Opinion Magazine
Number of visits: 9483750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદેશમાં વસતા ગુજરાતીઓના પ્રશ્નો

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|2 October 2024

તમિળનાડુના પાટનગર ચેન્નઈમાં જિંદગી પસાર કરનાર ગુજરાતીના આપણા પ્રખ્યાત સાહિત્યકાર અરદેશર ફરામજી ખબરદારે ગાયું છે :

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત;

જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત:

જેને ઉર ગુજરાત હુલાતી, તેની સુરવન તુલ્ય મિરાત;

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

તો ‘ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત; / જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમપ્રીત :’ ધરાવતી આ જમાતને વળી કોઈ પ્રશ્નો અડતા નડતા હોય ખરા કે ?

સૌથી મોટો પ્રશ્ન તો ઓળખપાળખનો છે, અસ્મિતાનો છે. 

‘આ અસ્મિતા શબ્દ 1913 – 14માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે : ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું’, એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ ?’

સન 1937માં કરાંચી મુકામે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેરમા અધિવેશન પ્રસંગે પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આમ કહેલું.

આ વ્યાખ્યાન અંગે આચાર્ય આનન્દશંકર બાપુભાઈ ધ્રુવે ‘સાહિત્યવિચાર’માં વિષદ છણાવટ કરી છે. “વસંત” સામયિકના વર્ષ 36ના (શ્રાવણ-આશ્વિન, સં. 1993) ત્રીજા અંકમાં આનન્દશંકરભાઈ લખતા હતા : ‘અમે નિખાલસપણે કહીશું કે વર્તમાન સમયમાં પ્રાન્તિક સ્વરાજ્યને લીધે પ્રાન્તિક ‘અસ્મિતા’ ભારતના અભેદદર્શનમાં વિઘ્નકર થવાનો ભય છે.’ આગળ વધતાં એ કહેતા હતા : ‘… પ્રાન્તીય સ્વરાજ્યના આ દિવસોમાં હિન્દસમસ્તની એકતાની ભાવના લક્ષ્ય બહાર જતી રહેવાનો અમને ભય છે. અમે તો એક ગૂજરાતી તરીકેની આપણી અસ્મિતા વધારે ઉત્કટ ન બની જાય તેટલા માટે વ્યક્તિત્વવાદી વાચકોને વિચારવા વીનવશું કે રા. મુનશી જેને ગૂજરાતનું ‘સાંસ્કારિક વ્યક્તિત્વ’ કહે છે એના ઘટક અવયવો શા છે, કે જે ભારતની સામાન્ય સંસ્કૃતિમાં નથી અને જે ગૂજરાતની વિશિષ્ટતા બતાવે છે ? અમને તો ભાગ્યે કોઈ જડે છે.’

તળ ગુજરાતથી વળોટી એક મોટો સમૂહ દરિયાપાર જઈ વસ્યો છે અને આશરે સવાસો જેટલા દેશોમાં આ જમાત સ્થાયી બની છે. તેથી મુનશી સૂચવી અસ્મિતાની વ્યાખ્યા આજે કેટલે અંશે આ નવોદિત સંદર્ભે કારગત નીવડે ? આનન્દશંકરભાઈ તો ભારતના અભેદદર્શનમાં આ વિઘ્નકર થાય તેમ જણાવતા હતા. જાગતિક પરિપ્રેક્ષ્યે જોઈએ, વિચારીએ તો ય આજે આ વિચાર મુદ્દે વિશેષ ગાબડાં પડે તેમ સહજ દેખાઈ આવે.

રહી વાત ઓળખપાળખની. અને તેથી સ્તો, ઈશ્વર પેટલીકર સહસા સ્મરે છે. વિલાયત માંહેના એક અવ્વલ વિચારક મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી “ઓપિનિયન”ના જુલાઈ 1995ના અંકમાં લખતા હતા : “ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવવામાં આપનો ત્રીજા અંકના અગ્રલેખનો વિષય ગુજરાતીઓની સંઘશક્તિ, કાજે મોખરે રહે છે. અને વ્યક્તિગત રીતે આ અગ્રલેખ મને એક (ઘટનાની) યાદ અપાવી જાય છે. ૧૯૬૦ના અરસામાં સ્વ. ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે આવ્યા હતા. મોમ્બાસા(કિન્યા)ના પટેલ સમાજના ખંડમાં ભાષણ કરતાં મર્મ-સ્પર્શી વાક્યો એમણે ઉચાર્યાં હતા, તેની યાદ આવી જાય છે : ‘મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

આટઆટલા દાયકાઓ બાદ, આજે, આ વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ જ ફેરફાર આપણને જોવા મળતો નથી ! ‘આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી.’ એમ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે કહેલું છે. એમનો એ નિબંધ ક્યારેક હાથવગો કરી વાંચવો જરૂરી થઈ પડે.

ટૂંકમાં, કેટકેટલી ઓળખોમાં આપણો સમૂહ વહેંચાયેલો એ દરેકને જોવા મળ્યો હશે ! અને આવી વહેંચણી અહીં વિલાયતમાં, પણે અમેરિકાના કે આફ્રિકામાંના મુલકોમાં ય આપણે ભાળીએ છીએને ! આપણા અગ્રિમ પત્રકાર – વિચારક પ્રકાશભાઈ ન. શાહે, કદાચ તેથીસ્તો, ક્યાંક લખ્યું છે ને: ‘ગુજરાતીઓ હજી પ્રજાપણાની ભાવનાએ પહોંચ્યા નથી અને એક પ્રજા તરીકે આપણામાં જે સંઘશક્તિ હોવી જોઈએ એમાં કેવળ બાળક છીએ.’ Nine Lives: In Search of the Sacred in Modern Indiaના લેખક વિલિયમ ડેલરિમ્પલે પણ કહ્યું છે કે ભારતની મોક્ષાર્થી પ્રજા મૂળ અને કુળ જોવાનું ચૂકતી નથી.

વળી, જે તે મુલકના વસવાટી હોવાને લીધે જે તે મુલકની અધિકૃત ભાષાની જાણકારી, સમજદારી તેમ જ સહજ સ્વાભવિકપણે તે માધ્યમ વાટે આપ-લેની ઊણપ પણ બહુધા વર્તાય છે. પ્રત્યાયનની આવી કચાશને કારણે આથી લઘુતાગ્રંથિ ચોંટે છે. રોજગારી મેળવવામાં આંચ અનુભવાય છે અને સમૂહમાં, સમાજમાં હળવાભળવાનું મુશ્કેલ બની બેસે છે.

અમુક પ્રકારની પાબંધી, લક્ષમણરેખા શા વાતાવરણમાંથી ખૂલા સમાજમાં આવી પડતાં, કેટલાક સાંસ્કૃતિક સવાલો ખડકાય છે. પારંપરિક માન્યતાઓ પણ ટકરાય છે. ખાવાપીવાની રીતરસમમાં અટવાવાનું થાય છે. આવું લલિત કળાઓ, સંગીત, નાટક, સિનેમા સરીખા ક્ષેત્રે ય પણ જોવા પામીએ. ક્યારેક આથી મન ચકરાવે ચડે અને ઊતરે ય ખરું.

ગઈ સદીની ચાળીસીને આરંભે મણિલાલ ગાંધીએ ‘ઇન્ડિયન ઓપીનિયન”માં લખેલું, ‘જે દહાડે દક્ષિણ આફ્રિકાના હિન્દીઓમાં કોમવાદનો રોગ ફાટી નીકળશે, તે વેળા એમણે જાણી લેવું કે તેમનો સર્વનાશ આવી પહોંચ્યો. આપણે અહીં હિન્દુ નથી, કે નથી મુસલમાન, નથી પારસી કે નથી ઈસાઈ; આપણે હિન્દી જ છીએ. હિન્દુસ્તાનના કયા પ્રાન્તમાંથી આપણે મૂળે આવ્યા છીએ તે મુદ્દો ય પછી અગત્યનો રહેતો નથી, કેમ પછી તે પ્રાન્ત મદ્રાસ હોય, મુંબઈ હોય કે બંગાળ હોય.’ મહાત્મા ગાંધી સ્થાપિત આ અઠવાડિકના તંત્રી તરીકે લખતા, મણિલાલભાઈ કહેતા હતા આ મુલકે હિન્દુ મહાસભા વગેરે જેવી કોમી સંસ્થાઓ કાર્યપ્રવૃત્ત હોય તે એમને સમજાતું નથી. ‘કેમ કે થોડાઘણા સમયથી આ મુલકે કોમવાદી વલણવૃત્તિનું ચલણ વધી રહ્યું છે. … સમગ્ર રાષ્ટૃને કેન્દ્રમાં રાખીને આપણે શા સારુ વિચારતા નથી અને આપણી સમગ્ર કોમના ભલા માટે તેમ કાર્યપ્રવૃત્ત રહેતા નથી.’ આવું નિરીક્ષણ એમનું હતું.

આજે આ પરિસ્થિતિ વિશેષપણે વકરેલી છે. તળ ગુજરાત, કે પછી, તળ ભારતના પ્રવાહોની ખેંચમાં તણાતા રહ્યા હોઈએ તેવું વર્તાય છે. અને તેની આડઅસર અહીં સર્વત્ર પહોંચે છે.

પ્રાધ્યાપક ભીખુ પારેખનું એક પુસ્તક છે : The Future of Multi-Ethnic Britain. આમ તો રનિમીડ ટૃસ્ટ હેઠળ, જાન્યુઆરી 1998 દરમિયાન, યોજાયેલી ‘કમિશન ઑન ધ ફ્યુચર ઑવ્‌ મલ્ટી-એથ્નિક બ્રિટન’નો એ હેવાલ છે. ભીખુભાઈ આ પંચના અધ્યક્ષ હતા તેથી તે The Parekh Report તરીકે ય જાણીતું પુસ્તક છે. આ પંચે લઘુમતી બાબત, વર્ણીય સંબંધક વિવિધ બાબતોને આવરી લઈને વિષદ ચર્ચા છેડી હતી. આ અભ્યાસુ ચર્ચાને આધારે આ હેવાલ તૈયાર કરાયો છે. આ પુસ્તક જ એક અલાયદા વિષદ વિશ્લેષણનો વિષય બની શકે. 

‘વિશ્વગુરુ થવાના અભરખા આજકાલ બહુ ચગ્યા છે’, એમ જાણીતા અર્થશાસ્ત્રી અને વિચારક હેમન્તકુમાર શાહ કહે છે. ને વળી, ઉમેરણમાં લખે છે, ‘કોઈના ય ગુરુ થવાની જરૂર છે જ નહિ. અમે જ સારા અને બાકીના બધા નકામા, એવી ભ્રામક આત્મશ્લાઘામાંથી બહાર આવીએ તો પણ આપણી પોતાની માણસ તરીકેની આઝાદી સિદ્ધ થઈ કહેવાય.’ તાજેતરના દાયકામાં, પરદેશે વસેલી ગુજરાતી પ્રજામાં ય આ રોગ ઠીક ઠીક પ્રસરેલો જેવા મળે છે. અને તેથી તેની સારીમાઠી અસર અનુભવવા પામીએ છીએ.  

જાણીતા વિચારક અને કટારચી રમેશ ઓઝા તાજેતરે લખતા હતા, કોમી અથડામણો જ્યાં થતી હોય છે, ત્યાં લઘુમતી કોમ સાથે સતાવવા બાબત ઘટનાઓ બનતી આવી છે. ‘ઘણીવાર તો કોમી અથડામણો લઘુમતી કોમને આર્થિક નુકસાન પહોંચાડીને આર્થિક લાભ લેવા માટે જ કરવામાં આવે છે. … આવું જગત આખામાં થાય છે, આ મહિનાના પ્રારંભમાં બ્રિટનમાં પણ આવું બન્યું હતું. બ્રિટનમાં અંગ્રેજોની વાંશિક સર્વોપરિતામાં માનનારા કેટલાક બહુમતી રાષ્ટ્રવાદી અંગ્રેજોએ, ખાસ કરીને મુસલમાનો અને અન્ય વસાહતીઓ સામે ખોટી અફવા ઉડાડીને ન્યાય માટેના આંદોલનનાં નામે તેમનાં ઘર-બાર લૂંટ્યા હતાં. … જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય ત્યાં જલદી આવી પ્રવૃત્તિ રોકવામાં આવે છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ હોય ત્યાં સ્થિતિ અંકુશમાં આવતા સમય લાગે છે.’

બે’ક સાલ પહેલાં, વિલાયતના મિડલૅન્ડ્ઝ વિસ્તારના લેસ્ટરમાં જે કોમી તોફાનો થયા, તેમાં ગુજરાતીઓ પણ સંડોવાયા હતા, તેમ જાણવા મળે છે. ગુજરાતી જમાતમાંના વિવિધ જૂથો વચ્ચેની એ અથડામણ હતી તેમ સંભળાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈક રીતનાં ગાબડાં પાડવાની રમત હોય તેમ તારવવાનું મન કરે છે.

આવી ઘટના બનતી હોય છે ત્યારે ગુજરાતી સમાજ સમૂળગો ઊંચક રહેતો હોય છે અને પછી બધા પ્રકારે ચિંતીત પણ. પ્રસાર માધ્યમોમાં આ વિષયક વિશ્લેષણો પ્રગટ થાય છે. અધિકૃત પંચની નિમણૂંકો થયા કરે છે. તેમના હેવાલો ય જવાબ નિમિત્ત આવે છે. પરંતુ આ અને આવા ઉત્તરો સામે જે અનેકાનેક પ્રશ્નો જાગે છે, તેનું, ભલા, શું કરીશું ? 

ટૂંકમાં, ઓળખપાળખની ભુલભૂલામણી ચોમેર પાયાગત રહ્યા કરી છે.   

અશટાર નામે ફિલિસ્તાની થિયેટરમાં, દાયકા પહેલા, ગાઝા મોનોલોગ્ઝની રજૂઆત કરનાર ટામેર નિજૅમ સવાલતા હતા : સમય મને ફ્લૅશબૅકમાં એ અંધારી, ક્રૂર છાવણીમાં લઈ ગયો. તમામ રાષ્ટ્રીયતાના લોકોની ભીડ વચ્ચે હું એકલો હતો. મેં નજર કરી, તાકતો રહ્યો અને મારી અંદરનો અવાજ ચીસ પાડી ઊઠ્યો, “હું ક્યાં છું? હું કોણ છું? હું અહીં કેવી રીતે પહોંચ્યો?!”

જગત સાતેક સાલ પહેલાં જેની જન્મ-દ્વિશતાબ્દી ઉજવી રહ્યું હતું તે વિદ્વાન ચિંતક અને ફિલસૂફ કાર્લ માર્ક્સને નામે એક વાક્ય બોલે છે : ‘It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.’ [માનવીની અસ્મિતા તેનું અસ્તિત્વ નિશ્ચિત કરતું નથી, બલકે તેનું સામાજિક અસ્તિત્વ તેની અસ્મિતાને નિશ્ચિત કરતું હોય છે.]

પાનબીડું :

એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?

હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.

ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.

તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?

                                                       – ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)
(1,451 શબ્દો)
12-14 ઑગસ્ટ 2024, હેરૉ.
E.mail : vipoolkalyani.opinon@btinternet.com
પ્રગટ : “નવનીત સમર્પણ”, દીપોત્સવી વિશેષાંક; ઑક્ટોબર 2024; પૃ. 197-201

Loading

2 October 2024 Vipool Kalyani
← ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૧૧) (સમ્પૂર્ણ)  
ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં મુસ્લિમ મહિલાઓની ભૂમિકા →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved