યુ.એસ.એ.ની મધ્યસત્રની ચૂંટણીમાં ‘ટ્રમ્પ’ના સિક્કા ધાર્યા એટલે ઉછળ્યા નહીં, પરંતુ ધારો કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની વાપસી થાય તો શું?
યુ.એસ.એ.માં હાલમાં મધ્યસત્રની ચૂંટણી ચાલી રહી છે. ભલે આપણે મેચની ચિંતા કરતા હોઇએ પણ યુ.એસ.ની ચૂંટણી આખી દુનિયા માટે એક અગત્યનું જોણું તો છે જ. એમાં ય વળી કૉવિડ-19ની કટોકટી અને ૬ જાન્યુઆરી ૨૦૨૧માં યુ.એસ. કેપિટલ પરના હુમલા પછી યુ.એસ.માં આ પહેલી ચૂંટણી છે.
મધ્યસત્રની ચૂંટણી શરૂ થઇ તે પહેલાં અટકળો શરૂ થઇ જાય તે સ્વાભાવિક છે. મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દેખાવ નબળો હશે અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ તથા સેનેટ પર રિપબ્લિકન્સનો કાબૂ હશે પ્રકારની ચર્ચાઓ પણ છેડાઇ. આ સાથે સૌથી મોટી અટકળ પર વાત શરૂ થઇ કે શું વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી શક્ય છે?
ડોનાલ્ડ ટ્રમ્પ કોઇને ગમે કે ન ગમે – વાસ્તવિકતા એ છે કે રિપબ્લિકન પાર્ટીમાં તે એક અગત્યનો ચહેરો તો છે જ. રિપબ્લિકન પાર્ટીને જો પ્રમુખ પદ માટે ઉમેદવાર જાહેર કરવાનો આવે તો પૂરી શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જાહેર થાય. જો મંગળવારે જ્યોર્જિયા, ન્યુ હેમિસ્ફિયરનાં પરિણામો પછી ટ્રમ્પનું કદ રિપબ્લિકન પાર્ટીમાં જરા ઘટ્યું છે ખરું. રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે મધ્યસત્રની ચૂંટણીમાં ઝૂકાવ ભલે વ્હાઇટ હાઉસમાં બેઠેલાની વિરોધમાં હોય પણ જ્યારે પ્રમુખ પદ માટે ચૂંટણી થશે ત્યારે આવું નહીં જ હોય. આમ પણ પારંપરિક રીતે જે પક્ષ સત્તા પર હોય તેને મધ્યસત્રની ચૂંટણીમાં જરા પાછી પાની કરવાનો જ વારો આવે છે કારણ કે લોકો તેમની વિરોધમાં મત આપીને પોતાનો રોષ અને અસંતોષ જાહેર કરે છે.
ટ્રમ્પને હવે પહેલા જેટલો બહોળો મજબૂત ટેકો મળવાનો નથી. છતાં ય અમુક વિશેષજ્ઞોએ એવી ધારણાઓ કરીને પોતાની ટિપ્પણીઓ આપી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફરે તો શું થાય? પહેલાં ય ટ્રમ્પે અણધારી જીત મેળવી છે અને માટે ભલે તેમની તરફી ઝૂકાવ કે ટેકો ઓછાં હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પને તદ્દન નકારી કાઢવાની ચૂક યુ.એસ. રાજકારણમાં અત્યારના તબ્બકે કોઇ કરવા નથી માંગતું. જો બાઇડનના અપ્રુવલ રેટિંગ્ઝ સાવ નીચે છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક સાથે ત્રણ ઇલેક્શનમાં હાર કોટે વળગાડી છે. યુ.એસ.ના રાજકારણમાં ટ્રમ્પ તરફીઓમાંના કેટલાકને ગવર્નર પદ માટે ટ્રમ્પે પસંદ કરેલા ઉમેદવારો સામે વાંધો છે કારણ કે એ ઉમેદવારો પ્રાઇમરી ચૂંટણીમાં તો જીતી ગયા પણ જનરલ ઇલેક્શનમાં કંઇ ખાસ ઉકાળી ન શક્યા. આ તરફ ટ્રમ્પે પોતાના કક્કો ખરો કરવામાં કઇ બાકી ન રાખ્યું – મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળા હિસાબે જાહેરમાં તો એમ જ કહ્યું કે ભલે ગઇકાલની ચૂંટણી નાસીપાસ કરે તેવી હતી પણ મારે માટે ૨૧૯ વિન્સ અને ૧૬ હાર જરા ય ઓછી નથી. ટ્રમ્પ સાહેબ ટ્વીટર પર તો છે નહીં, એટલે આ વાત તેમણે ટ્રુથ સોશ્યલ નેટવર્ક પર લખી હતી. જો કે અમેરિકામાં હાલમાં બ્રાન્ડ ટ્રમ્પને બહુ વધારે માન-મરતબો આમે ય નથી મળતો.
ટ્રમ્પને મધ્યસત્રની ચૂંટણી પહેલાં પુછવામાં આવ્યું કે જો આ પરિણામો રિપબ્લિકન પાર્ટીની તરફેણમાં હોય તો એમને કેટલી વાહવાહી મળવી જોઇએ તો તેમનો જવાબ હતો કે બધી જ ક્રેડિટ તેમને જ મળવી જોઇએ, વળી ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો એ લોકો હારી જાય તો એમણે તેમનો વાંક ન કાઢવો. કાંટો આવે તો હું જીતું અને છાપ વે તો તમે હારો વાળું ટ્રમ્પનું ગણિત કોઇને ય આંખમાં ખૂંચે એવું તો છે જ. મીડિયા ટાયકૂન રૂપર્ડ મર્ડોકનો ટેકો ટ્રમ્પને માટે હવે રહ્યો નથી. તેમના માધ્યમો પર ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા ‘લૂઝર’ ગણાવી દેવાયા છે, વળી જે રાજકારણીઓને ટ્રમ્પે ટેકો આપ્યો તે બધા હારને રસ્તે હતા એવું પણ કહેવાયું.
આ બધી તો યુ.એસ.એ.ના આંતરિક અભિપ્રાયો અને ગમા-અણગમાની વાત છે. પરંતુ જો ટ્રમ્પ ફરી યુ.એસ.એ.ના પ્રમુખ બને તો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ તેનો ઘેરો પ્રભાવ પડે. ખાસ કરીને ક્વૉડ દેશોના સંબંધે જાપાન અને ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં બાકીના રાષ્ટ્રો એક સરખા ઝુકાવ વાળા એટલે કે જમણેરી હોય. હવે ઘર ભણી નજર કરીએ તો ભારતે તો રિપબ્લિકન સાથે પણ સારું રાખ્યું છે અને ડેમોક્રેટ્સ સાથે પણ દિલ્હી ઑફિસની દોસ્તી સારી જ રહી છે. આવું હોય ત્યારે ભારતને અમેરિકાના પ્રમુખ તરીકે કોણ આવે છે તેનાથી બહુ ફેર કદાચ પડે. યુ.એસ. અને ભારતના સંબંધો બન્ને પક્ષો માટે અગત્યના રહ્યા છે. મધ્યસત્રની ચૂંટણીનો કોઇ સીધો પ્રભાવ ભારત – યુ.એસ.ના સંબંધો પર ન પડે. ભારત માટે યુ.એસ.ના પ્રમુખ પદે કોણ બેઠું છેનો પ્રશ્ન ત્યારે જ જરૂરી બને જ્યારે ‘સિવિલ ન્યુક્લિયર કોર્પોરેશન’ જેવા મોટા નિર્ણયો લેવાતા હોય.
બાય ધી વેઃ
આમ આપણને ઘેર બેઠા એવો વિચાર આવે ખરો કે યુ.એસ.એ.માં જે થવું હોય એ થાય આપણે શું? પરંતુ રશિયાએ જાહેર કરેલું યુદ્ધ, માથે તોળાતી મંદી, ઇમિગ્રેશનના મુદ્દાઓ જેવું કેટલું ય છે જે સીધી કે આડકતરી રીતે આપણને અસર કરે જ છે. વળી વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા યુ.એસ.એ.ની પ્રજા ધર્માંધતા, ખ્રિસ્તી રાષ્ટ્રવાદ, ઝેનોફોબિયા(બીજા રાષ્ટ્રના લોકો પ્રત્યેનો અણગમો)ના પક્ષમાં મત આપે છે કે પછી ડેમોક્રેટ્સની પસંદગી કરે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ ચિવટથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પગલાં લેવા રહ્યાં કારણ કે માત્ર બે રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની દોસ્તીથી કે સારાસારીથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. આપણે વિકાસશીલ દેશ છીએ અને માટે જ આપણે માટે આંતરરાષ્ટ્રીય રાજકારણના વાટાઘાટ બહુ મહત્ત્વનાં હોય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 નવેમ્બર 2022