે એનો ઇતિહાસ અશોકના શિલાલેખની જેમ એના શરીર પર વાંચેલો.
કદાચ ભોલાની આવી દર્દનાક ઘટનાના પગલે તેમણે પરિવર્તનકારી જસ્ટીસ મોડેલ ધરાવતી શિક્ષાત્મક પ્રણાલી આવકારવાની વાત કરી છે. તેઓ કહે છે ઉમર ખાલીદ જેવા લોકોને પકડીને વર્ષો સુધી ગોંધી રાખવામાં આવતા હોય ત્યારે આ દિશામાં વિચારવું જરૂરી લાગે છે. દેશની સુરક્ષા અને વિકાસ તેના લોકોને ગુંગળાવવામાં નથી. લેખકનુ માનવું છે કે, વિરોધ એ ધાકધમકી નથી પણ લોકશાહીનો આવશ્યક ઘટક છે. તેના સ્વીકાર, સર્વસમાવેશ અને સંવાદથી દેશ રચી શકાય.
પોસ્ટટ્રુથ(મનઘડંત સત્ય)ના સહારે જીતાતી ચૂંટણીઓ વિષે લખતા તેલતુંબડે કહે છે અહીં જુઠાણા સત્ય તરીકે વિહરે છે. ધર્માંધતા સહિષ્ણુતાનું સ્થાન લે છે. આપખુદી લોકશાહી તરીકે વેચવામાં આવે છે અને નકરા રાષ્ટ્ર વિધ્વંસક દેશભક્ત ગણાય છે.
e.mail : sanita2021patel1966@gmail.com
![]()

