Opinion Magazine
Number of visits: 9446900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીના બળાપા અને ભા.જ.પા.ના મ્હેણાંમાં નક્કર મુદ્દાઓને મામલે ‘નાખો વખારે’ જેવો ઘાટ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 March 2023

બીજા રાષ્ટ્રો સામે પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂંસવાની મથામણમાં ભારતીય નેતાઓ વૈશ્વિક સ્તરે સ્વકેન્દ્રી અને અતાર્કિક લાગે છે

ચિરંતના ભટ્ટ

જો તમારા ઘરમાં કંકાસ હોય, અંદર-અંદર મનભેદ હોય, તમને કોઇ વાતની સખત ચીઢ હોય તો સાવ અજાણ્યા લોકો સામે, જે તમારી આ સમસ્યાઓમાં કોઇ મદદ નથી કરવાના એવા લોકો સામે તમે તમારા ઘરની વાત ખૂલ્લી મૂકો? હા, હોઇ શકે કે તમને ઘરમાં કોઇ સાંભળતું ન હોય પણ એનો અર્થ એમ તો ન જ થાય કે મન થાય ત્યાં જઇને તમે તમારા ઘરની પોલંપોલ ખુલ્લી મૂકી દો. આ આખી વાતનો સંદર્ભ છે કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીથી લઇને ચેટનહામમાં આપેલાં વક્તવ્ય, જેને કારણે અત્યારે તેમને માથે માછલાં ધોવાઇ રહ્યાં છે. તેમણે અલગ અલગ જગ્યાઓએ આપેલાં પોતાનાં વક્તવ્યોમાં ઘણાં મુદ્દા છેડ્યા. જેમ કે ભારતીય લોકશાહી જોખમમાં છે, ભારતની સંસદમાં અમને બોલવા નથી દેવામાં આવતા, અમારા માઇક્સ બંધ કરી દેવાય છે, તેમણે વિદેશ નીતિ અને વિદેશ મંત્રીની કામગીરી પર પણ સવાલ કર્યા, આર.એસ.એસ.ને ફાસીવાદી સંગઠન તરીકે ખપાવ્યું, ચીન ભારત સાથે એવું જ કરે છે જેવું રશિયા યુક્રેન સાથે કરે છે, એમ કહી ભારત સરકાર ચીન અંગે કોઇ નક્કર પગલાં લેવા નથી માગતી, એમ કહ્યું તો વળી પેગેસસની જાસૂસી, કાશ્મીર, મીડિયાના સ્વાતંત્ર્ય પર સરકારની પકડ, અમુક જ લોકોના હાથમાં રહેલી આર્થિક સત્તાની વાત વગેરે અંગે રાહુલ ગાંધી મન મૂકીને બ્રિટિશ શ્રોતાઓ સામે બોલ્યા.

રાહુલ ગાંધીએ જે પણ વાત કરી એમાંથી કેટલી વાત સાચી અને કેટલી વાત ખોટી એ પ્રશ્ન અત્યારે અસ્થાને છે. રાહુલ ગાંધી વિપક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એ આ વાતો કરે એ સ્વાભાવિક છે. પરંતુ, આ વાતો ક્યાં અને ક્યારે કરવી એનું પ્રમાણભાન અહીંયા જરા ચુકાઈ ગયું લાગે છે. હવે આપણે શાસક પક્ષની વાત કરીએ, જેણે અત્યારે તો રાહુલ ગાંધીને ડાબે હાથે લેવાનું નક્કી કર્યું છે. વાસ્તવિક્તા તો એ પણ છે કે નરેન્દ્ર મોદી સહિતના ભા.જ.પા.ના નેતાઓએ મોકો મળે ત્યારે નહેરુ અને કૉંગ્રેસને વખોડવામાં કંઇ બાકી નથી રાખ્યું. નરેન્દ્ર મોદીએ પણ પોતે જ્યારે નવા નક્કોર વડા પ્રધાન બન્યા હતા ત્યારે, રાષ્ટ્રના પ્રતિનિધિ હોવા છતાં પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજા રાષ્ટ્રોની સામે ખાસ કરીને કૉંગ્રેસની લીટી ટૂંકી કરવામાં વધારે લોહી-પાણી એક કર્યા છે.

શું રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિ અંગે આટલી બધી રાવ-ફરિયાદ યુ.કે.માં કરવાની જરૂર હતી? ભા.જ.પા.ના અમુક ટેકેદારો તો એટલા ગિન્નાયા છે કે એમણે કહ્યું છે કે રાહુલ ગાંધી શું એમ ઇચ્છે છે કે અંગ્રેજો ભારતને ફરી પોતાના સામ્રાજ્યવાદની ચુંગાલમાં ફસાવી દે? રાહુલ ગાંધીએ જે કર્યું એ બરાબર કર્યું કે નહીં એનો કોઇ સ્પષ્ટ જવાબ નથી. સ્વાભાવિક છે કે એક પક્ષને એ જરા ય ગમવાનું નથી અને એવા પણ લોકો હશે જેમને લાગશે કે રાહુલે જે કર્યું એ બરાબર જ છે.  જરા તટસ્થ રહીને વિચારીએ તો એમ થાય કે રાહુલ ગાંધીએ ત્યાં જે રીતે કેન્દ્ર સરકાર સામેનું કમ્પ્લેઇન રજિસ્ટર ખોલી નાખ્યું એ જોતાં જાણે યુ.કે.ની મદદ માંગતા હોય એવું વર્તાયું અને એક રાષ્ટ્રીય સ્તરના નેતાની વાતમાં આ ટોન આવે એ છાજે નહીં. હવે આમાં એક દૃષ્ટિકોણ એ પણ જોવો પડે કે નરેન્દ્ર મોદીએ પણ કૉંગ્રેસના ૭૦ વર્ષને આગળ ધરીને ઘણું બધું કહ્યું છે. શું કેનેડા, નાઇજિરિયા કે ઑસ્ટ્રેલિયાના નેતાઓ બીજા દેશમાં જાય કે આપણે ત્યાં આવે ત્યારે આ રીતે પોતાના રાષ્ટ્રની સમસ્યાઓની પોટલી ખુલ્લી મૂકી દે છે? સ્વકેન્દ્રી થનારા આપણા રાજકારણીઓ – પછી તે ભા.જ.પા.ના હોય કે કૉંગ્રેસના – ભૂલી જાય છે કે દેશની છબી ઉજળી કરવાને બદલે તે એવા લોકો સામે રોદણાં રડે છે જેમને ન તો કોઇ ફેર પડે છે કે ન તો કે કોઇ મદદ કરવાના છે. બીજું, આપણે ત્યાં શું ગરબડ ગોટા ચાલે છે એ અંગે શું વિશ્વના બીજા દેશોને નહીં ખબર હોય?

રાહુલ ગાંધીએ જે પણ કહ્યું એમાં બધા મુદ્દા કંઇ છેદ ઉડાડવા જેવા નથી. તેમણે કહ્યું છે કે ભારતની ત્રણ મોટી સમસ્યા છે – બેરોજગારી, મોંઘવારી અને અસમાનતા. આપણે આ બદલવા માટે અમેરિકાનું આંત્રપ્રિન્યોરશીપ અને ઇનોવેશનનું મૉડલ લાગુ કરી જોયું પણ કંઇ કારી ન ફાવી. ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધે તો આગળ ઉપર જણાવેલા ત્રણેય મુદ્દાને મામલે કોઇ ઉકેલ આવે – માત્ર સર્વિસ ઇન્ડસ્ટ્રીથી પૂરતી રોજગારીની તકો ખડી નહીં થઇ શકે. યુરોપ અને અમેરિકામાં પણ લગભગ આવી જ સમસ્યા છે કારણ કે ચીને આ બધા લોકશાહી રાષ્ટ્રોનો રોજગાર પોતાને ત્યાં ખેંચ્યો છે. ઉત્પાદનને મામલે ચીન રેસ જીત્યો કારણ કે ત્યાં લોકોને કામ કરવાની ફરજ પડાય છે – આવો અભિગમ લોકશાહી દેશોમાં શક્ય નથી. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં યુરોપ કે યુ.એસ.એ.ની માફક રાષ્ટ્રોનો સંઘ નથી (બંધારણમાં એમ હોવા છતાં ય તેની સ્થિતિ યુરોપ કે અમેરિકાથી તદ્દન અલગ છે)– બધા રાજ્યોને માથે એક સરકાર છે.  આપણે ત્યાં અમુક રાજ્યો સત્તાને મામલે બળકટ છે તો અમુક આર્થિક રીતે જોરમાં છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચાતાણીમાં સામાન્ય લોકો પિસાતા રહે છે. પરંતુ આ રજૂઆતમાં ગરબડ એ થઇ કે લોકશાહી રાષ્ટ્રોએ ચીન સામે ઉત્પાદન ક્ષમતા વધારવા શું કરવું જોઇએનો મુદ્દો હાંસિયામાં ધકેલાયો અને ભારતમાં શાસક પક્ષ સામે રજૂ કરાયેલા વાંધા પર વધુ લોકોનું ધ્યાન ગયું.

સમસ્યાઓ ઉકેલવાને બદલે તેની વાત કર્યા કરનારા રાજકારણીઓ – પછી તે કોઇ પણ પક્ષનાં હોય – સારી પેઠે જાણે છે કે આનાથી કંઇ વળવાનું નથી. એક સમયે કટોકટી લાદનારી કોંગ્રેસના નેતાઓએ કટોકટીને કારણે પોતાના પક્ષની શાખ માટીમાં મળી ગઇ એવું ભૂતકાળમાં કબૂલ્યું છે. ભા.જ.પા.ને પોતાની ભૂલો નથી સ્વીકારવી અને તેમની ભૂલો બતાડનારા બધાંનો કાન આમળવવો છે અને બોલતી બંધ કરી દેવી છે. એક પક્ષે લોકશાહીને ફરી સમજવાની જરૂર છે તો એક પક્ષે પ્રમાણભાનની વ્યાખ્યા પર નજર કરી જવાની જરૂર છે. પોતાનો કક્કો ખરો કરવા માથાકૂટ કરનારા રાજકારણીઓ ભૂલી જાય છે કે પોતે ભારતના પ્રતિનિધિ છે માલિકો નહીં.

બાય ધી વેઃ

રાહુલ ગાંધીને આપણે કોઇ પ્રમાણપત્ર નથી આપવું પણ માળું એક વાત તો છે કે કૉંગ્રેસ, નહેરુ અને સ્વાતંત્ર સંગ્રામ, નહેરુ પરિવાર એ બધા માટે ભા.જ.પા.નો વળગાડ જરા વધારે પડતો છે. રાહુલ ગાંધી નેતા થવાને લાયક નથી એવું હજારો વાર કહી ચૂકેલા ભા.જ.પા.ના નેતાઓ તેમની ભારત જોડો યાત્રા હોય કે પછી બ્રિટનમાં કરાયેલા વિધાનો હોય – એ બધાંથી જરૂર કરતાં વધારે જ વ્યથિત થઇ જાય છે. જો ખરેખર ભા.જ.પા.ને લાગતું હોય કે રાહુલ ગાંધીથી કોઇ ફેર નથી પડતો તો પછી આટલો હોબાળો શું કામ? રાહુલ ગાંધીના બોલવાથી ભારતની છબી ખરડાઈ જ જવાની હોય તો એવું ન થાય એ દિશામાં ભા.જ.પા. મક્કમ પગલાં ભરે તો બહેતર છે. રાહુલ ગાંધીને ખોટા સાબિત કરવાની કુસ્તીમાં જોર લગાડવાનો કોઇ અર્થ નથી કારણ કે એમ કરવામાં જે રાહુલ ગાંધીને તે હાંસિયામાં ધકેલવા માગે છે તે અનિવાર્યપણે ચર્ચાનો મુદ્દો રહે છે, લાઇમ લાઇટમાં રહે છે અને ભા.જ.પા. જે કરવા ધારે છે તેનાથી કંઇ બીજી જ દિશામાં વાત વળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 માર્ચ 2023

Loading

12 March 2023 Vipool Kalyani
← એ ક્રાંતિકારીઓને જાનફેસાની સિવાય બીજું કાંઈ સૂઝતું નહોતું
શબ્દાતીત →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved