Opinion Magazine
Number of visits: 9487305
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્તનાં ટોળાં ન હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2024

રમેશ ઓઝા

ભારતમાં ભક્તિપરંપરા પ્રાચીન છે. મોક્ષ માટે ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા છે જેમાં જ્ઞાન (કેવળજ્ઞાન કે પરમજ્ઞાન) અને ધ્યાન (સાધના-ઉપાસના) ઉપરાંત ભક્તિનો પણ સમાવેશ થાય છે. તેના માટે યોગ વિશેષણ પણ વાપરવામાં આવે છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગ. મૂળ ઇસ્લામમાં ઈશ્વર સાથે એકાકારનો અનુભવ કરનારી ભક્તિ નથી, એટલે સૂફી પરંપરા વિકસી હતી. મૂળભૂતવાદી મુસલમાનો સૂફીઓને ધિક્કારે છે, તેનું કારણ એ છે કે તેમના કહેવા મુજબ સાચો મુસલમાન ખુદાથી ડરનારો, તેની તાબેદારી સ્વીકારનારો, દાસ હોવો જોઈએ; ખુદા સાથે લાડ કરનારો, તેની સાથે તુંકારાનો સંબંધ રાખનારો અને તેની સાથે ઈશ્ક કરનારો ન હોવો જોઈએ. કવિ ઇકબાલ આવા એક સૂફી પરિવારમાંથી આવતા હતા એટલે તેમની શરૂઆતની રચનાઓ દ્વેષમુક્ત કે ચડિયાતાપણાથી મુક્ત એવી પ્રેમથી છલકાતી જોવા મળતી હતી. ઇકબાલની સારે જહાંસે અચ્છા તમે જાણો છો. પાછળથી ઇકબાલે ઇસ્લામનો અભ્યાસ કર્યો અને તેઓ સૂફી ઇસ્લામનો અને તમે એમ કહી શકો કે તેઓ ભારતીય ઇસ્લામના વિરોધી બની ગયા. તેમણે કહ્યું હતું કે સૂફી પરંપરા પર હિંદુ પ્રભાવ છે અને માટે બીદ્દત (માર્ગ ભૂલવો, ભટકી પડવું) છે. પછીના ઇકબાલ પાકિસ્તાનના શિલ્પકાર હતા.

આમ ભક્તિ હિંદુઓના લોહીમાં છે. તેની લાંબી પરંપરા છે. નારદનાં ભક્તિસૂત્ર તો બહુ જાણીતાં છે. બીજા દાર્શનિકોએ પણ ભક્તિનો મહિમા કર્યો છે. આધુનિક યુગમાં રામકૃષ્ણ પરમહંસે ભક્તિનો મહિમા કર્યો છે અને સાચા ભક્ત બનીને જીવ્યા છે. આપણા મધ્યકાલીન યુગને તો ભક્તિયુગ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાને ભક્ત નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે, આચાર્ય નરસિહ તરીકે નહીં. શંકર આચાર્ય તરીકે ઓળખાયા એટલે શાંકરવેદાંતીઓએ શંકરને વિજયી બનાવવા માટે શંકરદિગ્વિજયનો ઘટાટોપ રચવો પડ્યો અને એ પછી અનુવર્તી આચાર્યો અને તેમના અનુયાયીઓ આપસમાં જે બાખડ્યા છે તેનો લાંબો ઇતિહાસ છે. કેટલાક લોકોનો તો અભિપ્રાય છે કે આચાર્ય પરંપરાએ હિંદુઓનું અને ભારતનું નુકસાન કર્યું છે. જગત મિથ્યા છે, પણ હાથી આવે તો જીવ બચાવવા નાસી જવું જોઈએ. ના, હાથી પણ મિથ્યા હતો અને નાસી જવું પણ મિથ્યા હતું. આવી મલ્લીનાથી સદીઓથી ચાલતી આવી છે. શ્રમણ અને બ્રાહ્મણથી શરૂ કરીને આચાર્યો સહિતનાઓએ બાલની ખાલ ઊતારી છે. જો કે આજના યુગના મોટા વિચારક અમર્ત્ય સેન તો કહે છે કે એ આપણી વિમર્શ પરંપરા હતી. ભિન્ન મત ધરાવવાની અને મતને લઈને લડવાની મોકળાશ આપણે ત્યાં હતી જે હવે લુપ્ત થતી જાય છે.

પણ બાલની ખાલ ઉતારનારી, પ્રત્યેક શબ્દને પીંજી નાખનારી, પ્રતિદ્વંદ્વીનો જાન નહીં છોડનારી અને પાછો વિવાદ શિષ્યો દ્વારા વારસામાં આપી જનારી આ પરંપરા જોઇને અમર્ત્ય સેન ભલે રાજી થયા હોય, પણ કેટલાક લોકોને એમ લાગતું હતું કે આમાં ઈશ્વર તો હાથમાં આવતો જ નથી. ઈશ્વર એની જગ્યાએ છે અને તેને નામે ચાલતું બૌદ્ધિક ધીંગાણું બીજી જગ્યાએ છે. કેટલાક લોકોને એમ લાગ્યું કે ઈશ્વરે એક જ આયખું આપ્યું છે જે મૂલ્યવાન છે તે આવી મલ્લીનાથી કરવામાં ખર્ચવાનું કે પછી ઈશ્વર માટે ખર્ચવાનું? અને ઈશ્વર સાથે એકાકાર થવા માટે નથી બુદ્ધિની જરૂર, નથી તર્કશક્તિની જરૂર, નથી વાક્શક્તિની જરૂર, નથી અનુયાયીઓનાં સંખ્યાબળની જરૂર, નથી ગ્રંથોની જરૂર, નથી પંથોની જરૂર, નથી ભાષ્યકારોની જરૂર કે નથી કોઈના સમર્થનની જરૂર. સાવ એકલા અટુલા હોઈએ તો પણ શો ફરક પડે છે? ભક્તનાં ટોળાં ન હોય, ચોક્કસ વિચારધારામાં માનનારાઓનાં ટોળાં હોય.

ઓશોએ તેમના એક વક્તવ્યમાં બહુ સરસ પ્રસંગ ટાંક્યો છે. એકવાર એક નદીમાં પૂર આવ્યું. બે સાંઠીકડા તેમાં તણાઈ રહ્યા હતા. એક સાંઠીકડું પૂરથી બચવા માટે અને પોતાની જગ્યા પકડી રાખવા માટે આકાશપાતાળ એક કરતું હતું. દરેક ઉપાય અજમાવવતું હતું. બીજું સાંઠીકડું પાણી જ્યાં લઈ ત્યાં જવા તૈયાર હતું. મારી ચિંતા પૂર લાવનારે કરવાની છે, હું અહી હોઉં કે બીજે તેનાથી શો ફરક પડે છે. પહેલું લક્ષણ જ્ઞાનીનું છે, પણ સાચો જ્ઞાની. મારી જગ્યા અને મારો માર્ગ હું નક્કી કરીશ, બીજું કોણ જે મારી જગ્યા અને માર્ગ નક્કી કરે. તૂટી જઈશ, ખતમ થઈ જઈશ પણ જ્યાં સુધી કોઈની વાત ગળે ન ઉતરે ત્યાં સુધી કોઈને ય શરણે નહીં જઉં. બીજું લક્ષણ ભક્તનું છે. મારે શીદને ચિંતા કરવી જોઈએ! હું ક્યાં મારી ઈચ્છાથી આ દુનિયામાં આવ્યો છું. જેની ઈચ્છાનું હું પરિણામ છું એ ચિંતા કરશે. બન્ને પ્રામાણિક છે અને બન્ને શૂરવીર છે. એક સરખાં, ન કોઈ ઉપર ન કોઈ નીચે.

ભક્ત ચર્ચામાં નથી ઉતરતો, ભક્ત પ્રતિવાદ નથી કરતો. ભક્ત માત્ર ઈશ્વર સાથે અને પોતાની જાત સાથે સંવાદ કરે છે. ભક્તની ભક્તિ પ્રેમલક્ષણા હોય છે. ભક્ત નિ:શંક રહે છે. ભક્ત ધ્રુવ જેવો અચલ હોય છે એટલે ભક્ત ટીકાથી વિચલિત નથી થતો. ભક્ત નિર્ભય હોય છે. ભક્ત પોતાની મસ્તીમાં રહે છે. ભક્તની આંખમાંથી પ્રેમ વરસતો હોય છે અને બીજાનું દુ:ખ જોઇને કવચિત આંસુ. દ્વેષ અને કટુવચન શું કહેવાય એ ભક્ત જાણતો જ નથી હોતો. વિચારના પ્રદેશમાં એ પ્રવેશતો જ નથી, કારણ કે વિચારનો સ્વભાવ જ વાડા બનાવનારો અને વાડા અલગ કરનારો હોય છે. વિચારવાની તે આદત પણ કેળવતો નથી અને તેની કોઈ જરૂર પણ નથી હોતી. ભક્ત તેના ભગવાનનો રખેવાળ, ચોકિયાત કે તેનો ગુરખો બનીને જીવતો નથી કારણ કે તેને તેના ભગવાન પર ભરોસો હોય છે.

આ ભક્તનાં લક્ષણ છે અને ઓશોએ મારી જગ્યા હું નહીં છોડું અને છોડીશ તો મારી ઈચ્છાથી જ છોડીશ એવું સાંઠીકડાનું રૂપક આપીને કહ્યું એ જ્ઞાનીના લક્ષણ છે. માટે વિચારની ઉપાસના  કરવી હોય તો જ્ઞાનીના લક્ષણ જાણી લેવાં અને ભક્તિ કરવી હોય તો ભક્તનાં લક્ષણ જાણી લેવાં. અન્યથા ન સરખી ભક્તિ થાય કે ન બે વાક્યો કહેવા જેટલો વિચાર સાથ આપે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024

Loading

5 May 2024 Vipool Kalyani
← ચૂંટણીનાં પરિણામો ગમે તે આવે, પણ વડા પ્રધાન અંદરથી હલી ગયા છે !
ચૂંટણી 2024: પરિણામ આવતા પહેલા સ્વીકારી લેવામાં ખરી નિષ્ફળતા મતદાતાઓની છે →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved