Opinion Magazine
Number of visits: 9449393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધનશુદ્ધિ

બબલભાઈ મહેતા|Gandhiana|28 January 2025

બબલભાઈ મહેતા

ગાંધીજીનું જીવન સમજવાનાં બે પાસાં છે: એક બાહ્ય અને બીજું આંતરિક. તેમના આંતરિક પાસામાં જીવનનાં વ્રતો આવે છે અને બાહ્ય પાસામાં તેમના બધાં રચનાત્મક કાર્યો આવે છે. એ જો અમલમાં આવે તો નવી સમાજરચના ઊભી થાય.

એમના તત્ત્વજ્ઞાનમાં સાધન શુદ્ધિ એ અતિ મહત્ત્વનું અંગ છે. હેતુ કે સાધ્ય પાર પડ્યું એટલે પત્યું, એમ માનનારાઓથી ગાંધીજી જુદા પડે છે. ઊંચી સિદ્ધિ ય ખોટા સાધનથી મળે તોયે તેમને ન ખપે. સ્વરાજ હિંદની પ્રજાને માટે અતિ મહત્ત્વની ચીજ છે એ સ્વરાજ પણ દગાફટકાથી કે જૂઠાણાંથી આવે તો ન જોઈએ એવું ગાધીજી કહેતા. સાધનના નજીવા દોષો આવે તો બાપુ હિમાલય જેવડી ભૂલ થઈ એમ કહીને મોટી હિલચાલ થંભાવી દે છે, એ ઘણા ઓછા લોકો ધ્યાનમાં રાખે છે. સિદ્ધિ લલચાવનારી ચીજ છે. તે લલચાવીને ટૂંકે માર્ગે ખેંચી જાય છે અને ટૂંકો માર્ગ છેવટે તો લાંબો બની રહે છે. ખરેખરો માર્ગ સાધનશુદ્ધિનો છે. 

‘વાવે તેવું લણે’ એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. બાવટો વાવો તો ઘઉં ન જ મળે. પણ ખરેખર આચરણ કરવાનું આવે છે અને ફળ નજર સામે દેખાય છે ત્યારે શુદ્ધ માર્ગ છોડી દેવાનું મન થાય છે. આનાથી બચવું જોઈએ.

બાળકને વહેલે શીખવવાની દષ્ટિએ શિક્ષક મારે છે પણ મારથી તેની બુદ્ધિનું ઢાંકણ બંધ થઈ જાય છે. માર મારવો એ બુદ્ધિ ખીલવવાનો રસ્તો નથી. આવું જ જીવનમા અનેક વાર બનતું હોય છે. જે રસ્તે જવું છે તેની શરૂઆત સાધન છે;  રસ્તાનો છેડો એ ધ્યેય છે. સાધન અને ધ્યેય જુદા નથી. ધ્યેય સત્ય છે, તો તેને પામવાનું સાધન અહિંસા છે, પ્રેમ છે. સત્ય અને અહિંસા એ એક સિક્કાના બે પાસાં છે. એને જુદા કેમ પડાય? અહિંસા હોય તો સત્યનાં દર્શન થાય.

સર્વોદયમાં માનવાવાળાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા વાદો આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે ધ્યેય સમજી લેવું જોઈએ. ગરીબોનું કલ્યાણ સામ્યવાદ, ગાંધીવાદ, સમાજવાદ કે બીજા કોઈ વાદ આવે એમાંથી ક્યે માર્ગે સારું થાય? ગાંધીવાદ કેમ સારો, બીજા વાદોમાં શી ત્રુટિઓ છે, એના સૂક્ષ્મ ભેદો, અને સાધનશુદ્ધિના આંકો પણ સમજી લેવા જોઈએ. 

આપણો કસોટીકાળ આવે ત્યારે સાધનશુદ્ધિ જે માર્ગમાં દેખાય તે માર્ગ જ અપનાવવો. જો અશુદ્ધ સાધનો હશે તો તે જ આપણને ગબડાવી દેશે.

હિંસાનો માર્ગ સાચો નથી. દુનિયા એ માર્ગે જઈ રહી છે. એ માર્ગમાંથી હઠવું હોય તો આખી સમાજ-રચના બદલવી પડે. શરૂઆત એક દેશથી થાય તો વિશ્વમાં એ ફેલાશે. જ્યાં પ્રારંભ થાય ત્યાં ખુવારી થવાનો પણ સંભવ છે. પણ પ્રજા સાચેસાચ અહિંસક હોય તો અંતે તેનો વિજય છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ માર ખાધો પણ તેમનું તેજ અહિંસક હતું એટલે તેમનો વિજય થયો. આપણી પ્રજામાં એ તેજ પૂરતું નથી.

તેથી જેટલી સાધન શુદ્ધિ રાખીશું તેટલો સર્વોદયનો પંથ આગળ વધશે. 

જે સાધનો વડે ક્રિયા કરવાની છે તે જેટલાં શુદ્ધ તેટલું કામ પાકા પાયાનું થશે. ગાંધીજી આવાં કાર્યો સિદ્ધ કરી શક્યા કારણ કે તેમનાં સાધનો શુદ્ધ હતા. માણસના જીવનમાં પોતે જેટલી તૈયારી કરે તેટલે અંશે તે સફળ થાય. એ દૃષ્ટિએ જોતાં જે આદર્શ મન સમક્ષ રાખીએ તે પાર પાડવા માટે મન બુદ્ધિ આત્મા શરીર વિકસી શકે એવો આપણો પ્રયત્ન હોવો જોઇએ જે માણસ પોતાનું મન બુદ્ધિ શરીર બગાડી મૂકે તે પોતાના આત્માનો પણ નાશ કરે છે.

‘વિષયોનું ધરે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે, 

જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે; 

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હણે, 

સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.’ 

                                                                        (અનાસક્તિયોગ, શ્રીમદ્ ભગવદ્ગીતા)

માનવીના વિનાશના આ પગથિયાં છે. નિરંકુશ મન ક્યાં લઈ જાય તેનું આ એક ચિત્ર છે. આદર્શ જો ઊંચો ન હોય તો ઊતરતા ઢાળ પર બેસતાં જ તે નીચે ગગડી જાય છે. ડુંગર પર ચડવું અઘરું છે પણ પડવું સહેલું છે. એક બોલ ને શત વિનિપાત. જીવનમાં ઊંચી જગ્યાએ જવાનું ધ્યેય નથી હોતું તો ગમે ત્યાં અથડાઈએ છીએ. જે પોતાના જીવનને ઉન્નત કરવા માગે છે તેની સમક્ષ કોઈ ઊંચો આદર્શ હોવો જ જોઈએ. મનુષ્ય નરનો નારાયણ થઈ શકે છે. ગાંધીજી જેવાએ પોતાના જીવનમાં એ કરી બતાવ્યું. વ્યક્તિ ધારે તેવી થઈ શકે છે. જેનું જીવન-ધ્યેય સ્પષ્ટ છે તે ગમે ત્યાં ગબડી ન પડે. તેથી જીવનમાં ઉચ્ચ ધ્યેયની જરૂર છે. તે ધ્યેયની પ્રાપ્તિ માટે તે આપણે નાનાં નાનાં પગથિયાં બનાવીએ. 

જે ધ્યેય ગાંધીજીનું તે જ આપણું ધ્યેય. તેઓ એક સામટાં દસ પગથિયાં કૂદ્યા તો આપણે એકએક ચડીશું; પણ ધ્યેય તેમના જેવું ઉચ્ચ રાખીશું. મોટી ઉમ્મર સુધી જે જીવન ધ્યેય નક્કી કરતો નથી તે પસ્તાય છે. ને જીવનમાં ધ્યેય હશે તો નાનાં કામથી તેને સંતોષ મળશે. નહિ તો મોટાં કામો પણ તેના મનનું સમાધાન નહીં કરી શકે. માટે ધ્યેય નક્કી કરી તેની પ્રાપ્તિ માટે શુદ્ધ પગલાં ભરો.

27/28 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 224 અને 225

Loading

28 January 2025 Vipool Kalyani
← બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન
પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (3)  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved