નાનામોટા હરેકને આદરપૂર્વક બોલાવતા ખાદીધારી ગુરુજીના પ્રવેશ સાથે અમારા માળાની બંધ ઓરડીનાં બારણાં ફટાફટ ખૂલી જતાં. ઘડી બે ઘડીમાં ગુરુજીના આગમનના સમાચાર વાયુવેગે ત્રણે માળામાં ફેલાઈ જતા. બાળકો હડી કાઢતાં આવી તેમની આસપાસમાં ઘેરાઈ જતાં. ગુરુજી ખભે ઝૂલતા બગલથેલામાંથી નાનીમોટી વસ્તુઓ કાઢી પ્રેમથી બાળકો વચ્ચે લહાણી કરે. પળવારમાં બાળકોના કિલકિલાટથી માળામાં ખુશીનો સાગર છલકાઈ જતો.
રસોડામાં રસોઈ કરતી મારી બા, પૂજાપાઠમાં ગૂંથાયેલ મારા બાપુજીને પૂછતી, “માળામાં આ શેનો શોરબકોર થઈ રહ્યો છે?” બાપુજી બાને કહેતા, “તું તારી રસોઈમાં ધ્યાન રાખ, માળામાં વીરજીભાઈનો ઓટીવાળ શાંતિ આવ્યો છે.” કયારેક બાપુજી ઘરે ન હોય અને ગુરુજી માળામાં આવી ચઢ્યા હોય તો હું મારી બાને પૂછતો, “બા, આ ગુરુજી કેટલા માયાળુ અને પ્રેમાળ સ્વભાવના વ્યકિત છે? આખું સંઘાણી ગામ તેમને બેહદ ચાહે છે! પણ મને એક બાબતની હજી સુઘી ખબર પડતી નથી કે આ ભલા માણસને બાપુજી કેમ વાતવાતમાં ઓટીવાળ કહીને સંબોધે છે?”
મારો આવો અટપટો સવાલ સાંભળી મારી બા તેમ જ મારી મોટી બહેનો ખડખડાટ હસતી. તેઓ મને તેમની રીતે સમજાવવાની કોશિશ કરતાં કહેતાં કે ગુરુજીએ આખી જિંદગીમાં કોઈ દિવસ બે પૈસા ભેગા કરીને પોતાનું ઘર ન વસાવ્યું. તેઓ જે કંઈ કમાતા તેમાંથી ગામનાં છોકરાંઓને ખવડાવે રાખ્યુંઃ જાણે પોતે નરસિંહ મહેતાનો અવતાર! ગુરુજીના આવા વર્તનથી ત્રાસી ગયેલ પત્નીએ આવા અલગારી પતિથી છેડો ફાડી નાખ્યો. તારા બાપુજી લોહીને નાતે ગુરુજીના કાકા થાય કે એમ.એ. સુધી ભણેલગણેલ આ માણસે ગામને માટે ઘર બાળીને તીરથ કર્યુ.
ગુરુજીનું વ્યકિતત્વ બહુ જ પ્રભાવશાળી હતું. ગોળમટોળ રુપાળો ચહેરો, આંખમાં બારે માસ છલકાતો સ્નેહનો દરિયો, સંપૂર્ણ ખાદીનો સ્વચ્છ સફેદ બગલા જેવો ઝભ્ભો, સુરવાલ, માથે શોભતી ગાંઘી ટોપી અને જાકીટમાં હસતું ગુલાબ.
લગભગ આજથી સીત્તેર વર્ષ પહેલાં ઘાટકોપરમાં જ્યાં આગળ આજે સંઘાણી એસ્ટેટ વસેલું છે ત્યાં એક કાળે ઘોર જંગલ હતું. ચારેબાજુ ઘટાદાર વૃક્ષોની ઝાડીઓ. કડ સમાય એટલાં લીલાંસૂકાં ઘાસનાં છૂટાંછવાયાં મેદાનો. આજુબાજુમાં જ્યાં નજર કરો ત્યાં કાળી મોટી શિલાઓના ઢગ. પાણીથી ફાટફાટ છલકાતાં નાનાંમોટાં ખાબોચિયાંની ગોદમાં લહેરાતાં ખેતરો. જાણે પશ્ચિમ ઘાટની નાનીમોટી ટેકરીઓ વચ્ચે પ્રકૃતિના ખોળે રમતું એક નાનકડું ગામ. આજુબાજુ બેપાંચ મકાનોને લીધે આપણને લાગે કે આસપાસમાં ક્યાંક શહેરનું પરગણું હશે. મુંબઈ શહેરમાં આવેલ આ ગ્રામપ્રદેશમાં ગામડાની જેમ કોઈ શાળા નહીં. જે બે ચાર શાળાઓ હતી તે પણ ગામથી ઘણી દૂર. માબાપને એક વિકટ પ્રશ્ન હતો કે નાનાં ભૂલકાંઓને ભણવા કયાં મોકલવાં.
લોકોની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજીને ગુરુજીએ ગામમાં વનશાળા શરૂ કરી. સવારે આઠનવ વાગ્યે ગુરુજી આસપાસની શેરીનાં બાળકોને પોતાના ફળિયામાં ભેગાં કરી બબ્બેની જોડીમાં લગભગ સિત્તેરથી એંસી બાળકોને વનવગડે લીલાં વૃક્ષોની છાયામાં ભણાવવા લઈ જાય. બાળકો કુદરતના ખોળે રમતાંભમતાં આનંદના કિલકિલાટ સાથે હસતાંગાતાં ભણે. બપોરટાણે ગુરુજી બાળકોને એક મોટા વર્તુળમાં બેસાડી, ઘરેથી સાથે લાવેલ ટિનના મોટા ડબ્બામાંથી ચણા, મમરાનો નાસ્તો આપે. ટાઢા પહોરે બાળકોને રમત રમાડતાં ગીતો ગવડાવે. સાંજ પડતાં સામેની પશ્ચિમ ઘાટની ટેકરીઓ પછવાડે સૂરજ હળતો હોય ત્યારે રમતાંભમતાં બાળકોને પાછા સંઘાણી ગામ તરફ લઈ આવે. બાળકો જાણે મનગમતા પર્યટન પર જઈને પાછાં ફર્યા હોય, એટલા આનંદઉત્સાહ સાથે ગુરુજીના ફળિયામાંથી છૂટાં પડે. ગુરુજીનું જીવન રાષ્ટ્રીય રંગે રંગાયેલું હતું. પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધીજયંતી તેમને મન એક પર્વ સમાન હતી. આ પવિત્ર દિવસે તેઓ હોંશેહોંશે ઘાટકોપરની શેરીમાં પ્રભાતફેરીનું આયોજન કરતા.
નાનાંમોટા લગભગ બસોથી ત્રણસો બાળકો કોઈ નાતજાતના બંધન વિના ગુરુજીના નેજા તળે ભારતમાતાનાં ગુણગાન ગાતાં પ્રભાતફેરીમાં નીકળતાં. પ્રભાતફેરીમાં સર્વથી મોખરે અખિલ ભારતનાં તમામ રાજયોના લોકોના પહેરવેશમાં પરિધાન થયેલાં બાળકોના હાથમાં લહેરાતો રાષ્ટ્રીય ધ્વજ. તેમની પાછળ લેજીમ, ઢોલનગારાં વગાડતા શાળાના વિધાર્થીઓની કદમકૂચ. અને સર્વથી છેલ્લે બાળકોને માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય ગીત ઉત્સાહભેર લલકારતા ગુરુજી ચાલતા હોય.
સવારે દસેક વાગ્યે આખી પ્રભાતફેરી ઘાટકોપરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સંઘાણી એસ્ટેટના ચોકમાં પાછી ફરતી. સેવાદળના સ્વયંસેવકો, બાળકો અને સામાજિક કાર્યકરો સંગે ગુરુજી ધ્વજવંદન કરી બાળકોને હર્ષઆનંદ સાથે મીઠાઈ વહેંચતા.
બાળકોનો આનંદ તેમની જિંદગી હતી. બાળકો તેમની અમૂલ્ય મૂડી હતી. બાળકોનાં રમકડાં, કસરત તેમ જ વ્યાયામનાં સાધનો અને પુસ્તકોથી તેમનું નાનકડું ઘર છલકાતું. તેમના ઘરની દીવાલ મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની છબીઓથી શોભતું.
ગુરુજીનું જીવન બહુ જ સાદું અને પરોપકારી હતું. તેમના રોજિંદા ઉપયોગમાં ફકત બેચાર ખાદીનાં સ્વચ્છ કપડાંની જોડી. સૂવાબેસવા માટે એક ચટાઈ, બેચાર રજાઈ અને એકાદ બે તકિયાને જો આપણે તેમની જીવનજરૂરિયાત વસ્તુઓમાંથી બાદ કરી નાખીએ તો તેમનું સંપૂર્ણ જીવન એક ગાંધીવાદી સમાન હતું.
બાળકોના આ પ્રિય ગુરુજીના જીવનનો અંત બહુ જ કરુણ રીતે આવ્યો. ફકત છેતાલીસ વર્ષની નાની વયે ફકત એકાદબે દિવસની સામાન્ય તાવ જેવી બીમારીથી મુંબઈ સરકારી સાયન હૉસ્પિટલમાં એકાએક મૃત્યુને ભેટ્યા ત્યારે તેમની પથારીની આસપાસ કોઈ સગુંસંબધી કે કોઈ એકાદ મિત્ર પણ ન હતો.
ગુરુજી એક સારા કવિ, લેખક અને પ્રવીણ ચિત્રકાર હતા તેમના અક્ષરો સ્વામી આનંદ અને મહાદેવ દેસાઈ સમા સુંદર અને મરોડદાર હતા. જગતમાઁ જેમ બનતું આવ્યું છે તેમ તેમના મૃત્યુ બાદ બન્યું. તેમનાં ઘણાં હસ્તલિખિત પુસ્તકો, તેમની જીવન રોજનીશી, અને તેમનાં ચિત્રો કમનસીબે એવી ગેરલાયક વ્યકિતઓ પાસે ગયાં કે જેની કિંમત તેઓ કયારે ય ન સમજી શકી.
“વાંચવું, વિચારવું અને લખવું” આ ત્રને શબ્દોનું મહત્ત્વ ગુરુજીને મન જીવનમાં ખૂબ જ હતું. ઘણી વાર તેઓ અમને કહેતા કે આ ત્રણે શબ્દો મને ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠીનો એક લેખ વાંચતા મળી ગયા. આ ત્રણ શબ્દો થકી ભલે હું ક્યારે ય ધનવાન ન થઈ શકયો પણ જીવનમાં અમીર તો થઈ શક્યો તે બદલ હું જન્મોજન્મ તેમનો ઋણી રહીશ.
e.mail : preetam.lakhlani@gmail.com