Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાહુ મહારાજ એટલે સામાજિક ન્યાયની પ્રત્યંચા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2024

ચંદુ મહેરિયા

કોલ્હાપુર નરેશ છત્રપતિ શાહુ મહારાજ(જન્મ –  26 જૂન 1874 – અવસાન 06 મે, 1920)ની આવરદા તો હતી માંડ અડતાળીસ વરસની જ. પરંતુ આટલા ટૂંકા જીવનકાળમાં એમણે સમાજ સુધારણાના એવા તો બેમિસાલ કામો કર્યાં હતા કે  ભારતના સામાજિક આંદોલનના ઇતિહાસમાં તેઓનું માનભર્યું સ્થાન છે. ૧૮૯૦માં મહાત્મા ફુલેનું અવસાન થાય છે અને ૧૯૧૯માં ડો. આંબેડકર જાહેરજીવનમાં પ્રવેશે છે તે ગાળામાં શાહુ મહારાજે કરેલાં કામો ફુલે-આંબેડકર વચ્ચે અવકાશપૂરક નહોતા. પરંતુ તેની આગવી અને અમીટ છાપ છે.

છત્રપતિ શિવાજીના ત્રીજી પેઢીના વંશજ અને તેમણે સ્થાપેલ મરાઠા સામ્રાજ્યના પાંચમા છત્રપતિ શાહુ મહારાજ રાજકુળમાં જન્મ્યા નહોતા. શિવાજીની જેમ તેઓ પણ જન્મે શૂદ્ર હતા. કોલ્હાપુરના રાજવી શિવાજી ચોથાની હત્યાથી તેમના સંતાનવિહોણા વિધવા આનંદીબાઈએ જાગીરદાર જયસિંહરાવ ઘાટગેના દસ વરસના પુત્ર યશવંતરાવને ૧૮૮૪માં દત્તક લીધા હતા. આનંદીબાઈના આ દત્તક પુત્ર એ જ કોલ્હા પુરનરેશ શાહુ મહારાજ. ગુજરાત સાથે શાહુ મહારાજનો મહત્ત્વનો નાતો રહ્યો છે. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. વડોદરાનાં મરાઠા સરદારનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે તેમના લગ્ન થયાં હતાં.

વીસ વરસની વયે ૧૮૯૪માં જ્યારે શાહુ મહારાજે રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારનો સમાજ રૂઢિદાસ્ય, ભીષણ વર્ણવાદ અને આભડછેટ, મહિલાઓની બદતર હાલત, નિરક્ષરતા, ગરીબી અને ગુલામીમાં સબડતો હતો. યુવાન રાજવી શાહુ પણ તે માંહેલા જ હતા. તેમની કેફિયત પ્રમાણે તેઓ કન્જર્વેટિવ કે પુરાણપંથી હતા. જ્ઞાતિભેદ ટકવો જોઈએ અને તેનું પાલન થવું જોઈએ તેવું માનનારા હતા. આ પ્રકારના જ્ઞાતિગુમાનથી અન્યનો વિકાસ રૂંધાય છે તેનું પણ તેમને ભાન નહોતું એમ પણ તેમણે લખ્યું છે. કોલ્હાપુર રાજ્યની પ્રજાની વચ્ચે રહેતા-ફરતાં અને પુરોહિત વર્ગના પોતાના પ્રત્યેના વર્તનના જાત અનુભવથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને વિચારો બદલાયા. તેમના સામાજિક સુધારણાના કામોનો રાજ્યના કથિત ઉચ્ચ વર્ણના લોકોએ ભારે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે રાજગાદી છોડીશ પરંતુ સામાજિક પ્રતિબધ્ધતાના કાર્યોમાં પીછેહઠ નહીં જ કરું. ડો. આંબેડકર સાથેનો તેમનો સંબંધ તો અઢીએક વરસનો (૧૯૧૯થી ૧૯૨૨) રહ્યો. પરંતુ બાબાસાહેબે તેમને સામાજિક લોકતંત્રના આધારસ્તંભ કહી બિરદાવ્યા એ કક્ષાના તેમના  કામો હતાં.

કોલ્હાપુરના રાજવહીવટમાં એક જ્ઞાતિવિશેષનું કે બ્રાહ્મણોનું પ્રભુત્વ છે અને વહીવટ સર્વસમાવેશી નથી તેવું શાહુ મહારાજના ધ્યાનમાં આવ્યું. સ્વતંત્ર ભારતમાં આજે પણ શક્ય નથી તે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તેમણે ૧૯૦૧માં કરાવી હતી. રાજ્યવહીવટના મહત્ત્વના ૭૧ અધિકારીઓમાં ૬૦ અને ૫૦૦ કારકુનોમાં ૪૯૦ બ્રાહ્મણો હતા. એટલે ૨૬મી જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે અભિનવ પહેલ કરીને કથિત અસ્પૃશ્યો અને પછાતો માટે ૫૦ ટકા અનામત દાખલ કરી હતી. તેથી આજે પણ તેઓનું અનામતના જનક તરીકે સ્મરણ કરવામાં આવે છે. તેઓ રાજ્યના વહીવટમાં તમામ જ્ઞાતિઓની સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા. અનામત દ્વારા સામાજિક ન્યાયનું તેમનુ કદમ સફળ થયું હતું. અમલના દસ જ વરસમાં, ૧૯૧૨માં, કોલ્હાપુર રાજ્યમાં ૯૫માંથી ૬૦ અધિકારીઓ બિનબ્રાહ્મણો હતા. શાહુ મહારાજ તેથી અટક્યા નહીં. તેમણે કોલ્હાપુર નગરપાલિકામાં પણ કથિત અછૂતો માટે અનામત બેઠકો મુકરર કરી. તેના લીધે જ તેમની રાજવટ દરમિયાન એક દલિત કોલ્હાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

સમાજ સુધારણાનાં કોઈ કામો શાહુ મહારાજે બાકી રાખ્યાં નહોતા. મહાત્મા ફૂલેનાં કાર્યોનો તેમના પર જબ્બર પ્રભાવ હતો. તેમની સંસ્થા સત્ય શોધક સમાજની તેમણે પોતાના રાજ્યમાં રચના કરી અને ફુલેનાં કાર્યો આગળ ધપાવ્યા. ફુલે-આંબેડકરની જેમ શાહુ પણ વંચિતોના વિકાસમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા હતા. ૧૯૧૨માં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યુ અને પાંચ વરસ પછી ૧૯૧૭માં નિ:શુલ્ક કર્યું હતું. ૫૦૦થી ૧૦૦૦ની વસ્તીના ગામોમાં પ્રાથમિક શાળા ખોલી. શાળાઓમાં દલિતો-પછાતો પ્રત્યે કોઈ ભેદભાવ આચરવામાં ના આવે તે માટેનું ફરમાન જારી કર્યું. તેમના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યે આર્થિક મદદ કરી. જ્ઞાતિના વિરોધી હોવા છતાં તત્કાલીન સમયની સ્થિતિ પારખીને બ્રાહ્મણ, મરાઠા, મહાર, ક્ષત્રિય, વૈશ્ય  માટે જ નહીં ખ્રિસ્તી, મુસલમાન અને જૈનો માટે પણ અલગ હોસ્ટેલ્સ શરૂ કરી હતી. હાયર એજ્યુકેશન માટે કોલ્હાપુર શહેરમાં જ ૨૨ હોસ્ટેલનું નિર્માણ કર્યું હતું.

રાજર્ષિ શાહુ ડો. આંબેડકરના સાથી, સમર્થક અને સહાયક હતા. ૧૯૧૯માં તેઓ સામે ચાલીને નવ યુવાન આંબેડકરને મળવા મુંબઈ ગયા હતા. ૧૯૧૯માં માણગાંવ પરિષદના અધ્યક્ષ તરીકે તેમણે આંબેડકરની પ્રતિભા અને પ્રતિબધ્ધતા પારખીને દલિતોને તેનો સાચો નેતા મળી ગયો છે અને તે તેમનો ઉધ્ધારક બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બાબાસાહેબને એમના અધૂરા વિદેશ અભ્યાસ માટે તો એમણે આર્થિક સહાય કરી તેમના વિદેશવાસ દરમિયાન પત્ની અને બાળકોને સાચવ્યાં. જે જમાનામાં સોનુ તેર રૂપિયે તોલો હતું ત્યારે તેમણે આંબેડકરના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ને રૂ. ૨,૫૦૦ની માતબર સહાય કરી હતી. રાજ્યના વહીવટ, શિક્ષણ અને દવાખાનાઓમાં આભડછેટનું આચરણ ના થાય તે માટે તેમણે નિયમો ઘડ્યા હતા. જ્ઞાતિને તેઓ સમાજના સર્વાંગીણ વિકાસના માર્ગનું રોડું માનતા હતા. એટલે તેનું સંપૂર્ણ નિર્મૂલન થાય તે માટેના તેમના પ્રયાસો હતા. જ્ઞાતિભેદનો વિરોધ કરનારા પણ જ્યારે જ્ઞાતિદ્વેષ ના રખાવો જોઈએ એમ કહેતા ત્યારે શાહુ મહારાજનો જવાબ રહેતો  કે જ્ઞાતિને કારણે જ બેઉ છે એટલે એક સારું ને બીજું નહીં સારું એવું ન ચાલે.

મહિલાઓની સ્થિતિ સુધારવા તેમણે રાજ્યમાં મહિલાઓ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. દીકરીઓને પિતાની સંપત્તિની વારસ  ઠેરવતા કાયદા ઘડ્યા. બાળલગ્નને પ્રતિબંધિત કર્યા તો વિધવા વિવાહનું સમર્થન કર્યું હતું. દલિત મહિલાઓનાં જાતીય શોષણની ધાર્મિક પ્રથા દેવદાસી પર પ્રતિબંધ લાદ્યો. આંતરજ્ઞાતિય લગ્નોને પણ મંજૂરી અને પ્રોત્સાહન આપ્યા હતા. બાળમજૂરી જ નહીં વેઠપ્રથા પણ બંધ કરાવી હતી. થોડી જમીનના ટુકડા માટે આખા કુટુંબે ગામની મફત સેવા કરવાની બલુંતદારી પ્રથામાંથી અછૂતોની મુક્ત કરાવી આર્થિક પરાધિનતામાંથી છોડાવ્યા હતા. ખેડૂતો માટે સહકારી ધોરણે મંડળીઓ બનાવી બજાર પૂરું પાડ્યું. તેમને ખેતીમાં પ્રયોગો કરવા કે ખેતી સુધારવા વિદેશથી નિષ્ણાતો બોલાવી માર્ગદર્શન અપાવ્યું. આધુનિક કૃષિના સાધનો ખરીદવા નાણાંકીય મદદ કરી.

બ્રિટિશકાલિન ભારતના દસ પ્રભાવશાળી રાજ્યો પૈકીના એક કોલ્હાપુરમાં શાહુજીએ ધર્મસ્થળોની સંપત્તિ અને દાનને લોકહિતનાં કાર્યોમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. સદી પૂર્વે મંદિરોના પૂજારી તરીકે મરાઠાઓની નિમણૂક કરવાનો નિર્ણય ભારે વિરોધ છતાં અમલી બનાવ્યો. બિનબ્રાહ્મણ પૂજારીઓની સમયબદ્ધ તાલીમ માટે વ્યવસ્થા કરી. તમામ વિદ્યાર્થીઓને સમાન ધોરણે શાસ્ત્રોનું જ્ઞાન મળે તે માટે વૈદિક શાળાઓ સ્થાપી હતી.

સમાજ સુધારક શાહુએ આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખ્યો હતો. ૧૯૦૬માં એમણે સ્પિનિંગ અને વિવિંગ મિલ સ્થાપી ઉદ્યોગો તરફ પ્રજાને વાળી. ૧૯૦૭માં ભોગાવતી નદી પર વિખ્યાત ઈજનેર વિશ્વેશ્વસરૈયાના માર્ગદર્શનમાં રાધાનગરી બંધ બંધાવવો શરૂ કર્યો હતો. બંધને કારણે નદીનું પાણી રોકી પૂર અને દુકાળથી લોકોને બચાવ્યા તો પીવાના અને સિંચાઈના પાણી ઉપરાંત બંધને લીધે જળવિધ્યુત ઉત્પન્ન કરવાનું ગોઠવ્યું. આજે પણ રાધાનગરી બંધ શાહુ મહારાજના સ્મૃતિ થાનક તરીકે હયાત છે.

ચૂંટણી ટાણે ગરીબો કે દલિતોના વોટ મેળવવા કે તેમની વોટબેન્ક્નું સમર્થન હાંસલ કરવા આજના રાજનેતાઓ તેમના ઘરે વાળુપાણી કરવા પહોંચી જાય છે. પરંતુ શાહુ મહારાજનો આભડછેટ નાબૂદી અને દીનદુખિયા પ્રત્યેની સંવેદનાનો અભિગમ સાચા દિલનો અને નોખો હતો. અસ્પૃશ્યતાનો ભોગ બનેલા રાજમહેલના દલિત કર્મચારી ગંગારામ કાંબળેને નોકરી છોડાવી મહારાજે મદદ કરી ચાની લારી ચાલુ કરાવી. અછૂત ગંગારામની  ચા કોઈ પીવે નહીં એટલે લોકસંપર્ક કે શિકારે જતા શાહુ મહારાજ રોજ અચૂક ગંગારામની લારીએ જતા અને તેની ચા પીતા. સાથે આવેલા સૌને પીવડાવતા. આ રીતે મહારાજે કોઈ દબાણ કે ધાકધમકી સિવાય ખુદના આચરણથી દલિતની ચા સૌને પીતા કર્યા. અને આભડછેટ અંશત દૂર કરી.

મહારાષ્ટ્ર અને ભારતના આવા અનન્ય સમાજ સુધારક શાહુ મહારાજને દોઢસોમા જન્મ પર્વે આદરભેર સલામ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

3 July 2024 Vipool Kalyani
← રોજગારી
નરેન્દ્ર મોદી હવે રાજા નથી અને રાહુલ ગાંધી પપ્પુ નથી →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved