Opinion Magazine
Number of visits: 9446414
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધીરુબહેન પટેલ: જીવન અને લેખનમાં આસન સે મત ડોલ

દીપક મહેતા|Profile|21 March 2023

ના, આ પરીકથા નથી. પણ એક ખરી કથા છે. આજથી નવેક દાયકા પહેલાંના મુંબઈ શહેરમાં એક છોકરી રહે. પરીકથામાં રાક્ષસને રોજ એક બત્રીસ લક્ષણો ખાવા જોઈએ. આ ખરી કથામાં છોકરીને રોજ એક નવી ચોપડી વાંચવા જોઈએ. પિતા રોજ સાંજે કામ પરથી ઘરે આવે ત્યારે એને માટે એક નવી ચોપડી લેતા આવે. બીજે દિવસે તો ચોપડી પૂરી. છોકરી હતી ભારે નસીબદાર. વાંચવા માટે એની પાસે ત્રણ-ત્રણ મહેલ. ઘરના કંપાઉન્ડમાં આવેલું વડનું મોટું ઝાડ તે એક નંબરનો મહેલ. ઘટાદાર આંબલી એ બે નંબરનો મહેલ. અને નાની ચીકુડી તે ત્રણ નંબરનો મહેલ. મન થાય તે મહેલમાં બેસીને અંધારું થાય ત્યાં સુધી ચોપડી વાંચીને પૂરી કરે. ક્યારેક નવી ચોપડી ન મળે ત્યારે દુઃખીના દાળિયા થઈ જાય, અને એ નાની ધીરુ મોટી ધીરુને કાગળ લખે : ‘મોટી ધીરુ : વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુઃખ પડે છે. નાના છોકરાઓ માટે તો જરૂર જરૂર લખજે ને મહેરબાની કરી સલાહો ન આપતી. લિ. નાની ધીરુ.’

આ નાની ધીરુ એટલે આપણા આલા દરજ્જાના લેખક ધીરુબહેન પટેલ. ના, લેખિકા નહિ. શું જીવનમાં કે શું સાહિત્યમાં સ્ત્રી તરીકે ગ્રેસનો (વધારાનો) એકે માર્ક ન માગ્યો કે ન સ્વીકાર્યો. સોળ વરસની ઉંમરે ૧૯૪૨માં ‘સંદેશ’ વર્તમાનપત્રના દિવાળી અંકમાં પહેલી વાર્તા છપાઈ ત્યારથી માંડીને લગભગ છેલ્લા દિવસો સુધી ધીરુબહેન લખતાં રહ્યાં. જો કે લખવાનું કામ સહેલું નહોતું. થોડાં કાવ્યો લખેલાં તે એક વાર આપણા મૂર્ધન્ય સાક્ષર બલવન્તરાય ઠાકોરને બતાવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘મારું માને તો હમણાં કવિતા લખવાનું રહેવા દે. પહેલાં ગદ્ય પાકું થાય પછી કવિતાનો વારો.’ રામપ્રસાદ બક્ષી જેવા મોટા ગજાના વિદ્વાન જ્યાં આચાર્ય હતા એ સાંતાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં ભણવા માટે દાખલ થયાં. જાણીતા અભ્યાસી વિવેચક ભૃગુરાય અંજારિયા ગુજરાતીના શિક્ષક. તેમણે એક વાર ટોણો માર્યો : ‘જીવનના યાદગાર પ્રસંગોએ પણ કવિતાની ચાર લીટી ય લખી ન શકે તેને કાંઈ શિક્ષિત કહેવાય?’ પત્યું. ધીરુબહેને મનમાં ગાંઠ વાળી લીધી : ‘હવેથી જે કાંઈ લખવું તે જાતને પૂછીને જ લખવું. બીજા કોઈ ચમરબંધી લેખકને પણ પૂછીને નહિ.’ અને પોતાનાં ઢગલાબંધ પુસ્તકો દ્વારા ધીરુબહેને વાચકો માટે પણ ત્રણ મહેલ બનાવ્યા : પહેલો કથા-નવલકથાનો, બીજો નાટક-એકાંકીનો અને ત્રીજો પેલી નાની ધીરુ જેવાં બાળકો માટેનાં વાર્તા-નાટક-કાવ્યો-જોડકણાંનો.

ધીરુબહેન પટેલ

ધીરુબહેનનો જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવન અને લેખનનું કાઠું ઘડાયું તે તો મુંબઈમાં અને મુંબઈથી. ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી સાથે એમ.એ. કરી અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક થયાં. પણ પછી બધો સમય લેખનને આપી શકાય એ માટે કોલેજની નોકરી છોડી. એ વખતે જ નક્કી કર્યું કે હવે પછી કોઈ પણ જાતની નોકરી કરવી નહિ. પછીથી સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના સ્થાપક તંત્રી થયાં, પણ ત્યારે પગાર કે ભથ્થાં પેટે પણ એકે રૂપિયો લીધો નહિ.

૧૯૫૫માં પહેલાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘અધૂરો કોલ’ વાર્તાસંગ્રહ, અને ‘પહેલું ઇનામ’ નાટક. પણ એક મોટા ગજાના લેખક તરીકે વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચાયું તે તો ૧૯૬૩માં ‘વડવાનલ’ નવલકથા પ્રગટ થઈ ત્યારથી. તે પછી પ્રગટ થઇ વાવંટોળ, શીમળાનાં ફૂલ, વમળ, ગગનનાં લગન, કાદમ્બરીની મા, એક ડાળ મીઠી, અતીતરાગ, આગંતુક. ૧૯૯૬માં પ્રગટ થયેલી આગંતુક નવલકથા માટે ધીરુબહેનને ૨૦૦૧માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો.

અધ્યાપક બન્યાં પછી થોડો વખત ધીરુબહેન વિવેચન અને પુસ્તક સમીક્ષા લખવા તરફ વળ્યાં. વિવેચક તરીકે તેમણે ઘણાનું ધ્યાન પણ ખેંચ્યું. પણ જેમની પાસે સ્કૂલમાં ભણેલાં તે રામપ્રસાદ બક્ષી એક વાર સાન્તાક્રુઝના ટાગોર રોડ અને સરસ્વતી રોડના નાકે મળી ગયા ત્યારે તેમણે લાલ બત્તી ધરી : ‘ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઈ જશો. તમારે એ નથી થવાનું – બહુ સભાન થઈ જશો તો સર્જકતા કદાચ ખોઈ બેસશો. એ ન કરશો.” બસ, ગુરુ આજ્ઞા શિરોધાર્યા.

પહેલી નવલકથા ‘વડવાનલ’ જન્મભૂમિ-પ્રવાસીમાં હપ્તાવાર પ્રગટ થતી હતી. બાકીના બધા દિવસ ધીરુબહેન ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના અનુવાદ કરે અને ગુરુવારે ‘વડવાનલ’નું એક પ્રકરણ લખે. આ રીતે એક વરસ લખીને એ નવલકથા પૂરી કરી. ત્રીજા જ પ્રકરણ વખતે ધીરુબહેન ભારે અસ્વસ્થ. તેમને વિચારમાં ડૂબેલાં જોઇને માતા ગંગાબહેન પટેલે પૂછ્યું : ‘શું થયું છે?’ ‘બા! લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કંઈ નથી. આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” મા તરત બોલ્યાં : ‘લોકોની દરકાર કરે એનાથી લેખક થવાય?’ આ એક જ ટોણો બસ હતો. તે દિવસથી ધીરુબહેનની કલમ સડસડાટ ચાલવા લાગી, તેમણે પોતે ધારેલે રસ્તે જ.

ગંગાબહેન એટલે એ જમાનાનાં એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની. ગાંધીજી અને બીજા ઘણા નેતાઓ સાથે ઓળખાણ. આઝાદીની લડત દરમ્યાન જેલમાં પણ ગયેલાં. પિતા ગોરધનભાઈ વેપારી, પણ મુક્ત મનના. ધીરુબહેન બે-ત્રણ મહિનાની ઉંમરનાં હતાં ત્યારે ઘરમાં તેમના કાન વીંધાવવા અંગે ચર્ચા થવા લાગી. ત્યારે પિતાએ બહુ દૃઢતાથી કહ્યું : ‘એ મોટી થાય અને એનો પોતાનો નિર્ણય કરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ જોઈએ. એને પૂછ્યા વગર આપણે એના કાન કઈ રીતે વીંધાવી શકીએ?’ અને એટલે ધીરુબહેનના કાન ક્યારે ય વિંધાયા નહિ. ધીરુબહેને કહ્યું છે : ‘મારી અંદરનું જીવન લીલુંછમ રહી શક્યું એનું મુખ્ય કારણ મારાં માતા-પિતા. એમણે મને હંમેશાં મારી રીતે જીવવા દીધી છે.’

ધીરુબહેનને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં મેં તેમને પૂછેલું : ‘તમે આજીવન ખાદી પહેરી છે, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં તમે ગાંધીવાદી નથી, એમ કેમ?’ તેમનો જવાબ : ‘ગાંધીજી પોતે ગાંધીવાદી નહોતા એટલે જ તો તેમને ચાહું છું.’ ધીરુબહેન જેમ ગાંધીવાદી નહિ તેમ નારીવાદી પણ નહિ. નવલકથા, વાર્તા, નાટક વગેરેમાં અનેક સબળ નારીપાત્રોનું સર્જન તેમણે કર્યું. અને છતાં રૂઢ અર્થમાં તેમને નારીવાદી કહી ન શકાય. આ અંગે તેમને પૂછતાં જવાબ મળેલો : ‘હું નારીવાદી નથી કારણ હું નથી બધા પુરુષોને ધિક્કારતી કે નથી દરેક સ્ત્રી દેવી હોય છે એમ માનતી.’

ધીરુબહેનને કશાનો છોછ નહિ. રેડિયો, ટી.વી., રંગભૂમિ, ફિલ્મ વગેરે માટે પણ લખે. પોતાની જાતને પૂછીને લખે તેમ બીજાની જરૂરિયાત પ્રમાણે પણ લખી આપે. આપણા જાણીતા સર્જક ગુલાબદાસ બ્રોકરે એક સંપાદન માટે ધીરુબહેન પાસે વાર્તા માગી. પણ જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવતી હોય એવી વાર્તા જોઈએ. ધીરુબહેને તરત કહ્યું : ‘એવી વાર્તા તો મેં લખી નથી. પણ તમે બે કલાક રાહ જોઈ શકો તો લખીને મોકલું.’ પછી તો એ વાર્તા બીજાં પણ ઘણાં સંપાદનોમાં લેવાઈ. એવી જ રીતે તેમણે એકમાત્ર ગઝલ પણ લખી આપેલી જેને વરસનાં શ્રેષ્ઠ કાવ્યોના સંપાદનમાં પણ સ્થાન મળેલું.

ધીરુબહેન એટલે સામા પૂરે તરનાર અઠંગ તરવૈયા. સત્તાણુ વરસની ઉંમરે નબળી થતી જતી તબિયત સામે છેલ્લા દિવસ સુધી ઝઝૂમ્યાં. તેમણે લખવાનું શરૂ કર્યું ત્યારે હજી લેખિકાઓને વિવેચકો બહુ ગંભીરતાથી જોતા નહિ. બીજું, એ વખતે આપણા સાહિત્યમાં ઘટનાનું તિરોધાન, ભાષાકર્મ, આકૃતિબંધ વગેરેના હઠાગ્રહવાળું આધુનિકતાનું વાવાઝોડું ફૂંકાતું હતું. ત્યારે બીજાને નહિ પણ પોતાને પૂછીને લખવું અઘરું. પણ ધીરુબહેન એટલે ‘આસન સે મત ડોલ.’ અને એટલે જ સાચી સર્જકતા રૂપી ‘પિયા’નું મિલન તેમને થયું.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ચિત્રલેખા”; 29 માર્ચ 2023 તારીખનો અંક 

Loading

21 March 2023 Vipool Kalyani
← ચકલી
ગાંધીવારસાનાં નારીરત્નો : : બિરદ ભોંય પર પદચિહ્નો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved