'પળની ઝાલર મધ્ય રણકતાં કોના આ ધબકાર,
લીલી ચાદર ઓઢી પ્રહરી, ઊભા અંતરિયાળ,
અમે તો આવ્યા હરિને દ્વાર ……
અનહદની અનુભૂતિ આપનાર અરુણાચલનાં ખીણના અદ્દભુત પ્રવાસની વાત કરતાં સહજપણે સ્ફૂરેલ ઉપરની પંક્તિઓનું સ્મરણ અને અનુભૂતિને તંતોતંત ઊજાગર કરનાર વધુ એક પ્રવાસને શબ્દથી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરવો છે.
હિમાલયની ખીણોમાં ૧૭ દિવસના વસવાટ અને રખડપટ્ટી પછી મોડી રાત્રે મુંબઈમાં ઉતરાણ કર્યું. આઠ દાયકાના પ્રવાસી હાડકાંઓ કરડ કરડનો બરડ અવાજ કરી તૂટી પડવાની અણી ઉપર હતાં. મનની વાચાળ પ્રસન્નતા ઉછળી ઉછળી અમને બંનેને સ્મૃિતઓ વાગોળવા દબાણ કરતી હતી. આખરે શરીર જીત્યું અને સ્વપ્નરહિત અવસ્થામાં ક્યારે તાણી ગયું તે ભાન પણ ન રહ્યું. બાજુમાં જ અંગ્રેજી માધ્યમની કન્યાશાળામાંથી બાળાઓની પ્રાર્થનાના સૂર “हमको मन की शक्ति देना, मन विजय करें । दूसरों की जय से पहले, खुद की जय करें ।”થી અમે જાગ્યા. ના! ના! નથી ઊઠવુંની રડારોળ કરતાં શરીરને મન દ્વારા ધક્કો મરાવ્યો. આ મનવિજય ગમ્યો. અને પછી પ્રવૃતિની હરેક ક્ષણ સ્મૃિતઓથી રસળતી રહી.
પ્રવાસ તો હિમાલયનો જ પરંતુ તેની ખીણોમાં જવાનું હતું. અમારા આ પ્રવાસની પરિકલ્પના કરનાર અને તેના સૂત્રધાર પણ મહેશભાઈ શાહ જ. અને તેમને કોઈએ પૂછ્યું, “આ રીતે વારંવાર હિમાલય જવાનો ઉદ્દેશ શું ?” તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો : “ભાઈશ્રી ! સૂરજમુખીને સવારથી સાંજ સુધી સૂરજની ગતિ સાથે સૂરજ સામે મુખ રાખવાની પ્રક્રિયા નોંધી જ હશે. ઉદય સમયે ખીલતું અને અસ્ત સાથે કરમાતું જુઓ છો. આ પ્રકારની પ્રક્રિયામાં સાતત્ય છે કારણ કે તે ફૂલની જીવનઊર્જા છે. એ જ રીતે પ્રકૃતિપ્રવાસ અમારા જીવનને ઊર્જા આપે છે. સ્વાર્થરહિત સૌન્દર્યની લ્હાણ અમને જીવનનું ભાથું આપે છે.” કોઈક મુકામે થંભી જશે આ જીવનપ્રવાસ. ચિંતા નથી. ડર નથી. અદ્દભુત આનંદનું પરિમાણ આથી અધિક શું!!
હિમાચલ પ્રદેશ અમાપ સૌન્દર્ય અને પ્રકૃતિ વૈવિધ્યનું ધામ છે. આંખને અપલક અને મનને સ્થિર કરી દે તેવાં અનેક દૃશ્યો. ખળખળ વહેતી સરિતાનું ગાન. એકાએક જ ભૂસકો લગાવતાં જળધોધો. શિખરથી ખીણ સુધી લહેરાતો પ્રકૃતિનો લીલોછમ પાલવ. પહાડો અને પથ્થરોની મૌન વાચા. પત્ર, પુષ્પથી પ્રગટ અનહદનો નાદ. દેવભૂમિ હિમાલયને નિવાસ બનાવી વસતાં પશુ, પંખી અને મન મેળવાય તેવાં માનવો. અને ખીણ હોય કે શિખર, સર્વત્ર પ્રસરેલ નગાધિરાજનું શાસન. ધવલ શિખરોમાંથી ચળાઈને આવતા પવનનો સ્પર્શ આપણા ગાત્રથી હૈયા સુધી અસર કરે. જેમનો સાહિત્ય સ્પર્શ આજે પણ આવી જ અસર કરે છે તેવાં સાહિત્યકાર ઉમાશંકરની જોશીની આ પંક્તિઓ :
પંખીની હારમાં, સરિતની ચાલમાં, સિન્ધુના ઊછળતા જળતરંગે, એ જ ગાથા લખી ભવ્ય ગિરિશ્રેણિમાં, તારકાંકિત નિશાને ઉછંગે. અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !
એ દિવ્ય પ્રેમલિપિને આત્મસાત કરવા યાત્રા શરુ કરીએ.
હિમાચલ પ્રદેશની પાંચ ખીણોમાં અને ઓછા ખેડાતા સૌન્દર્યધામોની આ યાત્રા છે. આ ખીણો નલદેહરા-તાતાપાની, કરસોગ, બરોટ, તીર્થન અને પાર્વતી અને તેની આજુબાજુના વિસ્તારો. અમારામાં લગભગ બધાં જ, સરેરાશ મૂકીએ તો, ૬૫ વર્ષની વયના. વયમાં વૃદ્ધ અને ઉત્સાહ યુવાનનો. ક્યારેક થકવી નાખે તેવી મુસાફરી, પણ એવી મુસાફરીથી ટેવાયેલાં છતાં, ક્યારેક હાડને હંફાવી દે અને નાકને ઓગાળે તેવી ઠંડીથી ન ડરતાં દૃઢ મનોબળ ધરાવતો આ બાવીસ લોકોનો સમૂહ.
નલદેહરા-તાતાપાની:
સાગર સપાટીથી લગભગ સાત હજાર ફૂટ ઊંચો આ વિસ્તાર ધાર્મિક યાત્રાળુઓ, સાહસિક ટ્રેકર્સ-પગદંડી પ્રવાસીઓ, ફોટોગ્રાફર્સ, સૌન્દર્ય પિપાસુઓ, દરેક અબાલવૃદ્ધને આકર્ષે છે. પહાડોની વચ્ચેના સૌન્દર્યધામમાં એશિયામાં સ્થપાયેલ પ્રથમ ગોલ્ફનું મેદાન દેશ, વિદેશના ગોલ્ફ રમનારાઓ માટે આકર્ષણ કેન્દ્ર છે. ગોલ્ફ વિસ્તારમાં જ આવેલું આ વિસ્તારના દેવ નલ-નાગનું મંદિર. તેના પરથી જ નલ-નાગ, દહેરા-મંદિર. પહાડના શિખર પર એકાંત સ્થાને બેસી પૂરા વિસ્તાર પર તેમની અમી નજર રહે છે. આ ગોલ્ફ મેદાનના રચયિતા વાઇસરોય લોર્ડ કર્ઝન (૧૮૯૯-૧૯૦૫) આ સૌન્દ્ર્યધામથી એટલા પ્રભાવિત થયા હતા કે પોતાની ત્રીજી દીકરીનું નામ નલદેરા રાખ્યું હતું. આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે મહુનાગ મંદિર, કોગીમાતાનું મંદિર અને મહાકાળીનું મંદિર વગેરે જુદાજુદા પહાડો પર સ્થિત છે. આ મંદિરોનાં દેવદેવીઓ અંગે અનેક કથાઓ અને દંતકથાઓ પણ પ્રચલિત છે. તાતાપાનીમાં સતલજ નદીના પટમાં સલ્ફરયુક્ત ગરમ પાણીના કુંડ છે. હાથ લગાડતા દાઝી જવાય તેવાં આ પાણી અનેક વૈદકીય ઉપચારોમાં ફાયદાકારક છે તેવું કહેવાય છે. આ ઉપરાંત અહીં ઓક્ટોબર મહિનામાં યોજાતો પ્રખ્યાત ઉત્સવ “જાટોં કા મેલા”માં ‘બુલ ફાઈટ’ લોકો માટે આકર્ષણ ઊભું કરે છે. ફળફૂલોથી લચલચતો અને લસલસતો આ રસાળ પ્રદેશ. ખેતીવાડીમાં અને અન્ય વ્યવસાયોમાં વ્યસ્ત અહીંના માનવોના સ્વભાવમાં એ સમૃદ્ધિ પ્રતિબિંબિત થાય છે. આ બધાંથી વિશેષ અને અનુપમ તો પહાડોના પથ્થરોમાં ઉપસી આવેલા પ્રાકૃતિક સ્થાપત્યો. ચીડ, દેવદારના શંકુદ્રુમ વૃક્ષોનો શિખરથી વહીને નદીનો ખળખળ નિનાદ શ્રવણ કરવા સરી આવતો લીલોધોધ. ક્યારેક ઉતાવળા, ક્યારેક ખળખળતાં તો ક્યારેક શાંત, પ્રગલ્ભ નદીનાં જળ પર છાયા પાથરતાં આ વૃક્ષો નદી સાથે સંવાદ કરે છે. “અલી! શાને આ રૂપ બદલે છે ?” નદીને બન્ને કાંઠે વીંટળાઈને પહાડો નદીને સ્નેહથી પોતાના ખડબચડા હાથોમાં પ્રેમથી પકડી રાખવા પ્રયાસ કરે છે પરંતુ નદી તો કાળની વહેતી ધારાની જેમ રોકાય શાને ? વ્યત્યયને વટાવીને વહ્યા કરે છે બસ વહ્યા કરે છે. અને અમે પણ એ પ્રવાહને અનુસરતા ફરી અનેક પહાડોના અંતર ભેદતા આગળ વધ્યાં.
કરસોગ-ચિંદી:
મંડી જિલ્લામાં કરસોગ ખીણમાં આવેલ ચિંદી વિસ્તારમાં દેવદાર અને ચીડનાં ગાઢાં જંગલો છે તો સાથે સાથે સફરજનના બગીચાઓ પણ છે. શિયાળામાં જ્યારે જ્લોરી ઘાટ બંધ થઈ જાય ત્યારે કુલુ ખીણમાં જવા આ માર્ગનો ઉપયોગ થાય છે. આ વિસ્તારમાં ઉદ્દભવતા ધૂળની ડમરી-ચક્રવાત-ચિંદી એ અહીં વસતા નાવાજો જાતિના લોકોની પ્રચલિત માન્યતા મુજબ, મૃત્યુ પામેલ આત્માઓને લીધે થાય છે. જમણી બાજુ થતી ડમરી સારા અને ડાબી બાજુની ખરાબ સંકેત આપે છે. આથી ભૂતપ્રેતની સવળી-અવળી નજરથી બચવા અનેક ઉપાયો થતાં રહે છે. અહીંના મોટાભાગના સ્થાપત્યોમાં અહીં સહેલાઈથી મળતું દેવદારનું લાકડું વાપરવામાં આવે છે. મંદિરોમાં જે મૂર્તિઓ સ્થાપન કરવામાં આવી છે તેમાં મંદિરનાં ઇષ્ટ દેવદેવીઓની મૂર્તિ અષ્ટધાતુઓમાં બનાવવામાં આવે છે. ગ્રેનાઈટના પથ્થરોનો પણ ઉપયોગ થયો છે.
અમે કરસોગ માર્ગ પર આવેલાં હિમાચલ ટુરીઝમના એક રિસોર્ટમાં રહ્યાં હતાં. તેનાથી એકાદ કિલોમિટર દૂર જ એક મંદિરમાં મોટા અવાજથી માતાજીના ગરબાઓ વાગતા હતા. દૂરથી જોતાં જ મંદિરની નયનરમ્ય બાંધણી આકર્ષતી હતી. શંકુદ્રુમ આકારનાં ઝાડ જેમ નીચે પહોંચતા ચોરસ બની જાય અને તેના ઝીણાં પર્ણો તોરણની ઝાલર જેમ ઝૂકે તેવાં જ આકારનાં મંદિરો ઉપરાંત અન્ય સ્થાપત્યો ઠેરઠેર જોવા મળે. અમારા નિવાસસ્થળની બાજુના મંદિર અંગે જાણવા મળ્યું કે તે ચીંટી માતાના મંદિર તરીકે જાણીતું છે. કીડીના રાફડામાંથી પ્રગટેલા માતાજીની વાત ન સમજાય તો પણ માની લેવા સિવાય છૂટકો નથી. અધૂરી માહિતી અને દંતકથાઓ સ્મૃિત-શ્રુતિમાં વહેતી વહેતી અવનવા વાઘા પહેરીને તમારી સમક્ષ આવે. રાજ્ય સરકારોને આ સ્થાપત્યો અંગે ખાસ કાળજી નથી અને કાળજી લેવા નિયુક્ત અધિકારીઓમાં એવી સજ્જતા નથી કે ઇતિહાસ અને સ્થાપત્યો સાથેનાં અનુસંધાન સાધી શકે. ખેર!
હિમાચલ ભૂમિ દેવભૂમિ છે. અહીં મહાકાવ્ય મહાભારતના અનેક તેજસ્વી પાત્રોનાં મંદિરો બનેલાં છે જેમાં પાંડવો ઉપરાંત મહા દાનવીર કર્ણ, દુર્યોધન, દ્રોણ વગેરેનો પણ સમાવેશ છે. મહાદેવનું તો આ નિવાસસ્થળ છે. થોડે જ દૂર મમલેશ્વર મહાદેવનું મંદિર જૂની અને નવી બાંધણી સાથે આવકારે છે. આ મંદિરમાં ચાર ઇંચ લાંબો અને સવા ઇંચ ઊંચો પૌરાણિક ઘઉંનો દાણો સાચવી રખાયો છે. પૂજારીના કહેવા મુજબ તેનું વજન પા કિલો જેટલું છે. ઉપરાંત લગભગ પાંચ ફૂટ લાંબો અને બે ફૂટ પહોળો ઢોલ બિસ્માર હાલતમાં એક સ્તંભ પર લટકાવી રાખેલ છે. અહીં ઘણી મૂર્તિઓ સૈકાઓ જૂની હશે તે દર્શનીય છે. થાડે આગળ ચાલતાં કામ્યાખ્યા માતાનું પૌરાણિક અને અતિ સુંદર મંદિર છે. અષ્ટધાતુમાં ઢાળેલ માતાની મૂર્તિ ફૂલોના હાર અને શણગારમાં ઢંકાયેલી હોવા છતાં તેમના મુખ પરની ભાવભંગી આકારવામાં કલાકારની સફળતા દેખાઈ આવે છે. બાજુમાં જ એક ઓરડામાં અવહેલના પામતું શ્રીયંત્ર અર્થછાયાઓ ખોલવા આતુર ભાવકની રાહ જોતું ઝાંખું થઇ ગયેલ છે.
મુલાકાત સમયે નવરાત્રનો ઉત્સવ પુરબહારમાં ચાલતો હતો. લોકભીડમાં માહિતી શ્રદ્ધાની ઓળખ મળે, પણ સ્થાપત્ય અંગે તો નહીં જ. હિમાલયનો તડકો ચામડી બાળે પણ સાથે સાથે હિમશીલાઓને અડીને આવતી હવાની લહેરખી મન પ્રસન્ન કરી દે. દૂર શિખરે કાળી માતાનાં ઊંચા બેસણાં દૂરથી જ જોઈ લીધાં. મકાનોના છાપરાઓ ઉપર સૂકાવા મૂકેલા કોળા અને પીળી મકાઈના ડુંડાઓનું આંખોમાં રચાતું અદ્દભુત આવર્તન તો, ‘જુઓ તો જાણો.’ કરસોગ વિસ્તારની જમીન ફળદ્રુપ છે દરેક પ્રકારનાં શાકભાજી, ઘઉં, કઠોળ, ફળોમાં સફરજન, દાડમ અને અખરોટ અહીં ભરપૂર પ્રમાણમાં ઊગે છે. દુકાનોમાં અને હાથ લારીઓમાંથી તે ખરીદો નહીં પણ તેની કલામય સજાવટ જોઈ નજર જરૂર સંતુષ્ટ થાય. અને પછી હૈયુ હાથમાં ન રહે અને ખરીદી કરો તો એક વાત નક્કી કે છેતરામણી નહીં થાય. અહીંના માણસો સીધા, સરળ, ઉદાર છે અને સમૃદ્ધ પણ છે. કાળને સંપુટમાં લઈ સતત વહેતી નદી અને તેને છાંયડો ધરતા ચીડ, દેવદારનાં વૃક્ષો વચ્ચે રમાતી પકડદાવની રમત. ફરી ફરી એ સાક્ષ પળો જીવવાનું મન થાય.
બરોટ :
નગરુ વન્યજીવન જેમાં સુંદર મોનાલ પંખી અને કાળું રીંછ વગેરે વન્ય અને હિમ પ્રાણીઓનું નિવાસસ્થળ છે તે યુહી નદીને વટાવી પહોંચાય છે, અને બરોટ તેનું પ્રવેશદ્વાર છે.અહીંથી કેડી રસ્તે કુલુ ખીણનાં વન્યજીવન તરફ પણ જઈ શકાય છે. આ વિસ્તારમાં જ માછલી ઉછેર કેન્દ્રો ખૂબ જાણીતા છે. મંડી જિલ્લામાં જોગીન્દરનગરથી બરોટ ગામમાં પહોંચવામાં માર્ગ તો માત્ર ૬ કલાક જેવો પરંતુ ખાનપાન કરતાં, પ્રાકૃતિક સૌન્દર્યને કેમેરામાં કેદ કરતાં, ટીક્કન થઈ ઉહી નદીને કાંઠેકાંઠે બરોટ ગામમાં પહોંચ્યાં, ત્યારે અંધારાના ઓળા ઉતરવા લાગ્યા હતા. સમુદ્રની સપાટીથી માત્ર ૬,૦૦૦ ફૂટ ઊંચાઈએ સ્થિત આ ગામ ખભ્ભે ઝોળો લટકાવી આવતા યુવાનો માટે ટ્રેકિંગ માટેનું ઉત્તમ સ્થળ. અહીંના વિશ્રામસ્થળો પણ યુવાનોને નજરમાં જ રાખી ખપ પૂરતી સુવિધા અને સસ્તા ભાડાવાળા. બાજુમાંથી વહેતી ઉહી નદીનાં ખળખળ પાણીમાં સ્નાન કરી પૂર્ણ નગ્ન સરસરિયો પવન અમારા જેવા વૃદ્ધો-સીનિયર સિટીઝનનું માન જાળવી, અન્ય બાજુ સરી જવાને બદલે, નફફટાઈથી અમને આલિંગનમાં લે, ત્યારે ગમતી અને અણગમતી સ્થિતિ વચ્ચે સંકોરાવા અમારો નિષ્ફળ પ્રયત્ન. હોઠોમાંથી વિરોધ કરવા બહાર આવવા મથતાં શબ્દો પણ ઠુંઠવાઈ જતા હતા, ત્યારે અવશ અમે કરીએ પણ શું !
મંડી અને જોગીન્દરનગરની ગરમી અનુભવેલા અમારા જેવા રંગબહાદુરોએ ગરમ કપડાં પણ પેટીઓમાં ઠુંસી દીધાં હતાં. આશરો લઈએ તેવા રૂમ ખૂલે તે પહેલાં સામે અંધારામાં પણ, પથ્થરો સાથે અફળાઈ નદીનું પાણી ધવલરંગ ધારણ કરી અજવાળા પ્રગટાવતું હતું. તે કુતૂહલ અને તે દૃશ્યનું અનુપમ સૌન્દર્ય જોવામાં શરીર પણ ભાન ભૂલી સહકાર આપવા માંડ્યું. અંધારામાં ટેવાઈ ગયેલી આંખે નિર્મળ પાણીનો પ્રવાહ તો જોયો, પરંતુ કંઈક અદ્દભુત પણ જોયું – અનુભવ્યું. હૃદયમાં કૌમાર્યનું કુતૂહલ ભરી ગંતવ્ય તરફ ખળખળ વહેતી નદીનાં સૌન્દર્યનો નિખાર જાણે હમણાં જ ઉંબરો ઓળંગી બહાર આવેલી કુમારિકાના ભાવજગત જેવો હતો. આછા અંધારાનો લાભ લઈ, પહાડો પરથી દડી આવેલા પથ્થરો સૂકા અને જરઠ. અહીં નદીનાં જળનો શીતળ સ્પર્શ પામી ઉન્મત થયા હોય તેમ અલ્લડતાથી તેનો ઠેરઠેર આડા ઊભા રહી મારગ રોકતા હતા. શરમથી સંકોચાઈ પળભર મૂંઝાઈને પથ્થરોની આજુબાજુથી તે ધીમેથી આગળ સરી જાય છે. જીતથી ઉલ્લસતી ખળખળ આગળ વહી જાય છે. કિનારાનાં વૃક્ષો, વન, ખેતર અમી નજરે ગમ્મતપૂર્વક આ રમત જોઈ રહે છે. આ વહેતી જીવનધારા અમને સ્થગિત મૂકી, આગળ વધી જાય છે. સૌન્દર્યની ગતિ દીપક જેવી છે. આંખથી પ્રવેશી અંતરને બોધ કરાવે છે. ફરક એટલો જ છે કે સૌન્દર્યબોધ પામવા અંતર સજ્જ હોવું જોઈએ.
બરોટ ખીણનો અમારો ચાર દિવસનો નિવાસ આવાં અનેક બોધનું કારણ બન્યો. આકાશમાં લટકતાં પંખી જેવાં લાગતા સાહસિક યુવકોની આંતરરાષ્ટ્રીય પેરાગ્લાઈડીંગ તરફ લગભગ અવગણનાનો ભાવ રાખતાં હિમમાં ઉછરેલ અહીંના માનવો હૂંફાળાં છે. આમ તો આ દેવભૂમિ તરીકે ઓળખાય છે એટલે મંદિરો તો ઠેરઠેર છે. ભારતમાં મંદિરોની આસપાસ દરેક જગ્યાએ પૂજાપાઠની સામગ્રીની થોકબંધ દુકાનો અને તે વેચવા માટેની પડાપડી અહીં નથી. ગામ મોટું હોય અને શ્રદ્ધાસ્થળ પ્રખ્યાત હોય તો દુકાનો તો છે, પરંતુ પડાપડી અને ખોટા દેકારા અહીં નથી. કોઈ તમારી પાછળ પડતું નથી. પ્રવાસીઓ પૂછે તો માણસો જવાબ આપે અને સમય પણ આપે પણ સામાન્યતઃ તેઓને કોઈ કુતૂહલ પણ નથી. નવાઈ લાગે તેવી એક પ્રકારની ઉદાસી છે. આવનારને આવકાર છે પરંતુ ઉછાળનો સદંતર અભાવ છે. ખેડૂત મહેનતુ છે. મજૂરી કર્યા પછી ધરતી પાસેથી જે મબલખ મળે છે તેની કદરરૂપે તેમનામાં ઉદારતા છે. પ્રવાસીનું સન્માન કરવા, તેને જે ધરતી આપે છે તે કોઈ પણ અપેક્ષા વગર મૂલ્ય ન લેવાના આગ્રહ સહિત આપી દે છે. ઊન વણતી બહેનો, પથ્થર ફોડતો મજૂર, ગાડર ચારતો ભરવાડ, ઘાસ-લાકડાની ભારી પીઠ પર લાદી પર્વતના ઊંચાનીચા ઢાળ ચઢતાં માનવો, માલસામાન ભરેલી દુકાનો ખુલ્લી છોડી દુકાનદાર અન્ય કામ માટે આજુબાજુ ચાલ્યાં જાય તેવાં વિશ્વાસસભર માણસો, શાળાએ જતાં મજાનાં ભૂલકાંઓ, જીવનની અજાણી કેડીએ ચાલવાનાં સપનાઓ આંખમાં આંજી કોલેજમાં જતાં યુવક-યુવતીઓ, આ બધું જ નદીના પ્રવાહ જેવું વહેતું જીવન. સપનાંઓ સાચાં ન પડે અને તેવી નિરાશામાં કોઈ વહુવારુનો રાત ઓઢી સામા કાંઠા પર આવેલા બ્રિટિશ સમયે બંધાયેલા જળપ્રબંધમાં પડી આપઘાત. ખીણ સૌન્દર્ય માણ્યાનો મનમાં આનંદ અને આવી દુ:ખદ ઘટનાથી મનમાં અવસાદ ભરી અમે વહેલી સવારે તીર્થન ખીણ તરફ પ્રયાણ કર્યું.
તીર્થન ખીણ:
પહાડોની વચ્ચે વહેતી નદીથી જે પોલાણ-ખાડો રચાય તેને ખીણ કહેવાય તેવું ભૂગોળના શિક્ષક શીખડાવતા. તેના મૂળ અને પ્રવાહના માર્ગ અંગે પણ વાતો કહેતા. હિમાલયની વાતો અને તેમાંથી વહી આવતી અનેક નદીઓ અંગે વિગતો પણ શીખતાં, પરંતુ તે બધું કંટાળાજનક લાગતું. ભૂગોળ ભણવી નહીં, ભમવી ગમતી. નાનપણથી મને નદીનું ખેંચાણ – એથી વિશેષ તો એનું ઘેલું રહ્યું છે. મદાવાના ડુંગરથી નીકળતી ભાદર નદીના મૂળ સુધી પગપાળા પ્રવાસ તો બાળપણમાં જ કર્યો છે. ઊંચાણથી નીચાણ સુધી ધસી આવતા પૂરનું તાંડવ પણ જોયું છે. રખડવાનું પણ ખૂબ બન્યું, પરંતુ જ્યારથી હિમાંશુ પ્રેમ સાથે અને પછી મહેશભાઈ શાહ સાથે હિમાલયના અનેક પ્રવાસ કર્યા ત્યારથી સ્વર્ગની વ્યાખ્યા સમજાવા લાગી. હિમાલયની ઓળખાણ હિમાંશુએ કરાવી તો તેમાંની હૂંફનો અનુભવ મહેશભાઈએ કરાવ્યો.
આજે આપણે ફરી એકવાર કુલુ વેલીના એક અંતરિયાળ ભાગમાં લપાઈને પડેલાં એક અદ્દભુત સ્વર્ગમાં જવું છે. તીર્થન નદીના કાંઠે કાંઠે આ પ્રદેશમાં વર્લ્ડ હેરીટેઝ દ્વારા સંરક્ષણ પ્રાપ્ત ‘હિમાલયન નેશનલ પાર્ક’ આવેલ છે. આ પાર્ક તેમાં વનસ્પતિ અને પ્રાણીઓની અજબ સૃષ્ટિથી પ્રખ્યાત છે. અનેક પ્રકારની વનસ્પતિ અને ૩૭૫થી વધુ જાતનાં પશુપંખીઓનું આ સ્થાન છે. તીર્થન ખીણ આ બાગનું પ્રવેશદ્વાર છે. આ ઉપરાંત ટ્રાઉટ માછલીના ઉછેર કેન્દ્રો માટે પણ આ વિસ્તાર જાણીતો છે. મીઠાં પાણીની આ નાનકડી અને સુંદર માછલી છે. કહે છે કે ‘સામન’ માછલીની જેમ ટ્રાઉટ માછલી પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે. સામાન્યતઃ અહીં અટક્યા વગર જ મોટાભાગના લોકો હિમાલયના અદ્દભુત ઉપવનમાં પ્રવેશી જાય છે. આ ઉપવન સાગરની સપાટીથી લગભગ ૬,૫૦૦ ફૂટ ઊંચાઈ પર આવેલ છે. પણ આપણે તો જગતથી જુદું,પહાડની ઉપર અને નદીના કાંઠે સંતાઈને પડેલાં આ સ્થળને મનભરી માણવું છે.
તીર્થન ખીણ પ્રાકૃતિક બાગનું પ્રવેશદ્વાર છે તો સ્વાભાવિક રીતે અહીંની વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિ તેના ભાગરૂપ જ હોય. માત્ર ૪,૫૦૦-૫,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા આ સ્થળે વહી આવતી તીર્થન નદી જરાક ઉતાવળી વહે છે. તેના ખળખળ સંગીતમય રવમાં સારેગમના પંચમ સૂર આ ઉતાવળનું કારણ આપે છે. કૌમાર્ય અને યૌવનના ઉંબરે ઊભેલી નદી હવે પ્રગલ્લભ બનશે. સપાટ ધરણી પર તેના વિશ્વાસે શ્વસતા માનવકુલને જીવન આપવા પ્રયાણ કરશે. પહાડો છોડી તેને પારણું બનવા જવું છે. પરંતુ એ પહેલાં તીર્થન નદી અને તેની ખીણ જે યૌવનનો ખુમાર બતાવે છે તે આ સ્થળ છે. સ્વર્ગની ઓળખ આપતી આ છે તીર્થન ખીણ.
માનવસ્પર્શથી દૂર પ્રાકૃતિક સંપત્તિથી ભરપૂર આ પ્રદેશને માણવા અમે મુખ્ય માર્ગને ચાતરી ગોશૈની ગામના રસ્તે અન્ય પહાડ તરફ જવાના નાનકડાં પૂલ પરથી એકાદ કિલોમિટર દૂર પહોંચ્યાં. કોઈ જાદુગરે જાદુઈ છડી ફેરવી હોય તેમ મુસાફરીનો થાક તો અલોપ થઇ ગયો. લગભગ અર્ધી સદી પહેલાં એક યુવાન રાજુ ભારતીએ આ સૌન્દર્યધામ જોઈને અહીં જ પોતાનું નાનકડું ઝૂપડું બનાવી રહેવાનું નક્કી કર્યું. આજે તે પર્યાવરણને જરા પણ હાનિ ન પહોંચે તે રીતે થોડાં સૌન્દર્યપ્રેમીઓને આધાર અને આવાસ આપતું સ્થાન બની ગયું છે. ગોશૈની ગામ અને અન્ય માનવ વસ્તીથી દૂર આ સ્થળને છુપાવવા જ વ્યવસ્થા કરી હોય તેમ પહાડ કોતરી બનાવેલાં થોડાં પગથિયાં સંભાળપૂર્વક ૧૫ ફૂટ નીચે ઉતરવાનું છે. ત્યાં ઊભા રહી નજર નાખીએ તો લગભગ ૩૦ ફૂટ નીચે આવકાર આપતા તીર્થન નદીનાં જળ આવો – ખળખળ – આવો -ખળખળનો રવ કરતાં વેગેથી વહે છે. ઘડીભર તો અદ્દભુત દૃશ્ય જોઈ સ્તબ્ધ થઈ જવાય.
સામે વૃક્ષોમાં લપાયેલ નાનકડાં ઘર દેખાય છે. પણ ત્યાં જવું કેમ ? પછી વિચાર કરતા ધ્રુજારો આવી જાય કે મોટા મોટા પહાડ જેવા પાણાઓ અને ઝાંખરામાં ઉતરી ધસમસ વહેતાં પાણીમાં સામે પાર જવું પડશે. બે કાંઠાને જોડતી નદી ઉપરથી જતાં લોખંડના દોરડાઓ જોયાં અને તે અનુમાન સાચું લાગ્યું. એક બાજુ આંખ જોતા ન થાકે તેવું અપ્રતિમ સૌન્દર્ય અને બીજી બાજુ કલ્પનાથી ધ્રૂજી જતાં ગાત્રો. આધુનિક યંત્રણા અહીં પણ છે. ફોન કર્યા પછી એક માણસ જ બેસી શકે તેવી લટકતી ટ્રોલીના દોરડાને જાતે જ ખેંચતો એક માણસ આવ્યો. ફરી બીક લાગી આવું કેમ કરી શકાશે? એક તો પેટમાં કડકડતી ભૂખનો કકળાટ અને બીજીબાજુ ફડફડાટ. પ્રથમ સાહસ તો આખરે મહેશભાઈએ – અમારા અંગરક્ષકે જ કરવું પડે ને ! પરંતુ તેવું ન થયું. સામે છેડે બીજા માણસે તેમની ટ્રોલીને ધીમે ધીમે ખેંચી લીધી. વાસુદેવના સમયમાં આવું હોત તો કરંડિયામાં બેસાડી કૃષ્ણને સામે પાર લઈ જવાનું કેટલું સહેલું રહેત. અમને ૨૨ જણાંને બીજે પાર જતાં આ પ્રક્રિયાથી લગભગ એક કલાક અને અમારા સામાનને પહોંચતા બીજો કલાક. પહોંચ્યાં પછી પહેલી વખત જાણ્યું કે અમારી આંખ અને મનની સૌન્દર્યભૂખ એટલી પ્રબળ હતી કે પેટની ભૂખ તો ભૂલાઈ જ ગઈ. ઢળતી સાંજનો સૂરજ, જામતી રાતનો ચંદ્ર, અંધારે અલોપ વૃક્ષોનાં પાંદડાનો મર્મર, સરસર વહેતાં જળનો મીઠો રવ અને રાતે તાપણાં ફરતાં બેસી મિત્રોના કંઠથી વહેતાં મધુર ગીતો અમારો તીર્થન ખીણમાં પહેલો દિવસ અને પહેલી રાત. પ્રથમ દિવસનો આવો અનુપમ આનંદ મળ્યો તો આવતાં બીજા ત્રણ દિવસના આનંદની મધુર કલ્પના સાથે, તાપણાં પાસે કોઈ મિત્રે ગાયેલાં આ ગીતની પંક્તિ “જબ રાત હૈ ઇતની મતવાલી તો સુબહકા આલમ ક્યા હોગા” મનમાં વાગોળતા, સુવિધાથી આરામદાયી અમારા નિવાસસ્થળની હૂંફાળી સોડમાં ઘસઘસાટ ઊંઘી ગયાં.
મહેશભાઈની પરિકલ્પના જ એવી કે ઓછા ખેડાયેલા સૌંદર્યધામમાં જવું અને માણવું. પણ રાતની મીઠી નિંદ્રાનો પ્રબંધ પણ તેઓ વિચારી રાખે. દિવસે પરિશ્રમ અને રાત્રે નિરાંત. આ નિરાંતની વાત કરતા શરદ પૂનમની રાત્રે અહીં થયેલ એક અવિસ્મરણીય અનુભવ કહેવા મન થાય છે. અત્યંત વ્યક્તિગત અનુભવ અને થોડો અતાર્કિક લાગે તેવો. શરીર થોડું અસ્વસ્થ હતું. ઊંઘ આવતી ન હતી. મધ્યરાત્રીએ સુશીલા જાગી ન જાય તે રીતે ખભે કેમેરો લટકાવી કોટેજની બહાર નીકળી ગયો. સ્થળનું દર્શન તો દિવસે અને રાત્રે મનભરી માણ્યું હતું, પરંતુ અત્યારે હું ક્યાં આવી ગયો છું, તેવા આશ્ચર્યથી દિંગમૂઢ બની ગયો. વૃક્ષો ઓઢી ઊભેલા પહાડો ઉપર શ્વેતલીલા રંગની છાયામાં ધીમે ધીમે હું ઓગળતો જતો હતો. નિરભ્ર આકાશમાં ચંદ્ર અને તેના તેજ સિવાય સઘળાં વ્યત્યયને ઓગળવું એ જ માત્ર પર્યાય હતો. શરીર નહીં, હું ચંદ્ર હતો. મારી પાસે બેસી રેંટિયો કાંતતાં મારા નાની મધુર અવાજે પ્રેમાનંદ વિરચિત દાનવીર કર્ણનું આખ્યાન ‘કર્ણચરિત્ર’ સંભળાવતાં હતાં. સવારે ઊઠ્યો ત્યારે બ્રાહ્મણ બની ભગવાને કર્ણ સાથે કરેલી બનાવટનો ગુસ્સો હતો.
અહીંના અમારાં રોકાણમાં, બથાડ ગામમાં એક બસસ્ટેન્ડ પાસેથી, પર્વત ચઢી તેની બીજી બાજુએ પડતો સુંદર ધોધ જોવા જવાનું હતું. ચઢાણ અઘરું હતું. ઘણાં મિત્રોએ તે પાર કરી અનુપમ સૌન્દર્ય માણ્યું. બીજે દિવસે પ્રમાણમાં સહેલાં ચઢાણ ચઢી શૃંગી ઋષિનો પૌરાણિક આશ્રમ જોયો. તે ઊંચાઈએથી આંખોને તીર્થન ખીણનાં ગાઢાં જંગલો અને સ્વચ્છ આકાશમાં વિહાર કરાવવાની મજા આવી. ત્યાંથી જલોરી ઘાટ સુધી ગયાં. કપરાં ચઢાણ અને ૧૦,૭૦૦ ફૂટની ઊંચાઈ પર ઠંડો પવન ગરમ કપડાંના પડ ચીરી ચામડીને દઝાડવાનું કામ કરતો હતો. લોકો સામે પર્વત પર દેખાતાં ગાઢ જંગલોમાંથી રામપુર, કીનોર સુધી પગદંડીઓ માપતાં જઈ શકે. એક દિવસ સોજ ગામમાં જઈ બાળકોની શાળા, ખેતરોમાં ખેડૂતો, દાદાની આંગળી પકડી ચાલતા પૌત્રમાં દેવબાળ, કિન્નરો અને કિન્નરી જેવાં સ્ત્રી-પુરુષો, પહાડની ટોચે જઈ નાનકડાં ઘરોમાં રહેતાં ખુશખુશાલ કુટુંબો, ઊંચે ઊડતાં બાજ પક્ષીઓ અને તેની સાથે હરીફાઈ કરતાં હોય તેવા પેરાગ્લાઈડરોને જોયાં.
બટેટાની ખેતી કરતા ખેડૂતે વિના મૂલ્યે અતિ આગ્રહથી બટેટાની થેલી ભરી આપી. મન અને શરીર પ્રફુલ્લતાનો ઉપહાર લઈ પાછા ફર્યા. વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન ઘણું નબળું નહીં તો ફ્લફૂલોથી લચી પડેલાં વૃક્ષવેલીઓનાં નામથી જ પાનાંઓ ભરાઈ જાય. અભયારણ્ય છે એટલે અનેક પક્ષીઓ દેખાય તેના વિવિધ અવાજો નદીના સતત આવતા ખળખળ અવાજને ઓળંગીને પણ કાનમાં કલરવ કરી જાય. એક પક્ષી તો રોજ અમારા નિવાસસ્થળ પાસે આવી અમારું ધ્યાન ખેંચવા જ સાદ દે, તેને મહા મહેનતે કેમેરામાં ઝડપ્યું તેટલું ચંચલ. તેનું નામ – (Yellow-billed blue magpie) મેગાપાઇ પીળી ચાંચ, રંગબેરંગી પીંછા અને લાંબી પૂંછડી. લટકતાં લચેલાં દરેક ફળને ચાંચ મારી આવતા હોય તેવું દેખાતું. કહે છે કે શિયાળાની ઠંડીમાં ઉપર આવેલા અભયારણ્યથી પશુઓ પણ ઉતરી આવતાં હોય છે. સ્વર્ગ જોવા મળે ત્યાં રહેવાય નહીં આપણે તો માનવો દેવભૂમિથી ધરતી પર આવવું જ પડે. અમે નીચે પાર્વતી ખીણ તરફ પ્રયાણ કર્યું.
પાર્વતી ખીણ:
સ્મરણમંજૂષામાં અને કેમેરામાં કેટકેટલું ભર્યું. દરેક પ્રવાસ પછી “હવે આ પ્રવાસ છેલ્લો” કહ્યા પછી મન તો ત્યાં જ મૂકીને આવીએ. બિયાસ નદીની અનેક શાખા-પ્રશાખાઓને કાંઠે કાંઠે, વૃક્ષો અને પહાડોની વિભિન્ન પ્રકારની રમણિયતાને મહાલતા મોડી સાંજે ક્સોલ ગામની નાનકડી સુસ્ત બજારમાંથી પસાર થયા. જ્યાં રહેવાનું હતું તે સ્થળનો ખાંચો ચૂકી ગયાં, પરંતુ પ્રવાસથી થાકેલાં હતાં, પરંતુ સચેત હતાં. ૫૦ મિટર જ આગળ ગયાં અને પાછા ફર્યાં. ગામની બજારમાંથી જ રસ્તો જોઈ નવાઈ લાગી કે ધમાલથી દૂર રહેવાની મહેશભાઈની પ્રથાનો ભંગ થયો કે શું ! ખાંચામાં ૧૫૦ મિટર ગયા પછી જોયું, ગામમાં હોવા છતાં સ્થળ બરાબર પાર્વતી નદીના કાંઠા પર જ. ધમાલથી સંપૂર્ણ દૂર. અહીં નદીને વહેવા વિશાળ પટ મળ્યો છે. પહાડો પરનાં વૃક્ષો અને ઢળતા સૂરજથી રચાયેલી સંધ્યા, સંધ્યાની આકાશી રંગગંગા અને તે સઘળાનું મિશ્રણ નદીના વહેતા પ્રવાહમાં ધૂબકો મારે છે. પાણી ઉછળે છે અને વચ્ચે પડેલી નાનકડાં ટેકરા જેવી શિલાઓ પર અફળાઈ આકાશ તરફ ઊડે છે. ત્યારે ધવલ શીકરો જે રંગછાયાઓ ધારણ કરે છે, તેનું વર્ણન કરવા શબ્દોનું વરદાન પાર્વતીપુત્ર ગણેશ પાસે માંગવું પડે. અવની પર અંધારું ઊતરી આવ્યું ત્યાં સુધી આ રંગરમત જોતાં રહ્યાં. દૂર પહાડો પર ઊભેલાં વૃક્ષો પર પંખીઓની કલબલ ઓછી થતી ગઈ તેથી હવે તે ચિત્રમાં સ્થિર ઊભેલા પ્રહરી સમા દેખાતા હતા.
જગતને આકર્ષિત કરતી પાર્વતી ખીણ અનેક કારણોસર પ્રાકૃતિક ભેટ તરીકે પ્રખ્યાત છે. પર્વતોની વચ્ચે વસેલું કસોલ ગામ અને તેની આજુબાજુની ચઢી શકાય તેવી રમણીય પગદંડીઓ ખભ્ભે ઝોળો લટકાવી નીકળી પડેલા અનેક યુવાનો અને સાહસિક સહેલાણીઓ માટે સ્વપ્નસ્થાન છે. માત્ર ૫,૫૦૦થી ૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ સ્થિત આ સ્થળ હજુ વ્યાપારિકરણની ચંુગલમાં આવ્યું નથી. થોડે આગળ વધી નદીકિનારે કિનારે પગપાળા જઈ શકાય તેવાં સુંદર સ્થળો. માત્ર ૬ કિલોમિટર પર માણિકરણ સાહિબનું ગુરુદ્વારા. પહાડ કોરી નદીકિનારે બનાવેલ આ સુંદર શ્રદ્ધાસ્થળ છે. પોતાના પાપોના નિવારણ માટે લોકો અહીં આવેલા સલ્ફરયુક્ત ગરમ પાણીના કુંડમાં ડૂબકી મારે છે. વિનામૂલ્ય લંગર ભોજન-પ્રસાદ લઈ પુણ્યશાળી બને છે. ઓગસ્ટ ૨૦૧૫માં પહાડ પરથી પડેલા મોટા પથ્થરોથી મંદિરને નુકસાન થયું હતું તે હવે સમારી લીધું છે. અહીં નીકળતાં ગરમ પાણીમાં સલ્ફરના હિસાબે જે ગરમી ઉત્પન થાય છે તેનાથી ધુમાડા જેવા વાદળા રચાય છે. પાણીમાં આયુર્વેદિક ગુણ છે તો અત્યાધિક ઉપયોગના ગેરફાયદા પણ છે. આ સ્થળનું નામ મણિ+કર્ણ એટલે કે મણિયુક્ત કાનનું ઘરેણું. દંતકથા મુજબ અહીં સ્નાન કરતા સમયે માતા પાર્વતીએ પોતાના આવા કર્ણફૂલ શિલા પર મૂક્યાં હતાં તે એક નાગ ઉપાડી અહીંની શિલાઓની બખોલમાં સંતાઈ ગયો. શિવજીને ખબર પડી અને તેમણે ક્રોધતપ્ત ત્રીજું નેત્ર ખોલી નાગને બહાર લાવ્યા. આ નેત્રની ગરમીથી અહીનું પાણી ગરમ થયું તે હજુ પણ રહે છે.
હવે જે ગામ તોષ તરીકે ઓળખાય છે ત્યાં જઈએ. આ વિસ્તારની ભૂમિનો કણકણ સૌન્દર્યનો ખજાનો છે. લીલાછમ પર્વતો અને ગ્લેિશયરમાંથી સરકતા ધોધ, ગામમાં જવાના નાનકડાં પૂલ નીચેથી વહેતી નદી ખૂબ ખૂબ ઊંડે ખીણમાં જઈ વહેતી રહે છે. સામે નગાધિરાજ હિમાલયના શિખરો અને તેની પર પથરાયેલો હિમ. હિમ ઉપર સૂરજના સુવર્ણ કિરણો. હિમ અને આકાશ જ્યાં મળે છે તે ક્ષિતિજને પેલે પાર કોઈ સ્વર્ગ હોય તો પણ આનાથી સુંદર સ્વર્ગ તે નહીં જ હોય તેવી પ્રસન્ન અનુભૂતિથી હૃદય છલછલ થાય છે. હિમ શિખરોની પડછેથી ડોકિયું કરતાં સૂર્યને પણ ખબર નહીં હોય કે તે માત્ર ઉર્જાસ્રોત જ નથી ઉર્જામાં ઉમંગ ભરતો ખેપિયો પણ છે, રોજ રોજ એ તો આકાશી ટ્રેકીંગ કરતો ઊગી આવે છે. ધરતી એનું સ્વાગત કરતા તેના લીલા, ભૂખરા પાલવનો છેડો પાથરે છે. હિમથી તેને પવન નાખે છે તે સમયે આકાશ, ભૂમિ અને સૂરજનો સંગમ કિરણોનો જે વિસ્ફોટ સર્જે તે અદ્દભુત રંગફુવારાનો પરિઘ જાણે અનંતને આવરી આપણા અંતરમાં પ્રવેશે છે.
આવા ઉભરાતા ઉછંગે અમે સુશીલાના જન્મદિવસનો ઓચ્છવ ઉજવી, પરાણે પરાણે પાછા નિવાસસ્થળ તરફ વળ્યાં. આ ઉપરાંત ખીર ગંગા તરફ જતો પગદંડી રસ્તો યુવાનો માટે આકર્ષણનો વિષય છે. તોષ ગામમાં નદીનો પૂલ ઊતરી નીચે જતાં એક અર્ધગોળ પાટિયું વાંચ્યું જેમાં મલાના જવાનો રસ્તો લખ્યું હતું. આ લાંબી અને અઘરી પગદંડી છે. જમલુ દેવતા અને તેને પૂજતા લોકોનું એ ગામ છે. કહેવાય છે કે મલાનાના લોકો એકલવાયા અને તદ્દન સ્વતંત્ર પ્રકૃતિ અને સંસ્કૃિત ધરાવે છે. તેઓ પોતાને આર્યના વંશજો માને છે. પ્રવાસીઓને દૂર રાખે છે. પ્રવાસીઓને તેઓ અમૂક સીમા ઓળંગવા દેતા નથી. પરંતુ સાહસિક લોકો અહીંના પ્રાકૃતિક સૌન્દર્ય અને સંસ્કૃિતની અલભ્ય અનુભૂતિ લેવા પહોંચી જ જાય છે.
ભોજનપ્રેમીઓ માટે ઈઝરાયેલી ભોજન, વ્યાજબી ભાવે ખરીદી, આવ્યાં’તાની નિશાનીરૂપ અને સ્નેહીસંબંધીઓને ભેટ આપવા અનેક વસ્તુઓ આ કસોલ ગામમાં મળે છે. નશીલી દવાઓનું સેવન કરતા લોકો પણ દેખાય.
મનમાં ઉકળતા દરેક ઉત્પાતને શમાવી દે તેવા આ સ્થળેથી સ્વર્ગીય શાંતિનો અમૂલ્ય ખજાનો અંકે કરી આવ્યાં છીએ. આ અમૂલ્ય ખજાનો આપણા સામાજિક વ્યવહારનાં જાળાંઓથી ઢંકાય જાય છે. મહેશભાઈ દર વખતે આ હિરણ્યમય જાળાંઓ ખોલી સત્ય દર્શન કરાવે છે. જીવનઉર્જાથી છલકાતું શરીર અને ઉજાશથી ઉભરાતું મન લઈ પરત આવીએ છીએ. વયની મર્યાદા ફંગોળી અનહદના એ આનંદપ્રદેશમાં ફરીફરી વિહાર કરવા આતુર રહીએ છીએ.
ફરવું એ ઉન્માદ નથી જીવનનો ઉલ્લાસ છે. આપણે મનગમતું કરવાની રીત છે. ગઈકાલ અને આવતીકાલ વચ્ચે આ આજની ઓળખ છે. નદીના પ્રવાહમાં પળ રોકાતી નથી પરંતુ નવી પળને તે સ્વયંમાં સમાવે છે. આ શીખવા અને જીવનઉર્જા મેળવવા સમય મેળવી દરેકે આવો અનુભવ લેવાં જરૂર જવા જેવું.
e.mail : kanubhai.suchak@gmail.com