Opinion Magazine
Number of visits: 9446716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનામતની જોગવાઈ કેવી રીતે નક્કી કરવી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 November 2022

આર્થિક રીતે પછાત (ઇકોનોમિકલી વીકર સેક્શન) સવર્ણોને દસ ટકાની અનામત આપવાનો સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો ગેરબંધારણીય અને સામાન્ય બુદ્ધિથી ચકાસો તો પણ ટકી ન શકે એવો વાહિયાત છે. પણ આ યુગ જીહજૂરીનો છે એટલે શાસક પક્ષની વિચારધારાને અનુકૂળ થવાનો સર્વત્ર પ્રયાસ થઈ રહ્યો છે, એનું આ ઉદાહરણ છે. આ આઘાતજનક ઘટના એટલા માટે છે કે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચનો આ ચુકાદો છે. બંધારણીય બેંચનું કામ માત્ર બંધારણનું અર્થઘટન કરવાનું નથી, પણ તે દ્વારા બંધારણીય જોગવાઈઓનું અને બંધારણીય ભારતનું જતન કરવાનું છે. ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં મૂળભૂત અધિકારને લગતા કેસોમાં પણ આવી જ રીતે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ પાણીમાં બેસી ગઈ હતી. ત્યારે પણ સર્વોચ્ચ અદાલતના કેટલાક ન્યાયમૂર્તિઓએ એ વખતના શાસકોનાં વલણને (વલણને, અત્યારના શાસકોની જેમ વિચારધારાને નહીં) અનુકૂળ થવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એ.એન. રાયે કહ્યું હતું કે રાજ્યએ દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે એટલે રાજ્ય મૂળભૂત અધિકાર પાછા પણ લઈ શકે અને તે સંકોરી પણ શકે. જે આપે તે પાછા લે પણ ખરા અને ઘટાડે પણ ખરા.

દેશમાં સેંકડો-હજારો વર્ષ જૂની પરંપરાગત અન્યાયી વ્યવસ્થાને કારણે કેટલીક પ્રજાને સામાજિક સીડી ઉપર ચડવા નહોતું મળતું અથવા ચડવા દેવામાં નહોતા આવતા. આને કારણે દેશની ઘણી મોટી સંખ્યામાં ચોક્કસ પ્રજા માનવીય વિકાસ અને ગરિમાના માપદંડોથી ચકાસવામાં આવે તો હાંસિયામાં જીવતી આવી છે. તેમને હાંસિયામાંથી બહાર કાઢવી હોય અને અન્ય વિકસિત પ્રજાની સમકક્ષ બનાવવી હોય તો તેમને થોડા સમય માટે વિશેષ તક આપવી જોઈએ. જેમ લાગણીવાળી જવાબદાર માં બીમાર કે નિર્બળ બાળકને વધુ શીરો ખવડાવે અને સગવડ ન હોય તો બીજા બાળકને ઓછો શીરો આપે એમ. બંધારણમાં આવી જોગવાઈ કરનારા મોટાભાગના સભ્યો સવર્ણ હતા, પણ તેમનું હ્રદય માંનું હતું. આવી જોગવાઈ વિશ્વના અનેક દેશોમાં છે અને તેને પોઝિટીવ ડિસ્કીમિનેશન અથવા અફરમેટીવ એક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. આપણે ત્યાં તેને અનામત તરીકે ઓળખાવવામાં આવે છે.

પણ આની સામે સવર્ણનો એક વર્ગ એવો હતો જેને શરૂઆતથી જ પછાત પ્રજાને વિશેષ તક આપવામાં આવે એ જોઇને પેટમાં દુઃખતું હતું. રાજ્ય લાગણીશીલ જવાબદાર માતાની ભૂમિકા ભજવે એ તેમને પહેલેથી જ ગમતું નહોતું. તેમને સામાજિક-આર્થિક (મુખ્યત્વે સામાજિક) સરસાઈ જતી રહેશે અને દલિતો અને અન્ય પછાત કોમ સાથે સમાન ધોરણે જીવવું પડશે એ વાતનો ડર લાગતો હતો. હવે તેઓ એમ તો કહી શકે નહીં કે જે પછાત છે એ પાછલા જનમમાં તેમણે કરેલાં પાપની સજા ભોગવી રહ્યા છે એટલે તેમની દયા ખાવાની જરૂર નથી. તેમણે આ ભવમાં સારાં કર્મો કરીને હવે પછી બ્રાહ્મણના ઘરે જન્મ મેળવવો જોઈએ. હકીકતમાં તેઓ આવું જ માને છે, પણ બોલતા શરમાતા હતા.

માટે તેઓ અનામતના વિરોધમાં એક દલીલ એવી કરતા હતા કે માની લો કે પછાતો સાથે અન્યાય થયો પણ છે તો એ અમારા બાપદાદાઓએ કર્યો છે અને તેમની સજા આજે અમને શા માટે? એકની સજા બીજાને કરવી એ અન્યાય નથી? તેમની બીજી દલીલ એવી હતી કે બંધારણમાં કહ્યું છે કે ભારતનાં પ્રત્યેક નાગરિક સમાન હશે અને રાજ્ય કોઈ દેશના કોઈ નાગરિક સાથે તેનાં ધર્મ, ભાષા, જ્ઞાતિ કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ નહીં કરે. બંધારણમાં આવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં પછાતો અને સવર્ણો વચ્ચે ભેદભાવ કરવો એ ખોટું નથી? તેમની ત્રીજી દલીલ એવી હતી કે અનામતની જોગાવાઈ ક્યાં સુધી? અનામતની જોગવાઈ આપી તેને ૨૫ વરસ થયાં, એ પછી ૫૦ વરસ થયાં અને હવે ૭૫ વરસ થયાં તેનો કોઈ અંત ખરો કે નહીં? તેમની ચોથી દલીલ એવી હતી કે અનામતના કારણે ગુણવત્તા (મેરિટ) જોખમાઈ રહી છે. કોઈ દેશ મેરિટ વિના આગળ કઈ રીતે વધી શકે? દુનિયાની આપણે બરોબરી કરવાની છે, હરીફાઈનો યુગ છે વગેરે. તેમની પાંચમી દલીલ એવી હતી કે અમે પણ પછાત છીએ. એવું થોડું છે કે પછાતો માત્ર પછાત કોમની યાદીમાં સ્થાન પામેલી જ્ઞાતિઓમાં જ છે. અમે પણ પછાત છીએ. પાટીદારો, મરાઠાઓ, જાટો વગેરે જ્ઞાતિના લોકો આવી દલીલ કરવા માગ્યા હતા. તેમની (ખાસ કરીને બ્રાહ્મણોની) છઠ્ઠી દલીલ એવી હતી સવર્ણોની અંદર જે આર્થિક રીતે પછાત છે તેને પણ અનામતનો લાભ મળવો જોઈએ.

છેલ્લા પાંચ દાયકાથી અનામતનો વિરોધ કરનારાઓ આદુ ખાઈને અનામતની જોગવાઈની પાછળ લાગ્યા છે. તેઓ કોઈ પણ ભોગે તેને ખતમ કરવા માગે છે. પણ વીતેલા યુગની એક વિશેષતા હતી અને એ વિરોધ કરનારાઓને કનડતી હતી. મીડિયામાં મોટા ભાગના પત્રકારો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. ન્યાયતંત્રમાં મોટા ભાગના જજો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. વીતેલા યુગમાં પત્રકારો વિવેકનો, સભ્યતાનો અને ન્યાયનો પક્ષ લેતા હતા અને અનામતનો બચાવ કરતા હતા. એવું નથી કે તેઓ અનામતની જોગવાઈમાં રહેલી મર્યાદાઓ નહોતા બતાવતા, પણ અનામતની જોગવાઈને ટેકો આપતા હતા. સ્વાર્થપરક વાહિયાત દલીલોની ત્યારે ઠેકડી ઉડાડવામાં આવતી હતી. અદાલતોમાં અનામતની જોગવાઈની સામે અનેક અરજીઓ કરવામાં આવી હતી અને દરેક વેળાએ જજો અનુકંપા, ન્યાય, વિવેક અને બંધારણનાં આત્માની પડખે ઊભા રહેતા હતા; બ્રાહ્મણ અને સવર્ણ હોવા છતાં. અત્યારે સ્થિતિ બદલાઈ ગઈ અને સાચું પૂછો તો સ્થિતિ બદલવામાં આવી છે. મીડિયામાં અને અદાલતોમાં એવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે જેઓ સ્થાપિત હિતોના પક્ષકાર બનવામાં શરમ ન અનુભવે. એવા લોકો છે જેઓ ન્યાય, વિવેક, બંધારણનો આત્મા, અનુકંપા વગેરેને કિનારે કરી આપે.

ઉપર જે છ દલીલો બતાવવામાં આવી એમાંની છેલ્લી બે દલીલો અનામતની જોગવાઈનો પ્રાણ હરી લેવા માટેની છે. અનામતની જોગવાઈને હાસ્યાસ્પદ બનાવવા માટેની છે. અમે પણ પછાત છીએ. અનામત આપો અને નહીંતર અમે મત નહીં આપીએ. પટેલો, જાટો, મરાઠાઓ આવી માગણી કરી રહ્યા છે. તેમને ખબર છે કે બધા જ અનામતમાં ઘૂસી જશે તો ગોકુળ નાનું અને વૈષ્ણવ ઝાઝા જેવી સ્થિતિ થશે અને જોગવાઈ હસ્યાસ્પદ બની જશે. મીડિયામાં અને ન્યાયતંત્રમાં હવે એવા માણસો છે જેનો અંતરાત્મા વેચાઈ ગયો છે. પત્રકારો પ્રવેશનો બચાવ કરશે અને જજો આપશે. એ પછી હમ ભી પછાત, સામાજિક રીતે નહીં તો આર્થિક રીતે. બોલો તમારે શું કહેવાનું છે? તેમને પણ જાણ છે કે મીડિયામાં અને ન્યાયતંત્રમાં વિવેકહીન અંતરાત્મા વિનાના માણસો બેસી ગયા છે. આમ પાંચમી અને છઠ્ઠા પ્રકારની દલીલ કરનારાઓએ અનામતમાં પ્રવેશ મેળવી લીધો છે.

જો આ દલીલમાં દમ હતો તો તેને સ્વીકારવામાં ૭૫ વરસ શા માટે લાગ્યાં? આ કોઈ પહેલીવાર કરવામાં આવેલી દલીલ નથી. શું અત્યાર સુધીના જજો અને પત્રકારો બેવકૂફ હતા? અન્યાય કરનારા હતા? અત્યારે અચાનક જ્ઞાન લાધવાનું શું કારણ? અને બીજું, મેરીટનું શું? બહુ મેરીટની ચિંતા કરતા હતા, દેશનું શું થશે એવું કહીને છાતી ફૂટતા હતા તો હવે મેરીટનું શું થશે? પણ ચિંતા નહીં કરતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ ઉચ્ચકુલીન છે માટે સ્વયંસંપૂર્ણ છે, એટલે ભલે એ અનામતવાળો હોય, ૩૫ માર્ક્સવાળો હોય, મેરીટ જળવાઈ રહેશે. મેરીટ વિષે કોઈ કાંઈ બોલે તો કહેજો.

અને હા, એક વાત કહેવી રહી. જગત આખામાં કોઈ દેશમાં આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ આપવામાં નથી આવતી. આર્થિક પછાતપણું (ગરીબાઈ) નક્કી કરવું અશક્ય છે, તે બદલાતું રહે છે અને આર્થિક પછાતપણું વિકાસમાં અવરોધરૂપ નથી બનતું. એનું એક પ્રમાણ એ છે કે ભારતને આઝાદી એ લોકોએ અપાવી હતી જેઓ આર્થિક રીતે પછાત ગરીબીમાં જન્મ્યા હતા અને તે બધા (મોટા ભાગના) સવર્ણ હતા. સવર્ણ હોવાને કારણે તેઓ એક પ્રકારની જાગૃતિ ધરાવતા હતા અને દેશને જાગૃત કર્યો હતો. ગરીબ ઘરે જન્મ્યા હોવા છતાં. જે લોકો સંપન્ન હતા તેઓ આઝાદીનો વિરોધ કરતા હતા. અને આજે? વિડંબના જુઓ, દેશને આઝાદી અપાવનારાઓનાં સંતાનો દલીલ કરે છે કે તેઓ ગરીબીને કારણે લાચાર છે અને સર્વોચ્ચ અદાલતના જજો કહે છે કે હા, તેમની વાત સાચી છે, એ દિશાહીન લાચાર બિચારાઓને કાખઘોડીની જરૂર છે. આપણે સર્વોચ્ચ અદાલતના એ ત્રણ જજોને પૂછવું જોઈએ કે જેને કાખઘોડીની જરૂર છે તેણે આઝાદી કેવી રીતે અપાવી? સાહિત્ય, વિજ્ઞાન અને બીજા ક્ષેત્રોમાં તેઓ કેવી રીતે ઝળક્યા? અંગ્રેજોએ તો કોઈ અનામતની જોગવાઈ આપી નહોતી. સર્વોચ્ચ અદાલતના સંખ્યાબંધ જજો એવા હશે જેઓ ગરીબ પછાત પરિવારમાં જન્મ્યા હશે.

આખો ખેલ અનામતને હાસ્યાસ્પદ બનાવીને પછાતોને ન્યાયથી વંચિત રાખવાનો છે અને બ્રાહ્મણી હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 નવેમ્બર 2022 

Loading

13 November 2022 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—170
યુ.એસ.એ.માં મધ્યસત્રની ચૂંટણીનો મોટો પ્રશ્નઃ ટ્રમ્પનું પુનરાગમન થાય તો શું? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved