Opinion Magazine
Number of visits: 9449968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિલ્પ-સ્થાપત્યની નજીક લઈ જતું પુસ્તક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|31 July 2015

‘શિલ્પ સમીપે’ પુસ્તકમાં કનુ સૂચકે સવાસો સ્થળોનાં પૌરાણિક, ઐતિહાસિક અને આધુનિક સ્થાપત્યો તેમ જ તેમની અંદરનાં શિલ્પોનો પરિચય કરાવ્યો છે. અખબારી લેખમાળામાંથી બનેલાં આ આકર્ષક પુસ્તકમાં દેશના લગભગ બધા પ્રાન્તોનાં વૈવિધ્યપૂર્ણ શિલ્પસ્થાપત્યોનું સાદી છતાં સુંદર ભાષામાં નિરુપણ છે.

ભારતીય સંસ્કૃિતની બેએક હજાર વર્ષની લાક્ષણિકતા સમાં મંદિરો વિશે અહીં સહુથી વધુ પ્રકરણો છે. ધોલેરા, ગાંધીનગર, મુંબઈ અને ન્યુ જર્સીનાં સ્વામિનારાયણ મંદિરો વિશે પણ વાંચવા મળે છે. જો કે લેખકની કલાદૃષ્ટિ હિંદુ ધર્મમાં બંધાયેલી નથી. એટલે તેમણે પાલિતાણાનાં દેહરાસર, સાંચીનાં સ્તૂપ, ગોવાનાં ચર્ચ, મુંબઈની હાજી અલી દરગાહ અને બનાજી લીમજી અગિયારી, અમૃતસરનું સુવર્ણમંદિર, લ્હાસાનું અવલોકિતેશ્વર, મ્યાનમાર-ભુતાન-કંબોડિયા-ઇંડોનેશિયાનાં બૌદ્ધ સ્થાનકો જેવાં વિવિધધર્મી સ્થાપત્યવિધાનો અને શૈલીઓ  વિશે પણ લખ્યું છે. ધર્મસ્થળોનાં પ્રાધાન્ય વચ્ચે બીજાં અનેક પ્રકારનાં લૌકિક શિલ્પ-સ્થાપત્યોનો સમાવેશ છે. જેમ કે, વાવ, મહેલ, વેધશાળા, ગુફા, કિલ્લા, સરોવર, મિનારા, સ્મારક અને યુનિવર્સિટી. મુંબઈનાં છત્રપતિ શિવાજી ટર્મિનસ અને રાજાબાઈ ટાવર તેમ જ સારનાથના અશોકસ્થંભનો સમાવેશ કરવાનું લેખક ચૂકતા નથી.

મોકળાશભર્યાં અને સફાઈદાર મુદ્રણવાળાં ત્રણસો ચાળીસ પાનાંના મોટા કદના આ પુસ્તકનું આમુખ  જાણીતા કલાવિદ મધુસૂદન ઢાંકીએ લખ્યું છે. તેઓ પુસ્તકનું સંદર્ભગ્રંથ તરીકે ગૌરવ કરીને પછી લખે છે : ‘પ્રત્યેક લેખના પ્રારંભે સામાન્યત: સ્થળ સંબદ્ધ પૌરાણિક, ઐતિહાસિક વાતો-હકીકતો, અનુશ્રુતિઓ તેમ જ લોકવાયકા આદિ પ્રસ્તુત કરી, પછી શિલ્પ કે સ્થાપત્યના કલાત્મક પાસાં વિશે ચિત્રણ સમેત વિવરણ કરવામાં આવ્યું છે. લેખકે જાતે પ્રવાસો ખેડી, સ્થળોની મુલાકાત લઈને અને તેમના વિશે વાંચીને લેખો તૈયાર કર્યા હોય એની તો પ્રથમ દર્શને જ પ્રતીતિ થઈ જાય છે. લેખો અંતર્ગત રજૂ થયેલી સામગ્રી દેશકાળના વિશાળ ફલક પર પથરાયેલી છે.’

સૌંદર્યસ્થાનો માટેની લેખકની દૃષ્ટિ અને તેમનો લાઘવપૂર્ણ વાચનીય આસ્વાદ કરાવવાનું લેખનકૌશલ ઠેરઠેર જોવા મળે છે. સાથે તેમના એકંદર રૅશનલ અભિગમના નિર્દેશો પણ મળે છે. ‘રામાયણ કે મહાભારતનો સમય પુરાતત્વ અવશેષોથી પુરવાર કરી શકાતો નથી એટલે તેને ઇતિહાસ તરીકે માન્યતા મળી શકે નહીં’, એવું તે લખી શકે છે. તે માને છે કે ‘સ્થાપત્ય-સ્મારકો એ આપણી સંસ્કૃિત માત્ર નહીં આપણો કલાવારસો છે, તેના નિમિત્તમાં વ્યક્તિ, ધર્મ, જાતિ વગેરે અગત્યનાં નથી.’ બાન્દ્રાના દરિયા કિનારે આવેલાં માઉન્ટ મૅરીના દેવળના વર્ણનમાં તે ‘માડી તારા ઊંચાં મંદિર …’ ગરબાની પંક્તિઓ સહજ રીતે મૂકે છે (ઉમાશંકર, શયદા, કિસન સોસા, સુંદરમ, ઉદયન ઠક્કર જેવાની કાવ્યપંક્તિઓ પણ તે ટાંકે છે). હિંદુ રાજાનું નામ ધરાવતી કેરળની ચેરામન જુમા મસ્જિદમાં દર દશેરાએ ‘વિદ્યારંભમ’ ઉત્સવ થાય છે એ હકીકત નોંધવાનું તે ચૂકતા નથી. બામિયાન બુદ્ધ પ્રતીમાઓના તાલિબાનોએ કરેલા ધ્વંસથી તે અજાણ નથી, પણ સાથે ‘હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યોના વિનિયોગના’ કેટલાં ય દાખલા તે આપે છે. રાણકી વાવની 1991 પહેલાંની દુર્દશાથી તે માહિતગાર છે. સ્મારકોનાં આંગણાંમાં આપણે મિજબાનીઓ કરીએ છે તે લેખકને ખટકે છે. મ્યાનમારના શ્વેગુજ પેગોડામાં ‘ધાર્મિક સ્થાનોના ભભકા’, ‘શાહી ઠાઠ’ અંગે તેમનો નાપસંદગીનો સૂર પુસ્તક અન્યત્ર દેખાય એ અપેક્ષિત છે, કારણ કે સ્વામીનારાયણ મંદિરો સહિત બહુ ઓછાં ધર્મસ્થાનો એવા છે કે જ્યાં ઑર્ગનાઇઝ્ડ રિલિજિયનની સંપત્તિ-સત્તાનું પ્રદર્શન ન થતું હોય. 

શ્રેષ્ઠીઓ અને સ્થપતિઓ પછીના ક્રમે લેખક સલાટોને વંદન કરે છે. તેમના કસબ અને મહેનતની લેખકને કદરબૂજ છે. અલબત્ત એ વર્ગ જે સામાન્ય લોકોમાંથી આવે છે એ ‘લોક’નું, તેમની કલાઓનું, અભિજનની સામે બહુજનના શિલ્પ સ્થાપત્યનું આ પુસ્તકમાં સ્થાન હોય એ ઈચ્છનીય હતું. વિક્ટોરિયા ટર્મિનસના વર્ણનમાં આતંકવાદી કસાબનો ઉલ્લેખ છે, પણ પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં દલિતોને પ્રવેશ આપવા માટે સામે ગુરુજીએ કરેલા સત્યાગ્રહનો સંદર્ભ નથી. કન્યાકુમારીનું વિવેકાનંદ સ્મૃિતમંદિર છે પણ ચૈત્યભૂમિ તરીકે ઓળખાતું બાબાસાહેબ આંબેડકરનું દાદરમાં આવેલ સ્મારક નથી. રાજાબાઈ ટાવર ઉપરાંત મહિલા સંબંધી કોઈ પ્રમુખ બિનધાર્મિક સ્થાપત્યશિલ્પ આ પુરુષસત્તાક સંસ્કૃિતએ બનાવ્યાં છે કે કેમ એ પ્રશ્ન રહે છે.

બીજા પ્રકાશકો કરતાં ઓછી સંખ્યામાં પણ ગુણવત્તાવાળા પુસ્તકો પ્રસિદ્ધ કરનાર અરુણોદય પ્રકાશનના આ નવા પુસ્તકનું નિર્માણ દૃષ્ટિપૂર્વક થયું છે. એસ.એમ. ફરીદનાં આવરણ અને બુકડિઝાઈન પ્રભાવશાળી છે. પુસ્તકમાંની સંખ્યાબંધ શ્વેત-શ્યામ તસવીરો લેખકની ફોટોગ્રાફી કળા પણ બતાવે છે. પુસ્તકના પહેલા ઉપરણામાં લખ્યું છે : ‘શિલ્પોનાં સંરક્ષણ અને સાચવણીનું કામ માત્ર સરકારી તંત્ર અને તેના બાબુઓ પર ન છોડી દેતાં આપણે તેની કાળજી લઈએ. આ પુસ્તક એ સમજણ તરફ આપણી ગતિ કરે તો એ પરિતોષ સહુનો બની રહેશે.’           

25 જુલાઈ 2015

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

31 July 2015 admin
← ગંગુરામ પાનવાળો
આઇડેન્ટિટી પોલિટિક્સથી નાગરિકતા ભણી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved