એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેથ બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કૂતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યાં હોત

HM The Queen at Buckingham Palace on 26th November 2001. Part of a series of photographs taken to commemorate the Golden Jubilee in 2002. (Photo by Lichfield Archive via Getty Images)
એક હતો રાજા અને એક હતી રાણી. પણ ખરેખર તો રાજ રાણીએ જ કર્યું. પોતાના વંશ-વેલા પરિવાર અને રાજપાટને બરાબર મુઠ્ઠીમાં જકડી રાખવામાં રાણીએ ભારે જહેમત કરી, ક્યારેક કડક નિર્ણયોથી તો ક્યારેક કંઇક જતું કરીને. આખરે જીવનના સાડા નવ દાયકા જીવીને રાણીએ અંતિમ શ્વાસ લીધો. ક્વીન એલિઝાબેથ બીજાં જ્યારે 25 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું નિધન થયું અને 1952માં તેમણે બ્રિટિશ રાજની ગાદી સંભાળી તે છેલ્લા શ્વાસ સુધી તેમણે એ જવાબદારી પોતાના હાથમાં જ રાખી. ઇતિહાસમાં કોઇ મહિલાએ આટલું લાબું શાસન કર્યું હોવાનો શ્રેય એલિઝાબેથ બીજાંને જાય છે. બ્રિટનના ૧૫ વડા પ્રધાન સાથે પણ તેમણે કામ કર્યું અને ગયા અઠવાડિયે ઑફિસમાં પ્રવેશેલાં લિઝ ટ્રસના આગમન વખતે તે જ બ્રિટનના સૌથી ઉચ્ચ રાજવી પદે હતાં. અમેરિકાના 14 પ્રમુખોમાંથી 13ને તે મળ્યાં છે અને અનેક રાજવી પ્રસંગોથી માંડીને રાજ્ય સંબંધિત કાર્યક્રમો માટે વિવિધ રાષ્ટ્રો, રાજ્યોની મુલાકાતો લીધી છે. ક્વીન એલિઝાબેથે ઇતિહાસ રચ્યો છે એટલું જ નથી, તે પોતે ઇતિહાસ છે. બ્રિટનની ૧,૦૦૦ વર્ષ જૂની રાજગાદી પર સૌથી લાંબો સમય શાસન કરનાર ક્વીન એલિઝાબેથનું જીવન એટલે કે એવી વાસ્તવિકતા જ્યાં રાજા-રાણીની કથાઓનું વાર્તા તત્ત્વ આજે પણ યથાવત્ છે.
આખી દુનિયામાં પહેલાંની સરખામણીએ રાજવીઓનું શાસન હવે ઘણું ઓછું થયું છે. આજે પણ વિશ્વમાં 44 મોનાર્કીઝ છે જેમાંથી 13 એશિયામાં છે, 12 યુરોપમાં છે, 10 ઉત્તર અમેરિકામાં છે, 6 ઓશિયાનામાં છે અને આફ્રિકામાં છે. દક્ષિણ અમેરિકામાં કોઇ મોનાર્કીઝ નથી. જ્યારે બ્રિટને રાજાશાહીમાંથી લોકશાહી તરફનો બદલાવ સ્વીકાર્યો ત્યારે પણ મોનાર્કી – એટલે કે રાજાશાહી એક બંધારણીય આવશ્યકતા હતી, તેનું સન્માન યથાવત્ અને વડા પ્રધાન એટલે કે સાર્વભૌમના પ્રથમ પ્રધાન. બ્રિટનના મામલે વડા પ્રધાન સરકારના વડા છે, પણ રાષ્ટ્રના વડા નથી. બ્રિટનના રાજવી પરિવારની અને તેના વડાની સૌથી મોટી જવાબદારી એ રહી કે દેખીતી રીતે સામાન્ય લોકશાહી લાગતા રાજ્યમાં એક વારસાગત રાજાશાહી છે, રાજકારણથી પણ ઉપર છે અને રાષ્ટ્રનાં મૂલ્યોનુ પ્રતિનિધિત્વ કરે છે.
ક્વીન એલિઝાબેથ બીજાં ગાદી પર હતાં તે દરમિયાન અધધધ ઘટનાઓ ઘટી છે. તેમણે યુદ્ધો જોયાં, મંદી જોઇ, પડી ભાંગતી અર્થવ્યવસ્થા જોઇ, મહામારીઓ જોઇ, બ્રેક્ઝિટ સુદ્ધાં જોઈ. વાત માંડવા બેસીએ તો પછી ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે. જો કે અમુક બાબતો એવી છે કે ક્વીન એલિઝાબેથના ઉલ્લેખ સાથે તેને કોઇને કોઇ રીતે ટાંકી જ લેવાય છે. માર્ગારેટ થેચર અને પ્રિન્સેસ ડાયના – આ બે મજબૂત સ્ત્રીઓની સાથેની ક્વીન એલિઝાબેથની ત્રિરાશીઓની વાત તો કરવી જ રહી.
બ્રિટનનાં વડા પ્રધાન માર્ગારેટ થેચર અને ક્વીન એલિઝાબેથ વચ્ચેના સંબંધો ખૂબ જટિલ હતા. 11 વર્ષ સુધી બ્રિટનના વડા પ્રધાન રહેલાં માર્ગારેટ થેચર અને બ્રિટનના રાણી વચ્ચે હંમેશાં બહુ ડ્રાય અને ઔપચારિક સંબંધો રહ્યા. આમ તો ક્વીન હંમેશાં રાજકારણથી છેટું રાખતા પણ છતાં ય ક્વીનને લાગતું હતું કે વડા પ્રધાન ‘અનકેરિંગ’ છે. દક્ષિણ આફ્રિકા પર શાસનના મામલે રંગભેદી નીતિ અને તેને લગતા પ્રતિબંધો લાદવાનો માર્ગારેટનો કટ્ટર ઇન્કાર ક્વીનને કઠતો હતો. તેમને લાગતું હતું કે થેચર વગર કારણના સંઘર્ષો ખડા કરે તેવાં છે. વડા પ્રાધન માર્ગારેટ થેચર આવા કોઇ પ્રતિબંધોને તરફેણમાં નહોતા જોતાં જેનાથી શ્વેત અને અશ્વેત વચ્ચેનો અલગાવ ચાલુ રહે, આ મામલે તે બીજા કોમનવેલ્થ દેશોની સાથે સંમત નહોતાં. મીડિયામાં અવારનવાર થેચર અને ક્વીન વચ્ચેના તંગ સંબંધો વિશે લખાયું. જો કે થેચરે પોતાની આત્મકથામાં એમ લખ્યું હતું કે મીડિયાએ ભલે એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ડાઉનિંગ સ્ટ્રીટ અને પેલેસ વચ્ચે વિખવાદો છે પણ ક્વીને સરકારના કામ પ્રત્યે હંમેશાં યોગ્ય અભિગમ રાખ્યો.
આ તો રાજકારણ અને રાજવી વચ્ચેના સંબંધોની વાત હતી, પણ દીકરા ચાર્લ્સની પત્ની પ્રિન્સેસ ડાયના સાથે ક્વીનના સંબંધો પણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા. પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી જ કેમિલા પાર્કર સાથે સંબંધોમાં હતા છતાં પણ ડાયના સાથે તેમણે લગ્ન કર્યા. ડાયના ડિપ્રેશન અને બુલિમિયાનો શિકાર બની. તેના વહેવાર પ્રત્યે સમયાંતરે ક્વીન એલિઝાબેથનું વલણ બદલાયું, તે તેને અમુક હદે સમજ્યા અને તેમની વચ્ચેનો સંબંધ બહેતર બન્યો. ડાયનાએ રોયલ બાયોગ્રાફર ઇનગ્રિડ સીવૉર્ડને એમ પણ કહ્યુ હતું કે તેનાં સાસુ વિશ્વના શ્રેષ્ઠ સાસુ છે. પણ પ્રિન્સ ચાર્લ્સ સાથે સંબંધ બગડ્યા એટલે સાસુમા સાથે પણ સમસ્યાઓ થઇ, ડાયનાના વધુ પડતા સંવેદનશીલ સ્વભાવ સામે ક્વીન એલિઝાબેથને વાંધો હતો. તે બન્ને આગવી પ્રતિભા ધરાવનારી સ્ત્રીઓ હતી અને ક્યારે ય એકબીજાં સાથે મોકળાશથી વાત ન કરી શકી. ક્વીન વિશે એમ પણ કહેવાયુ કે તે ઘરની સમસ્યાઓ ઉકેલવાની માથાકૂટને બદલે કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરતાં. ડાયના પ્રિન્સ ચાર્લ્સથી છૂટી પડી અને તેનું મોત થયું તે પછી તેને રોયલ ન ગણવાની રાજવી પરિવારની જડતા પણ લોકોને કઠી ગઇ.
રાજવીપણું જેટલું ક્વીન એલિઝાબેથે જાળવી શક્યાં તેવું તો કદાચ બીજું કોઇ નહીં જાળવી શકે. ક્વીન એલિઝાબેથ આખી દુનિયાનાં રાણી હતાં એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આકસ્મિક રીતે જ રાજગાદી પર સ્થપાયેલાં લિલિબેટે, ક્વીન એલિઝાબેથ બીજાંનું ટાઇટલ સ્વીકારીને બહુ શાલિનતાથી, નિષ્ઠાથી તો ક્યારેક રાજવી જડતાથી પોતાના નાગરિકો માટે પોતાનું જીવન અર્પી દીધું. એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેત બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કૂતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યાં હોત. સત્તા પર, ટોચ પર – જિંદગી સતત એકલવાઇ હોય છે, ભલેને તમે રાણી શું કામ ન હો.”
બાય ધી વેઃ
પ્રિન્સ ચાર્લ્સે ગાદીપતિ થવા માટે બહુ લાંબી રાહ જોવી પડી. 73 વર્ષની વયે જ્યારે તેમણે નિવૃત્ત થવાનું હોય ત્યારે તે એવી કામગીરી હાથમાં લઇ રહ્યા છે જેની તેમને તાલીમ તો મળી છે, પણ તે બહુ પૉપ્યુલર નથી. શું બ્રિટનમાં બાર્બાડોસ જેવા હાલ થઇ શકે? બાર્બાડોસમાં 2021માં લોકોએ પોતાના સામ્રાજ્યવાદી ઈતિહાસને નેવે મૂકીને ક્વીનની રાષ્ટ્રના વડા તરીકેની માન્યતા પાછી ખેંચી લીધી. કોમનવેલ્થ દેશોમાં આવું ક્યાંક થઇ પણ શકે છે. વળી ક્વીન એલિઝાબેથે 7 દાયકા સુધી રાજવીપણાની જે આભા ખડી કરી છે તેને કોઇપણ નવી વ્યક્તિ માટે પુનઃસ્થાપિત કરવી આસાન નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 સપ્ટેમ્બર 2022