Opinion Magazine
Number of visits: 9446646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંદર ઓગસ્ટ આવી અને આપણને સૌને સ્પંદિત કરતી ગઇ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 August 2023

બે હિજરતી કાફલા, સિયાલકોટથી નીકળેલા હિન્દુઓનો અને બીજો અમૃતસરથી નીકળેલા મુસ્લિમોનો, સામસામા મળ્યા ને ઊભા રહી ગયા. સિયાલકોટથી નીકળેલાઓમાં કિશોર કુલદીપ નાયર હતા. એ કહે છે, કાફલાઓ વચ્ચે નેણ શું પરોવાયાં …

‘ઔર હમારે બીચ એક રિશ્તા 

કાયમ બના – દર્દકા રિશ્તા.’    

પ્રકાશ ન. શાહ

ફિલ્મોની વાત નીકળી જ છે તો આ લખતાં સાંભરી આવ્યું કે આજકાલ ‘ગદર-2’ની ધૂમના હેવાલો ઉફાન પર છે. જો કે એ જોવાનું તો બનતાં બનશે … બલકે, બને તો બને! પણ ‘ગદર’ (1)ને કરમુક્ત કરવાનું થયું ત્યારે, ખાસ નહીં તો પણ સહેજસાજ ઝીણી આંખે જોવાનું બન્યું હતું અને તેને વિશે લખવાનું થયું ત્યારે જે શીર્ષકે વિપળના પણ વિલંબ વિના ઢેકો કાઢ્યો તે હતું, ‘દેશભક્તિ નામે ટિકિટબારી.’ ફિલ્માંકનની થોડીક ક્ષણો, કોઇ ગીતની એકબે પંક્તિ, બાકી બધું જાડું કામ, ઘોર અને ધરાર.

ભાઇ ભાગલા એ એક કારુણિકા હતી. વિભાજનની વિભીષિકા આપણા જીવનનું એક દુદૈર્વ વાસ્તવ હતું, છે અને રહેશે. પણ હાલ જે પ્રકારની રાજકીય માનસિકતાને ઉત્તરોત્તર વળ ને આમળા ચઢે છે એમાં આપણાં માધ્યમો પાસે સવાલને સમગ્રપણે સમજવાની રીતે તેમ સહૃદયતાની કેળવણી વાસ્તે જવા અંગે સમજ અને સંવેદનાનું ખાસું ટાંચું પડેલું છે. 

કેવા એ દિવસો હતા અને શેમાંથી આપણે પસાર થયા હતા તેનો આપણી સીરિયલોના સુવર્ણ યુગમાં ‘બુનિયાદ’ વાટે કંઇક ખયાલ આવ્યો હતો. મહાભારત-ખ્યાત રાહી માસૂમ રઝા કૃત ‘આધા ગાંવ’ (સીરિયલ, હું ધારું છું, ‘નીમ કા પેડ’) પણ એમ તો આ લખતાં સ્મૃતિમાં ધસી આવે છે.

વળી ફિલ્મ ભણી વળું તો સાંભરે તો છે સત્યુસાહેબની ‘ગર્મ હવા’ને પાકિસ્તાન જાઉં ન જાઉં તરેહની કશ્મકશમાંથી ભારતમાં ઠરીઠામ થતું પાત્ર (બલરાજ સહાની). અમૃતસરમાં હજી હમણાં પાંચ છ વરસ પર જ ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ જોઇએ ત્યારે પણ એ માહોલ અને સરહદની બંને બાજુની દિલી ગડમથલ, દિમાગી ઉલઝન, અગન, જલન, બધું જ. અમૃતા પ્રીતમની હૃદયસ્પર્શી વાર્તા પરથી ઊતરી આવેલી ફિલ્મ ‘પિંજર’માં પણ તમને બંને બાજુ જોવા મળશે.

ગુજરાતી સાહિત્ય એ રીતે જે એક કિતાબે રળિયાત છે તે કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઉખડેલાં’ છે. ગરવી ગુજરાતકન્યા મૃદુલા સારાભાઇએ ગાંધી પરંપરામાં રોપાઇને અપહ્યતાઓનો પ્રશ્ન હાથ ધર્યો. સરહદની બેઉ બાજુએ જેમનો સંપર્ક થઇ શક્યો તે અપહ્યતાઓને જાળવીને મૂળ કુટુંબમાં પુન:સ્થાપિત કરવાનું મહાભારત કાર્ય એ હતું. ત્યારે માંડ બાવીસ-તેવીસની કમળા એમના એક સહકાર્યકર તરીકે જીવના જોખમે અભયપૂર્વક પ્રવર્તી એની આખી એક સૃષ્ટિ એમાં ઊઘડી આવી છે, અને તે આપણને હિન્દુ, મુસ્લિમ, શીખ એવી ટાઇપકાસ્ટ ઓળખોથી ઉફરાટે ચડતા પડતા આખડતા માણસની રૂ-બ-રૂ કરી આપે છે. લોહી ઊકળવાની અણીએ તમે સમસમી રહો છો. આ સમસમા તમને ખબરે ન પડે અને સંવેદનમાં, સમસંવેદનામાં ફેરવાઇ જાય છે ને માણસમાં સ્થાપી આપે છે.

પત્રકાર કુલદીપ નાયર કને એમનું એક સંભારણું સાંભળવાનું બન્યું તે હું કદાપિ ભૂલી શકતો નથી. ભાગલાની જાહેરાત થઇ ત્યારે નાયર પરિવાર સિયાલકોટમાં વસતો હતો. જ્યારે આરંભની આનાકાની પછી વતન છોડવું અનિવાર્ય લાગ્યું જ ત્યારે સિયાલકોટના હિન્દુઓએ હિજરત શરૂ કરી. અમૃતસર પહોંચતા અડધે રસ્તે સામેથી આવતો એક કાફલો મળ્યો જે મુસ્લિમોનો હતો. બેઉ બાજુએ ઘવાયેલાં, થાકેલાં, માંદલાં ડોસાંડગરાં ને વળી હટ્ટાકટ્ટા જુવાનજુવતી અને કિશોરો તેમ જ બાળકો હશે. ખબર નહીં સહેજ ઉશ્કેરાઇને, કંઇક ખમચાઇને બંને કાફલા સામસામાં થંભી ગયાં. નેણ શું નેણ પરોવાયાં. અને કુલદીપે કહ્યું, હમારે બીચ એક રિશ્તા કાયમ બના. દર્દ કા રિશ્તા.

જર્મનીનો એક અનુભવ હું ક્યારે ય ભૂલતો નથી. 1985માં, હજુ પૂર્વ ને પશ્વિમ જર્મની જુદાં હતાં ત્યારની વાત છે. ચર્ચ પ્રેરિત એક સ્વતંત્ર ફોરમે બિનસરકારી રાહે થોડા પત્રકાર મિત્રોને નિમંત્ર્યા હતા જેમાં ગાંધી પીસ ફાઉન્ડેશનના સદ્દભાવથી મારો પણ સમાવેશ થયો હતો. સામ્યવાદી પૂર્વ જર્મનીમાં પ્રવેશ મ‌ળવો સરળ ન હતો, પણ પશ્ચિમ જર્મનીના ચર્ચ વતી પૂર્વ જર્મનીના ચર્ચે સામ્યવાદી શાસનની રજા મેળવી અને અમે જઇ શક્યા. જો કે અહીં મારો મુદ્દો પૂર્વ ને પશ્ચિમ જર્મનીનો – સામ્યવાદી ને મુક્ત જર્મનીનો નથી એટલે અટકું અને મૂળ વાત પર આવું. પૂર્વ જર્મનીના અમારા યજમાન અમને બીજા વિશ્વયુદ્ધના એક નિર્ણાયક મંત્રણાકેન્દ્ર પોટ્સડામ લઇ જતાં પહેલાં પડખેની સિતમ છાવણીની મુલાકાતે લઇ ગયા, જ્યાં યહૂદીઓને રિબાવી રિબાવીને ગેસ ચેમ્બરમાં કે અન્યથા મારી નખાયા હતા. સ્થળ મુલાકાત પછી અમે સૌ ડઘાયેલા ને ડુમાયેલા હતા. અમારા યજમાને ભીની આંખે ને ભીને અવાજે કહ્યું કે અહીં આવવું મારે સારુ સુખકર નથી. પણ પછી ઉમેર્યું, ‘આવવાનું બને તો હું છોડતો નથી; કેમ કે મને યાદ રહે કે અમે ક્યારેક ન કરવાનું કરી બેઠા હતા જે માણસની રીત નથી.’

વિભાજનની વિભીષિકાને, એના રાજકીય આટાપાટા ને વિચારધારાકીય વળોટોથી હટીને આ રીતે જોતા થઇએ તો નાગરિક તરીકે તો જીવતેજીવત મોક્ષ જ મોક્ષ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 ઑગસ્ટ 2023

Loading

23 August 2023 Vipool Kalyani
← પૂર્ણ કરજે
ચાલો, હરારી પાસે – 17 : લિબરાલિઝમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved