Opinion Magazine
Number of visits: 9446914
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવીય મૂલ્યો V/S મૂળભૂત મૂલ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|14 January 2024

પરિવારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, ચોક્કસ ધાર્મિક વ્યવસ્થામાં, શાસનમાં માત્ર અને માત્ર વ્યક્તિ કેન્દ્રમાં હોવી જોઈએ

રમેશ ઓઝા

સુજ્ઞ વાચકોએ નોંધ્યું હશે કે જ્યારે પણ મુસલમાનોમાં બુરખા, હિજાબ, તિન તલ્લાક કે એક કરતાં વધુ સ્ત્રી સાથે લગ્નની વાત આવે ત્યારે મુસ્લિમ વિદ્વાનો શરિયત(કુરાન અને હદીસ)નો હવાલો આપીને આ બધી ચીજોની વિરુદ્ધમાં કે તરફેણમાં દલીલો કરે છે. શા માટે? જો આ બધી ચીજો વર્જ્ય છે તો વર્જ્ય છે, એમાં શરિયતનો હવાલો આપવાની શી જરૂર છે? પણ પ્રગતિશીલ મુસલમાનોના હાથ બંધાયેલા છે. ઇસ્લામ મુજબ કુરાન અને હદીસ સદૈવ માર્ગદર્શન આપનારા, કાલજયી ગ્રંથ છે. એમાં કહેલી એક પણ વાત અપ્રાસંગિક ન હોઈ શકે. ઇસ્લામમાન્ય ન હોય એવી કોઈ ચીજ મુસલમાન અપનાવી ન શકે અને માટે પ્રગતિશીલ મુસલમાનોએ પણ સારી ચીજ સ્વીકાર્ય બનાવવા માટે કુરાન અને હદીસનો હવાલો આપવો પડે છે. મેં એક વાર સુધારાવાદી મુસ્લિમ વિદ્વાન અસગરઅલી એન્જિનિયરને પૂછ્યું હતું કે તમે ન્યાય અને સમાનતા જેવાં મૂળભૂત માનવીય મૂલ્યોનો બચાવ ઇસ્લામનો હવાલો આપ્યા વિના ક્યારે કરશો? તેમણે મારા પ્રશ્નનો જવાબ ટાળી દીધો હતો.

આવું ગાંધીજીએ પણ કરવું પડ્યું હતું. તેમણે જ્યારે અસ્પૃશ્યતા નિર્મૂલનનું આંદોલન શરૂ કર્યું ત્યારે સનાતની પંડિતોએ ધર્મગ્રંથોનો હવાલો આપીને તેમના પર આક્રમણ કર્યું હતું. અસ્પૃશ્યતા ધર્મમાન્ય છે અને તે સનાતન ધર્મનો અવિભાજ્ય હિસ્સો છે એવી દલીલો તેઓ ધર્મગ્રંથોનો હવાલો આપીને કરતા હતા. ગાંધીજીએ જ્યારે જોયું કે સનાતનીઓના ધર્મગ્રંથોના હવાલાઓની લોકો પર અસર થઈ રહી છે ત્યારે તેમણે કેવલાનંદ સરસ્વતી, તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોશી, શ્રીપાદ દામોદર સાતવલેકર જેવા વિદ્વાનોને પૂછ્યું હતું કે શું અસ્પૃશ્યતા ધર્મમાન્ય છે? ધર્મગ્રંથો તપાસીને મારું માર્ગદર્શન કરો. આ બધા વિદ્વાનોએ કહ્યું હતું કે ચાતુરવર્ણ્ય અને અસ્પૃશ્યતા બે જુદી વસ્તુ છે. ચાતુરવર્ણ્ય સનાતન ધર્મનો હિસ્સો છે, અસ્પૃશ્યતા નથી. પણ એ પછી પણ સામા પક્ષે વિતંડાનો અંત નહોતો આવ્યો.

પણ ગાંધીજી તો ગાંધીજી હતા. ગણતરીનાં વર્ષોમાં તેમણે ધર્મનો આધાર લેવાનું બંધ કરી દીધું હતું અને એક સમયે તો ત્યાં સુધી કહ્યું હતું કે ખૂદ ભગવાન આવીને મને કહે કે સનાતન ધર્મની રચના મેં કરી છે અને તેમાં અસ્પૃશ્યતા અનિવાર્ય છે તો હું ભગવાનને કહી દઈશ કે મને તમારો આ અભિપ્રાય સ્વીકાર્ય નથી. જે માનવીય ન હોય એ ધાર્મિક ન હોય. એ પછીથી ગાંધીજીએ અસ્પૃશ્યતા નિર્મૂલન માટે ધર્મવચનોનો આશારો લેવાનું બંધ કરી દીધું હતું. કારણ કે વિતંડાનો અંત જ નહોતો આવતો. પણ જે મોકળાશ ગાંધીજીને કે આ લખનાર જેવા હિંદુઓને મળે છે એ મુસલમાનોને મળતી નથી. એક પ્રસંગ યાદ આવે છે. ખિલાફતના આંદોલન વેળાએ એક અળવીતરા ઉપદ્રવીએ મૌલાના મહમ્મદ અલીને પૂછ્યું હતું કે ગાંધીજી જેવો પવિત્ર માણસ અને એક બળાત્કારી મુસલમાન એ બેમાંથી જન્નતનો અધિકારી કોણ? મૌલાનાએ કહ્યું હતું કે બળાત્કારી મુસલમાન, કારણ કે તે મુસલમાન છે અને ગાંધીજી કાફિર (વિધર્મી) છે. ગાંધીજીને જ્યારે મૌલનાના અભિપ્રાય વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે મૌલાનાના હાથ ઇસ્લામના વચનો દ્વારા બંધાયેલા છે એટલે તેને બહુ મહત્ત્વ નહીં આપાવું જોઈએ.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. માનવીય મૂલ્યો અને મૂળભૂત માનવીય મૂલ્યો વચ્ચે શું ફરક? આપણે એક પિતાના સંતાન, વસુધૈવ કુટુમ્બકમ્‌, સાચું બોલવું, છેતરપીંડી નહીં કરવી, આર્થિક વ્યવહારમાં શુદ્ધિ જાળવવી, સામાજિક વ્યવહારમાં મર્યાદા અને પારદર્શકતા જાળવવી, સ્ત્રી પણ પૂજનીય દેવી છે, માતા છે વગેરે માનવીય મૂલ્યો છે. આ બધાં ઉપદેશો સમાજ માટે છે. મૂળભૂત માનવીય મૂલ્યોના કેન્દ્રમાં વ્યક્તિ છે. મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા મારો મૂળભૂત અધિકાર છે. મારો તમને ન ગમતો હોય એવો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવો એ મારો મૂળભૂત અધિકાર છે. જો મારો આદર  કરવામાં ન આવતો હોય અથવા મને ન સાંભળવામાં આવતો હોય તો વિરોધ કરવાનો મને અધિકાર છે. મારા જેવા લોકોને સંગઠિત કરીને આંદોલન કરવાનો અને ન્યાય માગવાનો મને અધિકાર છે. મારા જેવા નિર્બળ માણસની સૌથી વધુ સુરક્ષા માત્ર કાયદાના રાજમાં છે અને કાયદો દરેક માટે એક સમાન હોવો જોઈએ. મત આપવાનો, શાસક પસંદ કરવાનો, શાસકને બદલવાનો, અદાલતમાં ન્યાય માગવાનો અને એ માટે જરૂર પડ્યે રસ્તા પર ઊતરીને આંદોલન કરવાનો મને આધિકાર છે. બધું જ વ્યક્તિલક્ષી અને વ્યક્તિકેન્દ્રી.

પરિવારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, ચોક્કસ ધાર્મિક વ્યવસ્થામાં, શાસનમાં માત્ર અને માત્ર વ્યક્તિ કેન્દ્રમાં હોવી જોઈએ અને સ્ત્રી કે દલિત કે અશ્વેત તરીકેની ઓળખ ગૌણ હોવી જોઈએ એવો વિચાર યુરોપમાં પુનઃ જાગરણનાં આંદોલન દરમ્યાન વિકસ્યો હતો. ધીરે ધીરે આધુનિક માનવતાવાદીઓ આને સ્વીકારવા લાગ્યા હતા, પરંતુ એનો અર્થ એવો નથી કે જેણે દુબળાઓ ઉપર વર્ચસ ગુમાવ્યું હતું એનાં પેટમાં તેલ નહોતું રેડાયું. તેઓ પોતાની અમાનવીયતાને છૂપાવવા માટે અને પોતાને માણસાઈના પૂજારી તરીકે ખપાવવા માટે માનવીય મૂલ્યોની વાત કરશે, મૂળભૂત માનવીય મૂલ્યોની વાત નહીં કરે. અને હવે આજના સોશ્યલ મીડિયાના યુગમાં જે લોકો એક સમયે દાબેલા અવાજમાં શરમાઈને સંકુચિત વાત કરતા હતા એ નિર્ભય થઈ ગયા છે. તેમને ખબર છે કે આપણા જેવા ઘણા છે, એટલે તેઓ વ્યક્તિકેન્દ્રી મૂળભૂત માનવીયતા સામે મેદાનમાં ઉતર્યા છે. ભારતમાં, અમરિકામાં આ જોવા મળી રહ્યું છે. તેમને હાંસિયામાં રહેલા લોકો સ્વતંત્ર થાય અને આપણા વર્ચસને પડકારે એ સહન થતું નથી. તેઓ તેમનો ચચરાટ રાષ્ટ્રવાદ અને ધર્મને નામે છૂપાવે છે.

૧૪મી સદીમાં ચોખામેલા નામનો એક દલિત સંત મહારાષ્ટ્રમાં થયો હતો. તેને પંઢરપુરના મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવ્યો તો ચોખામેલાએ પંઢરપુરના વિઠોબાના મંદિરની બહાર વિઠ્ઠલની સાધના કરી હતી અને ત્યાં જ દેહ છોડ્યો હતો. તેનું ઈશ્વર સમર્પણ અને તેની ભક્તિનાં વખાણ કરતાં બ્રાહ્મણો થાકતા નહોતા, પણ ખુદ બાબાસાહેબ આંબેડકરને પાંચસો વરસ પછી મંદિરમાં પ્રવેશવા નહોતા દીધા. જો કોઈ વિદ્રોહ ન કરે અને ચૂપચાપ શરણે થાય તો એને મહાન ચિતરવામાં કોઈ કસર નહીં રાખવાની. ડૉ. આંબેડકરને એ પછી ચોખામેલાનો ખપ નહોતો રહ્યો. સમર્પણ અને શરણાગતિ નહીં, સંઘર્ષ. માટે એક માત્ર કબીરને છોડીને આંબેડકરે મધ્યકાલીન સંતોનો ઉદોઉદો નહોતો કર્યો.

તો આ ફરક છે, વરખ જેવાં માનવીય મૂલ્યો અને ટકોરાબંધ મૂળભૂત માનવીય મૂલ્યો વચ્ચે. તમારું હિત શેમાં છે? થોડી વાર ધૂણવાનું છોડીને વિચારો. બહુ મૂલ્યવાન જણસ છે જે ફેંકી દેવા માટે નથી. આને માટે અનેક લોકોએ ત્યાગ કર્યો છે અને શહાદત વહોરી છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 જાન્યુઆરી 2024

Loading

14 January 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—231
ઊડે છે પતંગ →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved