Opinion Magazine
Number of visits: 9449556
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિરોશિમાનાં ૭૦ વર્ષ : વિવેકની કોઈ શાશ્વતી ન હોય ત્યારે જોખમો પેદા કરવામાં જોખમ છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|6 August 2015

અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવાથી સમાજ શીલવાન બને છે, ફાંસી જેવી બહુ આકરી સજા કરવાથી સમાજ અપરાધમુક્ત બને છે, વ્યસનો પર પ્રતિબંધ મૂકવાથી સમાજ વ્યસનમુક્ત બને છે અને શસ્ત્રો દ્વારા સવાયા બનવાથી જગતમાં શાંતિ સ્થપાય છે એ માન્યતાઓ મિથ છે. આમાં સત્ય તો બાજુએ રહ્યું, સત્યાંશ પણ નથી

અશ્લીલતા પર પ્રતિબંધ મૂકવાથી સમાજ શીલવાન બને છે, ફાંસી જેવી આકરી સજા કરવાથી સમાજ અપરાધમુક્ત બને છે, વ્યસનો પર પ્રતિબંધ મૂકવાથી સમાજ વ્યસનમુક્ત બને છે અને શસ્ત્રો દ્વારા સવાયા બનવાથી જગતમાં શાંતિ સ્થપાય છે એ ચાર માન્યતાઓ મિથ છે. આમાં સત્ય તો બાજુએ રહ્યું, સત્યાંશ પણ નથી. આમ છતાં જગતના શાસકો આવી ચેષ્ટા કરતા રહે છે, કારણ કે એ માનવસભ્યતાની ચિંતાનો વિષય છે અને એની જરૂરિયાત પણ છે. શીલવાન અને વ્યસનમુક્ત સમાજ તેમ જ શાંતિની વિશ્વને જરૂર છે.

આજે છઠ્ઠી ઑગસ્ટ છે. બરાબર ૭૦ વર્ષ પહેલાં ૧૯૪૫ની છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જપાનના હિરોશિમા નગર પર સવારે સવાઆઠ વાગ્યે અણુબૉમ્બ ફેંક્યો હતો. આટલા પ્રચંડ પ્રમાણમાં સામૂહિક નરસંહારની એ પહેલી ઘટના હતી. ગણતરીની મિનિટોમાં ૭૦થી ૮૦ હજાર લોકો માર્યા ગયા હતા. જપાનમાં હાહાકાર મચી ગયો હતો તો યુરોપના મિત્રદેશોમાં અને અમેરિકામાં પ્રજા ચિચિયારીઓ પાડીને સામૂહિક હિંસાની ઘટનાને વધાવતી હતી. માણસની જાત છે.

પીડા જોઈને કરુણા પણ એ જ વરસાવે છે અને પીડા પણ એ જ આપે છે. ગણતરીની મિનિટોમાં એક લાખ જેટલા માણસનો સંહાર એ માનવઇતિહાસની સૌથી વિકૃત ઘટના હતી અને મોતના સમાચાર સાંભળીને પાડવામાં આવેલી ચિચિયારીઓ એનાથી મોટી વિકૃત પ્રતિક્રિયા હતી. માનવસભ્યતાની વિકૃતિની દાસ્તાન અહીં પૂરી નથી થતી. હિરોશિમા પર અણુબૉમ્બ ફેંકવા છતાં જપાન શરણે આવ્યું નહીં ત્યારે નવમી ઑગસ્ટે નાગાસાકી શહેર પર અમેરિકાએ બીજો હુમલો કર્યો હતો.

અણુબૉમ્બની તાકાત એટલી પ્રચંડ હતી અને એણે એટલી ગરમી પેદા કરી હતી કે હિરોશિમા સ્ટેશન પરનો લોખંડનો ફુટઓવર બ્રિજ ઓગળી ગયો હતો અને તળાવનું પાણી ઊકળવા લાગ્યું હતું. જે લોકો ગરમીથી બચવા તળાવમાં કૂદી પડ્યા હતા તેઓ ઊકળતા પાણીમાં બફાઈને મરી ગયા હતા. આ તો એ સમયે થોડા કલાકો દરમ્યાન લોકોએ અનુભવેલી યાતના છે. એનાથી મોટી યાતના એ છે કે બીજા લાખો માણસો કાયમ માટે રેડિયેશનનો ભોગ બની ગયા હતા અને તેમણે રિબાઈ-રિબાઈને જીવન પૂરું કર્યું હતું. હજી આનાથી મોટી યાતના એ છે કે હિરોશિમા અને નાગાસાકીની ત્રીજી પેઢી રેડિયેશનની અસર સાથે જન્મે છે અને રિબાય છે. માણસજાત આને પ્રગતિ કહે છે અને જગતઆખામાં અણુકાર્યક્રમનો મહિમા કરવામાં આવે છે. અણુકાર્યક્રમ ધરાવતા દેશો વિકસિત કહેવાય છે. વિડંબના એ છે કે બે વિશ્વયુદ્ધ અને હિરોશિમા અને નાગાસાકીની ઘટના માનવીયતાને નવી ઊંચાઈ આપનારા શાંતિના ફરિસ્તા મહાત્મા ગાંધીની હયાતીમાં બની હતી.

અણુઊર્જા‍ સસ્તી પડે છે અને ઓછું પ્રદૂષણ પેદા કરે છે એવું અણુના શાંતિમય હેતુ માટેના ઉપયોગનું એક મહિમામંડિત તર્કશાસ્ત્ર ઊભું કરવામાં આવ્યું છે. આમાં અણુભઠ્ઠીમાં ગમે ત્યારે થઈ શકનારા સંભવિત અકસ્માતના નુકસાનને ગણતરીમાં લેવામાં આવતું નથી. અમેરિકામાં નેવાડા અને રશિયામાં ચેર્નોબિલમાં અકસ્માત થઈ ચૂક્યા છે જેણે કરેલા નુકસાનની વિગતો જાહેર કરવામાં આવતી નથી. બે વર્ષ પહેલાં જપાન પર ત્રાટકેલી સુનામીને કારણે અણુભઠ્ઠીને નુકસાન પહોંચ્યું હતું.

માનવભૂલ અને કુદરતી આફત એ બે ચીજની કોઈ ખાતરી હોતી નથી. એ ગમે ત્યારે થઈ શકે છે. વાસ્તવમાં અણુનો શાંતિમય ઉપયોગ એ બહાનું છે. એક વાર યુરેનિયમને એનરિચ્ડ કરવાની ટેક્નૉલૉજી હાથ લાગી ગઈ એ પછી ગણતરીના કલાકોમાં અણુબૉમ્બ બનાવી શકાય છે અને એ જ અણુના કહેવાતા શાંતિમય ઉપયોગના બહાના પાછળનો અસલ હેતુ છે.

અમેરિકા અને રશિયા બન્ને પાસે અણુશસ્ત્રો હતાં એટલે બે મહાસત્તાઓ વચ્ચે સીધું યુદ્ધ નહોતું થયું અથવા ત્રીજું વિશ્વયુદ્ધ નહોતું થયું એવી દલીલ કરવામાં આવે છે. બે મહાસત્તાઓ વચ્ચેના એ સંઘર્ષમય દિવસોને શીતયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. એ શીતયુદ્ધ પ્રત્યક્ષ યુદ્ધમાં ન પરિણમ્યું એનું શ્રેય અણુશસ્ત્રોને આપવામાં આવે છે. આ વાત કંઈક અંશે સાચી છે. અણુશસ્ત્રોના ભયને કારણે અમેરિકા અને સોવિયેટ રશિયા વચ્ચે સીધું યુદ્ધ નહોતું થયું, પરંતુ એવો કોઈ દાયકો વીત્યો છે કે જગતમાં કોઈ સ્થળે યુદ્ધ જ ન થયું હોય?

આ ઉપરાંત નાનાં-નાનાં યુદ્ધો, ગણતરીપૂર્વકનો નરસંહાર, કારગિલ જેવાં સ્થાનિક અને મર્યાદિત યુદ્ધો થતાં જ રહે છે. ભારત અને પાકિસ્તાન બન્ને પાસે અણુશસ્ત્રો હોવા છતાં કારગિલની ઘટના બની હતી અને સરહદે શાંતિ હોય એવું એક પણ વર્ષ વીત્યું નથી. અમેરિકા પાસે અણુશસ્ત્રો હોવાં છતાં ઈરાને અમેરિકન એલચીકચેરીના કર્મચારીઓને દોઢ વર્ષ સુધી બાન પકડી રાખ્યા હતા. ફ્રાન્સિસ્કો ફ્રાન્કો (સ્પેન), પૉલ પોટ (કમ્બોડિયા), કર્નલ કદ્દાફી (લિબિયા), સદ્દામ હુસેન (ઇરાક), ઈદી અમીન (યુગાન્ડા), પિતા-પુત્ર કિમ જૉન્ગ (ઉત્તર કોરિયા) જેવા ગાંડા શાસકો અણુશસ્ત્રોની શોધ થયા પછી અને એના હોવા છતાં પેદા થયા છે.

બટ્રાર્‍ન્ડ રસેલે તેમના ‘પાવર’ નામના નાનકડા પુસ્તકમાં લખ્યું છે કે ગાંડો અને વિકૃત માણસ સત્તા સુધી નહીં જ પહોંચી શકે એવું માનવામાં જોખમ છે. લોકશાહી માર્ગે પણ એવો માણસ સત્તા સુધી પહોંચી શકે છે જે રીતે હિટલર પહોંચ્યો હતો. ઇઝરાયલના શાસકો લોકશાહી માર્ગે ચૂંટાઈને, ઇઝરાયલની યહૂદી પ્રજાની સંમતિ સાથે પૅલેસ્ટીનની પ્રજા પર જુલમ ગુજારે છે. વિવેકની કોઈ શાશ્વતી ન હોય ત્યારે જોખમો પેદા કરવામાં જોખમ છે.

આખું જગત પાકિસ્તાનનાં અણુશસ્ત્રો ત્રાસવાદીઓના હાથમાં તો નહીં આવેને એ વાતે ભયભીત છે. આવી પણ શકે છે. મ્યાનમાંથી તલવાર ગમે ત્યારે નીકળી શકે છે, બંદૂકનો ઘોડો ગમે ત્યારે દબાઈ શકે છે અને અણુવિસ્ફોટ ગમે ત્યારે થઈ શકે છે. શસ્ત્રો પેદા કરી શકાય છે, વિવેક પેદા કરવાનું વિજ્ઞાન વિકસ્યું નથી અને વિકસવાનું નથી. એટલે બીજા કરતાં સવાયા શક્તિશાળી હોવાથી શાંતિ જળવાય છે એ માન્યતા ખોટી છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 અૉગસ્ટ 2015

http://www.gujaratimidday.com/features/columns/features-columns-6-8-2015-6

Loading

6 August 2015 admin
← તિર્યકી
અંતરપટ અવશેષ કરીને →

Search by

Opinion

  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved