Opinion Magazine
Number of visits: 9510007
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Narendra Modi maate Patidaaroni Magani Andhaaryo Tamaacho Chhe

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|28 August 2015

નરેન્દ્ર મોદી માટે પાટીદારોની માગણી અણધાર્યો તમાચો છે

જોકે એમાં આશ્ચર્યની કોઈ વાત નથી : વિકાસ વાતોનાં વડાં છે અને મંડલ એક વાસ્તવિકતા છે

૧૯૮૦ અને ૧૯૮૫ એમ ઉપરાઉપરી બે વખત અનામતની પ્રથાનો સમૂળગો વિરોધ કરીને આંદોલન કરનારાઓ હવે અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે. ૧૯૮૦ અને ૧૯૮૫માં તેઓ એ વાત સ્વીકારવા તૈયાર નહોતા કે દલિતો અને આદિવાસીઓ પછાત છે અને તેમનો હાથ પકડવો જોઈએ, પરંતુ આજે પટેલોને લાગે છે કે તેઓ પોતે પછાત રહી ગયા છે અને સરકારે તેમનો હાથ પકડવો જોઈએ. આ સ્વાર્થનું તર્કશાસ્ત્ર છે અને સ્વાર્થનું આંદોલન છે. જો પટેલો પાછળ છે તો ભારતમાં આગળ કોણ છે એવો સવાલ પેદા થાય છે. જે માગતાં શરમ આવવી જોઈએ એની રસ્તા પર ઊતરી આવીને ધરાર માગણી કરવામાં આવી રહી છે અને એને માટે હિંસા પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૯ જણનાં મૃત્યુ થયાં છે અને અમદાવાદમાં લશ્કરને બોલાવવું પડ્યું છે.

પટેલોની માફક જ હરિયાણામાં અને પંજાબમાં જાટ કોમ સંપન્ન અને વગદાર છે, રાજસ્થાનમાં મીણાઓ અને ગુર્જરો સંપન્ન અને વગદાર છે અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ સંપન્ન અને વગદાર છે છતાં આ કોમ (સંપન્ન અને વગદાર કોમ) પછાત હોવાનો દાવો કરી રહી છે અને અનામતની વિશેષ જોગવાઈ માગી રહી છે. આ બીમારી હજી અન્ય રાજ્યોમાં પણ વિસ્તરવાની છે. બેશરમ બનીને માગવાની હિંમત ભારતમાં એક પછી એક વગદાર કોમ કેળવી રહી છે. પાટીદારોએ તો આમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમની ગુજરાતમાં કુલ ૧૪ ટકા વસ્તી છે અને વસ્તીના પ્રમાણમાં બેવડાં સ્થાનો અને વગ તેઓ ધરાવે છે. ગુજરાતમાં એક જમાનામાં ખામ (KHAM)નું ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું હતું. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. આ ગઠબંધન પટેલોના પ્રભાવને ખાળવા માટેનું હતું જે બતાવે છે કે ગુજરાતમાં પાટીદારો કેટલા શક્તિશાળી છે.

કોણ જવાબદાર છે આને માટે? તમે જો એમ વિચારતા હો કે હાર્દિક પટેલ કે કિરોરી સિંહ બૈસલા (ગુર્જર નેતા) જેવા જ્ઞાતિઓના નેતાઓ આને માટે જવાબદાર છે તો તમે ભૂલ કરો છો. આને માટે પછાતપણાનું રાજકારણ જવાબદાર છે. ૧૯૯૦-’૯૧માં ભારતીય રાજકારણમાં ત્રણ નવા ચહેરા વિકસ્યા હતા અથવા જો જૂના હતા તો વધારે ખીલ્યા હતા. એક ચહેરો હિન્દુ કોમવાદી રાજકારણનો હતો. બીજો વિકાસના રાજકારણનો હતો અને ત્રીજો પછાતપણાના રાજકારણનો હતો. ૧૯૯૦ પહેલાં પણ ભારતના સંસદીય રાજકારણમાં તુક્ટીકરણ(અપીઝમેન્ટ)નું રાજકારણ થતું હતું જેનું સ્વરૂપ ૧૯૯૦ પછી ભારતીય રાજકારણનો ચહેરો બદલાતાં બદલાયું હતું.

૧૯૯૦માં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ લાગુ કરી એ પછીથી સામાજિક પછાતપણાના રાજકારણે નવો મંડલચહેરો ધારણ કર્યો છે. એ પહેલાં દલિતો અને આદિવાસીઓ સિવાયની અન્ય પછાત કોમ માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી એટલે અનામતનું રાજકારણ મર્યાદિત હતું. ૧૯૯૦ પછીથી ભારતની સેંકડો જ્ઞાતિઓ સંભવિત લાભાર્થીની લાઇનમાં ઊભી રહી ગઈ. આમાં ઉત્તર પ્રદેશના પટેલો(જે ખરેખર દલિતોની સમકક્ષ પછાત જ્ઞાતિ છે)થી લઈને ગુજરાતના પટેલો (જે દેશમાં સૌથી વધુ સંપન્ન પ્રજા છે) સુધીનો સમાવેશ હતો.

બને ત્યાં સુધી વિકાસના નામે મતદાતાના મત માગવા, કારણ કે વિકાસની અપીલ સાર્વત્રિક છે; પરંતુ જો વિકાસના નામે મંઝિલે પહોંચવામાં મુશ્કેલી દેખાય તો હિન્દુ કોમવાદનું અને પછાતપણાનું એમ જે કાર્ડ માફક આવે એ ઊતરવું. સાધારણપણે જે પક્ષ સત્તામાં હોય એ વિકાસની વાત કરે છે અને વિરોધ પક્ષ પછાતપણાની વાત કરે છે, પરંતુ આમાં ક્યારેક ઊલટું પણ બને છે. વિરોધ પક્ષને જ્યારે નક્કર આશા હોય કે આ વખતે એ સત્તામાં આવે એમ છે અને શાસક પક્ષને જ્યારે ભય હોય કે આ વખતે એ ચૂંટણી હારે એમ છે ત્યારે સત્તાનો દાવેદાર વિકાસનું રાજકારણ કરે છે અને શાસક પક્ષ પછાતપણાનું રાજકારણ કરે છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે B.J.P.એ વિકાસનું રાજકારણ કર્યું હતું અને કૉન્ગ્રેસે ૧૦ વર્ષથી સત્તામાં હોવા છતાં પછાતપણાનું રાજકારણ કર્યું હતું. આ એ જ કૉન્ગ્રેસ હતી જેણે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વિકાસનું રાજકારણ કર્યું હતું.

ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસે મરાઠાઓને અન્ય પછાત કોમ અંતર્ગત અનામતની જોગવાઈ આપી હતી. મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ રાજ કર્યા પછી અને પ્રજાને વિકાસનાં સપનાં બતાવ્યા પછી કૉન્ગ્રેસ-N.C.P.ની સરકારે અનામતના પછાતપણાના રાજકારણનો આશરો લેવો પડ્યો હતો. એ પહેલાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવા કૉન્ગ્રેસ અને B.J.P.એ મીણાઓ અને ગુર્જરોને અનામતનું ગાજર બતાવ્યું હતું. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીએ લોકસભાની ચૂંટણી જીતવા જાટોને અન્ય પછાત કોમની પંક્તિમાં મૂક્યા હતા અને રાજસ્થાનના કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ ઉપરાંત પંજાબની અને હરિયાણાની સરકારે જાટોને અનામતની જોગવાઈ આપી હતી. એ જુદી વાત છે કે ગયા જુલાઈ મહિનામાં સર્વોચ્ચ અદાલતે મરાઠાઓ અને જાટોના પછાતપણાના દાવાને નકારી કાઢ્યો હતો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ હિન્દુત્વનું અને વિકાસનું એવું એક મિશ્ર રસાયણ વિકસાવ્યું હતું. એ રસાયણ સફળ નીવડ્યું હતું અને એ જ રસાયણના આધારે તેઓ વડા પ્રધાન બનવા સુધી પહોંચી શક્યા છે. તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનું ગુજરાત અને એમાં પણ પાટીદારો મંડલનો આશરો લેશે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મોરલીએ ડોલનારા પાટીદારો, લોકસભાની ચૂંટણી માટે નાણાં આપનારા પાટીદારો, સાત સમુદ્રીય રાષ્ટ્રવાદ વિકસાવનારા પાટીદારો, પોતાનો આઇડિયા ઑફ ઇન્ડિયા ભારતમાં નિકાસ કરનારા પાટીદારો, અબજો રૂપિયા ખર્ચીને સ્વામિનારાયણનાં મંદિરો બંધાવનારા પાટીદારો, ગુજરાતમાં રાજ કરનારા પાટીદારો; ગુજરાતમાં અને એ પણ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં બીજા કોઈને નહીં ને મંડલને લઈ આવશે.

નરેન્દ્ર મોદી માટે આ અણધાર્યો તમાચો છે, પરંતુ એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. વિકાસ વાતોનાં વડાં છે જ્યારે મંડલ એક વાસ્તવિકતા છે. અમને વિકાસની વાતો ચટાડવામાં આવે અને અન્યત્ર જાટો, મરાઠાઓ, મીણાઓ, ગુર્જરો જેવી સામાજિક રીતે વિકસિત પ્રજાને પછાત ગણીને લાભ કરાવવામાં આવે તો અમે શું ગુનો કર્યો છે? નરેન્દ્ર મોદીની વિકાસની જાનમાં જાનૈયા બન્યા હતા એટલે શું અમારે આખી જિંદગી જાનૈયાનો સાફો બાંધી રાખવાનો? તમે જો હાર્દિક પટેલનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું હશે તો એમાં આવો સૂર પ્રગટ થતો હતો.

તો આનો ઉપાય શું? જો આ રીતે બધા મંડલના મંડપમાં ઘૂસવા માંડશે તો અરાજકતા પેદા થશે. સમાજવિગ્રહ થઈ શકે છે. ખોટા માણસો લાભ ખાટી જશે અને જરૂરિયાતમંદ રહી જશે. આ રીતે તો અનામત આપવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

તો પછી આનો ઉપાય શું? હા, એક ઉપાય છે, જેની વાત આવતી કાલે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 અૉગસ્ટ 2015

Loading

28 August 2015 admin
← Modi SarkarnuM Andaajpatra : Aane Aayojan Kahevay Kharun ?
Darshak : Sankraanti ane Parivartannaa Ragpaarkhu →

Search by

Opinion

  • દિવાળીમાં ફટાકડાનું પ્રદૂષણ : જોખમ પર આનંદ કેમ ભારે પડી જાય છે?
  • ખાલી ચણો વાગે ઘણો –
  • પ્રેમનું નગર
  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved