Opinion Magazine
Number of visits: 9446698
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન : સમૃદ્ધ બને તે પહેલાં વૃદ્ધ થઇ જશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 January 2023

રાજ ગોસ્વામી

જે સમાચાર ઘણાં વર્ષોથી ‘આવું આવું’ કરતા હતા તે ઓલરેડી આવી ગયા છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ(ડબલ્યુ.પી.આર.)નો આધાર લઈને, રોઈટર સમાચાર સંસ્થાએ સંભાવના વ્યક્ત કરી છે કે એવું શક્ય છે કે જનસંખ્યાની બાબતમાં ભારત ચીનને પાછળ છોડીને ક્યારનું ય આગળ નીકળી ગયું છે. આ સંગઠન અનુસાર, 2022ના અંતે ભારતની જનસંખ્યા 138 કરોડ હતી. 17મી જાન્યુઆરીએ ચીને તેની જનસંખ્યાના જાહેર કરેલા આંકડા (141.20 કરોડ) અનુસાર જોઈએ તો ભારત અને તેની વચ્ચે બહુ અંતર રહ્યું નથી.

એમ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘે અનુમાન જ કર્યું હતું કે એપ્રિલ 2023માં ભારતની જનસંખ્યા ચીન કરતાં વધી જશે, પરંતુ ડબલ્યુ.પી.આર.ની ગણતરી પ્રમાણે ભારતે આ માઈલસ્ટોન જાન્યુઆરીમાં જ પાર કરી દીધો છે. મેક્રોટ્રેન્ડઝ નામના એક રિસર્ચ પ્લેટફોર્મ તરફથી જારી રિપોર્ટ પ્રમાણે ભારતની જનસંખ્યા 1.428 બિલિયન થઇ ચૂકી છે. ભારત દરેક દાયકામાં તેની જનસંખ્યાના આંકડા જાહેર કરે છે પરંતુ કોવિડની મહામારીને લઈને 2021માં તેને ટાળી દેવામાં આવ્યા હતા.

ડબલ્યુ.પી.આર.નો રિપોર્ટ કહે છે કે ભારતમાં જનસંખ્યાનો વિકાસ ઓછો થયો છે પણ તેની ગતિ 2050 સુધી જારી રહેશે. બીજી તરફ, ચીનની જનસંખ્યા ઓછી થઇ રહી છે. 2022ની સરખામણીમાં ચીનની જનસંખ્યા 2022માં 8.5 લાખ ઓછી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના આકલન મુજબ 2022 અને 2050 વચ્ચે વિશ્વની જનસંખ્યામાં જેટલો વધારો થવાનું અનુમાન છે, તેની અડધાથી વધુ જનસંખ્યા માત્ર 8 દેશોમાં નોંધાશે; ભારત, પાકિસ્તાન, ફિલિપાઈન્સ, ગ્રીસ, ઇથોપિયા, કોંગો, નાઇજીરિયા અને ટૅન્ઝાનિયા.

ચીનમાં જનસંખ્યા ઘટવા પાછળ ઘટતો જન્મદર છે. ચીનમાં હવે એવી સ્થિતિ છે કે જેટલાં બાળકો જન્મ લે છે તેનાથી વધુ લોકોનાં મુત્યુ થાય છે. ચીન સરકારે તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2022માં દેશમાં 95.6 લાખ બાળકોએ જન્મ લીધો હતો, જયારે 104.1 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. 1966માં, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ચેરમેન માઓ-ત્સે—તુંગે, ચીની કોમ્યુનિઝમનું શુદ્ધિકરણ કરવા અને સ્વદેશી વિચારધારા (જેને ચીનની બહાર માઓવાદ કહે છે) લાગુ કરવા માટે એક ક્રાંતિનું આહ્વાન કર્યું હતું. દસ વર્ષ પછી, 1976માં માઓના અવસાન સાથે એ ક્રાંતિ નિષ્ફળ સાબિત થઇ હતી. જો કે તે દરમિયાન ચીનની સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું ભયાનક નુકસાન થયું હતું. 

ચીનના વિકાસની ગાડી પૂરપાટ દોડી જ માઓના અવસાન પછી. સાંસ્કૃતિક ક્રાંતિનું મૂળ માઓની ગ્રેટ લીપ ફોરવર્ડ ચળવળમાં છે. આપણે ત્યાં જેમ પંચ વર્ષીય યોજના હતી, તેવી રીતે માઓએ 1958થી 1962 વચ્ચે આર્થિક અને સામાજિક સુધારની ચળવળ શરૂ કરી હતી. અમુક લીડરો બહુ મોટી મોટી યોજનાઓ ઘડતા હોય છે અને પછી વગર વિચારે તેનો અમલ કરતા હોય છે. ગ્રેટ લીપ ફોરવર્ડ યોજના એવી જ હતી. એમાં દેશમાંથી પરંપરાગત કૃષિ અર્થવ્યવસ્થાને સમાપ્ત કરી દઈને તેના સ્થાને કોમ્યુનિસ્ટ વિચારધારા અનુસાર સહકારી કૃષિ અને ઔદ્યોગિક વ્યવસ્થા લાવવાનો ઈરાદો હતો.

તેમાં કૃષિ ક્ષેત્રે ભયંકર પાયમાલી થઇ હતી અને તેમાં જન્મ કરતાં મૃત્યુની સંખ્યા વધી ગઈ હતી. એક અંદાજ પ્રમાણે 1960 અને 1961 વચ્ચે 7 લાખ લોકો માર્યા ગયા હતા. જો કે ત્યારે જન્મદર ઘટ્યો નહોતો અને એ ચિંતાનો વિષય હતો. એટલા માટે જ ત્યાં જન્મસંખ્યાને કાબૂમાં લાવવા માટે અનેક પ્રયાસો થયા હતા. એમાંનો એક પ્રયાસ હતો ‘વન ચાઈલ્ડ પોલિસી.’ 1980ના આ કાનૂન મુજબ પતિ-પત્ની એક જ બાળકને જન્મ આપી શકતાં હતાં અને તેમને જ સરકારી નોકરીઓ મળતી હતી. 

જાણકાર લોકો કહે છે કે આ નીતિના કારણે નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ શરૂ થયો છે. ચીનની સમસ્યા બે મોરચે હોવાનું અનુમાન છે; એક તો જન્મદર ઓછો છે અને બીજું ઉંમરવાળી આબાદી વધતી જાય છે. ચીને પાછલાં અમુક વર્ષોમાં બાળકોનો જન્મદર વધે તે માટે ઘણી યોજનાઓ જાહેર કરી હતી. 2016માં ચીને ‘વન ચાઈલ્ડ પોલિસી’માં સુધારો કરીને બે બાળકો અને 2021માં ત્રણ બાળકોની છૂટ આપી હતી.

ઘટતો જન્મદર લેબર માર્કેટમાં આ ચિંતાનું કારણ છે? નવા આંકડા જાહેર કરતી વખતે નેશનલ પીપલ્સ કઁગ્રેસની કૃષિ અને ગ્રામ્ય બાબતોની કમિટીના વાઈસ-ચેરમેન કાઈ ફેંગે કહ્યું હતું કે ચીનમાં હજુ પણ માંગના પુરવઠા સામે લેબર સપ્લાયનો પુરવઠો ઘણો વધુ છે એટલે લોકોએ જનસંખ્યામાં કમી આવી છે તેની ચિંતા કરવા જેવી નથી.

ચીન સુપરપાવર બનવા તરફ ગતિ કરી રહ્યું છે તેને લઈને ભારત સહિતની પશ્ચિમની હરીફ અર્થવ્યવસ્થાઓ માટે કાયમ ચિંતા રહી છે પરંતુ ચીનની તાકાતમાં વિશ્વાસ ધરાવતા નિષ્ણાતો પણ એ મતના હતા કે ચીનનો અનુમાનિત વિકાસ છેવટે એક સ્તર પર આવીને ધીમો થઇ જશે. એ સ્તર ધાર્યા કરતાં વહેલું આવ્યું હોવાનો મત હવે મજબૂત થઇ રહ્યો છે.

તેનો સંકેત તેની જનસંખ્યાના અને તેની અર્થવ્યવસ્થા ગયા વર્ષે 3 ટકાના દરે જ વધી હોવાના તાજા ડેટામાંથી મળ્યો છે. સરકારનું અનુમાન એવું હતું કે અર્થવ્યવસ્થા 5.5 ટકાના દરે વધશે. અર્થવ્યવસ્થાની ધીમી ગતિ ચીનની ઝીરો-કોવિડ પોલિસીના કારણે છે. ચીને કોવિડના કેસ શૂન્ય પર લાવવા માટે આક્રમક નીતિ અપનાવી હતી પરંતુ લોકો વારંવારનાં લોકડાઉન્સથી ત્રાસી જતાં હજુ ગયા મહિને જ એ પોલિસીમાંથી પારોઠાનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. 

જનસંખ્યા દરમાં ઘટાડો તેના માટે મુસીબત બની શકે છે. જાણકાર લોકો કહે છે કે આ નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથમાં કદાચ ક્યારે ય સુધારો નહીં થાય. 1980 અને 2015 વચ્ચે ચીનમાં કામ કરતી વસ્તી (વર્કિંગ-એજ પોપ્યુલેશન) 59.4 કરોડથી વધીને એક અબજની થઇ હતી. 1980માં, ચીનમાં કામ કરતી વસ્તીની અપેક્ષાએ યુવા અને ઉંમરવાન વસ્તી 68 ટકા હતી, જે 2015માં ઘટીને 38 થઇ હતી. એનો અર્થ એ થયો કે કામ ન કરતી દરેક વ્યક્તિની સામે કામ કરતી વ્યક્તિની સંખ્યા વધુ હતી.

નિષ્ણાતો કહે કે આ ટ્રેન્ડ હવે રિવર્સ થશે. હવે યુવાન વસ્તી ઘટશે અને ઉંમરવાન વસ્તી વધશે. કામ કરવા જોગ યુવા વસ્તી વધુ હોય અને તેના પર નાની તેમ જ ઉંમરવાન વસ્તીની દરકાર કરવાનું દબાણ ન હોય તેવી પરિસ્થિતિ જ ચીનની હરણ ઝડપે આર્થિક વિકાસ માટે કારણભૂત હતી. પાછલા એક દાયકામાં હજારોની સંખ્યામાં ચાઇનીઝ લોકો નિવૃત્ત થયા છે અને તેની જગ્યાએ આવતા યુવાનોની સંખ્યા ઓછી થઇ છે.

ચીન વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તે સાચું, પરંતુ પ્રતિવ્યક્તિ (પર કેપિટા)ની દૃષ્ટિએ તે હજુ ય માધ્યમ-આવકવાળો દેશ છે. અમેરિકા છોડો, તેને યુ.કે.ની જેમ પ્રતિવ્યક્તિ ઉચ્ચ-આવકવાળી અર્થવ્યવસ્થા બનવું હોય તો તોતિંગ આર્થિક વિકાસ કરવો પડશે. વિકાસનું તેનું આ ગાડું ઉંમરવાન વસ્તીની વધતી સંખ્યામાં આવીને ફસાઈ જવાનું છે. ચીન સમૃદ્ધ બંને તે પહેલાં વૃદ્ધ થઇ જવાનું છે.

એ જો ઝડપથી વિકાસ નહીં કરે તો તેનો ભાર ઘરડાંની કમરે આવવાનો છે. 2013ના એક અભ્યાસ અનુસાર, ચીનના એક ચતુર્થાંશ જેટલાં વૃદ્ધ લોકો ગરીબી રેખા નીચે જીવે છે અને ચીનમાં- જાપાન અને સાઉથ કોરિયા જેવા અન્ય ધનિક ઇસ્ટ એશિયન દેશોની માફક – સિનિયર સિટીઝન્સને ટેકો મળી રહે તેવી કોઈ ખાસ વ્યવસ્થા નથી. તેમની સંભાળ રાખવા વાળાં બાળકો હોય ત્યાં સુધી ઘરડી વસ્તીની કોઈ સમસ્યા નથી, પરંતુ વન ચાઈલ્ડ પોલિસીના પરિણામે આજે ત્યાં વસ્તીનો ઊંધો પિરામીડ સરજાયો છે; 4-2-1. ચાર દાદા-દાદી અને બે પેરેન્ટ્સ એક બાળકના આશ્રયે જીવે છે.

વૃદ્ધોની સંખ્યા વધે, તેમને સરકારી યોજનાઓનો કોઈ ટેકો ન હોય અને બાળકો તેમની સંભાળ રાખવામાં ઘસાઈ જાય તેનું સરવાળે પરિણામ દેશની અર્થવ્યવસ્થા પર પડે છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવા અને ખાસ તો ચીનનો મુકાબલો કરવા માટે ભારત માટે અહીં પાઠ ભણવા જેવું છે. એક તો તેણે જન્મદર નિયંત્રિત કરવા માટે ચીન જેવા કોઈ કાયદા લાવવા ન જોઈએ જે ઊલટા પડે અને બીજું, ભારતમાં સિનિયર સિટીઝન્સ(ચીનની જેમ, અમુક રાજ્યોમાં તેની સંખ્યા યુવાનો કરતાં વધુ છે)ની આબાદીનો ભાર પરિવારો પર ઓછો પડે તે માટે સરકારે વિશેષ યોજનાઓ વિચારવી જોઈએ.

ત્રીજું, ભારતે તેનાં તમામ રાજ્યોની આર્થિક પ્રગતિ પર ભાર આપવો જોઈએ. અત્યારે પ્રગતિનું ગાડું અસામાન ચાલી રહ્યું છે. અમુક રાજ્યોની પ્રગતિ સારી છે અને અમુકની ડામાડોળ છે. સર્વગ્રાહી પ્રગતિ માટે ભારતે તેની સામાજિક સમસ્યાઓ અને વિરોધાભાસોને મિટાવી દેવા જોઈએ. વધુ મહિલાઓ રોજગારીમાં જોડાય તેવી પ્રેરણા મળવી જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે તકો વધવી જોઈએ. આરોગ્ય વ્યવસ્થા ચુસ્ત થવી જોઈએ અને શિક્ષાનું સ્તર સુધારવું જોઈએ.

લાસ્ટ લાઈન:

“ગરીબી એટલે માત્ર પૈસાનો અભાવ નહીં; માણસ તરીકેની તેની પૂરી સંભાવનાને સાકાર કરવાની ક્ષમતા ન હોય તે પણ ગરીબી જ કહેવાય.”

— અમર્ત્ય સેન, અર્થશાસ્ત્રી 

પ્રગટ : ‘ક્રોસલાઈન’ “ગુજરાતી મિડ-ડે”; 22 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 January 2023 Vipool Kalyani
← ભારતીયોમાં સાર્વજનિક શિષ્ટાચારની કમી કેમ છે?
વસંત ક્યાં છે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved