Opinion Magazine
Number of visits: 9504124
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|30 April 2024

ગુજરાતના પાંસઠમા જન્મ પર્વને અનુલક્ષીને બે શબ્દો લખવા વિચારું છું ત્યારે ચિત્ત 1960ના મે દિવસની પૂર્વરાત્રિએ અમદાવાદના ટાઉન હૉલમાં પહોંચી જતું અનુભવું છું.

પ્રકાશ ન. શાહ

ગુજરાત રાજ્યની રચનાને વધાવતું કવિ સંમેલન છે, અને ઉમાશંકર જોશી પઠન કરી રહ્યા છે : ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’ વળી સવારે, રવિશંકર મહારાજ ગુજરાત રાજ્યનું મંગળાચરણ કરે તેનીયે પૂર્વે, આકાશવાણી (અમદાવાદ) પરથી કવિને કંઠે વળી એક વાર આ જ રચનાનું પઠન સાંભળવાનું બન્યું હતું.

આ લખતી વેળાએ ‘સમગ્ર કવિતા’માંથી પસાર થતાં જોઉં છું કે ગુજરાત વિધિવત રચાવાનું હતું તેના બે’ક દિવસ પહેલાં, 29મી એપ્રિલે, તે નિમિત્તે ચાર રચનાઓનું ગુચ્છ ઊતરી આવ્યું હતું. કવિએ ‘ગાંધીને પગલે પગલે’ સહિતની આ ચારે રચનાઓને આપેલું ગુચ્છનામ પણ ગુજરાત વિશેના એમના હૃદયભાવને સુરેખ ઉપસાવી આપે છે : ‘ગુજરાત-સ્તવનો.’

હમણાં મેં એમનો હૃદયભાવ સુરેખ ઊપસી રહે છે એવી જે જિકર કરી તેમાં એક સાભિપ્રાયતા હતી અને છે – ખાસ કરીને ‘સુરેખ’ એ પ્રયોગ પૂંઠે. આપણા એકના એક ગોમાત્રિ(‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી)ને જેવો ને જેટલો ગમતો પ્રયોગ ‘રમણીય’ હતો, ઉમાશંકરને કદાચ એવો ને એટલો ગમતો પ્રયોગ ‘સુરેખ’ હતો.

ઉમાશંકર જોશી

તમે જુઓ, ગાંધીને પગલે પગલે ચાલવું તે શું, આપણા કવિએ સુરેખ વ્યાખ્યાયિત કર્યું છે : ‘સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત?’ આગળ ચાલતાં વળી ઉમેર્યું છે : ‘બિરૂદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત?’

આ ગુચ્છમાં ચોથી રચના ‘ધન્ય ભૂમિ ગુજરાત’ છે. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ની એમની નોંધમાં સાભિપ્રાય સંભાર્યું છે કે પહેલી મે 1960ની સવારે આકાશવાણી પર ‘ગાંધીને પગલે પગલે’નું પઠન કર્યું હતું જ્યારે ‘ધન્ય ભૂમિ ગુજરાત’ સ્તોત્ર રૂપે રમતું કર્યું હતું.

આ સ્તોત્રમાં ગાંધી સાથે અંતરે અંતરે સંભારાતું ધન્ય નામ કૃષ્ણનું છે. ગાંધીને સંભાર્યા છે ગુજરાતીને ‘ગાંધીગિરા’ કહીને, અને કૃષ્ણને વળી ગુજરાત વિશે ‘કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા’ એ ઉલ્લેખ‌વિશેષ કરીને. વ્યક્તિનામો, વિસ્તારનામો, નદીનામો, ધર્મનામો બધાની યાદી ધ્રોપટ ચાલી આવે છે. પણ વળી વળીને ‘ધન્ય ભૂમિ ગુજરાત’ એ સ્તોત્ર ઠરે તો છે કૃષ્ણ ગિરા ગુજરાતી / કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.’ (ઉમાશંકરે એમની રચનામાં ‘ગાંધીગિરા’ એ પ્રયોગ 1960ની રાજ્યરચના વખતે જ પહેલી વાર કર્યો છે એવું નથી.

હમણેનાં વરસોમાં માતૃભાષા દિવસ મનાવવાનો ચાલ શરૂ થયો છે ત્યારથી દર 21મી ફેબ્રુઆરીએ એમની જે રચના સંભારાય છે એનું તો શીર્ષક જ ‘ગાંધીગિરા’ એવું છે. 1955ના માર્ચમાં એમણે એનો ઉપાડ આમ કર્યો હતો : ‘સદા સૌમ્ય શી ‌વૈભવે ઊભરાતી / મળી માતૃભષા મને ગુજરાતી.’ અને રચનાના અંતભાગે છે : ‘ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી / નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.’ નોંધ્યું તમે? ‘પગલે પગલે’માં ‘સત્ય-અહિંસાની આંખે’ એવો પ્રયોગ હતો અહીં પણ ‘સત્ય-સાથી અહિંસા-સુહાતી’ આવી મળે છે.

ચાર ગુજરાત-સ્તવનો પૈકી બેની વાત મેં કરી. બીજાં બે પણ સાથે સાથે સંભારી જ લઉં. મે 1960 કરતાં મે 2024માં એમનું મહત્ત્વ પણ કંઈક અધિક છે. દેશને નામે, ભાષાને નામે, ધર્મકોમને નામે સાંકડી સામસામી ઓળખોનું જે રાજકારણ ચાલ્યું છે એની વચ્ચે એકવીસમી સદીના પહેલા ચરણના ઉંબર મહિનાઓમાં આ બે રચનાઓનો સંદેશ કદાચ વિપળ વાર પણ વહેલો નથી.

‘એ તે કેવો ગુજરાતી’ – રચનાની ઉપાડપંક્તિ પણ આ જ છે: ‘એ તે કેવો ગુજરાતી’ અને વાંસોવાંસ દેખીતો પ્રશ્નરૂપ પણ ખરેખર ઉત્તર આવી મળે છે : ‘જે હો કેવળ ગુજરાતી?’ આગળ ચાલતાં વળી કવિ કહે છે : ‘તે નહિ નહીં જ ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી.’

‘એ તે કેવો ગુજરાતી -’ જોડે જ જતી રચના ‘હું ગુર્જર ભારતવાસી’ છે. આ અલબત્ત ‘ધન્ય ધરા’ છે, કેમ કે ‘કૃષ્ણ વસ્યા જ્યાં’ અને વળી ‘ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.’ પણ કવિની ગુર્જર ભારતવાસીની વ્યાખ્યા અને ‘ગાંધીને પગલે પગલે’ની સમજ ડોંગરેના બાલામૃત જેવા કોઈ ગીતામૃતમાં ગંઠાયેલી નથી. 

‘હું ગુર્જર ભારતવાસી / ઝંખો પલ પલ સહુ જનમંગલ મન મારું ઉલ્લાસી / હું…’થી ઊઘડતી આ રચના વિરમે છે (કદાચ ત્યાંથી જ શરૂ થાય છે) તો આ પંક્તિઓમાં : ‘સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થ નિવાસી હું ગુર્જર ભારતવાસી.’

કવિએ ગુજરાતનું અલગ એકમ અસ્તિત્વમાં આવ્યું એના ઉંબર દિવસોમાં, 1960ના એપ્રિલની 29મીએ એકસાથે ચાર રચનાઓનું જે ગુચ્છ ‘ગુજરાત-સ્તવનો’ના આદિમથાળે ભર્યાઁ નારિયેળ પેઠે રમતું મેલ્યું એમાં વીસમી સદીએ રાષ્ટ્રવાદની યુરોપીય ભેટ અને એશિયાએ કરેલ એની વરવી નકલનાં માઠાં પરિણામો બાબતે ચિંતા, ચિંતન (પ્રકારાન્તરે ચેતવણી પણ) વિલક્ષણ રીતે પ્રગટ થવા કરે છે. પ્રાદેશિક એકમનો સહજ સ્વીકાર ને સહજ આનંદ, એ જ તબક્કે નહીં ગંઠાતાં, નહીં રૂંધાતાં ‘ભારતવાસી’ની ઓળખે પહોંચી, ત્યાં પણ નહીં અટકતાં ‘જગતનાગરિક’ રૂપે વિલસવા કરે છે.

કવિનો જે ગુજરાતી છે તે કદાચ એટલે માટે જ ગુજરાતી છે કે તે કેવળ ગુજરાતી નથી. રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો વિશે ચિંતા સેવતા વિશ્વકવિ રવીન્દ્રનાથ અને વિશ્વહિતને અવિરોધી રાષ્ટ્રભાવનાપૂર્વક સાબર તટે આશ્રમ માંડતાં ગાંધી, એ બેને જે વિશ્વબંગાળી, વિશ્વગુજરાતી ગુર્જર ભારતવાસી જગતનાગિરક અભીષ્ટ છે એનું આરતભર્યું ગાન કહો તો ગાન, કવન કહો તો કવન લઈને ઉમાશંકર ગિરા ગુજરાતીના દરબારમાં ઉપસ્થિત થયા હતા … એ 30 એપ્રિલ 1960ની રાત, એ 1 મે 1960નું પ્રભાત!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024

Loading

30 April 2024 Vipool Kalyani
← મતદારોનું મૌન પક્ષોને અકળાવે છે: બીજા ચરણમાં ‘400 પાર’નો નારો કેમ ગાયબ થઇ ગયો?
‘તમામ મોસમના વિચારક’ સુધીર કક્કડને અલવિદા →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved