સદીઓમાં ભાગ્યે જ પેદા થતા હોય એવા એક વિશ્વ વંદનીય સપૂત મોહનદાસ કરમચંદ ગાંધી ભારતમાં પેદા થયા, એનું આપણા દેશને ગૌરવ. ગુજરાત રાજ્યને તેઓ ગુજરાતી હતા તેનું અદકેરું અભિમાન. વણિક જ્ઞાતિને વળી પોતાની કોમમાંથી આવો નરપુંગવ જગતને જડ્યો એનો હરખ. તેમાં વળી પોરબંદર ગામને પોતાની ધરતી પર એ મહાપુરુષે જન્મ લીધો તેનો પારાવાર આનંદ. તો રાજકોટ શહેર પચીસેક વર્ષ સુધી ગાંધી પરિવારનું રહેઠાણ હોવાનો દાવો કરવાનું કેમ ભૂલે ભલા?

રાજકોટ સ્થિત ગાંધીજીનું રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ તરીકે ઓળખાય છે.
મેં તેની અસંખ્ય વાર મુલાકાત લીધી છે. દરેક વખતે એ સ્થળમાંથી એક નવી જ પ્રેરણા લઈને આવું. તાજેતરમાં મારા પરિવાર સાથે ફરીને ત્યાં જવાનું બન્યું. મુલાકાતીઓ માટે એ સ્થળ અને ગાંધી પરિવારની ઇંગ્લિશ અને ગુજરાતીમાં વિગતો આપતું ચોપાનિયું મળ્યું. ખુશી થઇ. ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા એ આ સ્થળ એવું અનેક વખત એ પત્રિકામાં જણાવવામાં આવ્યું છે. એ વાંચતાં જ અનાયાસ સવાલ થયો, મોહન તો મહાત્મા બન્યા, આપણે શું બન્યા?
ઈ.સ.1876માં પિતા સ્વ. કરમચંદ ગાંધીની પોરબંદરથી રાજકોટ જિલ્લાના મુખ્ય વહીવટદાર તરીકે નિમણૂક થતાં સાત વર્ષના મોહન પરિવાર સાથે રાજકોટ આવી વસ્યા. 1881માં હાલમાં ગાંધીજીના નિવાસસ્થાન તરીકે ઓળખાતું મકાન બંધાયું અને પરિવાર ત્યાં સ્થાયી થયો.

મોહનની નાનપણની તસ્વીર
આ ઘરમાં રહ્યા તે દરમિયાન મોહને શ્રવણની કથા વાંચી. માતૃ અને પિતૃભક્તિના વિચારો તેમાંથી ઘડાયા. બિમાર પિતાની સેવા તો કરી જ, પરંતુ જીવનભર બિમાર લોકોની સેવાનો ક્રમ ચાલુ જ રહ્યો. જૈન સમાજની કોઈ વ્યક્તિ પારકા દેશમાં (દક્ષિણ આફ્રિકા) જઈને એમ્બ્યુલન્સ કોરમાં જોડાય? કોઈ રક્તપિત્તના દર્દીની જાતે સેવા શુશ્રૂષા કરે? પ્લેગ ફાટી નીકળે ત્યારે લોકોનાં પાયખાનાં સાફ કરે અને દવા આપી મોત અને દર્દી વચ્ચે પોતાની જાતને ખડી કરી દે? આપણામાંથી કેટલા લોકોને આવાં નાટક કે ફિલ્મ જોવાથી આજીવન સેવા કરવાની પ્રેરણા મળી?
એ જ અરસામાં મોહને રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું અને તરત વિચાર્યું, ‘હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ બીજા સત્યવાદી થાય તેની રાહ જોયા વિના મોહને સત્યને સમજવાનું અને એનું પાલન કરવાનું શરૂ કરી દીધું. આ ઘરમાં રહેતા ત્યારે જ મોહને માંસાહાર કર્યો, ધૂમ્રપાન કર્યું, પર સ્ત્રી ગમન તરફ પણ વળ્યા, ભાઈનું દેણું ચૂકવવા સોનાના કડામાંથી કટકી સોનુ કપાવવાની ભૂલ પણ કરી, પણ સત્ય પાલનના આગ્રહને પરિણામે જ તેમણે પિતા પાસે પોતાની તમામ ભૂલો કબૂલ કરી અને ફરી કદી એવી ભૂલ ન કરવા વચન આપ્યું. પિતાએ ઠપકો ન આપ્યો કે ન તો સજા કરી, બલકે મૌન રહી આંસુ સાર્યાં, જેમાંથી ગાંધી ભૂલ કરનારને માફ કરવું અને અહિંસક રીતે તેને પોતાની ભૂલ સમજાવવાનો પાઠ શીખ્યા. સત્યને વળગી રહેવાનું, એને ખાતર જીવને જોખમમાં મૂકીને પણ તેનો અમલ કરવાનું, પોતાની ભૂલોનો જાહેરમાં એકરાર કરવાનું, એ ભૂલો સુધારવાનું અને ફરી એવી ગલતી કદી ન થાય એ બધાં પ્રણને ગાંધીજીએ જીવનભર નિભાવ્યાં. કદાચ એટલે જ તેઓ મહાત્મા કહેવાયા. આપણા જેવા લોકો રાજા હરિશ્ચંદ્રનું નાટક જોઈ, અદાકારોની વેશભૂષા, અને અદાકારીની પ્રશંસા કરીને આવા સત્યવાદી રાજાઓ ભારતમાં થઇ ગયા એ વાતનો સંતોષ લઈએ. જ્યારે મોહન જેવા બાળકને પોતે હરિશ્ચંદ્ર જેવા ન થાય ત્યાં સુધી જંપ ન વળ્યો. મહાનતાના મૂળ આ વિચારમાં પડ્યા હતા.
શાળામાં ઇન્સ્પેકટરની હાજરીમાં મોહને Cattle શબ્દની જોડણી ખોટી લખી, તો પોતાની આબરૂ જાળવવા શિક્ષકે બાજુમાં બેઠેલા વિદ્યાર્થીમાંથી ચોરી કરવા સંકેત કર્યો ત્યારે મોહને નિર્ભયતાથી એનું પાલન ન કર્યું. કદી પણ અસત્યાચરણને સાથ ન આપવો અને એ માટેની નિર્ભયતા મોહનમાં નાનપણથી જ જોવા મળે છે. આ ગુણ મોહનને તેના દાદા અને પરદાદા પાસેથી વારસામાં મળ્યો, એમ ગાંધી પરિવાર વિશે માહિતી વાંચતાં પ્રતીત થાય. વારસો મળે કુદરતી રીતે, પણ તેની જાળવણી, પાલન અને સંવર્ધન વારસદારના પોતાના વ્યક્તિત્વ પર આધાર રાખે છે, અને ગાંધીજીએ સત્યાચરણનું પાલન પૂરા દેશની જનતા કરી શકે એ સાબિત કરી બતાવ્યું.
ગાંધીજીના ધર્મ અને અધ્યાત્મ વિશેના ખ્યાલોનું ઘડતર પણ આ જ ઘરમાં થયું. માતા પૂતળીબાઈ ઘણાં ધાર્મિક વૃત્તિનાં. પરંતુ પ્રણામી સંપ્રદાયના અનુયાયી હોવાથી તેઓ સહજ રીતે દરેક ધર્મની સમાનતામાં માનતા અને એથી જ તો ઈશ્વરને કોઈ પણ નામથી પૂજો, પણ ઈશ્વર એક જ છે એવી માન્યતા ધરાવતાં હતાં. જો કે તેઓ તે સમયે પ્રચલિત અસ્પૃશ્યતાની માન્યતાને માનતાં હતાં જેને બાળ મોહને પડકારી પણ હતી. પિતા કરમચંદ હિન્દુ, શીખ, જૈન અને મુસ્લિમ ધર્મના આગેવાનોને પોતાને ઘેર આમંત્રીને ચર્ચા કરતા, જેમાંથી મોહને પાઠ લીધો કે વેદ અને કુરાન જેવા દરેક ધર્મગ્રંથનો સાર એક સમાન છે. બધા ધર્મના અનુયાયીઓ એક જ ઈશ્વરની ઉપાસના કરે છે, તફાવત માત્ર તેના ક્રિયા, કર્મ અને ભાષામાં હોય છે, ગ્રંથોમાં પ્રબોધેલા અંતિમ સત્યમાં નહીં. નાનપણમાં કેળવાયેલી આ સમજ ગાંધીજીને દરેક ધર્મ, સંપ્રદાય, પયગંબર અને તેમના બોધને સમાન ગણવા તરફ દોરી ગઈ. આ વ્યક્તિગત ગણાતી માન્યતાઓને તેમણે જાહેર જીવનમાં અમલ મૂકીને એક મુઠ્ઠી ઊંચેરા માનવીનું બિરુદ મેળવ્યું એમ કહી શકાય. આમ માતા-પિતા પાસેથી મળેલ સંસ્કારોને સવાયા કરીને સમાજને ચરણે ધરી દીધા. આજની ભારતીય પ્રજા આ વિચારથી તદ્દન વિપરીત વિચારો તરફ વળી રહી છે અને રામચંદ્ર ગુહા કહે છે તેમ ભારત દેશ હવે હિન્દુ પાકિસ્તાન બનવા જઈ રહ્યો છે.
રાજકોટના આ નિવાસસ્થાને મદિરાપાન, માંસાહાર અને પરસ્ત્રીગમનથી છેટા રહેવાની ત્રણ પ્રતિજ્ઞા લેવા પાછળનો હેતુ વિદેશ અભ્યાસાર્થે જવાની મંજૂરી મેળવવાનો હોય એ શક્ય છે અને ઇંગ્લેન્ડમાં તેના પાલન પાછળનું મુખ્ય કારણ માતાને આપેલ વચનનો ભંગ ન કરવાનું હોઈ શકે. પરંતુ લંડન ગયા તેના થોડા સમયમાં જ એ ત્રણેય પાસાંઓ પર અધિકૃત સાહિત્ય વાંચીને બુદ્ધિપૂર્વક ત્રણેય પ્રતિજ્ઞા સમજ્યા અને તેનું નિષ્ઠાથી પાલન કર્યું, જે જીવનભર ટક્યું એટલું જ નહીં, અન્યોને પણ એ પથ પર ચાલવા પ્રેર્યાં. અહીં મિસ્ટર એમ.કે. ગાંધીનું વૈચારિક પરિવર્તન શરૂ થઇ ગયું, જે એમને દક્ષિણ આફ્રિકામાં ગાંધીભાઇમાંથી બાપુ અને ભારતમાં મહાત્માના પદ સુધી લઇ ગયું. આજના યુવાનોમાં આવી વિચારોને આચારમાં પરિવર્તિત કરવાની વૃત્તિ જોવા મળે ખરી?

આજે એ જ રાજકોટમાં મદિરાપાન છૂટથી થાય છે, માંસાહારી વાનગીઓ વેંચતી રેંકડીઓ ઠેર ઠેર જોવા મળે છે અને પરસ્ત્રીગમનની સુવિધાઓએ આધુનિક રંગ ઓઢ્યો છે. આજનો ભારતીય યુવા વર્ગ માનવમાંથી હેવાન બનતો જાય છે કે શું?
ગાંધીજીનું આ રહેઠાણ ‘કબા ગાંધીનો ડેલો’ રાષ્ટ્રીય ધરોહર ગણાય છે. ત્યાંના રખેવાળને પૂછ્યું, અહીં ઘણા મુલાકાતીઓ આવતા હશે કેમ? ઉત્તર મળ્યો, “કોઈ વાર નિશાળના છોકરાં આવે, શિક્ષકોને કાંઈ રસ નો પડે. બાકી પરપ્રાંતના અને ખાસ કરીને પરદેસના સેલાણીઓ આવે.” એ શેરી અને તેની આસપાસનો આખો વિસ્તાર મિલમાં બનેલ જાત જાતનાં કપડાં અને તકલાદી વસ્તુઓની દુકાનોથી ભરચક્ક ભર્યો છે. શેરીની બંને બાજુએ સ્કુટર એક પગે તપ કરતા જોવા મળે. એની વચ્ચે બીજું વાહન તો શું, કોઈ માણસ પણ પસાર ન થઈ શકે, અને તેથી જ મુલાકાતીઓની સંખ્યા ઓછી થતી જાય છે. પણ એમાં શું? આલ્ફ્રેડ હાઇસ્કૂલ, કે જે હવે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે પંકાય છે ત્યાં બહુધા વિદ્યાર્થીઓને લઇ જવામાં આવે છે એટલે પત્યું. એ પ્રદર્શન જોઈને બહાર આવેલા વિદ્યાર્થીઓને પૂછ્યું, તમને અહીંથી શું જાણવા મળ્યું? તો જવાબ મળ્યો, “મહાત્મા ગાંધી રાજકોટમાં રેતા ને આપણને સ્વતંત્રતા અપાવી.” બસ, બીજું કઈં ન જોયું, ન વાંચ્યું કે ન સમજ્યા. સાથે આવેલા શિક્ષકોને તો પૂછવાની જરૂર જ ન લાગી, કેમ કે એ લોકોના ચહેરા પર ગાંધી-નહેરુ વિરોધી પ્રચારની અસર સ્પષ્ટ રીતે જોવા મળતી હતી.
ખરેખર, ‘મહાત્મા ગાંધી અહીં રહેતા’ એવું ગૌરવગાન કરતી વખતે રાજકોટવાસીઓ જાતને પૂછે, એ મોહન તો મોહનમાંથી મહાત્મા બન્યો, આપણે શું બન્યા? તો શું ઉત્તર મળે? એનો જવાબ સ્વકેન્દ્રી થતા જતા નાગરિકો, સત્યથી વેગળું જીવન એ જ જાણે સાચું ધોરણ હોય એવું માનતો સમાજ, વધતું જતું ધાર્મિક ઝનૂન, આધુનિક સંચાર માધ્યમોથી માંડીને માંસાહાર અને શરાબ જેવા વ્યસનોમાં ગળાડૂબ પ્રજાને જોવાથી મળી જાય.
હવે તો એવો વિચાર આવે કે ભગવાન પણ આપણને આ સ્થિતિમાંથી બચાવશે ખરો?
e.mail : 71abuch@gmail.com
![]()

