Opinion Magazine
Number of visits: 9449636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નખશિખ માણસ 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|4 August 2023

નાનામોટા હરેકને આદરપૂર્વક બોલાવતા ખાદીધારી ગુરુજીના પ્રવેશ સાથે અમારા માળાની બંધ ઓરડીનાં બારણાં ફટાફટ ખૂલી જતાં. ઘડી બે ઘડીમાં ગુરુજીના આગમનના સમાચાર વાયુવેગે ત્રણે માળામાં ફેલાઈ જતા. બાળકો હડી કાઢતાં આવી તેમની આસપાસમાં ઘેરાઈ જતાં. ગુરુજી ખભે ઝૂલતા બગલથેલામાંથી નાનીમોટી વસ્તુઓ કાઢી પ્રેમથી બાળકો વચ્ચે લહાણી કરે. પળવારમાં બાળકોના કિલકિલાટથી માળામાં ખુશીનો સાગર છલકાઈ જતો.

રસોડામાં રસોઈ કરતી મારી બા, પૂજાપાઠમાં ગૂંથાયેલ મારા બાપુજીને પૂછતી, “માળામાં આ શેનો શોરબકોર થઈ રહ્યો છે?” બાપુજી બાને કહેતા, “તું તારી રસોઈમાં ધ્યાન રાખ, માળામાં વીરજીભાઈનો ઓટીવાળ શાંતિ આવ્યો છે.” કયારેક બાપુજી ઘરે ન હોય અને ગુરુજી માળામાં આવી ચઢ્યા હોય તો હું મારી બાને પૂછતો, “બા, આ ગુરુજી કેટલા માયાળુ અને પ્રેમાળ સ્વભાવના વ્યકિત છે? આખું સંઘાણી ગામ તેમને બેહદ ચાહે છે! પણ મને એક બાબતની હજી સુઘી ખબર પડતી નથી કે આ ભલા માણસને બાપુજી કેમ વાતવાતમાં ઓટીવાળ કહીને સંબોધે છે?”

મારો આવો અટપટો સવાલ સાંભળી મારી બા તેમ જ મારી મોટી બહેનો ખડખડાટ હસતી. તેઓ મને તેમની રીતે સમજાવવાની કોશિશ કરતાં કહેતાં કે ગુરુજીએ આખી જિંદગીમાં કોઈ દિવસ બે પૈસા ભેગા કરીને પોતાનું ઘર ન વસાવ્યું. તેઓ જે કંઈ કમાતા તેમાંથી ગામનાં છોકરાંઓને ખવડાવે રાખ્યુંઃ જાણે પોતે નરસિંહ મહેતાનો અવતાર! ગુરુજીના આવા વર્તનથી ત્રાસી ગયેલ પત્નીએ આવા અલગારી પતિથી છેડો ફાડી નાખ્યો. તારા બાપુજી લોહીને નાતે ગુરુજીના કાકા થાય કે એમ.એ. સુધી ભણેલગણેલ આ માણસે ગામને માટે ઘર બાળીને તીરથ કર્યુ.

ગુરુજીનું વ્યકિતત્વ બહુ જ પ્રભાવશાળી હતું. ગોળમટોળ રુપાળો ચહેરો, આંખમાં બારે માસ છલકાતો સ્નેહનો દરિયો, સંપૂર્ણ ખાદીનો સ્વચ્છ સફેદ બગલા જેવો ઝભ્ભો, સુરવાલ, માથે શોભતી ગાંઘી ટોપી અને જાકીટમાં હસતું ગુલાબ.

લગભગ આજથી સીત્તેર વર્ષ પહેલાં ઘાટકોપરમાં જ્યાં આગળ આજે સંઘાણી એસ્ટેટ વસેલું છે ત્યાં એક કાળે ઘોર જંગલ હતું. ચારેબાજુ ઘટાદાર વૃક્ષોની ઝાડીઓ. કડ સમાય એટલાં લીલાંસૂકાં ઘાસનાં છૂટાંછવાયાં મેદાનો. આજુબાજુમાં જ્યાં નજર કરો ત્યાં કાળી મોટી શિલાઓના ઢગ. પાણીથી ફાટફાટ છલકાતાં નાનાંમોટાં ખાબોચિયાંની ગોદમાં લહેરાતાં ખેતરો. જાણે પશ્ચિમ ઘાટની નાનીમોટી ટેકરીઓ વચ્ચે પ્રકૃતિના ખોળે રમતું એક નાનકડું ગામ. આજુબાજુ બેપાંચ મકાનોને લીધે આપણને લાગે કે આસપાસમાં ક્યાંક શહેરનું પરગણું હશે. મુંબઈ શહેરમાં આવેલ આ ગ્રામપ્રદેશમાં ગામડાની જેમ કોઈ શાળા નહીં. જે બે ચાર શાળાઓ હતી તે પણ ગામથી ઘણી દૂર. માબાપને એક વિકટ પ્રશ્ન હતો કે નાનાં ભૂલકાંઓને ભણવા કયાં મોકલવાં.

લોકોની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજીને ગુરુજીએ ગામમાં વનશાળા શરૂ કરી. સવારે આઠનવ વાગ્યે ગુરુજી આસપાસની શેરીનાં બાળકોને પોતાના ફળિયામાં ભેગાં કરી બબ્બેની જોડીમાં લગભગ સિત્તેરથી એંસી બાળકોને વનવગડે લીલાં વૃક્ષોની છાયામાં ભણાવવા લઈ જાય. બાળકો કુદરતના ખોળે રમતાંભમતાં આનંદના કિલકિલાટ સાથે હસતાંગાતાં ભણે. બપોરટાણે ગુરુજી બાળકોને એક મોટા વર્તુળમાં બેસાડી, ઘરેથી સાથે લાવેલ ટિનના મોટા ડબ્બામાંથી ચણા, મમરાનો નાસ્તો આપે. ટાઢા પહોરે બાળકોને રમત રમાડતાં ગીતો ગવડાવે. સાંજ પડતાં સામેની પશ્ચિમ ઘાટની ટેકરીઓ પછવાડે સૂરજ હળતો હોય ત્યારે રમતાંભમતાં બાળકોને પાછા સંઘાણી ગામ તરફ લઈ આવે. બાળકો જાણે મનગમતા પર્યટન પર જઈને પાછાં ફર્યા હોય, એટલા આનંદઉત્સાહ સાથે ગુરુજીના ફળિયામાંથી છૂટાં પડે. ગુરુજીનું જીવન રાષ્ટ્રીય રંગે રંગાયેલું હતું. પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને ગાંધીજયંતી તેમને મન એક પર્વ સમાન હતી. આ પવિત્ર દિવસે તેઓ હોંશેહોંશે ઘાટકોપરની શેરીમાં પ્રભાતફેરીનું આયોજન કરતા.

નાનાંમોટા લગભગ બસોથી ત્રણસો બાળકો કોઈ નાતજાતના બંધન વિના ગુરુજીના નેજા તળે ભારતમાતાનાં ગુણગાન ગાતાં પ્રભાતફેરીમાં નીકળતાં. પ્રભાતફેરીમાં સર્વથી મોખરે અખિલ ભારતનાં તમામ રાજયોના લોકોના પહેરવેશમાં પરિધાન થયેલાં બાળકોના હાથમાં લહેરાતો રાષ્ટ્રીય ધ્વજ. તેમની પાછળ લેજીમ, ઢોલનગારાં વગાડતા શાળાના વિધાર્થીઓની કદમકૂચ. અને સર્વથી છેલ્લે બાળકોને માર્ગદર્શન આપતા રાષ્ટ્રીય ગીત ઉત્સાહભેર લલકારતા ગુરુજી ચાલતા હોય.

સવારે દસેક વાગ્યે આખી પ્રભાતફેરી ઘાટકોપરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સંઘાણી એસ્ટેટના ચોકમાં પાછી ફરતી. સેવાદળના સ્વયંસેવકો, બાળકો અને સામાજિક કાર્યકરો સંગે ગુરુજી ધ્વજવંદન કરી બાળકોને હર્ષઆનંદ સાથે મીઠાઈ વહેંચતા.

બાળકોનો આનંદ તેમની જિંદગી હતી. બાળકો તેમની અમૂલ્ય મૂડી હતી. બાળકોનાં રમકડાં, કસરત તેમ જ વ્યાયામનાં સાધનો અને પુસ્તકોથી તેમનું નાનકડું ઘર છલકાતું. તેમના ઘરની દીવાલ મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની છબીઓથી શોભતું.

ગુરુજીનું જીવન બહુ જ સાદું અને પરોપકારી હતું. તેમના રોજિંદા ઉપયોગમાં ફકત બેચાર ખાદીનાં સ્વચ્છ કપડાંની જોડી. સૂવાબેસવા માટે એક ચટાઈ, બેચાર રજાઈ અને એકાદ બે તકિયાને જો આપણે તેમની જીવનજરૂરિયાત વસ્તુઓમાંથી બાદ કરી નાખીએ તો તેમનું સંપૂર્ણ જીવન એક ગાંધીવાદી સમાન હતું.

બાળકોના આ પ્રિય ગુરુજીના જીવનનો અંત બહુ જ કરુણ રીતે આવ્યો. ફકત છેતાલીસ વર્ષની નાની વયે ફકત એકાદબે દિવસની સામાન્ય તાવ જેવી બીમારીથી મુંબઈ સરકારી સાયન હૉસ્પિટલમાં એકાએક મૃત્યુને ભેટ્યા ત્યારે તેમની પથારીની આસપાસ કોઈ સગુંસંબધી કે કોઈ એકાદ મિત્ર પણ ન હતો.

ગુરુજી એક સારા કવિ, લેખક અને પ્રવીણ ચિત્રકાર હતા તેમના અક્ષરો સ્વામી આનંદ અને મહાદેવ દેસાઈ સમા સુંદર અને મરોડદાર હતા. જગતમાઁ જેમ બનતું આવ્યું છે તેમ તેમના મૃત્યુ બાદ બન્યું. તેમનાં ઘણાં હસ્તલિખિત પુસ્તકો, તેમની જીવન રોજનીશી, અને તેમનાં ચિત્રો કમનસીબે એવી ગેરલાયક વ્યકિતઓ પાસે ગયાં કે જેની કિંમત તેઓ કયારે ય ન સમજી શકી.

“વાંચવું, વિચારવું અને લખવું” આ ત્રને શબ્દોનું મહત્ત્વ ગુરુજીને મન જીવનમાં ખૂબ જ હતું. ઘણી વાર તેઓ અમને કહેતા કે આ ત્રણે શબ્દો મને ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠીનો એક લેખ વાંચતા મળી ગયા. આ ત્રણ શબ્દો થકી ભલે હું ક્યારે ય ધનવાન ન થઈ શકયો પણ જીવનમાં અમીર તો થઈ શક્યો તે બદલ હું જન્મોજન્મ તેમનો ઋણી રહીશ.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

4 August 2023 Vipool Kalyani
← સ્ત્રી સશક્તિકરણ અને અશક્તિકરણ સાથે સાથે ચાલે છે …
ભેદ ખોલી દે →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved